ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગદ્યકાવ્યભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગદ્યકાવ્યભેદ : સંસ્કૃત આચાર્યોએ કાવ્યને ગદ્ય અને પદ્યમાં વહેંચી નાખ્યા પછી ગદ્યકાવ્યના અનેક પ્રકારો દર્શાવ્યા છે. વામને છંદોબંધયુક્ત વાક્યસહિતનો વૃત્તગન્ધિ, સમાસરહિત અને લલિત વાક્યસહિતનો ચૂર્ણ અને દીર્ઘસમાસ તથા ઉદ્ધતપદપ્રયોગ યુક્ત ઉત્કલિકાપ્રાય-એવા ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. તો વિશ્વનાથે એમાં સમાસરહિતરચનાનો મુક્તક પ્રકાર ઉમેર્યો છે. હેમચન્દ્રે દસેક ગદ્યકાવ્યપ્રકારની ચર્ચા કરી છે : આખ્યાન, નિદર્શન, પ્રવહલિકા, મતલ્લિકા, મણિકુલ્યા, પરિકથા, ખંડકથા, સકલકથા, ઉપકથા અને બૃહત્કથા. મુખ્યપ્રબંધમાં અન્યને સમજાવવા આખ્યાનનો પ્રવેશ કરાવવામાં આવે છે; નિદર્શનમાં પશુપક્ષીઓની ચેષ્ટાઓ દ્વારા કાર્યકારણનો નિર્ણય કરાય છે; પ્રવહલિકામાં પ્રધાનપાત્ર અંગે બે વ્યક્તિનો પ્રાકૃતમાં વિવાદ હોય છે; મતલ્લિકા એ પ્રેતભાષા કે મહારાષ્ટ્રભાષામાં લખાયેલી લઘુકથા છે; મણિકુલ્યામાં પહેલાં જોવાની વસ્તુ પછી પ્રકાશિત થાય એવી રચના હોય છે; પરિકથા ચારપુરુષાર્થોમાંથી કોઈએકને લક્ષ્ય કરી વૃત્તાંત આપે છે; ખંડકથામાં કોઈ પ્રસિદ્ધ ઇતિવૃત્તનું મધ્ય કે અંતમાંથી વર્ણન શરૂ થાય છે; સકલકથા ચારે ય પુરુષાર્થોના વર્ણનને સમાવે છે. ઉપકથામાં કોઈએક ચરિત્રમાં પ્રસિદ્ધ કથાન્તરનું ઉપનિબંધન હોય છે; તો બૃહત્કથા અદ્ભુત અર્થોને આગળ ધરે છે. અગ્નિપુરાણે આખ્યાયિકા, કથા, ખંડકથા, પરિકથા અને કથાનિકા – એમ પાંચનો જ પુરસ્કાર કર્યો છે. ચં.ટો.