ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રબોધબત્રીશી-માંડણ બંધારાનાં ઉખાણાં’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘પ્રબોધબત્રીશી/માંડણ બંધારાનાં ઉખાણાં’ : ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત માંડણની આ કૃતિ (મુ.) ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત રચના છે. પહેલા ૪ કે ૫ ચરણમાં કથયિતવ્ય અને પાંચમા-છઠ્ઠા ચરણમાં જનસમાજમાં પ્રચલિત કોઈ લોકોક્તિ કે ઉખાણાથી કથયિતવ્યને સમર્થન એ રીતે દરેક કડીની સંકલના થયેલી છે. ભક્તિ, માયા, કૃષ્ણ, હૃદય, રાજનીતિ, હાસ્ય વગેરે શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલી આ વીશીઓમાં કવિનો આશય તો લોકોનાં દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો છે. જેમ કે, કવિ કહે છે કે ભૂત, પ્રેત, વૈતાલ કે પિશાચની ઉપાસના કરવાનો શું અર્થ ? જે પોતે જ ભવાટવિમાં હજી અતૃપ્ત બની ફર્યા કરતાં હોય તે આપણું દુ:ખ કેવી રીતે દૂર કરી શકે ? જે કુળદેવતાનું વજન અડધો તોલો હોય તે મણના વજનવાળા ત્રિલોકનો ભાર કેવી રીતે ઉપાડી શકે ? ‘ગુજરાત શેરી સાંકડી’ ‘પેટ ભરાયું તો પાટણ ભરાયું’ ‘નાગરીનાં ગોઠણપણાં’ ઇત્યાદિ પ્રજાજીવનમાં પ્રચલિત વિચારોનું પ્રતિબિંબ પડતાં ઉખાણાંનો આ કોશ તત્કાલીન ગુજરાતના તળપદા જીવનને જાણવા માટે પણ ઉપયોગી બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ ને ષટ્પદી ચોપાઈનો બંધ એ બાબતમાં આ કૃતિની અસર અખાના છપ્પાઓ પર જોઈ શકાય છે. [ર.શુ.]