ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ-૫ ‘પ્રભુશશી’-‘સુરશશી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવચંદ-૫/‘પ્રભુશશી’/‘સુરશશી’ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાતિએ વીસાશ્રીમાળી. અમદાવાદના રહેવાસી હોય એવું સમજાય છે. એમણે રચેલા ૮૩ કડીના ‘નેમિનાથનો સલોકો’ (ર.ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, શ્રવણ વદ ૫, શુક્રવાર; મુ.)માં નેમિનાથને પરણવા સમજાવવા ભાભીઓએ કરેલા મજાકભર્યા ઉદ્ગારો વિસ્તારથી ને તળપદી શૈલીમાં મનોરમ રીતે આલેખાયા છે. આ કવિનો ૯૨ કડીનો ‘વિવેક-વિલાસનો સલોકો’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર સુદ ૧૩, મંગળવાર; મુ.) પણ વીગતપૂર્ણ રૂપક ગ્રંથિની રચનાની કવિની શક્તિ બતાવે છે. આ ઉપરાંત, આ કવિની ૪ કડીની ‘જિનપ્રભુની આંગીનું સ્તવન’ (મુ.), ૮ પંક્તિની ‘મહાવીરસ્વામીની ગરબી’ (મુ.), ૭ કડીનું ‘પદ્મપ્રભસ્વામીનું સ્તવન’ (મુ.) તથા ૯ કડીનું ‘સુવિધિનાથસ્વામીનું સ્તવન’ (મુ.) એ લઘુ કૃતિઓ પણ મળે છે. ‘પ્રભુશશી’ની નામછાપ સાથે મળતું ૭ કડીનું ‘ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન’ આ જ કવિની રચના હોવાનું સમજાય છે. કૃતિ : ૧. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય, સં. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૨. મોતીશાનાં ઢાળિયાં, પ્રં. હીરાચંદ હઠીસિંગ શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.); ૩. શ્રી શત્રુંજ્ય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સલોકાસંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]