ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી ગઝલ : અરબી-ફારસી ભાષાના કાવ્યપ્રકાર ગઝલના ગુજરાતી ભાષામાંના પ્રવેશ-પ્રસાર અને પ્રચલન માટે ગુજરાત પ્રદેશ ઉપરના દીર્ઘકાલીન મુસ્લિમશાસનકાળ દરમ્યાન વહીવટીભાષા તરીકેનો ઉર્દૂ ભાષા અને તેમ થતાં મુસ્લિમ સંસ્કૃતિનો સંપર્ક તેમજ પ્રભાવ મહત્ત્વનાં પરિબળો જણાય છે. આ ઉપરાંત મુસ્લિમ શાસન દરમ્યાન આરંભાયેલા અને પછીથી પણ નિરંતર યોજાતા રહેલા મુશાયરા અને પારસી પ્રજાએ આરંભેલી નાટ્યપ્રવૃત્તિ પણ એવાં પરિબળો છે જેણે ગઝલનાં મૂળ ગુજરાત અને ગુજરાતી ભાષામાં ઊંડે સુધી પ્રસરે અને ગઝલ લોકપ્રિય બને તે માટેની ભૂમિકા રચી આપી છે. મુસ્લિમસંસ્કૃતિ અને ઉર્દૂ ભાષાના સૂચિત પ્રભાવ-પ્રચલનથી ગુજરાત અને ગુજરાતી ભાષામાં એક કાવ્યપ્રકાર તરીકે ગઝલરેખતાનું પ્રચલન સોળમા-સત્તરમા સૈકા દરમ્યાન થયું હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે. ‘ઝૂલણના વેશ’માં ઉર્દૂ મિશ્રિત ગુજરાતી ભાષામાં રેખતાનો પ્રયોગ થયેલો છે. ગઝલ-રેખતાની લોકપ્રિયતાથી પ્રેરાઈને જૈન સાધુ કવિઓએ પોતાનાં તીર્થસ્થાનોનું વર્ણન-માહાત્મ્ય નિરૂપવા તેમજ જૈન સમાજના શ્રેષ્ઠીઓના મનોરંજન માટે રચેલી, રાજસ્થાની મિશ્રિત ગુજરાતી ભાષા ધરાવતી સ્થળવર્ણનની ગઝલગોત્રી રચનાઓમાં પણ રેખતાનો પ્રભાવ અછતો રહેતો નથી. પોતાના ધર્મસંપ્રદાયના પ્રચાર-પ્રસાર માટે દીપવિજય, કવિ ખેતા તથા કવિ નિર્મલ જેવા જૈનસાધુ-કવિઓએ રચેલી ગઝલનામધારી પરંતુ હકીકતે રેખતા અને ગઝલના કાવ્યસ્વરૂપનું આંશિક અનુકરણ કરતી ગઝલસદૃશ રચનાઓમાં, ખરતરગચ્છીય જતિ કવિ ખેતાકૃત ‘ચિતોડરી ગઝલ’(૧૭૪૮), દીપવિજયકૃત ‘ઉદયપુરરી ગઝલ’(૧૮૫૨/૧૮૫૪), જતિ નિહાલકૃત ‘બંગાલદેશ કી ગઝલ’(૧૭૮૨/૧૭૯૫) ઉપરાંત ભાવનગર, ઇડર વગેરે શહેરો તથા શત્રુંજય, તારંગા અને રેવંતગિરિ જેવાં જૈન તીર્થધામો વિશેની ગઝલો મળે છે. રસકવિ દયારામે જેમ ગરબી લખીને સખીભક્તિ તેમ ગઝલ લખીને સૂફી સંત-કવિઓની માફક આશક-માશૂકના સંબંધે કૃષ્ણભક્તિ કરી છે. દેશાટન દરમ્યાન ઉત્તરભારતમાંના એમના દીર્ઘકાલીન નિવાસને લીધે દયારામ ગઝલરચના તરફ વળ્યા જણાય છે. એમની ગરબીમાં એ વ્રજભાષાનું જેટલું લાલિત્યપૂર્ણ પ્રભુત્વ દાખવે છે એટલું જ પ્રભુત્વ એ ગઝલરચનામાં ઉર્દૂ ભાષાનું દાખવે છે. ગઝલ લખનારા દયારામે મધ્યયુગીન પંજાબમાં પ્રચલિત અને ગુરુગ્રન્થસાહિબમાં પ્રયુક્ત દોહરા જેવો છંદોબદ્ધ કાવ્યપ્રકાર રેખતા પણ અજમાવ્યો છે. જૈન-સાધુકવિઓની તુલનામાં દયારામમાં કંઈક વધુ ચુસ્ત સ્વરૂપે પ્રગટેલી ગઝલને નાટ્યલેખક-દિગ્દર્શક અને અભિનેતા કવિ અમૃત કેશવ નાયકે તથા કવિ નર્મદે પણ અપનાવી છે. પરંતુ ગઝલને ગુજરાતી ભાષામાં, સમર્પિત ભાવથી સૌપ્રથમ, બાલારામ ઉલ્લાસરામ કંથારિયાએ સેવી છે. એમની ‘હરિપ્રેમપંચદશી’માંની ગઝલરચનાઓ, વિષય સંદર્ભે પ્રભુ-પ્રીતિની સૂફીપરંપરાને અનુસરે છે પરંતુ ગઝલના રદીફ-કાફિયા અને મત્લા-મકતાના શેરની લાક્ષણિકતાને ચુસ્તીપૂર્વક જાળવતી નથી. તેમ છતાં, ગુજરાતી ગઝલના વિકાસમાં, બાલાશંકરની ‘બોધ’, ‘જિગરનો યાર’, ‘ઊડો નાદાન મન બુલબુલ’ અને ‘દીઠી નહીં’ જેવી રચનાઓ માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ જ નહીં, સ્વરૂપગત સફાઈને લીધે પણ સીમાચિહ્ન બની રહી છે. પંડિતયુગમાં ડાહ્યાભાઈ દેરાસરી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને મણિભાઈ દ્વિવેદીની ગઝલરચનાઓ ધ્યાન ખેંચે છે. મણિલાલની ‘પ્રેમજીવન’ તથા ‘આનંદોર્મિ’માં મળતી ગઝલો ચુસ્તબંધ ન હોવા છતાં ‘કંઈ લાખો નિરાશામાં’ જેવી કેટલીક રચનાઓ લોકપ્રિય બની છે. ‘સરસ્વતીચંદ્ર’માંના પદ્યપ્રયોગો રૂપે મુકાયેલી ગઝલો પૈકીની ‘સુખી હું તેથી કોને શું?’ તથા ‘તજી વહાલી ગુણી દારા’ જેવી ગઝલો લોકોને કંઠસ્થ થઈ હતી. લલિત, ત્રિભુવન મસ્ત કવિ અને કલાપીની કવિતામાં ગઝલ મોખરાનું સ્થાન ધરાવે છે. બાલાશંકર-મણિલાલના પ્રભાવ તળે ગઝલરચના માટે પ્રેરાયેલા કલાપીની ગઝલમાં ફારસી ગઝલના બન્ને રંગો : વિરહની વેદના અને વૈરાગ્યની ઉત્કટતાનું સ્પર્શક્ષમ નિરૂપણ થયું છે. કેટલાક ફારસી શબ્દોનો અતિરેકપૂર્ણ તેમજ ક્વચિત્ અનઅર્થકારી ઉપયોગ પછી પણ ‘ફકીરી હાલ’ લો કે ‘આપની યાદી’ અને ‘સનમની શોધ’ લો, ગઝલનાં મસ્તીમિજાજ એમાં તંતોતંત મળે છે. કવિ ‘કાન્તે’ પણ ગઝલલેખન કર્યું છે પરંતુ એમાં ગઝલના હાર્દરૂપ તગઝઝુલ અર્થાત ગઝલિયત, મિજાજ નીપજ્યો નથી. સુરત (રાંદેર) ગુજરાતનું એવું શહેર છે જ્યાં લાંબા સમય સુધી મુસ્લિમશાસન રહ્યું હતું. એની અસર તળે વિકસેલી મુસ્લિમ સંસ્કૃતિના એક અનિવાર્ય અંગ લેખે યોજાતા મુશાયરાઓની ગુજરાતભરમાં નામના હતી. એ પ્રવૃત્તિની એક ઉપનીપજ લેખે રાંદેરમાં ‘મુસ્લિમ ગુજરાતી ગઝલમંડળ’ની સ્થાપના થઈ હતી અને તેના મુખપત્ર રૂપે ‘કાવ્યપુષ્પ’ નામનું માસિક પણ પ્રગટ થતું હતું. આ વાતાવરણથી પોષાયેલા ગુજરાતી ગઝલકવિઓમાં શયદા, અસીમ રાંદેરી, સાબિર વટવા, નસીમ, સગીર, અમીન આઝાદ, મુનાદી અને ઝાર રાંદેરી નોંધપાત્ર છે. આ ગઝલકવિઓ દ્વારા, નરી ઉર્દૂ પરંપરામાં લખાતી ગઝલમાં સૌપ્રથમ ગુજરાતી સંસ્કાર પ્રગટ થયા છે. છતાં એમની રચનાઓ પણ સાકી અને સનમ, ગુલ, બુલબુલ અને સૈયાદ તેમજ આશકમાશૂકની મહોબ્બતમાંની બેવફાઈ અને ફનાગીરી, તન્હાઈભરી આહ, મિલન માટેની જુસ્તજૂ, મદ્યપાનની મસ્તી અને તૌબા-ના પરિવેશથી મુક્ત થઈ નથી. એ કામ એના પછીના ક્રમે આવતા ગઝલકારોની કલમે ઊડીને આંખે વળગે એ રીતે થયું છે. આ ગઝલકારોમાં અમૃત ‘ઘાયલ’, ગની દહીંવાળા, ‘મરીઝ’, રતિલાલ ‘અનિલ’, કિસ્મત કુરૈશી, ‘ગાફિલ’, ‘શૂન્ય’ પાલનપુરી, બરકત વીરાણી ‘બેફામ’, જમિયત પંડ્યા ‘જિગર’, ‘સમીર’, ‘વિશ્વરથ’, અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’ અને ‘મજનૂ’ વગેરે ઉલ્લેખનીય છે. ગઝલલેખનના આ તબક્કામાં વિષયો તેમજ તેના નિરૂપણ સંદર્ભે ભારતીયતા તેમજ ગુજરાતીપણું નીપજાવવાનો કવિઓનો અભિગમ અછતો રહેતો નથી. જીવનબાગમાં પરાગનું સળગી જવું, હૃદયની હોળી, વસંતોત્સવ ઊજવાવો, આંખે બારે માસ લીલાં તોરણ થઈ ટપકતાં આંસુ, પુષ્પોનાં સ્મિતમાં ગવાતાં ગીતો, જીવનમાર્ગમાં ખળખળ વહેતાં ઝરણનું આગમન જેવી નિરૂપણસામગ્રી તથા મન-હંસલો, ચાંદનીની કામળી, ધૂપછાંવનું ઓઢણું, હૃદયની, વાયુની પાલવકિનારી અને નયનદીપ જેવાં કલ્પનો ગુજરાતી ગઝલમાં વણાય છે. સુરેશ જોષી દ્વારા કેળવાયેલી કાવ્યસ્વરૂપગત સભાનતા પછી ગુજરાતી કવિતામાં એક તબક્કો એવો આવ્યો જેમાં ગઝલલેખન પરત્વે ઉદાસીનતા પ્રવર્તવા લાગી હતી. પરંતુ આ સમયગાળો અત્યંત અલ્પજીવી હતો એટલું જ નહીં, હરીન્દ્ર દવે, ‘સમીર’, ગની દહીંવાળા, અમૃત ‘ઘાયલ’ વગેરે ગઝલકારોનું જૂથ ઓછાવત્તા અંશે ગઝલલેખનમાં સક્રિય પણ રહ્યું હતું. આ પછીના તબક્કામાં ગુજરાતી ગઝલ તેનો અલગ ચોકો ઓળંગીને ગુજરાતી કવિતાની મુખ્ય ધારા સાથે સંકળાય છે. સૂચિત શકવર્તી પરિવર્તનનું શ્રેય હરીન્દ્ર દવે, આદિલ મન્સૂરી, મનહર મોદી, ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, ભગવતીકુમાર શર્મા, માધવ રામાનુજ, હરિકૃષ્ણ પાઠક, કરસનદાસ લુહાર, શ્યામ સાધુ, આહમદ મકરાણી રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ વગેરે અનેક કવિઓને ફાળે જાય છે. આ કવિઓએ એક તરફ ગુજરાતી કવિતાના ગીત, સોનેટ તથા અછાંદસ કાવ્યપ્રકારોમાં સર્જન કર્યું તો, તેની સાથે જ તેઓ ગઝલલેખન પણ કરતા રહ્યા. આમ થવાને પરિણામે પ્રભુ, પ્રિયતમા અને વતનપરસ્તી કે હાસ્ય-વ્યંગ જેવા અત્યંત સીમિત વિષયોમાં રાચતી ગુજરાતી ગઝલને તળપદ ગુજરાતી ભાષા અને સંસ્કારનું નવું વિશ્વ સાંપડ્યું. આ તબક્કામાં જ બહુધા સાર્વજનીન બની રહેલી ગુજરાતી ગઝલમાં આધુનિકતાવાદનાં વલણવળાંકો પ્રગટ્યાં. એ રીતે આ ગાળાની ગુજરાતી ગઝલ વળું બદલીને માનવીય મનોભાવોનાં સૂક્ષ્મ નિરૂપણને તાકીને ક્રમશ : વ્યક્તિલક્ષી બનતી ગઈ. અનુઆધુનિક સમયમાં ફરી ગઝલનો લીલો દુકાળ જોવા મળે છે. આમ છતાં આ સમયગાળામાં શ્યામ સાધુ, હરીશ મીનાશ્રુ, અદમ ટંકારવી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, મુકુલ ચોકસી, અશરફ ડબાવાલા, સંજુ વાળા, જયેન્દ્ર શેખડીવાળા ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. ગુજરાતી કવિતાની મુખ્ય ધારા સાથે ગઝલના આમ સંકળાવાની સાથે જ એક નવું પરિમાણ એ નીપજી આવ્યું કે ગીત, સોનેટ, પદ, બારમાસી, હાયકુ જેવા કાવ્યપ્રકારોમાં કાવ્યસર્જન કરનારા પ્રયોગધર્મી કવિઓએ પોતાને પ્રિય અને સિદ્ધ થયેલા કાવ્યપ્રકારોની વિશિષ્ટતા-લાક્ષણિકતા ગઝલમાં સિદ્ધ કરવા મથામણ કરી. અલબત્ત, બે અલગ પૃષ્ઠભૂ ધરાવતા કાવ્યપ્રકારોના સંમિશ્રણ-સંમિલનનું આ કામ જોખમી તો હતું જ છતાં, ગઝલના શેરના મિસરામાં વધઘટ, શેરની સ્વાયત્તતાસ્વયંસંપૂર્ણતા તથા ગઝલની કાવ્યબાની સંદર્ભે ફારસી-ઉર્દૂ ભાષાની રૂઢિથી મુક્ત થઈને સુરતી, કચ્છી, સોરઠી, કાઠિયાવાડી જેવી પ્રાદેશિક બોલીઓના વિનિયોગ જેવી દિશાઓમાં પ્રયોગો કરીને ગઝલના કાવ્યસ્વરૂપને ખોલી આપ્યું છે. આધુનિકતાના સંપર્ક પછી ગઝલસ્વરૂપમાં પણ કેટલાંક મૂળભૂત ફેરફારો આવ્યા. એના મોટા બે ફાયદા એ થયા કે ગઝલમાં વિષયવ્યાપ વધ્યો અને રંજકતાનું તત્ત્વ ઓછું થયું. આને કારણે ગઝલ જેવા રૂઢિચુસ્ત સ્વરૂપે પણ શુદ્ધ કવિતાની દિશામાં ગતિ કરી. આવા કવિઓમાં આદિલ મન્સૂરી, ચિનુ મોદી, મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ મુખ્ય છે. આ બધા કવિઓ ત્રણ-સાડા ત્રણ દાયકાથી સાતત્યપૂર્ણ રીતે ગઝલસર્જન કરતા રહ્યા છે. ર.ર.દ.