ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ચલચિત્રકળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી ચલચિત્રકળા : ૧૯૩૨માં પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘નરસિંહ મહેતા’ રજૂ થયું અને ગુજરાતી ફિલ્મોના યુગનો પ્રારંભ થયો. મુંબઈના વૅસ્ટ એન્ડ સિનેમામાં ૯-૪-’૩૨ના રોજ આ ચિત્ર રજૂ થયું. નિર્માતા ચીમનભાઈ દેસાઈ અને નિર્દેશક નાનુભાઈ વકીલ હતા. કલાકારવૃંદમાં ઉમાકાન્ત ને મહેતાબબાનુ મુખ્ય હતાં. આ પહેલાં બે રીલની, એક ટૂંકી ગુજરાતી ફિલ્મ ‘મુંબઈની શેઠાણી’ રજૂ થયેલી, જેની વાર્તા સદ્. ચાંપશી ઉદેશીએ લખી હતી. આ પછીના સમયગાળાની નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો હતી : ‘સંસારલીલા’(૧૯૩૪), ‘બે ખરાબ જણ’(૧૯૩૬), ‘ગુણસુંદરી’ (૧૯૪૮), ‘રાણકદેવી’(૧૯૪૬), ‘કરિયાવર’(૧૯૪૮), અને ‘દીવાદાંડી’(૧૯૫૦). ઉપરાંત ‘મંગળફેરા’, ‘ગાડાનો બેલ’, ‘વેવિશાળ’. ’૫૦ના દાયકાના ઉત્તરાર્ધમાં ગુજરાતી ફિલ્મોનો પ્રવાહ મંદ પડ્યો. ’૬૦માં હિન્દી ફિલ્મોના કલાકારોને લઈને ‘મેંદી રંગ લાગ્યો’ નામની ફિલ્મ બની, જે લોકપ્રિય થઈ. એ પછી’૬૯માં શયદાની વાર્તા પરથી ‘અખંડ સૌભાગ્યવતી’ બન્યું. આ ગાળામાં મનહર રસકપૂરે ગુજરાતી ફિલ્મોને ટકાવી રાખી. દરમિયાન, રવીન્દ્ર દવેએ ‘જેસલ તોરલ’ જેવી ફિલ્મો દ્વારા ગુજરાતી ચલચિત્રને જીવતદાન આપ્યું.’૭૦થી’૮૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મોની સંખ્યા વધી, પણ કથાનક, નિર્દેશન, અભિનય વગેરે દૃષ્ટિએ ગુણવત્તામાં ઊતરતો ક્રમ જોવા મળ્યો. રાજ્ય સરકારે કરમુક્તિનું પ્રોત્સાહન આપવા છતાં, સ્વસ્થ, કળાત્મક ફિલ્મો, ઓછી બની છે. ‘કાશીનો દીકરો’ ‘કંકુ’, ‘કલાપી’, ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘ભવની ભવાઈ’ અને ‘માનવીની ભવાઈ’ જેવી જૂજ ફિલ્મો ૬૦ વર્ષમાં બની, જેને માટે ગુજરાત ગૌરવ લઈ શકે. ગુજરાત સરકારે ફિલ્મ વિકાસ નિગમ રચ્યું છે, એણે કોઈ નોંધપાત્ર કામગીરી કરવાની હજુ બાકી છે. ગુજરાતી ચલચિત્રની એટલી ઉપેક્ષા થઈ છે કે થોડાં વર્ષો પછી જે થોડીઘણી પ્રશિષ્ઠ કૃતિઓ બની, એની પ્રિન્ટ કે એનો કોઈ ઇતિહાસ આપણી પાસે કદાચ નહીં હોય. ૧૯૯૦ પછી ગુજરાતી ચલચિત્ર નિર્માણ તદ્દન મંદ પડ્યું છે. છેલ્લાં ચારેક વર્ષમાં વર્ષે સરેરાશ છથી આઠ ફિલ્મોનું જ નિર્માણ થાય છે. આની સામે બંગાળ, કર્ણાટક, આંધ્ર અને મહારાષ્ટ્રમાં સંખ્યા અને ગુણવત્તા બંનેની દૃષ્ટિએ નોંધપાત્ર ફિલ્મોનું નિર્માણ થાય છે. એકંદરે, ભારતમાં પ્રાદેશિક ચલચિત્ર પ્રવાહમાં ગુજરાતી ચલચિત્રનું પ્રદાન બહુ નોંધપાત્ર રહ્યું નથી. યા.દ.