ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવનકથા(Biography) : અન્ય દ્વારા કોઈ વ્યક્તિનું નિરૂપાયેલું જીવનવૃત્તાંત તે જીવનકથા. પોતા દ્વારા નિરૂપાતા જીવનવૃત્તાંતના આત્મકથાપ્રકારથી એ ભિન્ન છે. એક બાજુ એણે ઇતિહાસની જેમ વ્યક્તિવૃત્તાંતને શક્ય એટલી સંનિષ્ઠાથી ઉતારવાનું છે, તો બીજી બાજુ એ વ્યક્તિવૃત્તાંત નીરસ અને અવાચ્ય ન બને તે માટે એણે નવલકથાની કેટલીક રીતિઓને અખત્યાર કરવાની છે. આમ છતાં, ન તો એ ઇતિહાસ છે, ન તો નવલકથા. પરંતુ વિશેષ સાહિત્યપ્રકાર છે. એમાં જીવનકથાકાર વ્યક્તિના સમગ્ર જીવનવૃત્તાંતનું યા તો એના એક ગાળાનું કે એના કોઈએક ચરિત્રપક્ષનું નિરૂપણ કરે છે. સત્ય કલ્પના કરતાં પણ ઘણીવાર અનોખું હોય છે, એમ કહેવાય છે, તેથી જ આ સાહિત્યપ્રકાર વિશેષ રસ જગાડે છે. વળી, અન્યજીવનની અંગત વીગતોની જાણકારી, અન્યની સિદ્ધિઓ, અન્યનાં સામર્થ્ય અને નિર્બળતાઓ, અન્યની બોલવાની, વિચારવાની, વર્તવાની રીતિઓ વગેરે જાણવામાં રહેલું મનુષ્યનું કૂતુહલ તેમજ મનુષ્યની ઇતિહાસવૃત્તિ હંમેશાં જીવનકથાને પોષણ આપે છે. પ્રાચીનવાદનું વલણ, જ્ઞાનકોશ પ્રવૃત્તિ અને વૈજ્ઞાનિક સંશોધનોએ પણ જીવનકથાની અગત્યતાને ઉપસાવી છે. આથી જ કાર્લાઈલ કહે છે કે ઇતિહાસ એ જીવનકથાઓનો સાર છે અને ઈમર્સન કહે છે કે વાસ્તવમાં ઇતિહાસ નથી, માત્ર જીવનકથા છે. જીવનકથાકાર માટે જીવનકથાનાયકના મૂળ દસ્તાવેજો, એની ડાયરી, એના પત્રો, ઓફિસ અહેવાલો, સમકાલીનો અંગેનાં એનાં સંસ્મરણો, મિત્રો-સંબંધીઓ સાથેના એના વાર્તાલાપ, એની સાથેની નિસ્બત ધરાવતાં સ્થાનોની રૂબરૂ મુલાકાત, એનાં ફોટોગ્રાફ્સ અને ચિત્રો, જીવનકથાનાયક જીવંત હોય તો એની સાથેની વાતચીત વગેરે સ્વાભાવિક આધારસામગ્રી છે. પરંતુ એ બધું, ગમે તેમ એકઠી કરેલી સામગ્રીના ઘાટઘૂટ વગરના જથ્થા તરીકે રજૂ કરવાનું નથી. જીવનકથાકાર એમાંથી યોગ્ય ચયન કરે છે અને પછી આવશ્યક શિસ્ત સાથે એનું ગ્રથન કરે છે. જીવનકથાકાર માટે વિવેચક નવલરામે શોધ, સત્યતા, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણને આવશ્યક ગણ્યા છે. સંશોધન પછીની પ્રમાણભૂત સામગ્રીનું એણે રાગ કે દ્વેષ વગર તટસ્થ નિરૂપણ કરવાનું છે. પ્રામાણિક અને સમ્યક્ જાણકારી પર આધારિત વિરોધી સામગ્રી મળે ત્યારે વિવેક કરવાનો છે; યોગ્ય અર્થઘટન કરવાનું છે અને અંતે નિર્ણય લેવાનો છે. ગમે એટલી ચોકસાઈથી કામ કરનારો સંશોધક અને અભ્યાસી પણ આત્મપ્રતારણાનો ભોગ બને અને ગમે એટલી વસ્તુલક્ષિતા તેમજ ઇતિહાસપરકતા છતાં લખાણમાં અંગત નિર્ણયોનાં તત્ત્વો રહી જાય એ જુદી વાત છે, પરંતુ જીવનકથાનાયકના ક્રમશ : વિકાસ અને એની ઉત્ક્રાંતિને નાના નાના લસરકાથી ઉપસાવવાની છે. જિવાયેલા જીવનની ભ્રાંતિ ઊભી કરવાનો પ્રયત્ન કરવાનો છે. સ્વગતોક્તિ, કલ્પિત અને વિસ્તારપૂર્વકના સંવાદો તેમજ બદલાતી ભાવસ્થિતિઓ દ્વારા શુષ્ક અને ધૂંધળી વીગતોને જીવંત કરવાની છે. એનું કામ વ્યક્તિચિત્રકાર (Portrait painter) તરીકેનું છે. એણે વ્યક્તિનું સાદૃશ્ય રચવાનું છે. વ્યક્તિચિત્રકારની જેમ પાર્શ્વભૂને નિરૂપવાનું એને માટે પણ પ્રતિકારરૂપ છે. પાર્શ્વભૂ છોડી દેવી, લેવી હોય તો કેટલી લેવી અને કેટલી જતી કરવી, વગેરે એમાં નિર્ણાયક બને છે. એણે ઐતિહાસિક નવલકથાકાર નથી બનવાનું, પણ સારી કથાકૃતિની જેમ રસપ્રદ રચના કરવી જીવનકથાકાર માટે આવશ્યક છે. જીવનકથાકાર જીવનવૃત્તાંતમાં કોઈ ચોક્કસ લય દાખલ કરે છે. વિશિષ્ટ અવકાશ રચે છે અને મૂલગામી વિષયવસ્તુ સાથે એક સ્વરૂપ ઉપસાવે છે. આનો અર્થ એ થયો કે જીવનકથાકારે નીતિકાર થવાની જરૂર નથી; પણ એનો અર્થ એવો પણ નથી કે એની કૃતિ સમર્થ નૈતિક પ્રભાવ ન દર્શાવી-જન્માવી છોડી શકે. જીવનકથાનું આવું સાહિત્યસ્વરૂપ આપણી પ્રાચીન પરંપરામાં નથી. પુરાણો, મહાકાવ્યો, નાટકોમાં રાજપુરુષો, મહાપુરુષો, વીરોનું વર્ણન છે, પરંતુ એમાં એમનું અતિરંજિત અને અતિકલ્પિત સ્વરૂપ આલેખાયું છે. વાસ્તવિક કે વૈજ્ઞાનિક દૃષ્ટિથી રચાયેલું જીવનકથાનું સાહિત્યસ્વરૂપ પશ્ચિમથી આવેલાં સાહિત્યસ્વરૂપોમાંનું એક છે. પશ્ચિમમાં પણ બીજા સૈકામાં પ્લુટાર્કે ગ્રીક અને રોમન મહાપુરુષોનાં ચરિત્રો આલેખ્યાં ત્યારથી માંડી મધ્યયુગમાં પણ આ સ્વરૂપ ઉપદેશાત્મક અને સંસ્મરણાત્મક રહ્યું; ખાસ તો વ્યક્તિનું મહિમાગાન કરતું રહ્યું. અને મોટેભાગે વિચારો કે સિદ્ધાંતોને નિરૂપવા નીતિનિબંધની નજીક પહોંચતું રહ્યું. આ પછી રોમેન્ટિકોની અંગતતા કે આત્મલક્ષિતાને ફ્રોઈડ દ્વારા સમર્થન મળતાં જીવનકથાનું જે સ્વરૂપ વિકસ્યું, એમાં મનુષ્યની સંકુલતા અને અસ્થિરતા કેન્દ્રમાં આવી. કોઈ મનુષ્ય નર્યા સદ્ગુણોથી કે દુર્ગુણોથી ભરેલો હોતો નથી તેમજ શૈશવથી માંડી વૃદ્ધાવસ્થા પર્યંત એકનો એક રહેતો નથી – એનું, મનોવૈજ્ઞાનિકતાનું, વાસ્તવિક પરિમાણ એમાં ઉમેરાયું. વ્યક્તિના જીવનની બાહ્યઘટનાઓ, એનાં કાર્યો, કે એનો સમય, વ્યક્તિની મહત્ત્વની કારકિર્દીને સાચી રીતે આલેખવાં એ જ પર્યાપ્ત નથી. મનુષ્યના સભાન અને બૌદ્ધિક ઉદ્ગારો તેમજ અભિપ્રાયો એના જીવનને નિયંત્રિત કરનાર પ્રચ્છન્ન હેતુઓ અને વૃત્તિઓના નિર્દેશકો છે; એ સત્યના સ્વીકાર સાથે વ્યક્તિના આંતરજીવનની પુન :સર્જના જીવનકથાનું લક્ષ્ય બની. અલબત્ત, અન્યના આંતરજીવનની પુન :સર્જના લેખનમાં શક્ય છે કે નહીં એ પ્રશ્ન ઊભો થાય ખરો અને તત્ત્વત : એનો જવાબ ‘ના’માં જ હોઈ શકે, તેમ છતાં જીવનકથાનો એ પ્રયત્ન વ્યક્તિચિત્રને એક પ્રકારની સ્વાભાવિકતા જરૂર આપે, એમાં શંકા નથી. જુદા જુદા અભિગમોને લક્ષમાં રાખી જીવનકથાના અનેક પ્રકારો ગણાવાયા છે; એમાં ઉપદેશાત્મક જીવનકથા, આત્મીય જીવનકથા, લોકપ્રિય જીવનકથા, વિદ્વત્તાપૂર્ણ જીવનકથા, મનોવૈજ્ઞાનિક કે અર્થઘટનાત્મક જીવનકથા, કલાત્મક જીવનકથા, વ્યંગ્યાત્મક જીવનકથા વગેરે મુખ્ય છે. ચં.ટો.