ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વસ્તુગીતા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વસ્તુગીતા’ : વસ્તા વિશ્વંભરની અદ્વૈતવિચારનું નિરૂપણ કરતી જ્ઞાનમાર્ગી પરંપરાની ૮ અધ્યાય ને સાખીની ૪૨૭ કડીની કૃતિ(મુ.). કવિએ પ્રથમ ૭ અધ્યાયમાં અદ્વૈતવિચારનું નિરૂપણ કર્યું છે, અને અંતિમ અધ્યાયમાં આગળના સાતે અધ્યાયમાં કરેલી ચર્ચાનો અધ્યયવાર સાર આપ્યો છે. જીવ અને શિવ વચ્ચેનો ભેદ, માયાનું કાર્ય, પંચીકરણની પ્રક્રિયા, પંચકોષ અને જીવ-બ્રહ્મની એકતા, આત્મસ્વરૂપને કેમ પામવું, જીવ-ઈશ્વર-બ્રહ્મ-પરબ્રહ્મનું સ્વરૂપ તથા વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ દ્વારા ઈશ્વરરૈક્યનો અનુભવ કરવાની વાત આ અધ્યાયોમાં એમણે સમજાવી છે. કવચિત્ પોતાના વિચારને સ્ફુટ કરવા કવિ દૃષ્ટાંતનો આશ્રય લે છે. પરંતુ સીધા તત્ત્વનિરૂપણ તરફ એમનું લક્ષ વિશેષ છે. [ચ.શે.]