ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વ્યાકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી વ્યાકરણ: વ્યાકરણ એટલે રૂપતંત્ર અને વાક્યતંત્ર રૂપતંત્રીય ઘટકોના બે મુખ્ય વર્ગ છે:– ૧, પદ એટલે મુક્ત રૂપઘટક જે શબ્દકોશમાં સ્થાન પામે છે અને ૨, પ્રત્યય એટલે બદ્ધ રૂપઘટક, જે લિંગ, વચન, વિભક્તિ, કાળ-અર્થ વગેરે વ્યાકરણી વિભાવોને વ્યક્ત કરવા પદને લાગે છે. પદના આટલા પ્રકારો ગણાવી શકાય: નામ એટલે સંજ્ઞા, સર્વનામ તથા વિશેષણ, આખ્યાત એટલે ક્રિયાપદ તથા કૃદંત, ક્રિયાવિશેષણ, સંયોજક, ઉદ્ગારવાચક, નામયોગી. સંજ્ઞાના બે મુખ્ય વર્ગો પડે: જાતિવાચક કે સામાન્ય સંજ્ઞા અને વ્યક્તિવાચક કે વિશેષ સંજ્ઞા દ્રવ્યવાચક (ઘઉં, તેલ વગેરે) ભાવવાચક (ઉજ્જ્વળતા, લાભ, ગતિ વગેરે) અને સમૂહવાચક (ટોળું, સેના વગેરે) સંજ્ઞાઓ તે સામાન્ય સંજ્ઞામાંથી જ અલગ તારવેલા પ્રકારો કહેવાય. આ રીતે માપવાચક (કિલો, ફૂટ, માઈલ, કલાક વગેરે) સંજ્ઞાઓનો પણ જુદો વર્ગ કરી શકાય. મૂર્ત-અમૂર્ત, સજીવ-નિર્જીવ, માનુષ-અમાનુષ, મેય-અમેય, ગણ્ય-અગણ્ય એ રીતે પણ સંજ્ઞાના વર્ગો પાડી શકાય. પણ આ બધાં વર્ગીકરણોમાં કોઈ ને કોઈ કોયડાનો સામનો કરવાનો આવે છે. ગુજરાતી ભાષામાં દરેક સંજ્ઞાને લિંગ હોય છે પુલિંગ, સ્ત્રીલિંગ અથવા નપુંસકલિંગ. સામાન્ય રીતે દરેક સંજ્ઞાને એનું કોઈ એક ચોક્કસ લિંગ હોય છે. પરંતુ થોડી સંજ્ઞાઓ એકથી વધુ લિંગમાં વપરાતી જોવા મળે છે, જેમકે ‘ચા’ (પુલિંગ તથા સ્ત્રીલિંગ), ‘કબાટ’ (પુલિંગ તથા નપુંસકલિંગ). ઉપરાંત લિંગભેદે અર્થભેદ થતો હોય એવી સંજ્ઞાઓ પણ મળે છે, જેમકે પુંલ્લિંગ ‘હાર’ એટલે કંઠનું આભૂષણ, સ્ત્રીલિંગ ‘હાર’ એટલે પરાજય. સજીવોને લગતી સંજ્ઞાઓમાં એ નરમાદાભેદ દર્શાવે છે, પણ એ સિવાય એ કેવળ વ્યાકરણી લિંગ છે. પ્રાણીઓને લગતી સંજ્ઞાઓ સામાન્ય રીતે કોઈ એક જ લિંગમાં આવતી હોય એવું પણ બને છે. જેમકે, ચિત્તો-પું, કોયલ-સ્ત્રી, ઊંટ-નપું. નિર્જીવ સૃષ્ટિને લગતી સંજ્ઞાઓમાં લિંગભેદ પરિણામ આદિની અર્થછાયાઓ લઈને આવે છે. જેમકે ‘પગલું’ મોટું, ‘પગલી’ નાની ને નાજુક. બધી સંજ્ઞાઓ લિંગ ધરાવે છે, પણ કેટલીક સંજ્ઞાઓ લિંગચિહ્ન – પુંલ્લિંગમાં ‘ઓ’, સ્ત્રીલિંગમાં ‘ઈ’ અને નપુંસકલિંગમાં ‘ઉં’ (ઘોડો, બકરી, સસલું) સાથે આવે છે, જ્યારે અન્ય સંજ્ઞાઓ લિંગચિહ્ન વગરની હોય છે. એમાં ‘ઓ’ કારાન્ત સંજ્ઞા સ્ત્રીલિંગની હોય (‘ઘો’) અને ‘ઈ’કારાન્ત સંજ્ઞા પુલ્લિંગની (‘હાથી’) કે નપુંસકલિંગની (‘લોહી’) હોય એવું બને. લિંગચિહ્ન ધરાવતી પુંલ્લિંગ અને નપુંસકલિંગની સંજ્ઞાઓ અનુગોને નામયોગીઓ પૂર્વે, સમાસમાં, બહુવચનમાં વગેરે સંયોગોમાં જુદાજુદા પ્રકારના અંગ લે છે – ‘આ’કારાન્ત (ઘોડાને, ઘોડાગાડી, સસલા સુધી), ‘આ’કારાન્ત (‘સસલાંઓ’), વ્યંજનાંત (‘છોકરે’ ‘છોકરમત’). ગુજરાતી ભાષામાં બે વચન છે – એકવચન અને બહુવચન. સંજ્ઞાઓ સામાન્ય રીતે બન્ને વચનમાં આવી શકે છે, પરંતુ થોડીક સંજ્ઞાઓ કેવળ એકવચનમાં જ આવે છે (‘ધિક્કાર’ ‘દયા’ ‘તેલ’). થોડીક સંજ્ઞાઓ કેવળ બહુવચનમાં જ આવે છે (‘પ્રણામ’ ‘સમાચાર’ ‘ફાંફાં’ ઘઉં’). સંજ્ઞાઓ માટે બહુવચનનો ‘ઓ’ પ્રત્યય છે, પરંતુ કેટલીક સંજ્ઞાઓ બહુવચનનો પ્રત્યય લેતી નથી (લોહી, ઘઉં) તે ઉપરાંત અન્યત્ર પણ એ લગાડવો અનિવાર્ય નથી, બીજી રીતે પણ બહુવચન વ્યક્ત થઈ શકે છે. જેમકે ‘માણસ આવ્યા’માં ‘માણસ’ તથા ‘ઘોડા દોડે છે’માં ‘ઘોડા’ બહુવચનમાં છે. એકવચન પણ આવી રીતે વ્યક્ત થઈ શકે છે. જેમકે ‘માણસ આવ્યો’માં ‘માણસ’ અને ‘ઘોડો દોડે છે’માં ‘ઘોડો’ એકવચનમાં છે. એકવચન કે બહુવચન એકેય વ્યક્ત ન થતું હોય એવી રચના પણ શક્ય છે. ‘માણસ આવે છે’માં કોઈ વચન વ્યક્ત થતું નથી. સંજ્ઞા આખ્યાતની સાથે કર્તા, કર્મ, સંપ્રદાન, કરણ, અધિકરણ, અપાદાન, સંબોધન વિભક્તિસંબંધોથી જોડાય છે અને આ વિભક્તિસંબંધો વ્યક્ત કરવા સંજ્ઞાને ‘શૂન્ય પ્રત્યય’, ‘એ’, ‘ને’, ‘થી’, ‘માં’ એ અનુગો લાગે છે. આ અનુગો દ્વારા કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ પણ વ્યક્ત થાય છે – જેવીકે પરિણામ, સ્વામિત્વ, કારણ, સહત્વ, પ્રમાણ, તુલના વગેરે. એક અનુગ એકથી વધારે અર્થ વ્યક્ત કરી શકે છે, તેમ એક અર્થ વ્યક્ત કરવા એકથી વધારે અનુગ આવી શકે છે. ‘ન’ અનુગ લિંગચિહ્ન સાથે આવે છે (નો, ની, નું, ના, નાં), બે સંજ્ઞાઓને જોડે છે અને એમની વચ્ચેના અવયવાવયવી, (‘ઝાડની ડાળી’), ઉત્પાદક-ઉત્પાદ્ય, ગુણગુણી, ઉપમેય-ઉપમાન, કારણકાર્ય આદિ અનેક સંબંધો વ્યક્ત કરે છે તે ઉપરાંત કર્તા, કર્મ આદિ વ્યાકરણી સંબંધોને પણ પોતામાં સમાવે છે, જેમકે ‘ભગવાનનું ધાર્યું થાય છે’ (= ભગવાને ધારેલું, કર્તાક્રિયાસંબંધ). અનુગોથી વ્યક્ત થતા અર્થો એટલાબધા છે કે અહીં તો આટલું દિગ્દર્શન જ શક્ય છે. વિભક્તિસંબંધ દર્શાવતા અનુગોને સ્થાને નામયોગીઓ પણ વાપરી શકાય છે. અનુગો બદ્ધ ઘટકો છે, જ્યારે નામયોગીઓ મુક્ત ઘટકો છે, ઘણાખરા નામયોગીઓ પોતાની પૂર્વે ફરજિયાતપણે વિકલ્પે સંજ્ઞાનું ‘ન’વાળું રૂપ લે છે (‘ઘર માટે/ઘરને માટે’, ‘કિશોરને કારણે’) અને મોટાભાગના નામયોગીઓ સંજ્ઞા વિશેષણાદિ પરથી બનેલા હોવાથી અર્થની પરિદર્શતા ધરાવે છે – ‘કારણે’, ‘સામે’ વગેરે. વિશેષણ, ક્રિયાવિશેષણ ને કૃદંત એમ ને એમ જ નામયોગી તરીકે વપરાતાં હોય એવું પણ જોવા મળે છે – ‘મારા સામું’ (વિશેષણ), ‘ચાર વર્ષ થયાં હું અહીં છું’ (કૃદંત), ‘ઘરની અંદર’ (ક્રિયાવિશેષણ). સર્વનામ સંજ્ઞાને સ્થાને આવે છે અને સંજ્ઞાની જેમ વર્તે છે. એટલેકે અનુગો અને નામયોગીઓ લે છે તથા ક્રિયાપદ સાથે કર્તાકર્માદિ વિભક્તિથી જોડાય છે તો, સંજ્ઞા સાથે સંબંધવિભક્તિથી જોડાય છે. સર્વનામના આ પ્રમાણે પ્રકારો પડી શકે છે: ૧, પુરુષવાચક (‘હું’, ‘તું’, ‘તે’, ‘એ’) ૨, દર્શક (‘તે’, ‘એ’, ‘આ’, ‘પેલું’), ૩, સાપેક્ષ (‘જે-તે’), ૪, સ્વવાચક (‘પોતે’), ૫, અનિશ્ચયવાચક (‘કંઈ’, ‘કાંઈ’, ‘કોઈ’), ૬, પ્રશ્નવાચક (‘કોણ’, ‘શું’). ‘પેલું’ અને ‘શું’ એ બે સર્વનામો લિંગચિહ્નવાળાં છે, બાકીનાં લિંગચિહ્ન વગરનાં છે, પરંતુ સર્વનામો જે સંજ્ઞાને સ્થાને વપરાયેલ હોય તેનું લિંગ લે છે અને એ અન્ય રીતે વ્યક્ત થઈ શકે છે (પુરુષ માટે – ‘હું આવ્યો’, સ્ત્રી માટે – ‘હું આવી’). અનિશ્ચયવાચક સર્વનામ કોઈ ખાસ સંદર્ભ ન હોય તો નપુંસકલિંગમાં જ વપરાય છે – ‘કોણ આવ્યું હતું?’ સર્વનામ જે સંજ્ઞા-પદને માટે એ વપરાયું હોય તેનું વચન ધરાવે છે. પહેલા અને બીજા પુરુષનાં સર્વનામો એકવચન-બહુવચનનાં જુદાં રૂપો ધરાવે છે: ‘હું’ – ‘અમે’, ‘તું’ – ‘તમે/આપ’. ‘આપણે’ પહેલા-બીજા પુરુષનો સાથેલાગો નિર્દેશ કરતું લાક્ષણિક સાર્વનામિક બહુવચન છે. કેટલાંક સર્વનામો બહુવચનનો ‘ઓ’ પ્રત્યય લઈ શકે છે – ‘તેઓ’, ‘જેઓ’, ‘પેલાઓ’ વગેરે. ‘ઓ’ સ્થાને ‘-મ-’વાળાં રૂપો પણ સાંપડે છે: ‘તેમને’ (‘તેઓને’ ને સ્થાને), ‘આમને’, ‘જેમને’ વગેરે. અન્ય સર્વનામો સંદર્ભ અનુસાર એકવચન કે બહુવચનમાં વાપરી શકાય છે, જોકે ‘કંઈ’, ‘કોણ’ વગેરે સર્વનામો સામાન્ય રીતે એકવચનમાં જ આવે છે. સર્વનામનાં રૂપાખ્યાનમાં ઘણી જટિલતા છે. ‘હું’ અને ‘તું’ સર્વનામ અનુગો પૂર્વે ‘મ–’ અને ‘ત–’ અંગ લે છે. (બહુવચનમાં ‘અમ’ અને ‘તમ–’) – ‘મેં’, ‘તેં’, ‘મને’, ‘તને’, ‘અમને’, ‘તમને’. સંબંધવિભક્તિમાં ‘-ન-’ ને બદલે: ‘-આર-’ લે છે: ‘મારું’, ‘તારું’, ‘અમારું’, ‘તમારું’. ‘એ’ ‘થી’ ને ‘માં’ એ અનુગો પૂર્વે પણ એ ‘આર’વાળું અંગ લે છે: ‘મારે’, ‘તારાથી’ ‘અમારામાં’ વગેરે. અન્ય ઘણાં સર્વનામો પણ (કેટલાંક વિકલ્પે) ‘થી’ અને ‘માં’ પૂર્વે ‘-ન-’વાળું અંગ લે છે: ‘કોનાથી’, ‘તેથી/તેનાથી’, ‘કોઈમાં/ કોઈનામાં’ વગેરે. ‘શું’ સર્વનામ ‘શા’ અને ‘શે’ એમ બે પ્રકારનાં અંગ લે છે: ‘શામાં/શાનામાં/શેનામાં’. ‘તે’, ‘એ’, ‘આ’, ‘શું’ સર્વનામો ‘એ’ અનુગ પૂર્વે ‘ણ’નો આગમ કરે છે – ‘તેણે’, ‘આણે’, ‘શેણે’ વગેરે (‘શેં’ પણ થાય છે). ‘આપણે’ અને ‘પોતે’ અનુગો પૂર્વે વ્યંજનાંત કે ‘આકારન્ત અંગ લે છે: ‘આપણને’, ‘પોતાને’, ‘આપણાથી’, ‘પોતામાં’ વગેરે. ઘણાં વિશેષણો સર્વનામની સાથે સમાન છે. વિશેષ્યની સાથે આવે ત્યારે એ વિશેષણનું કામ આપે અને વિશેષ્ય અનુક્ત હોય ત્યારે એ સર્વનામનું કામ આપે. ‘તે’, ‘જે’, ‘આ’, ‘કોઈ’, ‘કંઈ’, ‘શું’, ‘પેલું’ વગેરે આ પ્રકારનાં વિશેષણ છે. એમને ઘણીવાર સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ અનુક્ત હોય ત્યારે અન્ય ઘણાં વિશેષણો સંજ્ઞા (કે સર્વનામ)નું કામ આપે છે: ‘ગરીબોનો બેલી ઈશ્વર છે’ (સંજ્ઞા), ‘દરેકને આગળ આવવાની ઇચ્છા હોય છે’ (સર્વનામ). વિશેષણના પ્રકારો આ પ્રમાણે પાડી શકાય: ૧, ગુણવાચક (રંગ, સ્વાદ, આકાર, કદ, સ્વભાવ, સાદૃશ્ય વગેરે દર્શાવનાર – ‘કાળુ’, ‘ખાટું’ ‘ચોરસ’, ‘વાંકું’, ‘જાડું’, ‘નીચું’, ‘આવું’, ‘મારકણું’, ‘ડાહ્યું’, વગેરે). ૨, સંખ્યાવાચક (‘એક’, ‘બે’, ‘કેટલાક’ વગેરે). ૩, ક્રમવાચક (‘ત્રીજું’, ‘આગળનું’). ૪, પ્રમાણવાચક (‘અર્ધું’, ‘થોડું’, ‘આટલું’ વગેરે)., ૫, પ્રશ્નવાચક (‘શું’), ૬, અનિશ્ચયવાચક (‘કંઈ’, ‘કશું’, ‘કોઈ’ વગેરે). ૭, દર્શક (‘આ’, ‘તે’ વગેરે). ૮, સાપેક્ષ (‘જે-તે’). વિશેષણો પણ વ્યક્તલિંગ અને અવ્યક્તલિંગ બન્ને પ્રકારનાં મળે છે. વ્યક્તલિંગ વિશેષણ ત્રણે લિંગમાં વિશેષ સંજ્ઞાને અનુસરી આવે છે (‘સારો છોકરો’, ‘સારી છોકરી’ વગેરે). વિશેષ્ય સંજ્ઞા અનુગ કે નામયોગી સાથે કે બહુવચનમાં હોય ત્યારે પુંલ્લિંગ-નપુંસકલિંગમાં ‘આ’કારાંત ‘આં’કારાંત રૂપે પણ આવે છે (‘સારા માણસને’, ‘ઊંચાં મકાનો’ વગેરે). વિશેષણો બહુવચનનો પ્રત્યય કે વિભક્તિના અનુગો લેતા નથી, માત્ર વ્યક્તલિંગ વિશેષણો વિકલ્પે ‘એ’ અનુગ લે છે – ‘ઉઘાડા/ ઉઘાડે પગે’, ‘આખા/આખે રસ્તે.’ સંજ્ઞા અને વિશેષણ મૂળ કે સાદાં અને સાધિત એટલે અન્ય પદને પ્રત્યય લાગીને બનેલાં હોઈ શકે. આ સાધક પ્રત્યયોના ત્રણ મુખ્ય વર્ગો પડે: ૧, લિંગસાધક – મુખ્યત્વે પુંલ્લિંગ પરથી સ્ત્રીલિંગની સંજ્ઞા બનાવનાર પ્રત્યયો: ‘ઈ’ (બ્રાહ્મણ – બ્રાહ્મણી), ‘ણ’ (ધોબી-ધોબણ), ‘આણી’ (શેઠ-શેઠાણી) વગેરે; ૨, અંગવિસ્તારક – પદપ્રકાર બદલાવ્યા વિના લઘુતા, લાડ આદિ અર્થો ઉમેરતા પ્રત્યયો: ‘ક’ (ઢોલ-ઢોલક), ‘ટ’ (પોચું-પોચટ), ‘લ’ (નણંદ-નણદલ), ‘ઊક’ (દંડ-દંડૂકો), ‘ઓડ’ (થાક-થાકોડો), ‘ઉલિય’ (મેહ-મેહુલિયો), ‘એર’ (ઝાઝું-ઝાઝેરું) વગેરે; ૩, સંજ્ઞા ને વિશેષણસાધક પ્રત્યયો – સંજ્ઞા, વિશેષણ કે આખ્યાત પરથી; ‘ટ’ (ફાવવું-ફાવટ), ‘ણ’ (પીંજવું-પીંજણ), ‘આશ’ (ટાઢું-ટાઢાશ), ‘આળ’ (રીસ-રિસાળ), ‘ઇય’ (ધમાલ-ધમાલિયું), ‘ઇ’ (ઠંડું-ઠંડી, પરદેશ-પરદેશી), ‘આર’ (પીંજવું-પીંજારો), ‘આઈ’ (ચડવું-ચડાઈ, મૂરખ-મૂરખાઈ), ‘ઉ’ (સમજવું-સમજુ, બજાર-બજારુ) વગેરે અનેકાનેક. બીજા અને ત્રીજા વર્ગના પ્રત્યયોની વિશેષ વીગતો માટે આ ગ્રન્થમાં જુઓ ‘ગુજરાતી પ્રત્યય’.

આગળ પ્રત્યય લાગીને પણ જુદા કે વિશેષ અર્થવાળાં સંજ્ઞા કે વિશેષણ બને છે: જાણ-અજાણ, જાત-કજાત, સમજઅણસમજ, ચોટ-સચોટ વગેરે. આની વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી પ્રત્યય’.

આખ્યાત-પદો (ક્રિયાપદો) પણ સાધિત હોઈ શકે છે. સંજ્ઞા તથા વિશેષણને પાછળ ‘આ’, ‘અવ’, ‘આવ’ એ પ્રત્યયો લાગીને બનેલાં થોડાં આખ્યાતો મળે છે, જેમકે શરમ-શરમા(વું), આકળું-અકળાવ(વું), ગૂંચ-ગૂંચવા(વું), સરખું-સરખાવ(વું). થોડાંક આખ્યાતો અંગવિસ્તારક પ્રત્યયવાળાં પણ મળે છે, જેમકે હીંચ(વું)-હીંચકવું, અડ(વું)-અડક(વું) વગેરે. આખ્યાતિક પદ સકર્મક અને અકર્મક એવા બે વિભાગોમાં વહેંચાય છે. જે આખ્યાતિક પદો કર્મ લેતાં નથી તે અકર્મક. જેમકે પડ, દોડ, છૂટ, ખૂલ વગેરે. બાકીનાં બધાં સકર્મક. આખ્યાતિક પદ વિવિધ રચનામાં પણ પ્રવેશે છે. મૂળ અને કર્તરિ રચનાના અંગને પ્રત્યયો લાગીને પ્રેરક અને કર્મણિ કે ભાવે રચનાના અંગ બને છે. પ્રેરક અંગ ત્રણ રીતે બને છે: ૧, વર્ણવિકાર દ્વારા: પડપાડ, ઊછર-ઉછેર વગેરે. ૨, ‘આવ’ ‘અવ’ ‘રાવ/ડાવ’ ‘આડ’, ‘આર’ વગેરે પ્રત્યયો લાગીને: કર-કરાવ, શીખ-શીખવ, ખાખવરાવ/ખવડાવ, ઊગ-ઉગાડ, વધ-વધારે વગેરે. ૩, વર્ણિવિકાર અને પ્રત્યય બન્ને દ્વારા: ખર-ખેરવ વગેરે. પ્રેરક પરથી પુન:પ્રેરક અંગ પણ બને છે. જેમકે પડ-પાડપડાવ, શીખ-શિખડાવ-શિખડાવરાવ વગેરે. એ નોંધપાત્ર છે કે અકર્મક આખ્યાતનું પ્રેરક અંગ સકર્મક બની જાય છે. ‘પડ’ અકર્મક છે પણ ‘પાડ’ સકર્મક છે – ‘માળી ઝાડ પાડે છે.’ કર્મણિ અંગ કર્તરિ અંગને ‘આ’ પ્રત્યય લાગીને બને છે. જેમકે કર-કરા, પડ-પડા, ઠલવ-ઠલવા, આવ-અવા, સાચવ-સચવા; (સ્વરાંત અંગોમાં ‘વ’ના આગમપૂર્વક) ખા-ખવા, કહે-કહેવા, શરમા-શરમાવા વગેરે. પ્રેરક અંગ પરથી પણ આ રીતે કર્મણિ અંગ બની શકે છે – બચાવ-બચાવા, ખસેડ-ખસેડા, કહેવરાવ-કહેવરાવા વગેરે. આ દરેક પ્રકારના આખ્યાતિક અંગને કાળ, ક્રિયાવસ્થા, અર્થ (કે વૃત્તિ), પુરુષ, લિંગ, વચન દર્શાવતા પ્રત્યયો લાગે છે. આ રીતે પ્રત્યયો લાગીને જે રૂપો બને છે તેના બે વર્ગો પડે છે. કેટલાંક રૂપો એવાં છે કે જે ક્રિયાપદ તરીકે આવતાં નથી કે આવવા ઉપરાંત સંજ્ઞાવિશેષણ, ક્રિયાવિશેષણ એવા અન્ય પદપ્રકારમાં આવે છે. ત્યારેયે એ કર્તા-કર્મ તો લઈ શકે છે, એ રીતે એ આખ્યાતિક રૂપ જ રહે છે. બીજાં કેટલાંક આખ્યાતિક રૂપો કેવળ ક્રિયાપદ તરીકે જ આવે છે. પહેલા પ્રકારનાં રૂપો કૃદંત તરીકે ઓળખાય છે. કૃદંતો કાળ-અર્થવાચક ‘ત’, ‘વ’ તથા ‘વ+ન’, ‘ય’ તથા ‘યકએલ’, ‘નાર’, ‘ઈ/ઈને’ એ પ્રત્યયો લે છે અને ઘણીવાર લિંગ તથા વચન વ્યક્ત કરે છે. કૃદંતોના પ્રકાર આ મુજબ છે: ૧, વર્તમાનકૃદંત તરીકે ઓળખાતું ‘ત’ પ્રત્યયવાળું કૃદંતરૂપ સામાન્ય રીતે કોઈપણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે. એ લિંગવચન વ્યક્ત કરે છે: કરતું વગેરે. ૨, ભૂતકૃદંત તરીકે ઓળખાતું ‘ય’ અને ‘યકએલ’ પ્રત્યયવાળું કૃદંતરૂપ સામાન્ય રીતે કોઈપણ કાળની પૂર્ણ ક્રિયા દર્શાવે છે. એનાં, લિંગવચન વ્યક્ત કરતાં અને ન કરતાં એમ બંને પ્રકારનાં રૂપ છે: કર્યું, કરેલું, કરેલ વગેરે. ૩, ભવિષ્યકૃદંત તરીકે ઓળખાતું ‘નાર’ પ્રત્યયવાળું કૃદંતરૂપ સામાન્ય રીતે કોઈપણ કાળની અપેક્ષિત ક્રિયા દર્શાવે છે. એનાં, લિંગવચન વ્યક્ત કરતાં અને ન કરતાં એમ બન્ને પ્રકારનાં રૂપ છે: કરનારું, કરનાર વગેરે. ૪, વિધ્યર્થકૃદંત તરીકે ઓળખાતું ‘વ’ અને ‘વ+ન’ પ્રત્યયવાળાં કૃદંતરૂપ ક્રિયાની કર્તવ્યતા કે કેવળ ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે. એ લિંગવચન વ્યક્ત કરે છે: કરવું, વગેરે, કરવાનું વગેરે. ૫, સંબંધકભૂતકૃદંત તરીકે ઓળખાતું ‘ઈ/ઈને’ પ્રત્યયવાળું કૃદંતરૂપ પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે. એ લિંગવચન વ્યક્ત કરતું નથી: કરી, કરીને. સંબંધકભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી, કેવળ ક્રિયાવિશેષણ તરીકે આવે છે. અન્ય કૃદંતો ક્રિયાપદ તરીકે આવવા ઉપરાંત સંજ્ઞા, વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે આવે છે. જેમકે ‘રોજ થોડો સમય પ્રભુસ્મરણ કરતા રહેવું’માં ‘રહેવું’ વિધ્યર્થનું ક્રિયાપદ છે, પરંતુ ‘રોજ પ્રભુસ્મરણ કરતા રહેવું મને ગમે છે’માં ‘રહેવું’ કર્મપદ છે. કૃદંત સિવાયનાં આખ્યાતિક રૂપો ચાર વર્ગોમાં વહેંચાય છે. એમાંના ત્રણ પુરુષવચન વ્યક્ત કરતાં પ્રત્યયો લઈ એ આવે છે, એક અવિકારી રૂપે જ આવે છે. ૧, સંભાવનાનાં રૂપો, જે સહાયકારક ‘છ’ સાથે નિર્દેશાર્થ વર્તમાનકાળ દર્શાવવા વપરાય છે: (હું) કરું, (અમે) કરીએ વગેરે. ૨, ભવિષ્યકાળનાં કહેવાતાં પણ બહુધા સંભાવના જ દર્શાવતાં રૂપો: (હું) કરીશ, (અમે) કરીશું વગેરે. ૩, આજ્ઞાર્થનાં રૂપો: (તું) કર, (તમે) કરો; (તું) કરજે, (તમે) કરજો. ૪, ક્રિયાતિપત્યર્થનું રૂપ: કરત્. બધાં આખ્યાતિક રૂપો ખાસ પ્રયોગોમાં કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ પણ ધરાવે છે. જેમકે ‘તમે થોડી વાર બેસજો, હું હમણાં આવું છું’માં ‘આવું છું’ વર્તમાનકાળ નહીં, પણ આસન્ન ભવિષ્ય દર્શાવે છે. ‘છ’ ને ‘હો’ એ આખ્યાતિક અંગો અન્ય આખ્યાતિક અંગનાં સહાયકારક તરીકે આવે છે અને એ રીતે સહાયકારકવાળી આખ્યાતિક રચનાઓ પણ અસ્તિત્વમાં આવે છે: ‘કરું છું’, ‘કરવું છે’, ‘કરતો હોય’, ‘કરનાર હોય’, ‘કરેલું હોય’, ‘કરવાનું હતું’, ‘કર્યું હોય છે’, ‘કરતા હોવું’, ‘કરનાર હોઈ’ વગેરે. આ સહાયકારકવાળાં આખ્યાતિક રૂપો મિશ્ર કાળ-અર્થ-અવસ્થા દર્શાવે છે. આમ આખ્યાતિક રૂપોનું એક અત્યંત જટિલ તંત્ર ઊભું થાય છે. આ સહાયકારક આખ્યાતો ઉપરાંત બીજાં કેટલાંક આખ્યાતો પણ મુખ્ય આખ્યાતની સાથે જોડાઈને ક્રિયા અમુક રીતે થવાનો અર્થ આપે છે. જેમકે ‘નાખી દેવું’માં ‘દેવું’ એના મૂળ અર્થમાં નથી, એ નાખવાની ક્રિયા સંપૂર્ણપણે થવાનો અર્થ દર્શાવે છે. ક્રિયા સાતત્યપૂર્વક, જેમતેમ, ઝડપથી, અણધારી રીતે થવી વગેરે પ્રકારના અર્થો આ રીતે દર્શાવાય છે. આમાં મુખ્ય આખ્યાતનું કોઈ એક કૃદંતરૂપ વપરાય છે. જેમકે બોલી લેવું, સુધારતા જવું, લખ્યા કરવું, રમ્યે રાખવું, વિચારવા લાગવું, વગેરે. ક્રિયાવિશેષણ-પદોના રચનાની દૃષ્ટિએ મુખ્ય બે વર્ગ પડે ૧, મૂળભૂત ક્રિયાવિશેષણો અને ૨, સાધિત ક્રિયાવિશેષણો. મૂળભૂત ક્રિયાવિશેષણો અનુગ કે નામયોગી સાથે આવી શકે છે: (‘અત્યારે’, ‘ક્યારથી’, ‘નજીકમાં’, ‘ક્યાં સુધી’ વગેરે) તેમ એમ ને એમ પણ આવે છે: (‘હજી’, ‘કદાચ’, ‘કદી’, ‘અવશ્ય’, ‘રખે’, ‘માંડ’, વગેરે. એ દ્વિરુક્ત રૂપે પણ આવે છે: (‘ટપોટપ’, ‘છલોછલ’, ‘તરતોતરત’). સાધિત ક્રિયાવિશેષણો સંજ્ઞા કે વિશેષણને અનુગ કે અન્ય પ્રત્યય લાગીને બનેલાં હોય છે: (‘આજે’, ‘છેવટે’, ‘નિરાંતે’, ‘સમયસર’, ‘સુખેથી’, ‘સામે’, ‘ધીમેથી’, ‘એટલામાં’, ‘ઓચિંતાં’, ‘ખુલ્લંખુલ્લાં’ વગેરે). સંજ્ઞાઓ, વિશેષણો અને કૃદંતો એમ ને એમ પણ ક્રિયાવિશેષણનું કાર્ય કરતાં હોય છે. જેમકે ‘સીધો જજે’માં ‘સીધો’ એ વિશેષણ ક્રિયાવિશેષણનું કાર્ય કરે છે. ક્રિયાવિશેષણના અર્થની દૃષ્ટિએ આવા પ્રકારો પાડવામાં આવે છે: ૧, સ્થળવાચક: (અંદર, દૂર, જ્યાં વગેરે). ૨, સમયવાચક: (ક્યારે, હવે, સદા, કદી, વગેરે). ૩, રીતિવાચક: (આમ, માંડ, એકદમ વગેરે), ૪, ક્રમવાચક: (આગળ, પાછળ, અગાઉ, પછી વગેરે). ૫, (નિશ્ચયવાચક: નક્કી, જરૂર વગેરે). ૬, સ્વીકારવાચક: (ભલે, છો, વારુ વગેરે). ૭, નકારવાચક: (ન, નહીં, મા). ૮, સંભાવનાવાચક: (રખે, જાણે વગેરે). ૯, કારણવાચક: (કેમ). ૧૦, પ્રમાણવાચક: (ખૂબ, જરા વગેરે). જોકે ખાસ પ્રયોગોમાં આ ક્રિયાવિશેષણો જુદી અર્થછાયા પણ પ્રગટાવે છે. જેમકે ‘હું સ્ટેશને’ પહોંચ્યો ત્યાં ગાડી ઊપડી ગઈ હતી’માંનું ‘ત્યાં’ સ્થળવાચક નહીં પણ સમયવાચક ક્રિયાવિશેષણ તરીકે કાર્ય કરે છે. ‘જ’ વગેરે ભારવાચક પદોને પરંપરાગત વ્યાકરણોમાં ક્રિયાવિશેષણમાં સમાવવામાં આવ્યાં છે પણ એ ક્રિયાપદની સાથે જ, એના અર્થમાં કંઈક ઉમેરો કરવા આવતાં નથી, એ અન્ય પદપ્રકારો સંજ્ઞા, વિશેષણ વગેરેની સાથે પણ આવે છે. આથી એને જુદા ‘નિપાત’ના વર્ગમાં મૂકવા તે યોગ્ય છે. ‘જ’ ઉપરાંત ‘તો’, ‘પણ’, ‘ય’, ‘સુઘ્ઘાં’, ‘માત્ર’, ‘ફક્ત’, ‘ને’, ‘ખરું’ વગેરે નિપાતો છે. આ નિપાતો ભાર, આગ્રહ, ખાતરીનો અર્થ દર્શાવે છે. આથી, નિપાતને વાક્યમાંથી કાઢી લેતાં તત્ત્વત: ફરક પડતો નથી. સંયોજકો કેટલાંક એકાત્મક છે: (ને, અને, તથા, પણ, કે, એટલે તો વગેરે) તો કેટલાંકમાં બે ઘટકો છે: (તેમજ, એટલેકે, તોપણ વગેરે. કેટલાંક યુગલ રૂપે પણ આવે છે: (જો તો). ઉપરાંત સર્વનામો, વિશેષણો ને ક્રિયાવિશેષણો એમ ને એમ કે અનુગો સાથે સંયોજક તરીકે કામ આપે છે: (એ, જે-તે, જેવું-તેવું, જેથી-તેથી, જ્યાં-ત્યાં, જ્યારે-ત્યારે વગેરે). સંયોજકોના અર્થની દૃષ્ટિએ આવા પ્રકારો પડે છે: ૧, સમુચ્ચયવાચક: (અને, તથા, તેમજ વગેરે). ૨, વિરોધવાચક: (છતાં, પણ, જોકે-તોપણ વગેરે). ૩, વિકલ્પવાચક: (કે). ૪, પર્યાયવાચક: (એટલે, અર્થાત્ વગેરે). ૫, કારણવાચક: (કેમકે, કારણ કે) ૬, પરિણામવાચક: (એથી, એટલે, માટે વગેરે). ૭, શરતવાચક; (જો-તો). ૮, દૃષ્ટાંતવાચક: (જેમકે). ૯, અવતરણવાચક: (કે). જોઈ શકાશે કે એક જ સંયોજક એકથી વધુ અર્થમાં પણ આવે છે. સંયોજકો પદોને તેમજ વાક્યોને જોડે છે. ઉદ્ગારવાચકો હર્ષ, દુ:ખ, ધિક્કાર, આશ્ચર્ય, અનુમતિ, સંબોધન, અભિવાદન વગેરે મનોભાવોને વ્યક્ત કરવા વાક્યને આરંભે ને વાક્યથી સ્વતંત્ર રીતે આવે છે: (હાશ, અહો, અરે, છટ્, હં, વાહ, શાબાશ, નમસ્તે, જેજે). ઉદ્ગારવાચકમાં એકથી વધુ ઘટકો પણ હોઈ શકે: (ઓ બાપ રે). જોઈ શકાય છે કે નામિક પદ પણ ઉદ્ગારવાચક તરીકે આવી શકે છે. પદપ્રકારોના આ નિરૂપણમાં દેખાયું હશે કે કેટલાંક પદો એકથી વધુ પ્રકારમાં આવે છે. જેમકે ‘આ’ ‘તે’ ‘શું’ ‘કોઈ’ એ સર્વનામ તથા વિશેષણ તરીકે, ‘અંદર’ ‘ઉપર’ વગેરે નામયોગી તથા ક્રિયાવિશેષણ તરીકે, ‘ખરું’ વિશેષણ તથા નિપાત તરીકે, ‘છતાં’, ‘માટે’ નામયોગી તથા સંયોજક તરીકે અને ‘ને’, ‘તો’, ‘પણ’ સંયોજક અને નિપાત તરીકે આવે છે. આ ઉપરાંત મૂળભૂતપણે એક પ્રકારનું પદ અન્ય પ્રકારના પદ તરીકે પણ વપરાતું જોવા મળે છે. જેમકે સંજ્ઞા વિશેષણ કે વર્ધક તરીકે વપરાય, વિશેષણ સંજ્ઞા તરીકે આવે વગેરે. જેમકે ‘ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીનું નામ તમે જાણતા નથી’માં ‘રાષ્ટ્રપિતા’ એ સંજ્ઞા ‘ગાંધીજી’ના વિશેષણ રૂપે છે. પદપ્રકારોની આ હેરફેર એમની ઓળખની થોડી વ્યાકરણી સમસ્યા પણ ઊભી કરે છે. આ બધા જ પદપ્રકારો દ્વિરુક્ત રૂપે તેમજ સમાસ રૂપે આવી શકે છે. દ્વિરુક્તિ અર્થની હોય જેમકે નોકરચાકર, સાફસૂતરું, વાળવું-ઝૂડવું વગેરે, તેમ શબ્દ ને ધ્વનિની હોઈ શકે છે જેમકે ગરમાગરમ, વાહવાહ, ચોપડીબોપડી, સાફસૂફ, પૂછગાછ વગેરે. આ અંગે વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો’. સમાસમાં સર્વપદપ્રધાન(દ્વન્દ્વ), એકપદપ્રધાન(તત્પુરુષ, કર્મધારય) અને અન્યપદપ્રધાન(બહુવ્રીહિ, ઉપપદ) એ ત્રણે રચનારીતિઓ જોવા મળે છે. આ વિષયમાં વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી સમાસ.’ દ્વિરુક્ત અને સામાસિક રચનાઓ રૂપાખ્યાનમાં પ્રવેશી શકે છે. પદો એક યા બીજા પ્રકારમાં આવી શકતાં હોવાથી, એકબીજા પ્રકારનું કાર્ય સંભાળી શકતાં હોવાથી વાક્ય માટે જરૂરી છે તે કોઈ ચોક્કસ પ્રકારનાં પદો નહીં પણ ચોક્કસ કાર્ય બજાવતાં પદો. વાક્ય ક્રિયાપદ, કર્તાપદ, કર્મપદ, પૂરકપદ અને એ પદોનાં વર્ધક પદોથી રચાય છે. કર્તાપદ અને કર્મપદ તરીકે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને કૃદંત આવી શકે છે. પૂરક-પદ (કર્તાપદ, કર્મપદ અને ક્રિયાવિશેષણ-પદ સિવાય વાક્ય જેની કેટલીકવાર અપેક્ષા રાખે છે તે પદ) તરીકે બહુધા વિશેષણ (‘છીંકો ખાઈખાઈને તેઓ અધમૂઆ થઈ ગયા’) અને ક્યારેક સંજ્ઞા (‘ખરેખરી લોકનિષ્ઠાએ જયપ્રકાશને લોકનાયક બનાવ્યા’) આવે છે. વર્ધક પદ તરીકે વિશેષણ અને ક્રિયાવિશેષણ તથા તેને સ્થાને આવી શકતાં પદો આવે છે. વર્ધકનાં પણ વર્ધક હોઈ શકે છે. કૃદંતના વર્ધક તરીકે તો કર્તા-પદ, કર્મ-પદ, ક્રિયાવિશેષણ વગેરે પણ આવે છે અને આમ વાક્યનો વિસ્તાર થાય છે. ‘વિદેહ પતિની આજ્ઞાને અનુસરનારી મણિગૌરીએ રોવાકૂટવાનું બંધ રખાવ્યું’માં ‘મણિગૌરીએ’નો વર્ધક પદસમૂહ ‘વિદેહ પતિની આજ્ઞાને અનુસરનારી’ કેવી રીતે રચાયો છે તે જુઓ. આ બધાં જ પદો વાક્યમાં અનિવાર્ય છે એવું નથી. કર્તાપદ અને ક્રિયાપદ એ બે જ મહત્ત્વના ઘટકો છે અને અન્ય સર્વ ઘટકોને એ બેના વિસ્તરણ તરીકે જોઈ શકાય છે. આમ છતાં ચોક્કસ સંયોગોમાં એ બેમાંથી એક વિના પણ ચાલી શકે છે. ‘આવો’, ‘આ તને નહીં લેવા દઉં’ જેવાં વાક્યોમાં કર્તાપદ અધ્યાહૃત રહી શકે છે, તો ‘આ મારી ઓરડી’, ‘મા એટલે મા’ ‘વહુની રીસ અને સાસુનો સંતોષ’ જેવી કેટલીક રચનાઓ ક્રિયાપદ વગર પણ થઈ શકે છે. ‘નદી!’ ‘શાબાશ!’ જેવા ઉદ્ગારો વાક્યનું કામ આપે છે અને ચોક્કસ’ – સંદર્ભમાં વાક્યખંડોને પણ વાક્ય તરીકે વાપરી શકાય છે. ઔપચારિક લેખનમાં આ ઘટકો સામાન્ય રીતે એક ચોક્કસ ક્રમમાં આવે છે – કર્તા, ગૌણ કર્મ, મુખ્ય કર્મ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદ પરંતુ આ ઘટકો બહુધા એમની રૂપરચનાથી જુદા ઓળખાઈ આવતા હોવાથી આ ક્રમને નિશ્ચિતપણે જાળવવો અનિવાર્ય નથી. ક્રિયાવિશેષણની તો ઘણી હેરફેર થઈ શકે છે, એ વાક્યને આરંભે પણ આવી શકે છે. કર્તા-કર્મ પણ આગળ પાછળ થઈ શકે, અને બોલચાલનાં વાક્યોમાં ક્રિયાપદ પણ આગળ ખસી શકે છે ને છેક વાક્યારંભે પણ આવી શકે છે. – ‘આવશોને તમે મારી સાથે રમણભાઈને ઘેર?’ માત્ર વિશેષણ પછી તરત વિશેષ્ય એ ક્રમ સામાન્ય રીતે નિશ્ચિત રહે છે. નામયોગીઓ નામની પછી જ આવે છે ને નિપાતોનું પણ સંબંધિત પદની આગળ કે પાછળનું નિશ્ચિત સ્થાન હોય છે. પદક્રમ કરતાં પદસંવાદ કે રૂપસંવાદ વાક્યની રચનામાં વધારે ભાગ ભજવે છે. ક્રિયાપદો કર્તા કે કર્મનાં પુરુષવચન કે લિંગવચનને અનુસરે છે. વિકારી વિશેષણો (ને વિશેષણ તરીકે આવતાં કૃદંતો) વિશેષ્યનાં લિંગવચનને અનુસરે છે (ક્વચિત્ એનો અનુગ પણ લે છે) અને ક્રિયાવિશેષણ તરીકે આવતાં વિકારી વિશેષણ પણ કર્તા કે કર્મપદને અનુસરે છે. આથી ભાષાસ્વરૂપમાં કેટલીક વિશ્લિષ્ટતા આવે છે. વિધાનવાક્ય, પ્રશ્નવાક્ય અને ઉદ્ગારવાક્ય એ વાક્યરચનાના મૂળભૂત પ્રકારો. ગુજરાતીમાં આ વાક્યપ્રકારો એમના સૂરથી જુદા પડે છે – વાક્યના ઘટકો એના એ જ હોઈ શકે. અલબત્ત, પ્રશ્નવાક્ય ‘કોણ’, ‘શું’, ‘કયું’, ‘ક્યાં’, ‘ક્યારે’ વગેરે પ્રશ્નાર્થક સર્વનામ – વિશેષણ – ક્રિયાવિશેષણવાળાં પણ હોઈ શકે છે અને ઉદ્ગારવાક્યમાં પણ ઘણી વાર ‘કેટલું’, ‘કેવું’ વગેરે પ્રમાણવાચક ને ગુણવાચક વિશેષણો અતિશયતા કે ઉચ્ચતા બતાવવા વપરાતાં હોય છે. બીજી રીતે, વિધિવાક્ય અને નિષેધવાક્ય એ પણ પાયાના વાક્યપ્રકારો છે. નિષેધવાક્ય ક્રિયાપદની આગળ કે પાછળ ‘ન’, ‘નહીં’, ‘મા’ યોજવાથી બની શકે છે પરંતુ ‘છે+નહીં’ને સ્થાને ‘નથી’ આવે છે. આ ઉપરાંત, નિષેધવાક્યમાં કેટલાંક આખ્યાતિક રૂપો પણ બદલાય છે. જેમકે ‘ઇચ્છું છું’ (વિધિ) – ‘ઇચ્છતો નથી/નથી ઇચ્છતો’ (નિષેધ), ‘પડશે’, (વિધિ) – ‘પડશે નહીં/નહીં પડે’ (નિષેધ), ‘દેજો’ (વિધિ) ‘દેજો મા/ન દેજો/દેતા નહીં/નહીં દેતા’ (નિષેધ), ‘દેશો’ (વિધિ) ‘દેશો મા/ન દેશો/ન દેતા/દેતા નહીં’ (નિષેધ). પ્રેરક રચના પણ સાદી વાક્યરચનાથી કેટલાક ફેરફારો દર્શાવે છે. અકર્મક રચના સકર્મક બને છે – ‘ઝાડ પડ્યું’ (સાદી) – ‘માળીએ ઝાડ પાડ્યું’ (પ્રેરક), અને એકકર્મક રચના દ્વિકર્મક બને છે જેમકે: ‘અમે સંસ્કૃત ભણીએ છીએ’ (સાદી) – ‘દિગીશભાઈ અમને સંસ્કૃત ભણાવે છે’ (પ્રેરક) પણ વધારે અગત્યની તો પ્રેરક કર્તા અને પ્રેરિત કર્તાનો સમાવેશ કરનારી રચના છે. પ્રેરિત કર્તા ‘પાસે’ ‘મારફત’ વગેરે નામયોગીથી દર્શાવાય છે જેમકે ‘મણિગૌરીએ શાસ્ત્રી પાસે દસ દિવસ ગીતા વંચાવી’. ‘કિશોરે એના દીકરા મારફત મને સંદેશો કહેવડાવ્યો છે.’ આ પ્રેરક રચનાઓ કોઈને કામે લગાડવાનો અર્થ ધરાવે છે પણ સહાયના અર્થવાળી પણ પ્રેરકરચના થઈ શકે છે. એમાં સહાય મેળવનાર ‘ને’ અનુગ સાથે આવે છે જેમકે વીણાબહેને મને ચોખા વિણાવ્યા’ કર્મણિ (કે ભાવે) રચનામાં કર્તા બહુધા ‘થી’ અનુગ અને ક્યારેક ‘વડે’, ‘દ્વારા’, ‘તરફથી’ એ નામયોગીઓ સાથે આવે છે જેમકે ‘મારાથી હસાયું નહીં.’ ‘માણસથી પોતાની બૈરીને પાછી લઈ જવાય નહીં?’ સરકાર વડે/દ્વારા/તરફથી ગરીબોને અનાજ અપાયું.’ એ નોંધપાત્ર છે કે ગુજરાતીમાં કર્મણિ રચના કેવળ કર્મની મુખ્યતા અને કર્તાની સાધનભૂતતા દર્શાવતી નથી, ઘણાબધા પ્રયોગમાં એ શક્તિ, યોગ્યતા જેવા અર્થો દર્શાવે છે જેમકે હસાયું નહીં = હસી શકાયું નહીં; લઈ જવાય નહીં? = ‘લઈ જવામાં આવે એ યોગ્ય નહીં? ‘તરફથી’વાળી રચના કેવળ કર્તાપ્રધાન રચના છે. પણ જેમાં શક્તિ કે યોગ્યતાનો અર્થ આવતો નથી એવી કર્મણિની બીજી એક ઔપચારિક રચના છે. એમાં મુખ્ય આખ્યાતનું વિધ્યર્થ રૂપ+માં+આવ એવી આખ્યાતિક રચના થાય છે જેમકે ‘સરકાર તરફથી ગરીબોને અનાજ આપવામાં આવ્યું.’ આ રચનામાં કર્તા ‘તરફથી’ સાથે જ આવે છે અને એના વિના પણ ચાલી શકે છે: ‘અહીં ગરીબોને અનાજ આપવામાં આવે છે.’ ભૂતકાળની અને વિધ્યર્થની કર્તરિ રચનાઓમાં પણ કર્તા ‘એ’ અને ‘ને’ અનુગ સાથે આવે છે જેમકે ‘આશાએ મુકુલને ચૂપ રહેવા કહ્યું.’ ‘મામાને દક્ષિણ ભારતના પ્રવાસે જવું છે.’ ‘ઇન્દ્રપ્રસાદે શા માટે ત્યાં જવું જોઈએ?’ ‘એમને બન્નેને હૉસ્પિટલ જવાનું હતું.’ ‘સ્ટેશને કોણે જવાનું છે?’ એકથી વધુ વાક્યો એકસાથે જોડાઈ શકે છે. જોડાયેલાં વાક્યો સમાન મોભાનાં હોઈ શકે અથવા વાક્યો વચ્ચે મુખ્ય વાક્ય અને એના પર આધારિત ગૌણ વાક્ય એવો સંબંધ હોઈ શકે. ‘અને’, ‘પણ’, ‘અથવા’, ‘માટે’, ‘કેમકે’, વગેરેથી જોડાયેલાં ને સમુચ્ચય, વિરોધ, વિકલ્પ, પર્યાય કે કાર્યકારણનો સંબંધ ધરાવતાં વાક્યો સમાન મોભાનાં હોઈ સંયુક્ત વાક્ય રચે છે અને ‘જે-તે’, ‘જેવું-તેવું’, ‘જ્યારે-ત્યારે’, ‘જ્યાં-ત્યાં’, ‘જો-તો’, ‘એ’, ‘એવું’, ‘એટલું’ વગેરેથી જોડાયેલાં ને વર્ધક, વિશેષણ ને ક્રિયાવિશેષણ વગેરે પ્રકારનો સંબંધ ધરાવતાં વાક્યો મુખ્યત્વ ગૌણત્વ ધરાવતાં હોઈ સંકુલ વાક્ય રચે છે. બેથી વધુ વાક્યો જોડાયેલાં હોય અને એમાં આ બન્ને પ્રકારની સ્થિતિ હોય એવું પણ જોવા મળે, જેમકે ‘બા ઘણી વાર ચિડાઈને કહેતી કે આટલો મોટો ઘોડા જેવો થયો છે ને હજી પોતાને હાથે જમતો નથી!’ એ વાક્યમાં ‘બા ઘણી વાર ચિડાઈને કહેતી’ એ મુખ્ય વાક્ય છે. બા શું કહેતી તે પછીનાં વાક્યોમાં કહેવાયું છે એટલે એ કર્મવાક્યો ને તેથી ગૌણ વાક્યો છે એમ કહેવાય. પરંતુ ‘આટલો મોટો ઘોડા જેવો થયો છે’ તથા ‘હજી પોતાને હાથે જમતો નથી’ એ બન્ને સમાન મોભાનાં વાક્યો છે. ‘ને’ સંયોજક સમુચ્ચયનો અર્થ દર્શાવે, પરંતુ અહીં એ ‘તોપણ’ના અર્થમાં છે તેથી બન્ને વાક્યો વચ્ચે વિરોધનો સંબંધ ગર્ભિત છે. જ.કો.