ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કરુણપ્રશસ્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કરુણપ્રશસ્તિ (Elegy) : શોકગીત કરતાં વધુ સુબદ્ધ અને દીર્ધ આ કવિતાપ્રકાર મૃત વિશેના શોકને, મૃત્યુજન્ય વિષાદને વ્યક્ત કરે છે. કોલરિજે વ્યાખ્યા કરતાં કહેલું કે ચિંતનશીલ ચિત્ત માટે સ્વાભાવિક એવો આ કવિતાપ્રકાર છે. અને તેથી ક્યારેક એમાં કોઈ શાશ્વતસિદ્ધાન્તના અનુસન્ધાને સાંત્વના પણ ભળે છે. વર્તમાનના અભાવ કરતાં, જે કાંઈ વીતી ગયું છે અને જે હવે પ્રાપ્ય નથી એ પરત્વેનો ખરખરો–જીવનની ભંગુરતા–કેન્દ્રસ્થાને રહે છે. આ પ્રકાર સામાન્ય રીતે આકારની ચુસ્તતા, ભાવનિષ્ઠ પ્રસ્તુતિ, ચિંતનપ્રવણ શૈલી અને છલરહિતતાની પ્રતીતિને તાકે છે. મૂળ ગ્રીક અને રોમન પ્રશિષ્ટ સાહિત્યમાં આ સંજ્ઞા છંદવિશેષની દ્યોતક હતી અને એવા પદ્યરૂપમાં કોઈપણ વિષયનું નિરૂપણ શક્ય હતું પરંતુ મિલ્ટન બાદ એનો સંબંધ છંદથી કપાઈ ગયો અને આ પ્રકાર આત્મલક્ષી શોકોદ્ગારને માટે સ્થાપિત થયો. ટેનિસનનું ‘ઇન મેમોરિયમ’ કે રિલ્કની ‘દુઈનો કરુણિકાઓ’ આનાં પ્રચલિત ઉદાહરણ છે. ચં.ટો.