ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમીમાંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનમીમાંસા(Epistemology) : જ્ઞાનની પ્રક્રિયાનો વૈજ્ઞાનિક અને સૈદ્ધાન્તિક અભ્યાસ કરતું શાસ્ત્ર. તત્ત્વજ્ઞાનમાંથી આવેલી અને હવે બધી જ વિદ્યાશાખાઓમાં સમાન રસ અને મહત્ત્વ ધરાવતી સંજ્ઞા. આ વિદ્યાશાખા, જ્ઞાન શું છે, તેમજ એની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, એનો વિકાસ અને એનું સર્જન વગેરે પ્રશનેના ઉત્તરની શોધને લક્ષ્ય બનાવે છે. જ્ઞાનમીમાંસાની બે શાખાઓ છે : ૧, અનુભવનિષ્ઠ (Empirical) અને બુદ્ધિનિષ્ઠ(Rational). અનુભવનિષ્ઠ જ્ઞાનમીમાંસા એવું માને છે કે જ્ઞાન જન્મજાત નથી હોતું પણ અર્જિત છે; જ્યારે બુદ્ધિનિષ્ઠ જ્ઞાનમીમાંસા એવું માને છે કે જ્ઞાન જન્મજાત(Innate) છે. આધુનિક ભાષાવિજ્ઞાની ચૉમ્સ્કી ભાષા વિશે જે કહે છે તેવું જ બુદ્ધિનિષ્ઠો જ્ઞાન વિશે કહે છે. આ સદીના ઉત્તરાર્ધમાં જીવવિજ્ઞાની-મનોવિજ્ઞાની ઝાં પ્યાઝે (Jean Piaget) દ્વારા પ્રચાર-પ્રસાર પામેલી જનીનપરક જ્ઞાનમીમાંસા (genetic Epistmeology) એ જ્ઞાનમીમાંસાની શાખા છે. આ શાખા જ્ઞાનમાં મૂળ સ્રોતો અંગેનો અભ્યાસ કરે છે. સાહિત્ય જ્ઞાનની એક શાખા હોઈ એ સંદર્ભે એનું જ્ઞાનમીમાંસાપરક અધ્યયન મહત્ત્વનું છે. હ.ત્રિ.