ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિવિરોધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધ્વનિવિરોધ : આચાર્ય આનંદવર્ધને રસ-ધ્વનિ-વ્યંજનાની સર્વાંગી યોજના પ્રવર્તાવી, જેને અનુગામી ધ્વનિવાદી આલંકારિકો અભિનવગુપ્ત, મમ્મટ, હેમચન્દ્ર, વિશ્વનાથ જગન્નાથ વગેરેનું સબળ સમર્થન પ્રાપ્ત થયું. પણ તે પહેલાં અને તે દરમિયાન અનેક વિરોધો ઊઠ્યાા હતા. ખૂબ યુક્તિપૂર્વક ધ્વનિનું પ્રસ્થાપન કર્યા પછી પણ કેટલાકે તેનો વિરોધ કર્યો હતો. આનંદવર્ધનની પૂર્વે થઈ ગયેલ ભટ્ટનાયકે તો ધ્વનિધ્વંસની પ્રતિજ્ઞા સાથે જ ‘હૃદયદર્પણ’ ગ્રન્થની રચના કરી હતી. તે પછી દીર્ઘદીર્ઘતર અભિધાવાદી મીમાંસકો, તાત્પર્યવાદીઓ, લક્ષણાવાદીઓ વગેરે અનેક પ્રકારના ધ્વનિવિરોધો ઊઠવા પામ્યા હતા અને વિલીન થયા હતા. વિમર્શિનીકાર જયરથે આપેલી નોંધ પ્રમાણે ૧૨ પ્રકારના ધ્વનિવિરોધો આ પ્રમાણે છે : તાત્પર્યશક્તિ, અભિધા, બે પ્રકારની લક્ષણા, બે પ્રકારની અનુમિતિ, અર્થાપત્તિ, તંત્ર, (શ્લેષ), સમાસોક્તિ વગેરે અલંકાર, રસની કાર્યતા, રસનો ભોગ તથા વ્યાપારાન્તર વડે રસ-વ્યંજનાનો બાધ એમ ૧૨ પ્રકારની વિપ્રતિપત્તિઓ ઊઠવા પામી હતી. આમાં પ્રથમ તે તાત્પર્ય દ્વારા ધ્વનિને ગતાર્થ માનનારા મીમાંસકો, બીજા દીર્ઘદીર્ઘતર અભિધાવ્યાપાર સ્વીકારનારા મીમાંસકો, લક્ષણા કે ગુણવૃત્તિમાં ધ્વનિનો અંતર્ભાવ ઇચ્છનારા ભાક્તવાદીઓ, દ્વિવિધ અનુમાન દ્વારા ધ્વનિને ગૃહીત થતો ગણનારા નૈયાયિકો, તંત્ર(શ્લેષ)માં ધ્વનિને સમાવનારા, સમાસોક્તિ વગેરે અલંકારોમાં ધ્વનિને અંતર્ભૂત કરનારા, અર્થાપત્તિથી ધ્વનિને ગતાર્થ માનનારા, રસની કાર્યતા સ્વીકારનાર લોલ્લટ વગેરે, રસનો ભોગ થતો વિચારનાર ભટ્ટ નાયક વગેરે તથા ધ્વનિને અનિર્વાચ્ય માનનારા એમ અનેક પ્રકારના ધ્વનિવિરોધો ઊઠ્યાા, જે પૈકી મોટા ભાગના મતોનું શમન કરી આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’માં ધ્વનિનું પ્રસ્થાપન કર્યું છે. આનંદવર્ધને પોતે પણ ‘ધ્વન્યાલોક’ની પ્રથમ કારિકામાં જ ધ્વનિવિરોધ કરનારાઓની નોંધ લીધી છે. તેઓ જણાવે છે ધ્વનિ તો કાવ્યના આત્મા રૂપે પ્રાચીનકાળથી જ કાવ્યતત્ત્વજ્ઞો દ્વારા સ્વીકૃતિ પામ્યો છે પરન્તુ તેનો અભાવ માનનારા પણ હતા, તો કેટલાક વળી તેને અવર્ણનીય ગણાવતા હતા. આમ ધ્વનિવિરોધના કુલ ત્રણ પક્ષો બને છે. પ્રથમ છે ધ્વન્યભાવવાદીઓ. આ અભાવવાદીઓ ખરેખર અસ્તિત્વ ધરાવતા ન પણ હોય અને તે પ્રકારના વિકલ્પોની સંભાવના કરીને જ રજૂઆત થતી હોય તેમ પણ બને, કેમકે આનંદવર્ધને તેમને માટે मगदु : એમ પરોક્ષ ભૂતકાળનો પ્રયોગ કર્યો હતો. જોકે, આનંદવર્ધનને આમ અભિપ્રેત ન પણ હોય, કેમકે તેમણે પોતે જ ધ્વન્યભાવવાદીઓના સમર્થનમાં એક શ્લોક ઉદ્ધૃત કર્યો છે. તે જે હોય તે પરંતુ આનંદવર્ધને તો ત્રણ પ્રકારના અભાવવાદીઓની નોંધ લીધી છે : ૧, શબ્દાર્થમય કાવ્યને શોભા આપનાર તત્ત્વો ગુણ – રીતિ, અલંકાર, વૃત્તિ વગેરેથી ભિન્ન બીજું કોઈ તત્ત્વ છે નહીં, જે શબ્દાર્થને શોભા આપતું હોય, તેથી ધ્વનિ નથી. ૨, શબ્દ અને અર્થના ગુણ-અલંકારથી જુદું ધ્વનિતત્ત્વ જો સ્વીકારવામાં આવે તો તેને કાવ્ય સાથે કોઈ સંબંધ જ ન હોઈ શકે અને તેથી તે શોભાકારી પણ ન બની શકે. ૩, અને જો શોભા સર્જતું હોય અને છતાં પ્રસિદ્ધ પ્રસ્થાનમાં સમાવેશ પામી શકે તેમ ન હોય તો તેને એક નવો ગુણ કે અલંકાર કહેવામાં આવે. તે રીતે ય તેને ગુણ કે અલંકારથી જુદું ગણી શકાશે નહીં, તે સાવ નવું તત્ત્વ છે એમ કહેવાથી શો ફાયદો? આને જરા વિસ્તારપૂર્વક જોઈએ : ૧, કાવ્ય શબ્દાર્થમય છે, તે તો સહુ સ્વીકારે છે. આ શબ્દ અને અર્થનું ચારુત્વ સર્જતા માધુર્યાદિ ગુણો તથા અનુપ્રાસઉપમા વગેરે અલંકારો પ્રસિદ્ધ જ છે. વળી, તેમનાથી અભિન્ન સ્વરૂપવાળી (અનુક્રમે) ઉપનાગરિકાદિ વૃત્તિઓ અને વૈદર્ભી વગેરે રીતિઓ પણ સાંભળવામાં આવી છે. તેનાથી ભિન્ન ધ્વનિ વળી છે શું? તાત્પર્ય એ કે, જો ધ્વનિ શબ્દાર્થરૂપ હોય તો તેને ‘કાવ્ય’ નામ આપેલું જ છે. નવું નામ આપવાથી શું? અને જો તે શબ્દ અને અર્થનું ચારુત્વ સર્જનાર તત્ત્વ હોય તો તેનો સમાવેશ પ્રસિદ્ધ પ્રસ્થાનરૂપ ગુણાલંકારને વિષે જ થઈ જાય. તેનાથી જુદું એવું કોઈ તત્ત્વ છે નહીં, જે શોભાકારી બનતું હોય, અને જો ગુણાલંકારાદિથી અભિન્ન ન હોય તો તે શોભાકારી પણ ન જ હોય, જેમકે અસાધુ, દુ :શ્રવ વગેરે નિત્યાનિત્ય દોષો. આ રીતે, અન્વય-વ્યતિરેક દ્વારા ધ્વનિનો અભાવ અહીં સિદ્ધ કરાયો છે. ૨, બીજા અભાવવાદીઓના મતે ધ્વનિ છે જ નહીં, કેમકે પ્રસિદ્ધ પ્રસ્થાન શબ્દાર્થ તથા તેમના શોભાકારી ગુણાલંકારાદિથી ભિન્ન એવું જે કંઈ હોય તેનું કાવ્યત્વ સંભવતું નથી અને કદાચ કેટલાક સહૃદયો ધ્વનિને કાવ્ય રૂપે સ્વીકારે તોપણ બધા વિદ્વાનોની તેમાં સંમતિ હોતી નથી. અને જે વીગત સર્વસંમત ન હોય તે લક્ષણ રૂપે સ્વીકૃતિ પામી શકે નહીં, કેમકે લક્ષણ તો પ્રસિદ્ધ જ હોવું ઘટે. આ અંગે અભિનવગુપ્તે ‘લોચન’માં સરસ દૃષ્ટાન્ત આપ્યું છે. જેમકે કોઈ વ્યક્તિ ખડ્ગનું લક્ષણ બાંધતાં કહે કે – જે આતાનવિતાનને યોગ્ય છે, જે દેહને ઢાંકે છે, જે મુલાયમ છે, જે તંતુઓ દ્વારા બનાવેલું છે, જેને વાળી શકાય અને ઉકેલી શકાય, સહેલાઈથી ફાડી શકાય તે છે ખડ્ગ. તો તેને બીજો કહેશે – આ તો પટ કહેવાય, ખડ્ગ નહીં, પણ પેલી વ્યક્તિ કહે – ના, હું તો આને જ ખડ્ગ કહું – તેના જેવી આ વાત છે. ૩, અન્યોના મતે ધ્વનિ નામે કશું જ અપૂર્વ નથી. કેમકે જો ધ્વનિ નામે કોઈ તત્ત્વ હોય અને તે ચારુત્વ સર્જનારું પણ હોય તો તેનો અંતર્ભાવ પ્રસિદ્ધ ગુણાલંકારમાં જ થઈ જાય છે. નવું નામ આપવાથી શું? અને જો ધ્વનિ નામે કોઈ નવો ગુણ કે નવો અલંકાર, પ્રકાશિત કર્યો હોય તોપણ તેને માટે ‘ધ્વનિ’ ‘ધ્વનિ’ કહી જે કૃતક સહૃદયતાપૂર્વક નૃત્ય કરવામાં આવે છે તેનો શો અર્થ? વાગ્વિકલ્પો તો અનંત છે એટલે એ શક્ય છે, તેમાં શું નવાઈ? પૂર્વે થઈ ગયેલા આલંકારિકોએ તો કેટલાયે અલંકારો પ્રકાશિત કર્યા છે પણ તેમની આવી દશા થયેલી જોઈ જાણી નથી. આ રીતે, કોઈપણ પ્રકારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે તેમ નથી. તેથી ધ્વનિ પ્રવાહમાત્ર છે. આ ધ્વન્યભાવવાદીઓના સમર્થનમાં કોઈ મનોરથ કવિનો એક શ્લોક પણ ઉદ્ધૃત કરાયો છે, જે આ પ્રમાણે છે. ‘यस्मितस्ति न वस्तु किञ्चन मनः प्रह्लादि सालङ्कृति व्युत्पतै रचितं न चैव वचनैर्वक्रौक्ति शून्यं च यत् ।। काव्यं तद् ध्वनिना समन्वितमिति प्रीत्या प्रशंसञ्जडो । नो विद्मोऽभिदघाति किं सुमतिना पुष्टः स्वरूपं ध्वनेः।।’ અર્થાત્, જેમાં મનને આનંદ આપે તેવું કોઈ સાલંકાર વસ્તુ નથી, જે વ્યુત્પન્ન વચનોથી રચાયું નથી, જે વક્રોક્તિરહિત છે, તે કાવ્ય કે ધ્વનિથી યુક્ત છે એમ પ્રીતિપૂર્વક પ્રશંસા કરતા જડને કોઈ સુમતિવાળો ધ્વનિનું સ્વરૂપ પૂછી બેસે તો, અમે નથી જાણતા કે તે શું કહેશે? ટૂંકમાં, ધ્વનિ છે જ નહિ, પ્રવાદ-માત્રરૂપ-બકવાસરૂપ – તેનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે તેમ નથી. આ રીતે, અભાવવાદીઓના ત્રણ વિકલ્પો મળીને એક મત થાય છે. હવે બીજા ધ્વનિવિરોધી છે – ધ્વનિને ભક્તિ એટલેકે લક્ષણાગ્રાહ્ય માનનારા, તેમના મતે ધ્વનિ એ ગુણવૃત્તિરૂપ છે. જો કે, કોઈએ ધ્વનિ નામે ગુણવૃત્તિનું પ્રકાશન કર્યું નથી. પરંતુ અમુખ્ય વૃત્તિ અર્થાત્ ગૌણીવૃત્તિ વડે થતો વ્યાપાર કાવ્યમાં દર્શાવતાં ધ્વનિમાર્ગનો સહેજ સ્પર્શ થઈ ગયો છે. છતાં તે લક્ષિત થયો નથી. તેમના દ્વારા ધ્વનિનો પૃથક્ નિર્દેશ કરવામાં આવ્યો નથી. અભિનવગુપ્ત પ્રમાણે આ લક્ષણાવાદીઓ તે વામન, ઉદ્ભટ વગેરે હોઈ શકે. ભામહે કાવ્યહેતુઓમાં શબ્દ અને અભિધાનનો પૃથક્ ઉલ્લેખ કર્યો છે. તેને સમજાવતાં, ભટ્ટ ઉદ્ભટે અભિધાનનો અર્થ અભિધાવ્યાપાર એમ કર્યો છે. અને તેના બે પ્રકાર (મુખ્ય અને ગુણવૃત્તિ) દર્શાવ્યા છે. વામને પણ સાદૃશ્ય વડે થતી લક્ષણાને વક્રોક્તિ કહી છે. પરંતુ આ દ્વારા તેમણે ધ્વનિનું સ્વરૂપ પૃથક્ તારવી આપ્યું નથી. અભાવવાદીઓ તો ધ્વનિનું અસ્તિત્વ જ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે આ લક્ષણાવાદીઓ તેનો સર્વથા અભાવ કલ્પતા નથી. પણ જો ધ્વનિ હોય તો તેને ગુણવૃત્તિ કે લક્ષણામાં જ અંતર્ભૂત થતો કલ્પે છે. ત્રીજા ધ્વનિવિરોધી છે અશક્ય વક્તવ્યવાદીઓ. લક્ષણ બાંધવામાં સુકુમાર મતિવાળા તેઓ ધ્વનિતત્ત્વને વાણીના વિષયરૂપ બનતું સ્વીકારતા નથી. તેને તેઓ કેવળ સહૃદયો દ્વારા જ સંવેદ્ય ગણે છે. તેમના મતે ધ્વનિનું લક્ષણ બાંધવું શક્ય નથી. ધ્વનિનું અસ્તિત્વ ન સ્વીકારનારા અભાવવાદીઓ, ધ્વનિનો અંતર્ભાવ લક્ષણામાં થતો વિચારનારા લક્ષણાવાદીઓ અને ધ્વનિને અનાખ્યેય માનનારા અશક્યવક્તવ્યવાદીઓ, આ ત્રણેય ઉત્તરોત્તર ભવ્ય બુદ્ધિવાળા છે, કેમ કે, તેમનામાં અનુક્રમે વિપર્યાસ, સંદેહ અને અજ્ઞાન રહેલાં છે એમ અભિનવગુપ્ત જણાવે છે. આ રીતે, ત્રણ મુખ્ય ધ્વનિવિરોધી અભાવવાદીઓના ત્રણ વિકલ્પો વિચારતાં, કુલ પાંચ પક્ષો બને છે. ત.ના.