ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નેશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નેશ્વર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : કવિ અને અનુવાદક. ડભોઈના શ્રીમાળી બ્રાહ્મણ. પિતા મેઘજી. સંસ્કૃતના સારા જ્ઞાતા. પોતાના ભાગવતના ‘દશમસ્કંધ’ના અનુવાદમાં કવિએ અંતભાગમાં ‘નૃસિંહસુત પરમાનંદ’ નામના ગુરુનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કવિને પ્રેમાનંદ સાથે સંબંધ હોવાની વાતને કે ‘પ્રાચીન કાવ્યમાળા’માં કવિના જીવન વિશે આપવામાં આવેલી માહિતીને બીજો કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ધ્યાનાર્હ કૃતિ ‘ભાગવત’છે. એમણે સંપૂર્ણ ભાગવતનો અનુવાદ કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે સ્કંધ ૧ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૧૧, શનિવાર; મુ.), ૨ (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, કારતક સુદ ૧૧, સોમવાર; મુ.), ૧૦ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, ભાદરવા સુદ ૫, રવિવાર; મુ.), ૧૧ (ર.ઈ.૧૬૮૪) અને ૧૨ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, શ્રાવણ સુદ ૧૦, સોમવાર) એમ ૫ સ્કંધ ઉપલબ્ધ થાય છે. ‘કવિચરિત’ ત્રીજો સ્કંધ ઉમેરી કુલ ૬ સ્કંધ પ્રાપ્ત થતા હોવાની માહિતી આપે છે. સળંગ ભાગવતને સૌપ્રથમ ગુજરાતીમાં ઉતારવાની દૃષ્ટિએ તેમ જ શ્રીધરની ટીકાને અનુસરી ભાગવતને મૂળની પ્રૌઢિ જાળવી ચોપાઇના ઢાળમાં ને સર્વજનભોગ્ય ભાષામાં ઉતારવાનો કવિનો પ્રયત્ન પ્રશસ્ય છે. ‘અશ્વમેઘપર્વ’ (ર.ઈ.૧૬૮૭; મુ.) જૈમિનીના એ વિષયના કાવ્યના મૂળ કથાભાગને જાળવી ૬૪ કડવામાં થયેલો મુક્ત અનુવાદ છે. વિવિધ રાગની દેશીઓના ૮ અધ્યાયવાળું ‘સ્વર્ગારોહણપર્વ’(મુ.) મહાભારતના પર્વનો અનુવાદ છે. કવિની મૌલિક કૃતિઓમાં પ્રબોધપંચાશિકા, વૈરાગ્યલતા, વૈરાગ્યદીપક અને વૈરાગ્યસાગર એ ૪ ગુચ્છોમાં વહેંચાયેલી ‘આત્મવિચારચંદ્રોદય/વૈરાગ્યબોધ’(મુ.) તેના માલિની, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, રથોદ્ધતા વગેરે અક્ષરમેળ વૃત્તોવાળા કાવ્યબંધ અને કવિની બહુશ્રુતતાના દ્યોતક એવાં અનેક દૃષ્ટાંતોની સહાયથી અપાયેલા દેહની ચંચળતા, સંસારીસુખનું મિથ્યાત્વ, તથા ઇશ્વરભક્તિના બોધને લીધે વિશિષ્ટ છે. ‘રાધાવિરહના બારમાસા’(મુ.) રસાવહ બારમાસી છે. દુહા અને માલિની છંદના મિશ્રબંધવાળી આ કૃતિ સંસ્કૃત કવિતાની અસર નીચે રાધાના વિરહભાવને આલેખવા છતાં કવિની મૌલકતાથી દીપે છે. ‘મૂર્ખાવલિ/મૂર્ખલક્ષણાવલિ’(મુ.), ‘સુજ્ઞાવલિ’(મુ.), કેટલાંક પદો (મુ.), તથા ‘ભગવદગીતા’, ‘મહિમ્નસ્તોત્ર’, ‘ગંગાલહરી’ ને ‘શિશુપાલવધ’ના અનુવાદ તથા બીજી કેટલીક કૃતિઓ રત્નેશ્વરની ગણાઈ છે, પરંતુ જૂની હસ્તપ્રતોના ટેકાનો અભાવે એ કૃતિઓને કવિની અધિકૃત કૃતિઓ ન ગણવાનું વલણ ‘કવિચરિત’નું છે. કૃતિ : ૧. અશ્વમેઘ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, નાથાલાલ પૂ. શાસ્ત્રી,-; ૨. આત્મવિચારચંદ્રોદય, સં. કાનજી વા. શાસ્ત્રી, ઈ.૧૮૬૯; ૩. શ્રમીદ્ ભાગવત સ્કંધ : ૧-૨, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૫;  ૪. પ્રાકામાળા : ૧૫ (+સં.); ૫. પ્રાકાસુધા : ૧; ૬. મહાભારત : ૭; સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ; ૭. મસાપ્રકારો;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફૉહનામાવલિ. ૧૩. શ્રીમદ્ ભાગવત દશમસ્કંધ (કવિ રત્નેશ્વર મેઘજીકૃત), પ્ર. ગોરધનદાસ નારાયણભાઈ, ઈ.૧૮૭૧. [શ્ર.ત્રિ.]