ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નેમવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના શિષ્ય. આ કવિનો દુહા અને દેશીબદ્ધ ૮૪ ઢાળનો અને ૬ ખંડોમાં વિભક્ત ‘શીલવતી-રાસ  શીલરક્ષાપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, વૈશાખ સુદ ૩; મુ.) શીલવતી અને ચંદ્રગુપ્ત વચ્ચેના લાંબા વિયોગની અને એને અંતે થતા મિલનની કથા આલેખે છે. વિયોગકાળમાં અનેક વિપત્તિઓમાં અટવાતી શીલવતી અને ભ્રમણ દરમ્યાન પરાક્રમો કરતા ચંદ્રગુપ્તની સાથે સંકળાતી ઘટનાઓથી વાર્તા કરુણ, વીર ને અદ્ભુતરસવાળી બની છે. કવિની રસિક ને આલંકારિક કાવ્યરીતિ, પ્રસંગકથનમાં ભળતું ઉપદેશકથન, ઢાળોમાં ઉપયોગમાં લેવાયેલા વિવિધ રાગો તથા અપભ્રંશના અંશોવાળી અને રાજસ્થાનીની અસર દેખાડતી ભાષા આ કૃતિની લાક્ષણિકતાઓ છે. માગશરના વર્ણનથી આરંભાતી ‘નેમરાજુલ-બારમાસ/નેમિ-બારમાસ’ (ર.ઈ.૧૬૯૮/સં. ૧૭૫૪, મહા સુદ ૮, રવિવાર; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. સળંગ ૧૦૦ કડીઓમાં રાજિમતીની વિરહવ્યથાને આલેખતી કૃતિમાં આંતરયમક અને અનુપ્રાસની ગૂંથણી નોંધપાત્ર છે. એના પદબંધમાં ઢાળ તરીકે ઉલ્લેખાયેલો મુખ્ય ભાગ દુહામાં છે અને પ્રત્યેક માસના વર્ણનને અંતે આવતી ૨-૨ પંક્તિઓ દુહા તરીકે ઉલ્લેખાઈ છે પણ એ ઝૂલણના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનાં ૪ ચરણની બનેલી છે એ લાક્ષણિક છે. આ ઉપરાંત કવિએ ૧૭ ઢાળનો ‘સુમિત્ર-રાસ/રજરાજેશ્વર-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, મહા સુદ ૮, શનિવાર), ૪ ખંડ, ૬૩ ઢાળ અને ૭૨૮ ગ્રંથાગ્રનો ‘વછરાજ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, માગશર સુદ ૧૨, બુધવાર) તથા ૩૯ ઢાળ અને ૧૯૫૮ કડીનો ‘તેજસાર રાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, કારતક વદ ૧૩, ગુરુવાર) એ કૃતિઓની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાકામાળા : ૩૫; ૨. પ્રામબાસંગ્રહ : ૧;  ૩. જૈનયુગ, પોષ ૧૯૮૨-‘નેમિબારમાસ; સં. મોહનલાલ દ. દેસાઈ. સંદર્ભ : ૧. ગુમાસ્તંભો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો; ૫ મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકેટલૉગભાવિ; ૮. દેસુરાસમાળા.[ર.સો.]