ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-ફાગુ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નેમિનાથ-ફાગુ’ [ર.ઈ.૧૩૪૯ આસપાસ] : મલધાર/હર્ષપુરીગચ્છના સાધુ રાજશેખરકૃત આ કૃતિ(મુ.) જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્રફાગુ’ની છંદ-યોજના તેમ જ પંક્તિ વિભાજનને અનુસરતી, અનુક્રમે બે ચરણની ૧ અને ૪-૪ ચરણની ૨ એ રીતે બનેલી ૨૭ કડીની પ્રાચીન ગુજરાતીની અપભ્રંશપ્રધાન ફાગુરચના છે. મુખ્યત્વે નેમિનાથ-રાજિમતીના અધૂરા રહેલા લગ્ન અને નેમિનાથના વૈરાગ્યપ્રેરિત મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને નિરૂપતી આ કૃતિ વસંતવિહાર, રાજિમતીનું સૌંદર્ય, નેમિનાથનો વરઘોડો તથા હતાશ રાજિમતીના હૃદયભાવોનાં કાવ્યત્વપૂર્ણ વર્ણનોથી અને ભાષાશૈલીગત લાલિત્યથી ધ્યાનપાત્ર બને છે. [ર.ર.દ.]