ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિ અને ધ્વનિભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધ્વનિ અને ધ્વનિભેદ : કાવ્યશાસ્ત્રીય વિભિન્ન તત્ત્વોમાં ધ્વનિની ગવેષણા કરનાર તથા તે ધ્વનિના અનુલક્ષમાં અન્ય સર્વ તત્ત્વોનું સમાયોજન કરનાર તરીકે આચાર્ય આનંદવર્ધનનું નામ જાણીતું છે. તેમણે તેમના ગ્રન્થ ‘ધ્વન્યાલોક’માં ધ્વનિ એટલે શું, તેનું સ્વરૂપ, ક્ષેત્ર, ભેદપ્રભેદ વગેરે વિષયો અંગે વિસ્તૃત છણાવટ કરેલી છે. ધ્વનિ સામે ઊઠેલા અનેક વિરોધોનું શમન કરી તેમણે તેને કાવ્યાત્મા રૂપે પુન : પ્રસ્થાપિત કર્યો છે. આ ધ્વનિતત્ત્વ એ કોઈ કપોલકલ્પિત વીગત નથી પરંતુ બહુ લાંબા સમયથી વિદ્વાનોએ તેનું નિરૂપણ કરેલું જ છે. પ્રથમ જ કારિકામાં આનંદવર્ધન કહે છે કે ધ્વનિ એ કાવ્યનો આત્મા છે. એમ વિદ્વાનોએ ખૂબ વિચારીને પરાપૂર્વથી પ્રસ્થાપિત કર્યું છે. ધ્વનિનું સ્વરૂપ બધા જ કવિઓના કાવ્યનું રહસ્યભૂત છે અને રામાયણ વગેરે લક્ષ્યગ્રન્થોમાં સર્વત્ર તે દૃષ્ટિગોચર થાય છે અને વળી, પ્રાચીન લક્ષણકારોએ તેનું ઉન્મીલન કર્યું નથી તેથી સહૃદયોના હૃદયમાં ‘આનંદ’ પ્રતિષ્ઠા પામે તે અર્થે તેનું સ્વરૂપ પ્રગટ કરાયું છે. (ધ્વન્યા૦ ૧/૧) ‘ધ્વન્યાલોક’માં ધ્વનિનું લક્ષણ આ પ્રમાણે અપાયું છે : ‘यत्रार्थ : शब्दो वा तमर्थमुपसर्जनीकृत स्वार्थौ। व्यङक्तः काव्यविशेषः सध्वनिरिति सूरिभि : कथित :’।। (ધ્વન્યા૦ ૧/૧૩) અર્થાત્ જ્યાં અર્થ કે શબ્દ તે(= વ્યંગ્ય અર્થ)ને વિષે અનુક્રમે પોતાને કે પોતાના અર્થને ગૌણ બનાવીને (પ્રધાન રૂપે તે વ્યંગ્યાર્થને) વ્યંજિત કરે તે કાવ્યવિશેષને સૂરિઓએ ‘ધ્વનિ’ નામ આપ્યું છે. આ ધ્વનિતત્ત્વનું ઉન્મીલન આલંકારિકોએ વૈયાકરણોના સ્ફોટને આધારે કર્યું છે. વૈયાકરણોને મતે શબ્દમાંથી અર્થનું ગ્રહણ સ્ફોટને આધારે થાય છે. સ્ફોટ એટલે નિત્ય શબ્દ. વર્ણને તેઓ ધ્વનિ કહે છે અને તેમાંથી વ્યંજિત થતા સ્ફોટ દ્વારા અર્થનો બોધ થાય છે એવું તેઓ માને છે. તેમને અનુસરીને આલંકારિકોએ અર્થને વ્યંજિત કરતા શબ્દને ધ્વનિ નામ આપ્યું. વ્યંગ્યાર્થનો વ્યંજક એવો શબ્દ, અથવા અર્થ એટલેકે વાચ્યાર્થ એ બંને આ રીતે ‘ધ્વને છે’ માટે ‘ધ્વનિ’ કહેવાય છે. અર્થાત્ ‘ધ્વનિત કરે છે તે ધ્વનિ’. તે પછી ‘ધ્વનિત થાય તે ધ્વનિ’ એ દૃષ્ટિએ વ્યંજિત થતો અર્થ – વ્યંગ્યાર્થ પણ ધ્વનિ કહેવાયો. તે ઉપરાંત, જે દ્વારા તે ધ્વનિત થાય તે વ્યાપાર – વ્યંજના વ્યાપાર પણ ધ્વનિ તરીકે ઓળખાયો અને છેલ્લે જેમાં આ સઘળું – વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યાર્થ, વ્યંજના-વ્યાપાર-નિવિષ્ટ છે તે કાવ્ય પણ ‘ધ્વનિ’ સંજ્ઞા પામ્યું. આ રીતે, ‘ધ્વનિ’ દ્વારા આ પાંચેય વિગતો સમજાય છે. આ થયો ધ્વનિ શબ્દનો અર્થ. હવે તેનું સ્વરૂપ જોઈએ. સ્વરૂપત : વિચારતાં, સામાન્ય રીતે ધ્વનિ ત્રિરૂપ મનાયો છે : વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિ. આ ત્રિવિધ સ્વરૂપમાં પણ રસધ્વનિ જ મુખ્ય કે પ્રધાન મનાય છે, કેમકે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ પણ અંતે તો રસધ્વનિમાં જ પર્યવસિત થાય છે, એવું ‘લોચન’કાર નોંધે છે. તેથી રસધ્વનિ જ કાવ્યાત્મા રૂપે વ્યવસ્થિત થાય છે. આ ત્રિરૂપ ધ્વનિ સર્વથા વાચ્યાર્થથી વિલક્ષણ અને ઉત્કૃષ્ટ છે અને તેથી જ ધ્વનિ એ કાવ્યનો આત્મા છે એમ સામાન્ય રૂપે કહેવાયું છે. ધ્વનિ વાચ્યાર્થથી અત્યંત વિલક્ષણ છે અને છતાં વાચ્યાર્થ થકી તે પ્રકાશિત થાય છે. માટે અર્થના મુખ્યત્વે બે ભેદ કહ્યા : વાચ્ય અને પ્રતીયમાન. વાચ્યાર્થને અહીં પાયારૂપ સમજવાનો છે, જેના ઉપર ધ્વનિની ઇમારત પ્રતિષ્ઠિત થઈ છે, જ્યારે પ્રતીયમાન અર્થ તો અનેરો છે, જે મહાકવિઓની વાણીમાં એ રીતે શોભે છે, જે રીતે પ્રસિદ્ધ અવયવોથી અલગ રીતે લલનાનું લાવણ્ય શોભે. ‘प्रतीयमानं पुनरन्यदेव वस्त्वसि वाणीषु माक वीनाम्। यतत्प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्य-मिवाङ्गनासु ।।’ (ધ્વન્યા૦ ૧/૪) આમ, કાવ્યનાં પ્રસિદ્ધ પ્રસ્થાનો – ગુણ, અલંકાર, રીતિ વગેરે સર્વથી અલગ – પ્રતીયમાન વિગત જુદી તરી આવે છે : જેની શોભા અનેરી છે. આ પ્રતીયમાન વિગતના જે ત્રણ ભેદ આપ્યા : વસ્તુ, અલંકાર અને રસ, તેમાં પ્રથમ બે પ્રકારો તો સ્વશબ્દવાચ્ય બને છે. પરંતુ રસધ્વનિ તો ક્યારેય સ્વશબ્દવાચ્ય બનતો નથી. અને એ રીતે તે અલૌકિક મનાયો છે. તે તો વાચ્યના સામર્થ્યથી આક્ષિપ્ત થઈને પ્રકાશિત થતો જણાય છે અને કેવળ કાવ્યવ્યાપારનો જ વિષય બને છે. અભિનવગુપ્તે ‘લોચન’માં (ધ્વન્યા૦ ૧/૧) ઉપર પ્રતીયમાનના મુખ્ય બે ભેદ કહ્યા : લૌકિક અને અલૌકિક. જે લૌકિક છે તે ક્યારેક સ્વશબ્દ વડે વાચ્ય બની શકે છે. તે વિધિ, નિષેધ વગેરે અનેક પ્રકારનો છે અને વસ્તુરૂપ કહેવાય છે. તેના બે ભેદ છે : વસ્તુમાત્ર અને અલંકાર. અલંકારધ્વનિ એવી સંજ્ઞા પ્રયોજવાનું કારણ એ છે કે પહેલાં ઉપમા વગેરે અલંકાર રૂપે પ્રતીત થયેલ હોય પણ પછી પોતે ગૌણભાવ છોડી પ્રધાન વ્યંગ્ય બને ત્યારે તે અલંકાર મટી અલંકારધ્વનિ બને છે તે બ્રાહ્મણશ્રમણન્યાયે. પૂર્વાવસ્થાનો બ્રાહ્મણ શ્રમણ બન્યા પછી પણ બ્રાહ્મણશ્રમણ કહેવાય તેમ, પહેલાં તે અલંકાર હતો તેથી તે અલંકારધ્વનિ કહેવાય છે. તૃતીયપદ તે રસાદિરૂપ ધ્વનિ છે જે સ્વસંવેદનસિદ્ધ છે. આ ઉપરાંત વ્યંજકભેદે પણ ધ્વનિના ભેદો વિચારાયા છે. પ્રધાન વ્યંગ્યાર્થ અને વ્યંગ્યાર્થપ્રધાન કાવ્ય એ બન્ને ‘ધ્વનિ’ કહેવાય છે. ધ્વનિ દ્વારા વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યાર્થ તથા વ્યંજનાવ્યાપાર એ સર્વનું પણ ગ્રહણ થાય છે પરંતુ ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ – વ્યંજિત થતો અર્થ એ બાબત કદાચ વિશેષતયા સ્વીકૃત બની હોઈ વ્યંગ્યાર્થની દૃષ્ટિએ ધ્વનિભેદનું વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ એમ ત્રિરૂપ સામાન્ય નિરૂપણ કરાયું છે અને સાથે સાથે વ્યંજકની દૃષ્ટિએ પણ ધ્વનિભેદ વિચારાયા છે. આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’ના દ્વિતીય ઉદ્યોતમાં વ્યંગ્યાર્થની દૃષ્ટિએ ધ્વનિભેદ આપ્યા છે. ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ અને ધ્વનિકાવ્ય એટલે વ્યંગ્યાર્થપ્રધાન કાવ્ય. આ વ્યંગ્યાર્થનો બોધ વ્યંજના દ્વારા થાય છે. અને આ વ્યંજનાવ્યાપાર કાં તો અભિધાને અવલંબીને પ્રવૃત્ત થાય છે કે પછી લક્ષણાને આધારે પ્રવર્તે છે. તેથી સૌપ્રથમ ધ્વનિ અભિધામૂલ અને લક્ષણામૂલ એમ દ્વિભાજિત બને છે. તે પૈકી અભિધામૂલને વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિ કહે છે, જ્યારે લક્ષણામૂલને અવિવક્ષિતવાચ્યધ્વનિ કહે છે. તેમનાં નામ સાર્થક છે, કેમકે તેમાં તે પ્રકારે વાચ્યની સ્થિતિ રહેલી હોય છે. અહીં એ નોંધવું જોઈએ કે અભિધા એ શબ્દની મુખ્યાવૃત્તિ હોઈ અભિધામૂલ ધ્વનિનું નિરૂપણ પહેલાં કરવું જોઈએ અને પછી લક્ષણામૂલનું. પરંતુ આનંદવર્ધન, મમ્મટ, વિશ્વનાથ સહુએ પહેલાં લક્ષણામૂલ અવિવક્ષિતવાચ્ય ધ્વનિનું નિરૂપણ કર્યુ છે. તેનું કારણ એ છે કે તેનું ક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિનું ફલક ઘણું વિશાળ છે. તેથી જ સૂચિકરાહન્યાયે આલંકારિકો લક્ષણામૂલને અગ્રિમતા આપે છે. અવિવક્ષિતવાચ્યધ્વનિમાં વાચ્યાર્થ અસંગત જણાતો હોઈ તે અવિવક્ષિત બની જાય છે, જ્યારે વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિમાં વાચ્યાર્થ બંધબેસતો હોય છે અને વિવક્ષિત પણ હોય છે, પરંતુ તે એ રીતે કહેવાય છે કે જેથી તેમાંથી બીજો અર્થ વ્યંજિત થાય છે. આ બંને ભેદ પૈકી પ્રથમમાં અર્થ અવિવક્ષિત હોઈ મુખ્યત્વે શબ્દ વ્યંજક બને છે તો દ્વિતીયમાં એક અર્થ બીજા અર્થને વ્યંજિત કરે છે. અવિવક્ષિતવાચ્યને ‘લોચન’કાર આ રીતે સમજાવે છે : ૧, અવિવક્ષિત કરાયો છે વાચ્યરૂપ પોતાનો આત્મા જેના દ્વારા, એટલેકે વાચ્ય અર્થ. ૨, જેમાં વાચ્યને અવિવક્ષિત કરી દેવામાં આવે છે તે એટલેકે વ્યંજનાવ્યાપાર. ૩, જેના દ્વારા વાચ્ય અવિવક્ષિત બને છે તે અર્થાત્ વ્યંજનાવ્યાપારના વાચ્યસામર્થ્ય વગેરે હેતુ. ૪, અવિવક્ષિત છે વાચ્ય જેનું તે એટલેકે વાચ્યશબ્દ. ૫, જેના માટે વાચ્યને અવિવક્ષિત કરવામાં આવે છે તે અર્થાત્ વ્યંગ્યાર્થ. આ રીતે ધ્વનિના પાંચ અર્થોની દૃષ્ટિએ બહુવ્રીહિ સમાસ વિચારી શકાય. અથવા કર્મધારય પ્રમાણે – જે અવિવક્ષિત છે અને વાચ્ય છે તે અવિવક્ષિતવાચ્ય. આ જ પ્રમાણે વિવક્ષિતાન્યપરવાચ્યને પણ સમજાવી શકાય. એમ કહી શકાય કે વસ્તુ, અલંકાર અને રસ એ ત્રિરૂપ ધ્વનિભેદ વ્યંજિત થતી વિગતના સ્વરૂપની દૃષ્ટિએ અપાયેલ છે તો અવિવક્ષિતવાચ્ય અને વિવક્ષિતાન્યપરવાચ્ય એ બે ભેદ વ્યંગ્યાર્થ કઈ રીતે વ્યંજિત થાય છે તે પ્રક્રિયાની દૃષ્ટિએ અપાયા છે. આ બે મુખ્ય ભેદ જ આગળ જતાં અનેકાનેક ભેદપ્રભેદોમાં વિભાજિત થઈ અનેકગણા બને છે તે હવે જોઈએ. અવિવક્ષિતવાચ્યધ્વનિના બે પેટાભેદ સંભવે છે : અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને અત્યન્તતિરસ્કૃતવાચ્ય. અર્થાન્તરસંક્રમિતવાચ્યમાં વાચ્યાર્થ અપૂર્ણ હોય છે ને તેથી તે બીજા અર્થ સાથે ભળી જાય છે ને બીજાના જેવો પ્રતીત થાય છે, જ્યારે વાચ્યાર્થ બિલકુલ જ અસંગત અને અનુપપન્ન જણાય ત્યારે અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિ બને છે. તેમાં વાચ્યાર્થ અન્ય અર્થની પ્રતીતિમાં ઉપાયભૂત જ હોય છે અને પાછળથી એનો તિરસ્કાર થતો જણાય છે. વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિના પણ પહેલાં બે મુખ્ય પેટાભેદ પડે છે : અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય. વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થની પ્રતીતિ દરમ્યાન તે બંને વચ્ચેનો ક્રમ જણાય છે કે કેમ તેને અનુલક્ષીને આ ભેદ વિચારાયા છે. વાસ્તવમાં તો વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે ક્રમ તો અવશ્ય હોય જ, પરંતુ તે ક્યારેક જણાય તો ક્યારેક ન પણ જણાય. જેમ કમળની પાંખડીઓમાં સોય નાખવામાં આવે તો તે ક્રમે કરીને જ બધી પાંખડીઓમાંથી પસાર થાય છતાં તે ક્રિયા એટલી ઝડપથી થઈ જતી હોય છે કે ક્રમ જણાય જ નહીં, અથવા તો ઘંટારવ પછીના અનુરણનની જેમ ક્યારેક ક્રમ સ્પષ્ટ રૂપે જણાય પણ ખરો. આ રીતે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય એવા ભેદો વિચારાયા છે. અસંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિમાં રસધ્વનિનો સમાવેશ થાય છે. આનંદવર્ધન(ધ્વન્યા૦ ૨/૩)માં જણાવે છે કે રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાન્તિ વગેરે અક્રમ, એટલેકે અસંલક્ષ્યક્રમ છે અને તે ધ્વનિના = ધ્વનિકાવ્યના આત્મા રૂપે વ્યવસ્થિત થાય છે. તેમાં વાચ્યાર્થ રૂપે વિભાવાદિનું ગ્રહણ અને રસાદિરૂપ વ્યંગ્યાર્થની પ્રતીતિ વચ્ચેનો ક્રમ જણાતો નથી. ત્રિરૂપધ્વનિ પૈકી રસધ્વનિ અસંલક્ષ્યક્રમ મનાયો છે તો વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ સંલક્ષ્યક્રમવ્યંગ્યમાં ગોઠવાય છે. જો કે આનંદવર્ધન તથા અભિનવગુપ્તે રસધ્વનિનું પણ સંલક્ષ્યક્રમત્વ ક્યારેક સંભવિત માન્યું છે પણ સામાન્યતયા તે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય જ હોય છે. આ રસધ્વનિ જ કાવ્યનો આત્મા છે, કેમકે ધ્વનિકાવ્યમાં તેનું જ પ્રાધાન્ય હોય છે અને વસ્તુધ્વનિ તથા અલંકારધ્વનિ પણ અંતે તો રસધ્વનિને વિષે જ પર્યવસિત થાય છે. હવે જે સંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ છે તેના પણ બે ભેદ સંભવે છે : શબ્દશક્તિમૂલધ્વનિ અને અર્થશક્તિમૂલધ્વનિ. શબ્દશક્તિમૂલધ્વનિ તે છે, જેમાં આક્ષિપ્ત રીતે જ, શબ્દશક્તિથી અલંકાર પ્રકાશે છે અને તે શબ્દ દ્વારા કહેવાતો નથી. અહીં ‘શબ્દશક્તિ’થી એટલે ‘અભિધા વડે’ એવો અર્થ લેવાનો નથી. પણ શબ્દરૂપીશક્તિ એમ સમજવાનું છે. આ ધ્વનિભેદમાં આનંદવર્ધન અનુસાર કેવળ વ્યંગ્યઅલંકાર જ વિષય બને છે તેથી શબ્દશક્તિથી આક્ષિપ્ત વસ્તુમાત્ર શબ્દશક્તિમૂલ ન કહેવાય. પરન્તુ મમ્મટ વગેરે તો બંને પ્રકારે શબ્દશક્તિમૂલધ્વનિ સ્વીકારે છે. આ શબ્દશક્તિમૂલધ્વનિના નિરૂપણ દરમ્યાન આનંદવર્ધને શ્લેષનો પ્રાન્ત તેનાથી કઈ રીતે જુદો પડે છે તે વિશદતયા સમજાવ્યું છે. જો કે અનેકાર્થ શબ્દનો અભિધાર્થ સંયોગાદિ નિયામકો દ્વારા નિયંત્રિત થયા પછી વ્યંજના વડે કઈ રીતે પ્રતીત થાય છે તે બાબત તેમણે ચર્ચી નથી પરંતુ મમ્મટ વગેરેએ તે મુદ્દો ચર્ચ્યો છે. સંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિનો બીજો ભેદ તે અર્થશક્તિમૂલધ્વનિ. તેમાં જે અર્થ પ્રતીત થાય છે તે શબ્દવ્યાપાર વિના એટલેકે ધ્વનનવ્યાપાર વડે જ, પોતે જ અર્થાન્તરને વ્યંજિત કરે છે. આ અર્થશક્તિમૂલધ્વનિના બીજા બે ભેદ પડે છે : સ્વત :સંભવી અને પ્રૌઢોક્તિસિદ્ધ. પ્રૌઢાક્તિસિદ્ધના બે ભેદ પડે છે : કવિપ્રૌઢોક્તિસિદ્ધ અને વક્તૃપ્રૌઢોક્તિસિદ્ધ. આમ કુલ મળી ત્રણ ભેદ થાય છે. આ ત્રણેય ભેદમાં વસ્તુ અને અલંકારરૂપ વ્યંજક દ્વારા વસ્તુ અને અલંકારરૂપ વ્યંગ્ય હોવાથી કુલ બાર પ્રકાર સંભવે છે, જેમકે સ્વત :સંભવી વસ્તુ દ્વારા વસ્તુ વ્યંગ્ય. સ્વત :સંભવી વસ્તુ દ્વારા અલંકાર વ્યંગ્ય. સ્વત :સંભવી અલંકાર દ્વારા વસ્તુ વ્યંગ્ય. સ્વત :સંભવી અલંકાર દ્વારા અલંકાર વ્યંગ્ય. એ જ રીતે અન્ય ભેદ વિચારી લેવા. આ રીતે, અહીં સુધી કુલ ૧૬ ધ્વનિભેદો થયા. અવિવક્ષિતવાચ્યના બે ભેદ, વિવક્ષિતાન્યપરવાચ્ય અને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય શબ્દશક્તિમૂલ તથા બાર અર્થશક્તિમૂલ. હવે આ બધા જ ભેદો પદપ્રકાશ્ય અને વાક્યપ્રકાશ્ય હોવાથી કુલ ૩૨ ભેદ થયા અને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વર્ણ, સંઘટના અને પ્રબંધગત પણ હોતાં ૩૨+૩ = ૩૫ મુખ્ય ધ્વનિભેદો સંભવે છે. આમ, આનંદવર્ધને કુલ ૩૫ શુદ્ધ ધ્વનિભેદો નિરૂપ્યા છે. જે મમ્મટ વગેરેમાં ૫૧ની સંખ્યાએ પહોંચે છે. તેમાં અવિવક્ષિતવાચ્યવ્યંગ્યના ભેદો તો જેમના તેમજ રહે છે; પણ વિવક્ષિતાન્યપરવાચ્યના પેટા ભેદોમાં મોટો તફાવત પડી જાય છે. તે પૈકી અસંલક્ષ્યક્રમવ્યંગ્યના આનંદવર્ધને આપેલ પાંચ ભેદો : પદગત, વાક્યગત, વર્ણગત, રચનાગત અને પ્રબંધગત – આ ઉપરાંત એક બીજો – પદાંશગતભેદ વિચારાયો છે. વળી, શબ્દશક્તિમૂલધ્વનિનો આનંદવર્ધને એક જ પ્રકારનો માન્યો છે, જ્યારે મમ્મટ વગેરેએ તો આગળ નોંધ્યું છે તેમ વસ્તુ અને અલંકાર વ્યંગ્ય હોતાં તેને દ્વિવિધ કલ્પે છે. બીજુ અર્થશક્તિમૂલધ્વનિને તેઓ પ્રબંધગત પણ વિચારે છે. તેથી તેના ૧૨ ભેદ વધી જાય છે. આ ઉપરાંત, સંલક્ષ્યક્રમવ્યંગ્યનો એક અન્ય ભેદ -ઉભય-શક્તિમૂલધ્વનિ પણ તેમણે સ્વીકાર્યો છે. આ રીતે, એક અસંલક્ષ્યક્રમવ્યંગ્ય + એક શબ્દશક્તિમૂલ + ૧૨ અર્થશક્તિમૂલ + એક ઉભયશક્તિમૂલ એમ કુલ ૧૬ ભેદ નવા ઉમેરાય છે ને કુલ મળીને ૫૧ શુદ્ધ ધ્વનિભેદ સંભવે છે. મમ્મટની જેમ લગભગ બધા જ અનુગામી આલંકારિકો આ ૫૧ ભેદ સ્વીકારતા જણાય છે. હવે આ શુદ્ધ ધ્વનિભેદો ત્રણ પ્રકારના સંકર અને એક પ્રકારની સંસૃષ્ટિથી પરસ્પર જોડાતાં કુલ ૧૦,૪૦૪ ભેદ થાય છે. અને તેમાં શુદ્ધ ધ્વનિભેદ ઉમેરતાં ૧૦,૪૫૫ ધ્વનિભેદ બને છે. આ ગણનામાં આચાર્ય મમ્મટે ગુણનપદ્ધતિ અપનાવી છે. તેને અસ્વીકાર્ય ગણાવી વિશ્વનાથે સંકલનપદ્ધતિને આધારે કુલ ૫૩૦૪ ધ્વનિભેદ સિદ્ધ કર્યા છે, જેમાં શુદ્ધ ધ્વનિભેદ ઉમેરતાં ૫૩૫૫ ભેદ બને છે. ત.ના.