ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી નાટ્યવિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી નાટ્યવિવેચન : ૧૮૬૨માં પહેલું મૌલિક નાટક નગીનદાસ તુલસીદાસનું ‘ગુલાબ’ છપાય છે, તેમાં નાટક વિશે વાત કરવા નિમિત્તે પ્રસ્તાવનામાં લેખકે સૌપ્રથમ ગુજરાતી નાટ્યવિવેચનનાં બી નાખ્યાં છે, તે પછી ગુજરાતી નાટ્યસાહિત્ય, નાટ્યસ્વરૂપ, સો વર્ષની રંગભૂમિ, નાટક અને પ્રેક્ષક, નાટ્યવિકાસ અને બિનધંધાદારી રંગભૂમિ જેવાં વિવિધ પાસાંને સ્પર્શતાં લખાણો વખતોવખત અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, ઉમાશંકર જોશી, ધનસુખલાલ મહેતા, જયંતિ દલાલ, ચંદ્રવદન મહેતા, પ્રબોધ જોશી, ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, રમણલાલ યાજ્ઞિક વગેરે દ્વારા મળતાં રહ્યાં છે. પરંતુ રચના, શૈલી, તખતાપ્રયોગ, સાંસ્કારિક બળો ઇત્યાદિ તત્ત્વોને લક્ષમાં લઈ ભવાઈથી માંડી શ્રાવ્ય રેડિયોરૂપક તેમ પદ્યનાટક અને ભાષાંતર-રૂપાન્તર સુધીની વિસ્તૃત નાટ્યપરંપરાને વિગતવાર કૃતિવાર મહેશ ચોકસી એમના મહાનિબંધ ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ’(૧૯૬૫)માં તપાસે છે. આ પછી નાટકની તપાસ લગભગ વીસેક જેટલા મહાનિબંધોથી થતી રહી છે. મહાનિબંધો ઉપરાંત જુદાં જુદાં માધ્યમોથી પણ નાટ્યવિવેચન આપણને સાંપડે છે. ‘સાહિત્યસ્વરૂપો’(૧૯૬૬)ની ચર્ચા કરતાં નાટક અને તેના વિકાસની ચર્ચા માટે ખાસાં દોઢસો પૃષ્ઠો કુંજવિહારી મહેતા અને જયંત પટેલ રોકે છે. ‘બટુભાઈનાં નાટકો’(૧૯૫૭) કે ‘યશવંત પંડ્યાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૯૪) અથવા ‘આધુનિક ગુજરાતી એકાંકીઓ’(૧૯૯૪) જેવાં સંપાદનોમાં સંપાદન નિમિત્તે સાહિત્યના ઇતિહાસોમાં હસમુખ બારાડી જેવાના હાથે ‘ગુજરાતી થિયેટરનો ઇતિહાસ’ લખાયો છે તેમાં પણ પ્રવાહો અથવા કૃતિની વિશેષતા વગેરે નિમિત્તે આવી વિવેચના થતી રહી છે. લાભશંકર ઠાકર કે હસમુખ બારાડી જેવા લેખકો પોતાના નાટક સંદર્ભે પ્રસ્તાવના અથવા પાછળ લખાણ જોડીને, કેટલીક દિશારેખા આપે છે એમાં આપણને જે તે નાટકો વિશે ભલે પૂરી વિવેચના સાંપડતી ન હોય તોપણ કેટલાક અંશો તો સાંપડે છે જ. તેવી જ રીતે એવા અંશો આપણને નટોની આત્મકથા અથવા જીવનચરિત્રોમાં પણ સાંપડે છે. અમૃત જાનીની કૃતિ ‘અભિનયપંથે’(૧૯૭૩), સોમાભાઈ પટેલ અને દિનકર ભોજકે લખેલ સુંદરીની જીવનકથા ‘થોડાં આંસુ અને થોડાં ફૂલ’ (૧૯૭૬), સુરેશ નાયકે લખેલ ‘બાપુલાલ નાયક’(૧૯૮૦), મનુભાઈ પાલખીવાળાએ લખેલ ‘અલગારી નટસમ્રાટ’ વગેરે એવાં ઉદાહરણો છે. તો, નટો કે નાટ્યલેખકોની સ્મૃતિમાં બહાર પડેલ અંકો કે ગ્રંથોમાં પણ એવા અંશો સાંપડે છે. જશવંત ઠાકર રાષ્ટ્રીય નાટ્ય-મહોત્સવ પ્રસંગે એમની સ્મૃતિમાં બહાર પાડેલ સ્મૃતિ અંક (૧૯૯૩), હરકાન્ત શાહ સન્માન સમારંભ પ્રસંગે બહાર પડેલ સ્મૃતિ-અંક ‘જવનિકા ઊઘડે છે’(૧૯૯૦) તેમ મુનશી, કે.કા.શાસ્ત્રી, જયંતિ દલાલ અને બીજાઓના પ્રસંગોપાત્ત થયેલા મૂલ્યાંકનગ્રંથો વગેરે એવાં ઉદાહરણો છે. આ ઉપરાંત ‘ગ્રન્થ’ કે ‘નવચેતન’ જેવાં સામયિકોએ પણ મુનશી વિશેષાંક (ગ્રન્થ, ૧૯૭૧) અને સુવર્ણ મહોત્સવ અંક (નવચેતન, ૧૯૭૧) જેવા વિશેષાંકો દ્વારા, નાટકની વિવેચના કરવાની તકો પૂરી પાડી છે. ૧૯૩૭માં રંગભૂમિ પરિષદમાં અપાયેલાં વ્યાખ્યાનો, ૧૯૩૮માં નવલરામ ત્રિવેદીએ કરેલ પ્રવચન, ૧૯૭૦માં ગુજરાત યુનિવર્સિટીમાં ચંદ્રવદન મહેતાએ આપેલાં વ્યાખ્યાનો, ગુજરાતીના અધ્યાપક સંઘના ૩૯મા સંમેલનમાં કે ગુજરાત સરકારે ગુજરાતી રંગભૂમિનાં ઊજવેલાં ૧૨૫ વર્ષ નિમિત્તે અપાયેલાં વ્યાખ્યાનો કે વખતોવખત થતાં રહેલાં પુન :મૂલ્યાંકનો વગેરે હેતુથી પણ નાટ્યવિવેચનો થતાં રહ્યાં છે. રંગભૂમિ પર ભજવાતાં નાટકો વિશે ‘રંગમ્’ કટાર દ્વારા શશીકાન્ત નાણાવટીએ ૨૭ વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’માં વખતોવખત લખ્યું છે અને તેવી જ રીતે સંજય ભાવે અને હસમુખ બારાડીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અને વી. જે. ત્રિવેદીએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે. ૧૯૫૪થી ૧૯૭૫ સુધી ‘લોકસત્તા’, ‘જનસત્તા’ અને અન્ય દૈનિકોમાં ‘સંસ્કાર આંદોલન’, ‘ઓવારા મિનારા’ નામની કટારો અને ૧૯૮૦થી ‘ગુજરાત સમાચાર’માં ‘અલગારી’ તખલ્લુસથી ‘ઉપર આભ નીચે ધરતી’ નામની કટાર તેમ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘એક્સપ્રેસ’માં છૂટક લેખો દ્વારા જશવંત ઠાકરે પણ લખ્યું છે. તો હસમુખ બારાડીએ ‘નવગુજરાત ટાઇમ્સ’(સુરત)માં ‘નાટ્યમંચ’ વિભાગ ચલાવ્યો છે. એસ. ડી. દેસાઈએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં’ ભલે અંગ્રેજીમાં પણ ગુજરાતી નાટકો વિશે સતત લખ્યું છે. અને તેમાંથી ‘હેપનિંગ : થિયેટર ઇન ગુજરાત’(૧૯૯૦) નામક એક દળદાર ગ્રન્થ પણ પ્રગટ થયો છે. ઉત્પલ ભાયાણી ૧૯૭૬થી આજ સુધી નાટક અંગે લખતા રહ્યા છે. પહેલાં ‘જનશક્તિ’માં ‘આ પાર પેલે પાર’ પછી ‘જન્મભૂમિ-પ્રવાસી’માં ‘ચહેરા અને મહોરાં’ અને ‘નવચેતન’માં ‘રંગભૂમિ’ દ્વારા એમની વિવેચના મળતી રહી છે અને એમાંથી ત્રણ ગ્રંથો ‘દૃશ્યફલક’(૧૯૮૧), ‘પ્રેક્ષા’(૧૯૮૬) અને ‘તર્જનીસંકેત’(૧૯૯૨) મળ્યા છે. તેમાં ગુજરાતી નાટકોની ચર્ચા પણ છે. ‘નાટકનો જીવ’(૧૯૮૭) ગ્રન્થ ઉપરના ત્રણે સંગ્રહ કરતાં સહેજ જુદો પડે છે. છતાં આધુનિક નાટ્યપ્રવાહની ચર્ચા વગેરે સંદર્ભે ઉત્પલ ભાયાણીએ ગુજરાતી નાટકોને પણ લીધાં છે. આ ઉપરાંત ‘નૂતન ગુજરાત’માં ભરત દવેએ, ‘જનસત્તા’ અને ‘સાધના’માં જનક દવેએ, ‘જયહિંદ’માં કૃષ્ણકાંત કડકિયાએ કેટલોક સમય રંગભૂમિની કટારો ચલાવી છે ને એ નિમિત્તે વિવેચનો થયાં છે. ‘સ્વાધ્યાય’, ‘પથિક’, ‘પરબ’, ‘ફાર્બસ’, ‘ખેવના’, ‘એતદ્’ જેવાં સામયિકોમાં પણ સુમન શાહ, સતીશ વ્યાસ, કૃષ્ણકાંત કડકિયા, ઉત્પલ ભાયાણી, લવકુમાર દેસાઈ, મહેશ ચંપકલાલ વગેરેએ વખતોવખત લખ્યું છે ને આમ અખબારો તથા સામયિકોના માધ્યમથી ને રેડિયો દ્વારા પણ કેટલોક સમય ‘ગ્રન્થનો પંથ’થી અન્ય પુસ્તકોની જેમ નાટક વિશેનાં વિવેચન-અવલોકનો પણ આપણને મળતાં રહ્યાં છે. નાટ્ય-વિવેચનના કેટલાક સ્વતંત્રગ્રંથો પણ રચાયાં છે, જેમકે ‘નાટ્યલોક’ (જશવંત શેખડીવાળા, ૧૯૮૧), ‘ઉમાશંકર જોશી : નાટ્યકાર’(મનસુખલાલ ઝવેરી, ૧૯૭૯), ‘એબ્સર્ડ એટલે..’ (અબ્દુલ કરીમ શેખ, ૧૯૮૮), ‘રંગલોક’ (વિનોદ અધ્વર્યુ, ૧૯૮૭), ‘પ્રતિમુખ’(સતીશ વ્યાસ, ૧૯૯૩), ‘શવિર્લક-નાટ્યપ્રયોગ શિલ્પની દૃષ્ટિએ’ (૧૯૮૭), ‘રૂપિત’ (કૃષ્ણકાંત કડકિયા, ૧૯૮૨) વગેરે. આમ છતાં કવિતા કે નવલકથા જેવાં સ્વરૂપો વિશે ગુજરાતી સાહિત્યમાં જેવું વિવેચન થયું છે તેવું માતબર વિવેચન નાટક અંગેનું થયું ન ગણાય. ચૌદ-પંદર દાયકાના એના આયુષ્યપટ પર ૧૮૫૦થી ૧૯૦૦ સુધીનો સમય એટલેકે પૂરા પાંચ દાયકા, નાટ્યલેખન અને ભજવણીના ઉત્તરોઉત્તર વિકાસનો રહ્યો હોવા છતાં નોંધપાત્ર કહી શકાય એવી વિવેચનાઓ આપણને મળી નહીં. કરાંચીથી માંડી રંગૂન સુધી પચાસ-સાઠ વર્ષોમાં જે નાટકો ભજવાયાં તે અંગે તો આપણે કંઈ ખાસ જાણતા જ નથી. પછીના બે દાયકા અવનતિ અને અંધકારના રહ્યા અને ત્યારપછીનો સમય એમાંથી બહાર નીકળવામાં, તેમ પ્રયોગો કરવા વગેરેમાં ગયો. જે કંઈ વિવેચના થઈ તેમાં પણ અમર્યાદ શૃંગારચેષ્ટાની નિંદા, જૂની રંગભૂમિમાં પેઠેલો સડો, વિલાસસ્થાનો બની ગયેલી નાટકશાળાઓ, રંગભૂમિનાં અને નાટકનાં દૂષણો વગેરે વિશે વધુ કહેવાયું, વ્યવસાયી રંગભૂમિ પણ લેખકવર્ગથી છૂટી પડી ગઈ. મહેશ ચોકસીના અને બીજા મહાનિબંધોનો પણ મુખ્ય વિષય ‘સાહિત્યિક નાટકો’નો રહ્યો છે. રંગભૂમિ પર ભજવાતાં અને પુસ્તકાલયમાં પુસ્તકનાં પૂઠાં વચ્ચે પાંગરતાં સાહિત્યિક નાટકો સાથે સાથે વિકાસ પામ્યાં છતાં મોટે ભાગે નાટ્યવિવેચના સાહિત્યિક નાટકોની જ થઈ. રેડિયો-નાટક અંગેનો વિનોદ જોશીનો મહાનિબંધ અપવાદરૂપ છે તે જ સ્થિતિ પદ્યનાટક તેમ બાળનાટક કે પ્રસંગ-નાટકોનાં સંશોધન-વિવેચનની પણ છે. પદ્યનાટક પર ગીતા જૈન અને પ્રસંગનાટક પર ડી. બી. દ્વિવેદી તેમ બાળનાટકો પર જયંતિલાલ પટેલ જેવાનાં અપવાદરૂપ કામો જ સાંપડે છે. ‘મેલોડ્રામૅટિક્સ’ પર પણ ભરત નાયકના વિવેચન સિવાય બીજું કોઈ સંશોધન-વિવેચન થયેલું દેખાતું નથી. વિવેચનોમાં નાટક અને એકાંકીના સ્વરૂપને વિશેષ લક્ષમાં રાખવામાં આવ્યું છે અને તેનો વિકાસ તથા તેમાં આવેલાં પરિવર્તનો તપાસાયાં છે. પણ અંકો અને દૃશ્યોમાં વિભાજિત સંવાદ નામધારી કૃતિઓ, બાળસાહિત્યના નાટ્યસંવાદો, નાટક કે નાટકમાં પ્રયોજાયેલાં ફારસ કે ફારસો, પ્રવેશ કે અંકનાં ભાષાંતરો તથા ભાષાંતરિત નાટકો વગેરે જેવી કૃતિઓ ઠીક ઠીક ઉપેક્ષિત રહી છે. વળી, નાટક લખવા-વાંચવા કરતાં જોવા-ભજવવાનો વિષય છે એ સંસ્કાર દૃઢ ન થતાં ભજવાતાં નાટકોની વિવેચના તરફ ખાસ લક્ષ નથી અપાયું. ‘કાન્તા’, ‘રાઈનો પર્વત’, ‘મેના ગુર્જરી’, જેવાં અપવાદરૂપ સાહિત્યિક નાટકો સિવાય બીજાં એવાં નાટકો તખ્તે પણ ન ચડ્યાં અને તેથી આપણાં નાટકો તથા તે અંગેની વિવેચના તખ્તાથી દૂર રહ્યાં જેને કારણે રંગમંચની આંટીઘૂંટીનો જે પ્રભાવ વિવેચકો દ્વારા સાહિત્યિક નાટકો પર પડવો જોઈએ તે ન પડ્યો. લાંબા સમય સુધી પરસ્પર વેગળાં અને વિમુખ રહ્યાં હોવાને કારણે સર્વાંગીણ વિકાસ માટેની સાનુકૂળ પરિસ્થિતિ ઊભી ન થઈ. આમ વિવેચના તખ્તાથી ઘણી દૂર રહી માટે એ રંગભૂમિના વિકાસમાં ઉપકારક રહી ન ગણાય. બીજું, ગુજરાતી રંગભૂમિ પર ભજવાયેલાં કે ભજવાતાં ઘણાં નાટકો વજૂદવાળાં છે છતાં કારણોસર તે ઉવેખાયાં છે. ક્યારેક રણજિતરામના નિબંધોમાં ‘ડાહ્યાભાઈ ધોળશાજી’ જેવા પર થોડો પ્રકાશ પડે છે પણ છપાયાં ન હોય એવાં ૩,૦૦૦થીયે વધુ નાટકો વાંચીને એની તુલના થાય તેવી તક જ એ નાટકોને મળી નથી. ક્યારેક ભરત ઠાકરના મહાનિબંધમાં એવી અપવાદરૂપ તક મળી છે. તો પછી લખાયાં જ ન હોય એવાં નાટકોની વિવેચના તો કઈ રીતે મળે? કૃષ્ણકાંત કડકિયા દ્વારા ‘રૂપિત’માં ‘સેતુ’ કે ‘જસમા’ અંગે એવી વિવેચના એમનાં વિવેચનોમાં થઈ છે પણ તે અપવાદરૂપ જ ગણાય. વળી, ‘આર્મચેર ડાઇરેક્ટર’ની જેમ તખ્તો ન જોયો હોય એવાં નાટકોને તપાસવાં, પ્રયોગલક્ષી વિવેચન કરવું કે રંગભૂમિવિષયક સમસ્યા કે સિદ્ધાન્તની તત્ત્વચર્ચાનાં ઉદાહરણરૂપ નાટકોની સમીક્ષા કરવી એવી પ્રથા આપણે ત્યાં નહીંવત્ હોવા છતાં હમણાં હમણાં એ દિશામાં પ્રયત્ન ચાલુ થયા છે. સતીશ વ્યાસે ‘ગુજરાતી નાટક’ (૨૦૦૯)માં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી ગુજરાતી નાટકોની તપાસ કરી છે. ઉત્પલ ભાયાણીએ ‘સામાજિક નાટકઃ એક નૂતન ઉન્મેષ’ (૧૯૯૩), ‘દેશવિદેશની રંગભૂમિ’ (૨૦૦૧) તેમજ ગુજરાતી રંગભૂમિ પર ભજવાયેલાં નાટકોની સમીક્ષા કરતા ગ્રંથો ‘રંગભૂમિ’ શીર્ષકથી આપ્યા છે. રાજેન્દ્ર મહેતાએ નાટ્યવિવેચનના ગ્રંથો ‘માનસમંચ’ (૨૦૦૧), ‘નાટ્યરાગ’ (૨૦૦૨), ‘અપવાર્ય’ (૨૦૦૩) આપ્યા છે. કૃ.ક., પા.કં.દે.