ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યાલંકારસારસંગ્રહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્યાલંકારસારસંગ્રહ : અલંકારવાદી આચાર્ય ઉદ્ભટનો નવમી સદીના પૂર્વાર્ધનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આ ગ્રન્થ છ વર્ગોમાં વહેંચાયેલો છે અને કુલ ૭૯ કારિકાઓમાં ૪૧ અલંકારોનું નિરૂપણ કરે છે. અહીં અલંકારવિવેચનમાં કેટલીક મૌલિકતા છે. પહેલીવાર અલંકારોનું વર્ગીકરણ કરી, વ્યાકરણિક આધાર પર ઉપમાલંકારના ભેદ કરવામાં આવ્યા છે તેમજ પહેલીવાર અનુપ્રાસના પ્રકારો તરીકે પરુષા, કોમલા અને ઉપનાગરિકા નામે કાવ્યવૃત્તિઓનું વિવરણ થયું છે. સ્પષ્ટ છે કે ઉદ્ભટ અલંકારવાદી હોવા છતાં રસના પોષક છે. ભરત અને ભામહ બંનેનો પ્રભાવ એમના વિષયપ્રતિપાદનમાં પડેલો જોવાય છે. આ ગ્રન્થ પર મુકુલ ભટ્ટના શિષ્ય પ્રતિહારેન્દુરાજની ટીકા ઉપલબ્ધ છે. ઉદ્ભટનો, કાશ્મીરનરેશ જયાપીડની સભામાં પંડિતોના અધ્યક્ષ તરીકે ઉલ્લેખ મળે છે. એમણે ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર અને ભામહના ‘કાવ્યાલંકાર’ પર ‘ભામહવિમર્શ’ નામક ટીકાઓ આપી છે. ઉદ્ભટની ‘કુમારસંભવકાવ્ય’ રચના ઉપલબ્ધ નથી. ચં.ટો.