ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પિંગલશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પિંગલશાસ્ત્ર : ગુજરાતીમાં અનેક વિદ્વાનોએ પિંગલક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે, તો કેટલીક વ્યક્તિઓએ છંદ :શાસ્ત્રનો પરિચય પણ કરાવ્યો છે. કવિ દલપતરામ, કેશવલાલ હ. ધ્રુવ અને રામનારાયણ વિ. પાઠક મહત્ત્વનું અર્પણ કરનારા પિંગલશાસ્ત્રીઓ છે. દલપતરામે (‘ગુજરાતીપિંગળ’ પછીથી) ‘દલપતપિંગળ’માં પદ્યમાં વિવિધ છંદોનાં લક્ષણો વર્ણવ્યાં છે. પરંતુ માત્રામેળ છંદોમાં તાલનું મહત્ત્વ એમણે દર્શાવ્યું છે. કેશવલાલે તાલતત્ત્વના મહત્ત્વનું કારણ સ્પષ્ટ કરી આપી સંધિઓની સ્પષ્ટતા કરી આપી અને છંદોનો ઐતિહાસિક વિકાસ દર્શાવ્યો (‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’). રામનારાયણે ‘પ્રાચીન ગુજરાતી છંદો’માં સંધિઓના સ્વરૂપને શાસ્ત્રીય રીતે સ્ફુટ કરી આપ્યું, માત્રામેળના ત્રિકલ, ચતુષ્ટકલ, પંચકલ અને સપ્તકલ સંધિઓ સંગીતના વિવિધ તાલમાંથી કેવી રીતે નિષ્પન્ન થયા છે એ સ્પષ્ટ કર્યું. એ ઉપરાંત ‘બૃહત્પિંગલ’માં પ્રાસ, યતિ, લગાત્મક મધ્યયતિ, છંદોનો મેળ વગેરે વિશે પ્રથમ વાર સમર્થ રીતે શાસ્ત્રીય સમાલોચના કરી. ‘બૃહત્પિંગલ’ એ ગુજરાતીમાં પ્રગટ થયેલો છંદ :શાસ્ત્રનો પ્રથમ આકરગ્રન્થ છે. આ ત્રણ પિંગલકારો ઉપરાંત નર્મદનું ‘પિંગળપ્રવેશ’ અને રણછોડભાઈ ઉદયરામે ત્રણ ભાગમાં પ્રગટ કરેલા ‘રણપિંગળ’ની નોંધ પણ લેવી જોઈએ. પિંગલશાસ્ત્રની વિસ્તૃત વિચારણાના આરંભ પહેલાં કેટલાક પારિભાષિક શબ્દોને જાણી લેવા જરૂરી છે. અક્ષર : વાણીના ઉચ્ચારનો એકમ અક્ષર છે. એમાં સ્વર કોઈની મદદ વિના ઉચ્ચારી શકાય છે. જ્યારે વ્યંજનો સ્વતંત્ર રીતે ઉચ્ચારાતા નથી. એટલેકે દરેક સ્વર એક અક્ષર છે અને સ્વરને આધારે એક કે વધુ વ્યંજન બોલાય તે સ્વરવ્યંજન મળીને એક અક્ષર છે. ‘શક્તિ’ શબ્દમાં ‘શ’ એક અક્ષર છે અને ‘ક્તિ’ પણ એક અક્ષર છે. આવા અક્ષરને ‘શ્રુતિ’ સંજ્ઞા પણ આપેલી છે. ‘ક્વચિત્’ શબ્દમાં ‘ક્વ’ અને ‘ચિત્ત્ા્’-એ બે અક્ષરો/ શ્રુતિઓ છે. લઘુ-ગુરુ : વર્ણમાલામાં કેટલાક અક્ષરો લઘુ છે અને કેટલાક ગુરુ છે. દીર્ઘસ્વરો અને દીર્ઘસ્વરવાળા અક્ષરો (આ,ઈ,ઊ,એ, ઐ,ઓ,ઔ તેમજ કા,કી,કૂ,કો,કૌ વગેરે) ગુરુ ગણાય છે. અને હ્રસ્વ સ્વરો (અ,ઇ,ઉ,ઋ) લઘુ છે. પરંતુ હ્રસ્વ સ્વરની પછી જો સંયુક્ત વ્યંજન આવે અને તેનો થડકારો પૂર્વેના હ્રસ્વ સ્વરને લાગે તો એ હ્રસ્વ સ્વર છંદ :શાસ્ત્રમાં ગુરુ ગણાય છે. ‘શક્તિ’ શબ્દમાંનો ‘શ’ આ ધોરણે ગુરુ ગણાય. પરંતુ ‘મળ્યો’ શબ્દમાં પરવર્તી સંયુક્ત વ્યંજન ‘ળ’નો થડકાર ‘મ’ ઉપર ન આવતો હોવાથી એ હ્રસ્વ જ રહે. લઘુને ‘લ’ અને ગુરુને ‘ગા’ તરીકે લખાય છે. ગણ : લઘુગુરુને સગવડ ખાતર આઠ પ્રકારના સમૂહમાં વહેંચવામાં આવ્યા છે. ત્રણત્રણ અક્ષરના બનેલા એ સમૂહને ‘ગણ’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આ માટે એક પ્રસિદ્ધ સૂત્ર છે : ‘યમાતારાજભાનસલગા’. આ સૂત્રના પહેલા આઠ અક્ષરો ય,મ,ત,ર,જ,ભ,ન અને સ-એ આઠ ગણ કહેવાય છે. એમાં પ્રત્યેક ગણના લઘુગુરુને ગોઠવેલા છે. એ પ્રત્યેક ગણના અક્ષર સાથે પછીના બે અક્ષરો એમ કુલ ત્રણ અક્ષરોનો સમૂહ તે ગણના લઘુગુરુના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જેમકે ‘ય’ ગણના ‘યમાતા’ દ્વારા ‘લગાગા’, ‘ર’ ગણના ‘રાજભા’ દ્વારા ‘ગાલગા’ અને ‘સ’ ગણના ‘સલગા’ દ્વારા ‘લલગા’. આ રીતે આઠ ગણની સંજ્ઞાઓનાં લઘુગુરુ સ્વરૂપ સ્ફુટ થાય છે. એથી ઇન્દ્રવંશા (૧૨ અક્ષર) છંદનું લગાત્મક સ્વરૂપ ગાગાલગાગા લલગા લગાલગા – ત, ત, જ, ર – એ ચાર ગણથી આપણે યાદ રાખી શકીએ. યતિ : કાવ્યની પંક્તિનું ઉચ્ચારણ કરતાં સ્વાભાવિક વિરામ લેવાની જરૂર પડે છે. આ અલ્પવિરામને યતિ કહે છે. યતિથી પંક્તિના ખંડો પડે છે. યતિની પહેલાંનો સ્વર હંમેશાં ગુરુ હોય છે. ‘લંબાવેલા/સ્વર મધુર આ/વ્યોમ માંહે ફરે છે.’ એ મંદાક્રાંતા છંદની ૧૭ અક્ષરની પંક્તિમાં ચોથા અને દસમા અક્ષરે યતિ છે. છંદમાં સામટા લઘુ કે ગુરુ આવતાં વિરામની-યતિની જરૂર પડે છે. શાર્દૂલવિક્રીડિત છંદમાં ૧૯ અક્ષર છે અને બારમા અક્ષરે યતિ આવે છે. એ જ રીતે માલિની છંદમાં ૮મા અક્ષરે (કમલવત ગણીને/બાલના ગાલ રાતા), હરિણીમાં છઠ્ઠા અને દસમાં અક્ષરે તથા શિખરિણીમાં છઠ્ઠા અક્ષરે યતિ આવે છે. માત્રામેળ છંદોમાં પણ યતિ આવે છે. રોળા(૨૪ માત્રા)માં ૧૧મી માત્રાએ (‘આ તે શા તુજ હાલ/સૂરત સૂનાની મૂરત’), દોહરા(૨૪ માત્રા)માં ૧૩મી માત્રાએ (‘કરે ગગનના ગોખમાં/ચાંદલિયો ચમકાર’) અને સવૈયા છંદમાં ૧૬મી, ઝૂલણામાં ૧૦, ૨૦, અને ૩૦મી માત્રાએ યતિ આવે છે. કેટલાક છંદો અયતિક એટલેકે યતિ વિનાના હોય છે, કેટલાક સયતિક-યતિવાળા હોય છે. તેમને અનુક્રમે અખંડ અને સખંડ નામથી પણ ઓળખવામાં આવે છે. યતિભંગ : યતિ પાસે સામાન્ય રીતે શબ્દ પૂરો થવો જોએ. કેટલીકવાર શબ્દને તોડવો પડતો હોય છે અને એ વખતે શબ્દના અમુક અક્ષરો યતિની પહેલાં અને અમુક અક્ષરો યતિની પછી આવે છે. ત્યાં યતિભંગ થયો કહેવાય છે. જેમકે ‘ને બીડેલાં કમલમહીં બં/ધાઈ સૌન્દર્યઘેલો’ – એ મંદાક્રાન્તા છંદની પંક્તિમાં ચોથા અને દસમા અક્ષરે યતિ જોઈએ, પણ અહીં દસમા અક્ષરે ‘બં-ધાઈ’ એમ શબ્દના બે ટુકડા પડે છે. એથી યતિભંગ થાય છે. જો કે અહીં પંક્તિનો અર્થ યતિભંગને નિર્વાહ્ય બનાવી ભાવને પોષક બને છે. (-હીં-બં-એ બે અનુસ્વારોનો સાથે ઉચ્ચાર થતાં ભ્રમરના ગુંજારવનો લય વાતાવરણમાં પ્રસરે છે. પરંતુ કેટલીક વાર યતિભંગ ક્લેશકર પણ બને છે. જેમકે, શાલિની છંદની પંક્તિ : ‘પી જાણે હા-લા હલો હોઠથી જે’–માં ચોથા અક્ષરે યતિ જોઈએ પણ શબ્દને તોડવો પડતો હોવાથી અને ભાવપોષક ન હોવાથી નિર્વાહ્ય બનતો નથી. હરિણી છંદની આ પંક્તિ ‘પ્રહર પણ આ – જે વીતે તે / જ એક જ અંતનો’માં છઠ્ઠા અને દસમા અક્ષરે યતિ જોઈએ પણ ત્યાં શબ્દો કપાતાં પંક્તિ ક્લેશકર બને છે. ચરણ : વૃત્તો(સંસ્કૃત છંદો) બધાં શ્લોકબદ્ધ હોય છે. શ્લોક ચાર ચરણનો હોય છે, જોકે વેદમાંના ગાયત્રીના શ્લોક ત્રણ ચરણ(પંક્તિ)ના છે. તેમ છતાં શ્લોક ચતુષ્પાદ એટલે ચાર ચરણનો(દલનો)-ચાર પંક્તિનો ગણાય છે. પ્રત્યેક ચરણને અંતે યતિ આવે છે. ચરણ શ્લોકોનું અંગ છે. યતિખંડ ચરણનું ઉપાંગ છે. જુદાં જુદાં વૃત્તોનાં ચરણોના વિન્યાસથી નવાં નવાં વૃત્તો થતાં હોય છે. શાલિની-મંદાક્રાન્તા, સ્રગ્ધરા વગેરે એક જ મેળના છંદોનાં તેમજ વસંતતિલકા-સ્રગ્ધરા કે અનુષ્ટુપનાં ચરણોમાં મિશ્રણ થયેલાં છે. એ રીતે એક શ્લોકમાંનાં ચરણો વિવિધ છંદોનાં બનેલાં પણ હોય છે. એક જ ચરણમાં જુદા જુદા છંદોના યતિખંડો પણ પ્રયોજાયેલા જોવા મળે છે. ‘પ્રિયે લે રીસાઈ પથ મનગમ્યો, જા. જ્યહીં ચાહ્યું ફાવ્યું’ – એ ચરણમાંનો પહેલો યતિખંડ શિખરિણીનો છે અને પછીના બંને યતિખંડો મંદાક્રાન્તાના છે. શ્લોકભંગ : શ્લોક ચાર ચરણનો હોય છે પરંતુ પાછળથી જ્યાં વિચાર કે ભાવ પૂર્ણ થાય ત્યાં શ્લોક પૂરો કરવાનું વલણ વધતું ગયું છે. એટલે પાંચ-સાત પંક્તિએ પણ શ્લોક પૂરો થાય. પદ્યરચનાને પ્રવાહી બનાવવા માટે ચાર ચરણની જૂની પ્રણાલી ત્યજીને ભાવ-વિચાર પૂરો થાય ત્યાં શ્લોક પૂરો કરવાથી ‘શ્લોકભંગ’ થયો કહેવાય. અર્થ-ભાવની સંવાદિતા માટે એને કવિઓ ઇષ્ટ ગણે છે. શ્રુતિભંગ : એક સ્વર કે એને આધારે એ સ્વર સાથે બોલાતો વ્યંજન કે વ્યંજનગુચ્છ ‘શ્રુતિ’ કહેવાય છે. એક ગુરુની જગ્યાએ કેટલીક વાર બે લઘુ મુકાય તેને બળવંતરાય ઠાકોર ‘શ્રુતિભંગ’ ગણીને પોતાની પ્રવાહી પદ્યરચના માટે તેને આવકારે છે. છંદના ચરણના આરંભે કે અંતે એક ગુરુને સ્થાને બે લઘુ મૂક્યા હોય તો સંવાદ જળવાય છે. ‘લગીર જ સુશીત, સ્વલ્પ તડકો, હવા ખુશ્નુમા’ – અહીં પંદરમો અક્ષર ગુરુ જોઈએ પણ ત્યાં બે લઘુ ‘ખુશ્’ મૂકી સંવાદ જાળવી શ્રુતિભંગ કર્યો છે. ‘હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું’ માં પણ ૧૩મા અક્ષરે શ્રુતિભંગ છે. ‘કાને ગમતું ગરજન સુણી...’ એમાં ‘ગાગાગાગા’ના પ્રથમ ખંડને ‘ગાગાલલગા’ કરેલો છે. ‘ગમતું’ ‘ગમ્તું’ તરીકે ઉચ્ચારાય છે. એ ચાલી શકે છે. પણ એ મંદાક્રાન્તાના પહેલા ખંડ તરીકે ‘ઋતુએ ઋતુએ જે’ સુભગ લાગતું નથી. સંસ્કૃતમાં એક ગુરુને સ્થાને બે લઘુ મૂકવા માટે ‘સમમાત્રકાદેશ’ શબ્દ પ્રયોજાય છે. બ. ક. ઠાકોર એને ‘ગુરુપાયન’ કહે છે. સંધિ : સંધિઓને છંદરૂપી શરીરના જીવતા અવયવો કહ્યા છે. સંધિઓના ફેરફારથી નવા નવા છંદો નીપજે છે. કાવ્યની પંક્તિનું ઉચ્ચારણ કરતાં જે સ્વાભાવિક અને સહજ રીતે પંક્તિના જુદા જુદા કટકા પડે છે, તે કટકામાં આવતા અક્ષરો કે માત્રાના સમૂહોને સંધિ કહેવાય છે. ‘ધીમેધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય’ સ્રગ્ધરાની એ પંક્તિમાં ‘ધીમેધીમે’, ‘છટાથી’, ‘કુસુમરજલઈ’, ‘ડોલતો’, ‘વાયુવાય’ એ પાંચ સંધિઓ છે. ‘માધુર્ય એ ઉછળતું ક્યહિંના સમાય’ – એ વસંતતલિકા છંદની પંક્તિમાં ‘માધુર્યએ’, ‘ઉછળતું’, ‘ક્યહિંના’, ‘સમાય’ એ ચાર સંધિઓ છે. પઠનમાં સ્વાભાવિક રીતે વિલંબન આવવાથી અક્ષરજૂથો છૂટાં પડે છે. આ સંધિ અક્ષરમેળ છંદમાં અનાવૃત્ત – ફરી ફરીને ન આવતાં જુદા જુદા હોય છે. જેમકે ઉપરની સ્રગ્ધરાની પંક્તિમાં ગાગાગાગા/લગાગા/લલલલલલગા /ગાલગા/ગાલગાગા – એ સંધિઓ એકસરખા નથી. માત્રામેળ છંદોમાં એકનો એક સંધિ ફરી ફરીને આવતો હોય છે, તેથી આવૃત્ત સંધિ કહેવાય છે. ત્રણ માત્રાની લદા કે દાલ, ચાર માત્રાની દાદા, પાંચમાત્રાની દાલદા, સાત માત્રાની દાદાલદા સંધિ અનુક્રમે મહીદીપ છંદમાં ‘દાલ દાલ દાલ દાલ દાલ દાલગાગા’ (ત્રણ માત્રાની ત્રિકલ સંધિ), રોળા છંદમાં ‘દાદા દાદા દાલલ દાદા દાદા દાદા (ચાર માત્રાની ચતુષ્કલ સંધિ), ઝૂલણા છંદમાં ‘દાલદા, દાલદા, દાલદા દાલદા દાલદા દાલદા દાલદા ગા (પાંચ માત્રાની પંચકલ સંધિ) અને હરિગીત છંદમાં દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા એ સાત માત્રાની સપ્તકલ સંધિ આવર્તિત થઈને સમસંવાદ પ્રગટ કરે છે. આ રીતે અક્ષરમેળ છંદની સંધિઓ અનાવૃત્ત સંધિ છે અને માત્રામેળ છંદની સંધિઓ આવૃત્તસંધિ છે. સંખ્યામેળ છંદોમાં માત્રાસંધિને બદલે અક્ષરસંધિ (માત્રાને બદલે ચાર-ચાર અક્ષરોનાં જૂથ)નું આવર્તન થાય છે. જેમકે મનહર છંદમાં ‘શનિવારે રજા તોયે બીજા દિની બીક લાગે....’ લયમેળ છંદોમાં માત્રામેળ જેવા જ માત્રાસંધિઓ છે પણ એ સ ગીતપ્રધાન છે અને માત્રાની સંખ્યા ગેયતાથી લંબાવીને ઉચ્ચારવાથી એટલેકે પ્લુતિથી પુરાય છે. ‘રાUમ, લક્ષ્મણ; જાUન’ જેબો, લોહનુ; માUકી –’ આ પંક્તિમાં ચાર માત્રાની ચતુષ્કલ સંધિનું આવર્તન છે. પરંતુ ‘રા’ને લંબાવીને બોલાય છે. અને એ ત્રણ માત્રાનો બનતાં ‘રામ’ ચતુષ્કલસંધિ બને છે. એ જ રીતે ‘જા’, ‘મા’ વગેરે પ્લુત છે. ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા’ એ પંક્તિમાં પણ ‘મુખ–ડાની’ એ તેમજ અન્ય પ્લુતિથી સાત માત્રાનો સંધિ બને છે. સમવૃત્ત અર્ધસમવૃત્ત વિષમવૃત્ત : જે શ્લોકનાં ચારેય ચરણ સરખાં માપનાં હોય તે સમવૃત્ત, જેનું પહેલું અને ત્રીજું (વિષમ) ચરણ તથા બીજું અને ચોથું (સમ) ચરણ સરખાં હોય તે અર્ધસમવૃત્ત અને જેમાં ચારેય ચરણ જુદાં જુદાં માપનાં હોય તે વિષમવૃત્ત અથવા અસમવૃત્ત કહેવાય છે. સમવૃત્તોનો વર્ગ મોટો છે. વૈતાલીય વર્ગના વિયોગિની, અપરવકત્ર, પુષ્પિતાગ્રા, ઔપચ્છન્દરસિક જેવા છંદોનાં ચરણો જુદાં જુદાં માપનાં હોવાથી અર્ધસમવૃત્ત કહેવાય છે. સંસ્કૃતમાં ઉદ્ગતા જેવાં વૃત્તો પંક્તિમાં જુદી જુદી અક્ષરસંખ્યા ધરાવતાં હોવાથી વિષમવૃત્ત તરીકે ઓળખાવાયાં છે. ગુજરાતીમાં એવાં દૃષ્ટાંતો નથી. પરંતુ માલિની, મંદાક્રાન્તા, સ્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત જેવા વિવિધ છંદો એક જ શ્લોકમાં જુદાં જુદાં ચરણોમાં યોજીને કવિઓએ ઉપજાતિઓ રચી છે એને આ વર્ગમાં મૂકી શકાય. ઉપજાતિ પોતે ઇન્દ્રવજ્ર – ઉપેન્દ્રવજ્રા જેવા છંદોનાં મિશ્રણો જ સૂચવે છે. હવે છંદના પ્રકારો જોઈએ : કે. હ. ધ્રુવે પદ્યચનાના બે વિભાગો કર્યા છે : અબદ્ધ અને નિબદ્ધ. અબદ્ધ એટલે સળંગ પદ્યરચના. અંગ્રેજીસાહિત્યના સંપર્કમાં આવ્યા પછી ‘બ્લેન્કવર્સ’નું કામ આપી શકે એવી પદ્યરચનાના પ્રયત્નો આપણે ત્યાં આરંભાયા હતા. જે શ્લોકબદ્ધ કે કડીબદ્ધ હોય તે રચના નિબદ્ધ. શ્રી ધ્રુવે નિબદ્ધ રચનાના વર્ણાત્મક, રૂપાત્મક, માત્રાત્મક અને લયાત્મક એવા ચાર વિભાગો પાડ્યા છે. ગુજરાતીમાં ૧, અક્ષરમેળ – રૂપમેળ ૨, માત્રામેળ ૩, સંખ્યામેળ અને ૪, લયમેળ – એ ચાર છંદપ્રકારો પ્રચલિત છે. અક્ષરમેળ – રૂપમેળ છંદ ગાયત્રી, અનુષ્ટુપ જેવા વૈદિક છંદો અક્ષરમેળ અથવા અક્ષરબંધ છંદો કહેવાય છે. એમાં પ્રત્યેક પંક્તિમાં અમુક નિશ્ચિત અક્ષરો આવતા હોય છે. પરંતુ પ્રત્યેક અક્ષરનું લઘુ કે ગુરુનું સ્થાન નિશ્ચિત હોતું નથી. જેમકે ગાયત્રીમાં દરેક પંક્તિમાં આઠ અક્ષર હોય છે એટલો જ નિયમ છે. પરંતુ છંદોનો વિકાસ સધાતાં પ્રત્યેક પંક્તિમાં, પ્રત્યેક અક્ષરનું સ્થાન-રૂપ નિશ્ચિત થયું. કયો અક્ષર લઘુ અને કયો ગુરુ એ નક્કી થતાં એ છંદોને રૂપમેળ(પ્રત્યેક અક્ષરનું લઘુ/ગુરુનું રૂપ નક્કી થયું હોવાથી)છંદો કહેવામાં આવ્યા. એ માટે વર્ણમેળ કે ગણમેળ સંજ્ઞા પણ પ્રયોજાયેલી છે. પરંતુ ગુજરાતીમાં આ પ્રકારના છંદો માટે અક્ષરમેળ સંજ્ઞા રૂઢ થઈ છે. આ છંદો બે પ્રકારના છે : યતિ વિનાના(ઇન્દ્રવજ્રા, વસંતતિલકા વગેરે) અને યતિવાળા (મંદાક્રાન્તા, શિખરિણી વગેરે). આ છંદોમાં એક ગુરુને સ્થાને બે લઘુ કે બે લઘુને સ્થાને એક ગુરુ મૂકી શકાય નહીં. બીજું, આ છંદોમાં સંધિઓની આવૃત્તિ થતી નથી. એટલેકે ગાગાલગા, ગાગાગાગા, લલગાગા, લગાગા – જેવા સંધિઓ તરત બીજી વાર આવતા નથી. એથી એ અનાવૃત્ત અક્ષરસંધિમેળછંદો તરીકે પણ ઓળખાય છે. પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તોપણ ગુરુ ગણાય છે. યતિ જ્યાં આવે છે ત્યાં એના બંધારણના ભાગ તરીકે આવે છે અને યતિની પૂર્વે હંમેશા ગુરુ(ગા) આવતો હોય છે. એમાં પ્રાસ અનિવાર્ય નથી. એ આગન્તુક તરીકે કે અલંકરણ તરીકે આવે છે. ગુજરાતીમાં પ્રયોજાયેલા મહત્ત્વના અક્ષરમેળ છંદો વિશે વિચારણા કરીએ. પ્રથમ યતિ વિનાના છંદો જોઈએ. અહીં અક્ષર-સંખ્યા, ગણ, લગાત્મક રૂપ, ગણ અને છંદપંક્તિનું ઉદાહરણ-એ ક્રમે છંદપરિચય આપેલો છે. અનુષ્ટુપ : અક્ષર-૮. દરેક અક્ષરનું સ્થાન નક્કી નથી પરંતુ પાંચમો અક્ષર લઘુ હોવાનો નિયમ છે. છઠ્ઠો અક્ષર ગુરુ હોય તો સારું અને પહેલી તથા ત્રીજી પંક્તિમાંનો સાતમો અક્ષર ગુરુ તથા બીજી અને ચોથી પંક્તિમાં સાતમો અક્ષર લઘુ ઇષ્ટ છે. ઉદા. “નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે/આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે” (કાન્ત) લગાગાલ લગાગાલ લગાગાગા લગાલગા – એ અનુષ્ટુપનો ન્યાસ છે. પરંતુ એના કેટલાક આવા ન્યાસ : ગાગાગાગા લગાગાગા ગાગાગાગા લગાલગા ગાલગાગા લગાગાગા ગાલગાગા લગાલગા લગાગાગા લગાગાગા ગાલગાગા લગાલગા લલગાગા લગાગાગા ગાગાગાલ લગાલગા – પણ થઈ શકે છે. પણ એમાં સામટા લઘુ આવી શકતા નથી એ નોંધવું જોઈએ. ઇન્દ્રવજ્રા : અક્ષર : ૧૧ ગણ : ત, ત, જ + બે ગુરુ ગાગા લગાગા લલગા લગાગા ઉદા. ચાંદો ફરંતો નભથી હું લાવી ઉદા. બેનાં રમ્યાં હોત દડો બનાવી (ચં.ચી.) ઉપેન્દ્રવજ્રા : અક્ષર : ૧૧ ગણ : જ, ત, જ + બે ગુરુ લગા લગાગા લલગા લગાગા ઉદા. દયા હતી ના નહિ કોઈ શાસ્ત્ર ઉદા. હતી તહીં કેવળ માણસાઈ (શેષ) ઇન્દ્રવજ્રાના પ્રથમ અક્ષર ‘ગા’ને સ્થાને ‘લ’ મૂકતાં નવો છંદ થયો છે. ઉપજાતિ : ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા છંદોની પંક્તિઓ એમાં આવે છે. આ મિશ્રણને ઉપજાતિ કહે છે. આવા બીજા છંદોની ઉપજાતિ પણ હોય છે. એ માટે પ્રયુક્ત ‘મિશ્રોપજાતિ’ શબ્દ યોગ્ય નથી. ઉપજાતિ પોતે જ મિશ્ર છે. સ્વાગતા : અક્ષર : ૧૧ ગણ : ર, ન, ભ + બે ગુરુ ગાલગા લલલગા લલગાગા ઉદા. વાર તો બહુ થઈ ન હતી જ્યાં ઉદા. એ પ્રદેશ , થકિ , મુક્ત થયાં ત્યાં (કાન્ત) રથોદ્ધતા : અક્ષર : ૧૧ ગણ : ર, ન, ર + લગા ગાલગા લલલગા લગાલગા ઉદા. નાથ , , એક , કરુણાકટાક્ષથી પાપપુંજ સળગી જતા અને (માણેક) સ્વાગતા છંદના નવમા-દસમા અક્ષરોનું સ્થાન અરસપરસ બદલાય છે. ‘લગા’ અહીં ‘ગાલ’ થાય છે. સ્વાગતા-રથોદ્ધતાનાં ચરણો એકજ શ્લોકમાં આવતાં એની પણ ઉપજાતિ બને છે. રથોદ્ધતાના ચરણને અંતે એક ગુરુ ઉમેરીને ઉમાશંકરે નવો લય નીપજાવ્યો છે : ‘થૈ ગદાભિમુખ નાથ હે સુતેલા’ ઇન્દ્રવંશા : અક્ષર : ૧૨ ગણ : ત, ત, જ, ર ગાગાલગાગા લલગા લગાલગા ઉદા. દીવો કદી પાલવ ઓથ છૂપતો, ઢંકાય ના ત્યાં ભડકો ભભૂકતો (ઉમાશંકર) વંશસ્થ : અક્ષર : ૧૨ ગણ : જ, ત, જ, ૨ લગાલગાગા લલગા લગાલગા ઉદા. સુકોમળી ,,દેહકળી હઅરે ,અરે વસંતની ફૂંક મહીં ખરી પડી! (હરિશ્ચન્દ્ર) ઇન્દ્રવંશાના પ્રત્યેક ચરણના પહેલા ગુરુને સ્થાને લઘુ મૂકતાં અથવા ઉપેન્દ્રવજ્રાના ૧૧મા અક્ષરે લઘુ ઉમેરી ૧૨મા અક્ષરે ગુરુ ખસેડતાં આ છંદ બન્યો છે. ઇન્દ્રવંશા-વંશસ્થની ઉપજાતિ પણ લખાઈ છે. દ્રુતવિલંબિત : અક્ષર : ૧૨ ગણ : ન, ભ, ભ, ર લલલગા લલગા લલગા લગા ઉદા. ખરત પાન રહ્યાં બસ ડાંખળાં, સભર ધાન્ય થકી સુહતાં ખળાં. (ઉમાશંકર) પ્રમિતાક્ષરા : અક્ષર : ૧૨ ગણ : સ, જ, સ, સ, લલગા લગા લલલગા લલગા ઉદા. રવિતેજ ,ચંદ્ર ,સમ, ,શીતલતા ગુણ ગાય સર્વજન આપ તણા. સ્વાગતામાં આરંભે બે લઘુ ઉમેરીને અને છેલ્લો ગુરુ કાઢી નાખવાથી બનેલો છંદ દ્રુતવિલંબિતનો ત્રીજો-ચોથો સંધિ અહીં પહેલા-બીજા તરીકે અને પહેલો-બીજો ત્રીજા-ચોથા સંધિ તરીકે છે.

તોટક : અક્ષર : ૧૨ ગણ : સ, સ, સ, સ લલગા લલગા લલગા લલગા ઉદા. તુજ રંગ બધા મુજ આ તનમાં પ્રસરી કંઈ નૃત્ય નવું કરતા (ખબરદાર)

ભુજંગી : અક્ષર : ૧૨ ગણ : ય, ય, ય, ય લગાગા લગાગા લગાગા લગાગા ઉદા. વડાં પાથર્યાં આભનાં પત્ર કાળાં લખી તેજના શબ્દથી મંત્રમાળા (ન્હાનાલાલ) સ્રગ્વિણી : અક્ષર : ૧૨ ગણ : ર, ર, ર, ર ગાલગા ગાલગા ગાલગા ગાલગા ઉદા. ઇન્દુ જેવાં જુઓ બિંબ આકાશમાં, ભાળિયે આપણે ઇન્દુ આભાસમાં (દલપતરામ)

તોટક, ભુજંગી અને સ્રગ્વિણી છંદોનો મેળ આવર્તનાત્મક છે. એના એ લલગા/લગાગા/ગાલગા સંધિ તેમાં પુનરુક્ત થતા હોવાથી અર્વાચીન પિંગલકારો એ છંદોને માત્રામેળી કે માત્રામેળની લગાત્મક જાતિના ગણે છે. મંજુભાષિણી : અક્ષર : ૧૩ ગણ : સ, જ, સ, જ + ગા રન્૬-૧ = લલગા લગા લલલગા લગાલગા ઉદા. કરુણા, તણી ,મુરતિ,, વા શરીરિણી વિરહ વ્યથા જ, વન જાય, જાનકી (ભવભૂતિ) રથોદ્ધતાના ચરણ પૂર્વે બે ગુરુ ઉમેરવાથી આ છંદ બન્યો છે. વસંતતિલકા : અક્ષર : ૧૪ ગણ : ત, ભ, જ, જ + ગાગા ગાગાલગા લલલગા લલગા લગાગા ઉદા. ઘંટારવે હયદપિ હના ,,રણકાર હકીધો, ને તોય રે અમલ ગુંજનનો શું પીધો! (રાજેન્દ્ર શાહ) લોમવિલોમ રચનાવાળું સ્વરૂપ. પ્રથમ છ અક્ષરોનું અને ચરણને અંતે વાંચતાં છ અક્ષરોનું સ્વરૂપ સરખું છે. વચ્ચે ‘લગા’ છે. આ છંદના કેટલાક પ્રયોગો પણ થયા છે : ‘વીતી ગઈ મિલનની રજની, જતાં જતાં’–માં અંતભાગમાં(૧૪મે) એક લઘુ ઉમેરેલો છે. ‘અવાજના નગરમાં વસતો અવાજના’–માં આરંભે ગુરુને સ્થાને લઘુ મૂકેલો છે અને છેલ્લા ગુરુ પહેલાં લઘુ ઉમેરેલો છે : આવા અનેક પ્રયોગો થયા છે. પૃથ્વી : અક્ષર : ૧૨ ગણ : જ, સ, જ, સ, યલકગા લગા લલલગા લગા લલલગા લગા ગાલગા ઉદા. ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા! (સુન્દરમ્) કેટલાક પૃથ્વી છંદના આઠમા અક્ષરે કોમળ યતિ માને છે. એ પૂર્વે ખંડને બેવડાવીને અભ્યસ્ત કે ખંડપૃથ્વી કહીને એને ઓળખાવ્યો છે. ઉદા. સ્વીકારી કંઈ નાચતી ઉદા. સખી નયન રાચતી ઉદા. વિયોગ ન કળાવતી થઈ અલોપ એ ઘોડલી (બ.ક.ઠા.) ઠાકોરે અને પછી કેટલાકે પૃથ્વીમાં ત્રણ માત્રા (લલલ/ગાલ/ લગા) ઉમેરી પૃથ્વીતિલક પણ રચ્યો છે. ‘ગયાં પ્રિય સુતાસુતો, તડતડ તુટિ ગૈ ઉમેદો બધી’ હવે યતિવાળા છંદો જોઈએ. પ્રત્યેક ચરણને અંતે અર્થાત્ ચરણાન્ત યતિ છે એટલે એ બધે દર્શાવ્યો નથી. શાલિની : અક્ષર : ૧૧ ગણ : મ, ત, ત + ગાગા, યતિ : ચોથા અક્ષરે ગાગાગાગા ગાલગા ગાલગાગા ઉદા. જે કૈં માણી, ,જિંદગીની, ઉજાણી જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ. પહેલો ખંડ ચાર ગુરુનો હોવાથી તરત યતિ આવે છે. યતિ પૂર્વે પ્રત્યેક છંદમાં ગુરુ આવે છે. આ છંદમાંથી અનેક છંદો બનેલા છે એ યથાસ્થાને નોંધીશું. ગુજરાતીમાં ખાસ નહીં વપરાયેલો વૈશ્વદેવી શાલિનીના પહેલા ખંડમાં એક ગુરુના ઉમેરણથી બનેલો છે. એટલે વૈશ્વદેવીનો પહેલો ખંડ પાંચ ગુરુનો (કુલ અક્ષર : ૧૨) બનેલો છે. લલિત : અક્ષર: ૧૧ ગણ : ન, ર, ર + લગા, યતિ : છઠ્ઠા અક્ષરે લલલ ગાલગા, ગાલગા લગા ઉદા. શરદ શી સુહે! વાદળાં ગયાં જળ ,નદી તણાં ,નીતરાં થયાં (પહેલા ખંડમાં બે લઘુ પછી લગાલગા, બીજા ખંડમાં એક ગુરુ પછી લગાલગા. કરુણરસના નિરૂપણ માટે આ છંદ પ્રસિદ્ધ છે.) પ્રહર્ષિણી : અક્ષર : ૧૩ ગણ : મ, ન, જ, ર + ગા, યતિ : ત્રીજા અક્ષરે ગાગાગા, લલલલગા લગા લગાગા ઉદા. અશ્રુનાં જલ ટપકી નવીન આવ્યાં, એ ગાળે ,સરવરમાં ,સરોજ ,દીઠાં. રુચિરા : અક્ષર : ૧૩ ગણ : જ, ભ, સ, જ + ગા લગાલગા લલલલગા લગાલગા ઉદા. સદૈવ હું, ભજું તુજને જ ભારતી, રખે મને કવિજનની વિસારતી. માલિની : અક્ષર : ૧૫ ગણ : ન, ન, મ, ય, ય, યતિ : આઠમા અક્ષરે લલલલલલગાગા ગાલગા ગાલગાગા ઉદા. કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. (કલાપી) (છેલ્લા સાત અક્ષરનો બીજો ખંડ શાલિનીનો ઉત્તર ખંડ છે.) મંદાક્રાન્તા : અક્ષર : ૧૭ ગણ : મ, ભ, ન, ત, ત + ગાગા યતિ : બે : ચોથા અને દસમા અક્ષરે ગાગાગાગા, લલલલલગા, ગાલગા ગાલગાગા ઉદા. કીધો નીચે સુતનુ કરને એ પ્રમાણે કચે જ્યાં ઉદા. ઝાંખા જેવો વિધુ પણ થયો દૈન્ય દેખી નભે ત્યાં. આ છંદ શાલિનીના બે ખંડો વચ્ચે ‘લલલલલગા’ એ છ અક્ષરનો ખંડ ઉમેરવાથી બન્યો છે. મંદાક્રાન્તાના પહેલા ખંડને બેવડાવીને ખંડ મંદાક્રાન્તા પ્રયોજાયો છે. પહેલા ખંડને ત્રેવડાવવાનાં દૃષ્ટાંતો પણ મળે છે : ‘અર્ધાં સૂકાં, ખાવા ધાયે, ક્ષેત્રો લૂખાં, વિણકણસલાં, ગાવડી શાં વસૂક્યાં’ ક્યાંક છેલ્લા ખંડમાં ત્રણ શ્રુતિ ઉમેરીને છંદનો વિસ્તાર પણ કર્યો છે : ‘થોડું કંપે કર હૃદય થો-ડું દ્રવે થોડું...થોડું જ એ તો!’ હરિણી : અક્ષર : ૧૭ ગણ : ન, સ, મ, ર, સ + લગા યતિ : બે, છઠ્ઠા અને દસમા અક્ષરે લલલલલગા, ગગાગાગા, લગા લલગા લગા ઉદા. કપુરધવલા, ,આછી ગાઢી, હસે મૃદુ ચાંદની પવન પર થૈ, ધોળાં ધોળાં, ખસે રૂપ ચોસલાં મંદાક્રાન્તાનો પહેલો અને બીજો ખંડ અહીં અનુક્રમે બીજો અને પહેલો છે. ત્રીજો ખંડ જુદો જ છે. શિખરિણી : અક્ષર : ૧૭ ગણ : ય, મ, ન, સ, ભ + લગા યતિ : છઠ્ઠા અક્ષરે લગાગાગાગાગા લલલલલગા ગાલ લલગા ઉદા. તરે જે શોભાથી, વનવન વિશે બાલહરિણી, સરે વા જે રીતે, સુરસરિતમાં સૌમ્ય કરિણી. આ છંદના પ્રથમ ખંડને બેવડાવીને કવિ કાન્તે ખંડ શિખરિણી પ્રયોજ્યો છે. એમાં એ બેવડાવેલા ખંડ પછી શિખરિણીની એક/બે પંક્તિ મૂકી પછી બીજો ખંડ પણ બેવડાવી નવીનતા પ્રગટાવી છે. આરંભે જ ઉત્તરખંડ બેવડાવવાનાં ઉદાહરણો પણ મળે છે. ક્વચિત્ જુદી જુદી પંક્તિઓમાં શિખરિણીના જુદા જુદા ખંડિત સંધિઓ દ્વારા પણ ભાવાનુરૂપ નિરૂપણ થયેલું છે. આવા પ્રયોગોથી નીપજેલા છંદને અભ્યસ્ત શિખરિણી પણ કહેવાયો છે. શાર્દૂલવિક્રીડિત : અક્ષર : ૧૯ ગણ : મ, સ, જ, સ, ત, ત + ગા યતિ : બારમા અક્ષરે ગાગાગા લલગાલગા લલલગા, ગાગાલગા ગાલગા ઉદા. હીરાની ,કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો! મોતીનાં લુમખાં બધે લળી રહ્યાં નક્ષત્રમાળા અહો! સિંહ બાર હાથની ફલાંગ મારે છે. અહીં બારમા અક્ષરે યતિ છે એટલે આ છંદનું નામ શાર્દૂલવિક્રીડિત પડ્યું હોય. લાંબા પથરાટવાળો આ છંદ મંગલાષ્ટકમાં વિશેષ પ્રયોજાય છે. એના પણ પહેલા કે બીજા ખંડને બેવડાવીને ખંડશાર્દૂલનો પ્રયોગ થયો છે. સુવદના નામે ૨૦ અક્ષરનો છંદ સંસ્કૃતમાં જાણીતો છે. ગુજરાતીમાં તે ખાસ વપરાયો નથી. સ્રગ્ધરાના પહેલા બે ખંડ અને શિખરિણીના અંત્ય છ અક્ષરો–‘ગાગાલલલગા’ના મિશ્રણથી આ છંદ બન્યો છે. સ્રગ્ધરા : અક્ષર : ૨૧ ગણ : મ, ર, ભ, ન, ય, ય, ય યતિ : બે, સાતમા અને ચૌદમા અક્ષરે ગાગાગાગા લગાગા લલલલલલગા ગાલગા ગાલગાગા ઉદા. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. આ બધા છંદોમાં અંત્ય અક્ષર લઘુ હોય તોપણ ગુરુ ગણાય છે. શાલિનીનો વિસ્તાર મંદાક્રાન્તામાં થયો છે, તો મંદાક્રાન્તાના પ્રથમ ખંડમાં ‘લગાગા’ અને બીજા ખંડમાં એક લઘુ ઉમેરી ૨૧ અક્ષરનો આ સુદીર્ઘ પટવાળો છંદ બનેલો છે. આ છંદના પણ પ્રથમ ખંડને બેવડાવીને કે ત્રેવડાવીને તેમજ કેટલીક વાર વચલા ખંડનો લોપ કરીને ખંડ સ્રગ્ધરાના પ્રયોગો થયા છે. શાલિનીમંદાક્રાન્તા અને સ્રગ્ધરા એક જ શ્લોકમાં પણ પ્રયોજાયેલા છે. વિવિધ અક્ષરમેળ/રૂપમેળ છંદો એક જ શ્લોક કે કડીમાં કવિઓએ પ્રયોજેલા છે. ઉપજાતિ અને વસંતતિલકા સાથે મંદાક્રાન્તા કે સ્રગ્ધરા, ઉપજાતિ સાથે પણ વસંતતિલકા, અનુષ્ટુપ અને શાલિની, શાલિની મંદાક્રાન્તા-સ્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત સાથે સ્રગ્ધરા-એમ વિવિધ છંદોને એક જ શ્લોકમાં ભાવવૈવિધ્ય લાવવા કવિઓએ ઉપયોગમાં લીધા છે, તો એક જ પંક્તિમાં બે છંદોના જુદા જુદા ખંડો પણ પ્રયોજાયેલા છે. ‘ને આ કંગાળ હૈયે વિપુલ મુદતણા વૈભવોને ભરે ભરે’ (સુન્દરમ્) એ પંક્તિમાં સ્રગ્ધરાના બે ખંડો સાથે અનુષ્ટુપની પંક્તિ ત્રીજા ખંડ તરીકે આવે છે. ‘જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં’ (ચન્દ્રકાન્ત ટોપીવાળા) એ પંક્તિમાં પ્રથમખંડ શિખરિણીનો અને બાકીના ખંડ મંદાક્રાન્તાના છે. અથવા પહેલી ૧૨ શ્રુતિ શિખરિણીની અને પછીની ૭ શ્રુતિ મંદાક્રાન્તાની છે. આ નવો, ધ્યાનપાત્ર પ્રયોગ છે. એક પંક્તિ હરિણીની અને બીજી પંક્તિ પૃથ્વી કે મંદાક્રાન્તાની એમ સળંગ રચના થઈ હોય એવાં પણ કેટલાંક ઉદાહરણો મળે છે. પહેલીચોથી પંક્તિ હરિણીની અને વચલી બે (બીજી-ત્રીજી) પંક્તિઓ પૃથ્વીની હોય એવી રચનાઓ પણ થઈ છે. જુદા જુદા છંદોના યતિખંડોના ન્યાસથી નવીન વૃત્તરચનાઓ પણ થયેલી છે. મંદાક્રાન્તાના વચલા ખંડમાં છ અક્ષરને બદલે સ્રગ્ધરાનો સાત અક્ષરનો ખંડ કવિઓએ પ્રયોજેલો છે. મંદાક્રાન્તાના પહેલા બે ખંડો અને હરિણીનો અથવા શાર્દૂલવિક્રીડિતનો અંત્ય ખંડ, માલિનીના પ્રથમ ખંડ સાથે હરિણીનો અંત્ય ખંડ, ‘બધાં મારાં વ્હાણો ઉદધિ ઉતરી બુડ્યાં જઈ બંદરે’માં પ્રથમ ખંડ શિખરિણીનો, બીજો ખંડ મંદાક્રાન્તાનો અને ત્રીજો ખંડ હરિણીનો છે. છેલ્લા ખંડને ‘બંદરે આવી બૂડ્યાં’ એમ મૂકતાં તે શાર્દૂલનો અંત્ય ખંડ બને છે. આ રીતે યતિખંડોના જુદા જુદા ન્યાસોથી નવાં વૃત્તો પણ અસ્તિત્વમાં આવે છે. એમને ‘ભારાક્રાન્તા’, ‘હારિણી’, ‘ક્રાન્તશિખરિણી’ વગેરે જેવાં નામો અપાયાં છે. આ જ રીતે પહેલો બાર અક્ષરનો અંત્ય ખંડ શિખરિણીનો – એવા અનેક સંગમ-વ્યાપારને આ ક્ષેત્રે અવકાશ છે. સંસ્કૃતમાં રથોદ્ધતાના બે સંધિઓ ‘ગાલગા લલલગા’ પછી દ્રુતવિલંબિતના ‘લલગા લલગા લગા’ સંધિઓ જોડાઈને રમણીય કે નૂતન છંદ પ્રયોજાયેલો છે. એમાં રથોદ્ધતાનો બીજો સંધિ ‘લલલગા’ દ્રુતવિલંબિતનો પહેલો સંધિ પણ હોવાથી એમ કહી શકાય કે રથોદ્ધતાનો પહેલો સંધિ ‘ગાલગા’ દ્રુતવિલંબિતમાં સંગમ પામ્યો છે. ગુજરાતીમાં ઉમાશંકરે ‘પ્રાચીના’માં રથોદ્ધતાના ચરણ એક ગુરુ ઉમેરી વિસ્તારેલું છે. એટલે એનો અંત્ય સંધિ ‘લગાલગા’ને બદલે ‘લગા લગાગા’ એમ બે સંધિમાં વિભાજિત થાય છે. ‘થૈ ગદાભિમુખ, નાથ હે સુતેલા’ તો, ‘ઊરુઘાત દઈ યુદ્ધનિષિદ્ધ! હાર્યાં!’ – ‘ગાલગા લલગા લલગા લગાગા’માં ઉપાંત્ય (ત્રીજો) સંધિ ‘લગા’ને બદલે ‘લલગા’ પ્રયોજાયો છે. એમ પણ કહી શકાય કે આ પંક્તિ વસંતતિલકાના પ્રથમ ગુરુના લોપથી બનેલી છે.

માત્રામેળ છંદો

છંદોના મુખ્ય બે પ્રકારો : વૃત્ત અને જાતિ. વૃત્તો એ અક્ષરો – લઘુ – ગુરુની સ્થિરક્રમથી થતી ગોઠવણીથી નિષ્પન્ન થતા અક્ષરમેળ કે રૂપમેળ છંદો છે એ આપણે ઉપર જોઈ ગયા. જાતિ છંદોમાં એક જ સંધિનાં નક્કી કરેલી સંખ્યાનાં આવર્તનોની બનેલી પંક્તિઓ હોય છે. ટૂંકમાં, અક્ષરમેળ/ રૂપમેળ છંદોમાં લઘુ-ગુરુની મુકરર કરેલી અક્ષરસંખ્યા હોય છે જ્યારે જાતિ છંદોમાં મુકરર કરેલી માત્રાસંખ્યા (લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા) હોય છે. અને એ માત્રા સંખ્યાના સંધિઓ ત્રણ (દાલ), ચાર (દાદા), પાંચ (દાલદા) કે સાત (દાલદાદા) માત્રાના હોય છે. એ ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ અને સપ્તકલ સંધિ તરીકે ઓળખાય છે. આ જાતિછંદોના માત્રામેળ, સંખ્યામેળ અને લયમેળ એવા ત્રણ વિભાગો છે. કારણકે એમાં માત્રાની સંખ્યા જુદી જુદી રીતે પૂરવામાં આવે છે. જોકે આ ત્રણેય પ્રકારના છંદોમાં સંધિનાં આવર્તનો થતાં અનિવાર્ય રીતે પ્રતીત થવા જોઈએ. પ્રથમ આપણે માત્રામેળ છંદો જોઈએ : માત્રામેળ છંદોમાં આ સંધિઓનું આવર્તન થતાં છંદની પંક્તિની નક્કી કરેલી માત્રાસંખ્યા પૂરી થાય છે. જેમકે હરિગીત છંદમાં ૨૮ માત્રા છે. એમાં સાત માત્રાનો સપ્તકલસંધિ દાલદાદા (અક્ષરમેળથી માત્રામેળના સંધિ જુદા દર્શાવવા અહીં ગુરુના ‘ગા’ને બદલે ‘દા’ સંજ્ઞા પ્રયોજાય છે.) ચાર વાર આવે છે. એટલે માત્રામેળ છંદોને ‘આવૃત્તિ’(માત્રા)સંધિમેળ’ છંદો એવું નામ પણ આપવામાં આવ્યું છે. માત્રામેળ છંદોના સંધિઓમાં તાલ આવે છે અને કાવ્ય વાંચતાં તે થડકારા રૂપે સંભળાય છે. સંગીતના જુદા જુદા તાલમાંથી માત્રામેળના સંધિઓ અને તાલ ઊતરી આવેલા છે. આ રીતે માત્રામેળ છંદોની પંક્તિઓમાં અક્ષરો (લઘુ કે ગુરુ) ગમે તેટલા આવી શકે પણ માત્રાની સંખ્યા ૧૪, ૧૫, ૧૬, ૨૧, ૨૪, ૨૮, ૩૭ – એમ નિશ્ચિત કરેલી જ આવે અને એના સંધિઓનું આવર્તન થવું જ જોઈએ. એમાં દરેક સંધિની અમુક સ્થાનની માત્રા ઉપર તાલ આવે છે. આ છંદોમાં એક ગુરુની જગ્યાએ બે લઘુ કે બે લઘુની જગ્યાએ એક ગુરુ એના સંધિઓના માપમાં આવી શકે. એના સંધિઓ આવર્તિત હોવાથી એકસરખા જ હોય છે. એમાં યતિ છંદનો અનિવાર્ય અંશ નથી. યતિ હોય તો એની પૂર્વે લઘુ અક્ષર પણ આવી શકે પરંતુ ચરણને અંતે એમાં પ્રાસ અનિવાર્ય ગણાયો છે. કારણકે પ્રાસ દ્વારા પંક્તિનો અંત સૂચવાય છે. સંધિઓનું આવર્તન થતું હોવાથી એને અટકાવવા માટે પ્રાસ જરૂરી છે. ઉપરાંત પંક્તિનો અંત દર્શાવવા અન્ત્યસંધિને સ્થિર લગાત્મક રૂપ પણ આપેલું છે. તેમજ કેટલીકવાર અંત્યસંધિમાં અક્ષરમાત્રા ખંડિત પણ કરેલી હોય છે. ખંડિત થયેલી અક્ષરમાત્રા (જેમકે દાદા દાદા દાદા દાલ – એ ચોપાઈ છંદમાં અંત્યસંધિ ચારને બદલે ત્રણ માત્રાનો છે. પરંતુ પઠનમાં એ અંત્યસંધિનો દા બેને બદલે ત્રણ માત્રા જેટલો સમય લેતાં ચતુષ્કલ સંધિનું માપ મળી રહે છે. (બેથી વઘુ માત્રા લેતાં આવા અક્ષરને પ્લુત કહેવામાં આવે છે.) આ પ્રકારની ચતુષ્કલ રચનાઓમાં બને ત્યાં સુધી આરંભમાં ‘લગાલ’ (જગણ) નથી આવતો. ઉપરાંત પંક્તિમાં કોઈપણ સ્થાને બે ‘લગાલ’ (બે જગણ) સાથે આવવા ન દેવા જોઈએ. એ કાળજી ન રખાય તો રચના સફાઈદાર બનતી નથી. ઉધોર : માત્રા ૧૪ તાલ : ૬ (૧, ૩, ૫, ૮, ૧૦, ૧૨ માત્રાએ) દાદા દાલ દાદા દાલ ઉદા. સંઘરશો ન ઘરમાં સાપ, ઉદા. સંઘરશો ન પ્રૌઢાં પાપ. ચોપાઈ : માત્રા : ૧૫ તાલ : ૪ (૧, ૫, ૯, ૧૩ માત્રાએ) દાદા દાદા દાદા દાલ ઉદા. ફરતું ફરતું શમણું એક ઉદા. આવ્યું વગડે અહીંયા છેક ચરણાકુળ : માત્રા : ૧૬ તાલ : ૪ (૧, ૫, ૯, ૧૩ માત્રાએ) દાદા દાદા દાદા દાદા ઉદા. વાદળમાં સૂરજનાં પગલાં ઉદા. ઝાકળમાં ચાંદાનાં પગલાં સંધિ : વાદળ/માં સૂ/રજનાં/પગલાં ચંદ્રાવળા : આઠ ચરણ. બીજું અને ચોથું ચરણ ૧૧ માત્રાનાં (દોહાનું બીજું ચરણ) અને બાકીનાં ૧, ૩, ૫, ૬, ૭ અને ૮, ચરણ ૧૬ માત્રાનાં(ચરણાકુળનાં). ચરણ ૨, ૪, ૫, ૬, ૭ અને ૮ પ્રાસબદ્ધ. આઠમું ચરણ પહેલા ચરણનું પુનરાવર્તન. આ છંદ વિવિધ બંધારણવાળો છે. ક્યાંક સાતમા ચરણ પછી પહેલી આખી પંક્તિ પુનરાવર્તિત થાય છે : દોહરો અને ચરણાકુળના સંશ્લેષથી થતી કાવ્યરચના. ઉદા. શોભા તારી શું વર્ણવું હમાતા કોટિ રવિનું રૂપ નારદ સરખા નૃત્ય કરે સઘળા હનમે હ,ભૂપ સઘળા નમે ભૂપ તે કહું કવિ કહે હું આદિ ન લહું પાર ન પામું ભગવત-ગુણગાતાં શોભા હતારી. છપ્પો : રોળાનાં ચાર ચરણ પછી ઉલ્લાળો(દા દાદા દાદા દાલદા દાદા દાદા દાલદા)નાં બે ચરણ એટલેકે પહેલાં ચાર ચરણ ૧૧+૧૩ માત્રાનાં અને છેલ્લાં બે ચરણ ૧૫+૧૩ = ૨૮ માત્રાનાં ઉદા. તરુવરનો નહિ તાગ ભાગ્યથી સુરતરુ ભેટે હીરા હમળે હજાર, કોહિનૂર છેક જ છેટે; બગલા બાણું ક્રોડ, હંસ કંઈ ન મળે હણવો સમળા મળે અસંખ્ય, ગરુડમહિમા ક્યાં મળવો? જન તો બહુ જડશે જગતમાં, તન તાપ ન તેથી ટળે, દિલ સત્યપણે, દલપત કહે મહાભાગ્ય સજ્જન મળે. કટાવ : એમાં ચાર ચાર માત્રાનાં ઓછાંમાં ઓછાં બે આવર્તનો તો આવવાં જોઈએ. ચરણોની સંખ્યા નક્કી નથી. પંક્તિમાં સંધિઓની સંખ્યા પણ નિશ્ચિત નથી. એમાં આઠ આઠ માત્રાનાં ચોસલાં પડી જાય છે. લાંબાં સળંગ વર્ણનો માટે આ છંદ અનુકૂળ છે. ચારચાર માત્રાનાં આવર્તનો દાદા દાદા દાદા દાદા એમ એનો સળંગ પ્રવાહ ચાલતો રહે છે. ઉદા. ગિરિવર કેરે શૈલે શૈલે વૃક્ષમાત્રને પત્રે પત્રે ઊર્મિ ઊર્મિ ઉપર નદીની લહરી લહરી સાથ વાયુની,...... પરંતુ આજનો કવિ એને આમ પ્રયોજે છે : અરધી રાતે સૂના ઢોલિયે ભરત ભરેલા/મોર અચિંતા એક સામટા/સીમ ભરીને ટહુકે. પ્લવંગમ : માત્રા : ૨૧ તાલ : ૫ (૧, ૫, ૯, ૧૩, ૧૭) અંત્ય લગા યતિ : ૧૧મી માત્રાએ દાદા દાદા દાલ લ દાદા દાલગા ઉદા. છત્રે થાતી છાંય, છડીધર છાજતા મહીદીપ : માત્રા : ૨૨ તાલ : ૪ (૧, ૭, ૧૩, ૧૯) અંત્ય ગાગા યતિ : ૧૨મી માત્રાએ દાલ દાલ દાલ દાલ, દાલ દાલ ગાગા ઉદા. છે હજી ઉપાય થાય, તો ઘણું જ સારું જે ઘડીક જાય, ઓછું થાય આયુ તારું રોળા : માત્રા : ૨૪ તાલ : ચાર-ચાર માત્રાએ (૧૧+૧૩ માત્રાના બે ખંડ), યતિ : ૧૧મી માત્રાએ દાદા દાદા દાલ/લ દાદા દાદા દાદા ઉદા. આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત દોહરો : માત્રા : ૨૪ તાલ : ૬ (૧, ૫, ૯ પૂર્વાર્ધમાં પછી ઉત્તરાર્ધમાં પણ ત્રણ), યતિ : ૧૩મી માત્રાએ દાદા દાદા દાલદા/દાદા દાદા ગાલ ઉદા. એકલ પાંખ ઉડાય ના, એકલ નહિ હસાય સોરઠો : માત્રા : ૨૪ તાલ : દોહરા પ્રમાણે. દોહરાનાં બે દલ ૧૩+૧૧ને ઉલટાવીને ૧૧+૧૩ કરવાથી સોરઠો/સોરઠિયો દુહો બને છે. યતિ : ૧૧મી માત્રાએ દાદા દાદા ગાલ/દાદા દાદા દાલદા ઉદા. એકલ નહિ હસાય, એકલ પાંખ ઉડાય ના

  • *

ઉદા. પ્રભુએ ,બાંધી ,પાળ, ,રસસાગરની ,પુણ્યથી. કુંડળિયો : દોહરાનાં બે અને રોળાનાં ચાર ચરણ મળીને કુંડળિયો બને છે. દોહરાના ઉત્તરાર્ધનો છેલ્લો યતિખંડ ‘દાદા દાદા દાલ’ રોળાની પહેલી પંક્તિમાં પુનરાવૃત્ત થાય છે – એ જ પંક્તિખંડ પુનરુક્ત થતાં બન્ને છંદો એક થઈ જતા લાગે છે, સંશ્લિષ્ટ રચના. હરિગીત : માત્રા : ૨૮ તાલ : ૮, (૩, ૬, ૧૦, ૧૩, ૧૭, ૨૦, ૨૪ અને ૨૭મી માત્રાએ), યતિ : ૧૪ કે ૧૬ માત્રાએ દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલગા સાત માત્રાનો સપ્તકલસંધિ ચાર વાર. અંતે ગુરુ સપ્તકલસંધિમાં દાલદાદા/લદાદાદા એવા સંધિ પણ આવી શકે. ઉદા. આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી, એ અમૃતે શું ઝેરનાં બિંદુ ભર્યાં વિધિએ નથી? હરિગીતના પ્રથમ નિષ્તાલ દાને કાઢી નાખતાં ૨૬ માત્રાનો વિષમ હરિગીત બને છે. ઉદા. મંદમંદ સમીર વ્હે તરુકુંજમાં બહુ મ્હાલતો દાલદાદા દાલદાદા દાલદાદા દાલદા ખંડ હરિગીત : સાત માત્રાનાં ચાર આવર્તનોમાં ૧૪-૧૪ માત્રાના બે ખંડ પડે છે. ચૌદ માત્રાના પ્રથમ ખંડમાંથી બે માત્રા કાઢી, એ ખંડને ત્રેવડાવી અંતે ચૌદ માત્રાનો ખંડ મૂકી નરસિંહરાવ દિવેટિયાએ ખંડ હરિગીત બનાવ્યો દાલદાદા દાલદા મર્ત્ય જીવન ,તો ખરે દાલદાદા દાલદા માત્રહ પૂર્વાલાપહ છે, દાલદાદા દાલદા પૂર્ણ ગીત સમૃદ્ધિ તો દાદાલદા દાદાલદા પટકાળ સંગીતે વસે પરંપરિત હરિગીત : દાદાલદા કે દાલદાદા<%૦> સંધિનું આવર્તન. ક્યાંક દાદાલદાને બદલે દાલદા અને પછી દાદાલદા સંધિ. દાદાલદા દાદાલદા આ હાથ જે સામે ધર્યો દાદાલદા દાદાલદા દાદાલ એ હાથને ઘડનારનો પણ હાથ દા] દાદાલદા દાદાલદા એના જેટલો લાચાર ને દાદાલદા પામર ઠર્યો. ક્યાંક એક સંધિ પ્રથમ પંક્તિમાંથી બીજી પંક્તિમાં રેલાય છે. એથી એક પંક્તિમાં ૨૮ માત્રા પૂરી થવાને બદલે ભાવ અને અર્થાનુસારી પંક્તિખંડો પડતાં સાત માત્રાનો સંધિ વિભાજિત થઈ બે પંક્તિઓમાં વહે છે. પઠનમાં એથી છટા આવે છે. સંધિઓની આવી લવચીકતાથી બોલચાલની લઢણો અને વિવિધ વાકભંગિઓ નવીન કવિઓ દ્વારા એમાં ઊતરી આવી છે. ઉદા. આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. – આ દૃષ્ટાંતમાં દાલદાદા સંધિનાં આવર્તનોમાં પહેલી પંક્તિનો અંત્યસંધિ ખંડિત થઈ બીજી પંક્તિમાં રેલાયો છે. ચોપાયા : માત્રા : ૨૮ તાલ : ૭ (૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૫) સાત ચતુષ્કલ સંધિ-અંત્ય ગુરુ દાગા. યતિ : ૧૬મી માત્રાએ દાદા દાદા દાદા દાદા દાદ દાદા દાગા ઉદા. પાડો શણને આટો આપો ઘરનાં ચાટે ઘંટી સવૈયા : માત્રા ૩૧/૩૨ તાલ : ૮ (૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૪, ૨૯ માત્રાએ), યતિ : ૧૬મી માત્રાએ ચતુષ્કલ સંધિનાં આઠ આવર્તનો. એકત્રીસા સવૈયામાં ચરણના છેલ્લા બે અક્ષરો ગાલ અને બત્રીસા સવૈયામાં છેલ્લા બે અક્ષરો ગાગા. દાદા દાદા દાદા દાદા દાદા દાદા દાદા ગાલ/ગાગા ૩૧ સવૈયા : અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ? ૩૨ સવૈયા : હું એક રમકડું સિંગાપુરથી સાથે લેતો આવ્યો છું. દાદા સંધિનો નીચેના ઉદાહરણમાં થયેલો પ્રયોગ આ છંદને પ્રવાહી બનાવે છે – શું શું સાથે લઈ જઈશ હું?/કહું? લઈ જઈશ હું સાથે / ખુલ્લા ખાલી હાથે/પૃથ્વી પરની સિદ્ધિ હૃદયભર વસન્તની મ્હેંકી ઊઠેલી ઉજ્જવલ મુખ શોભા જે નવતર. ઝૂલણા : માત્રા : ૩૭ તાલ : ૮ (૧, ૬, ૧૧, ૧૬, ૨૧, ૨૬, ૩૧, ૩૬ માત્રાએ) પંચકલ સંધિ દાલદાનાં સાત આવર્તન અને અંતે ગુરુ યતિ : ૧૦, ૨૦, ૩૦ માત્રાએ દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાલદા ગા ઉદા. જલધિજલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માંહિસરતી કેટલીક વાર પહેલી બે સંધિ બેવડાવી પછી સળંગ ઝૂલણાની પંક્તિ : પરંપરિત ઉદા. આજ નયનો! રડો!/હૃદય ભાંગી પડો! પૃથ્વી પેટાળના કાળના કોટડા શા ધરાકંપ સૌ સામટા ગડગડો! પરંપરિત ઝૂલણા : દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાલદા ઉદા. આવ હે મુક્તિ દિન! આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન. ગાથા/આર્યા : માત્રા : ૫૭ તાલ : ૧૫ (૧, ૫, ૯.....) દ્વિદલ ૩૦+૨૭ માત્રા ચતુષ્કલ સંધિ દાદાનાં સાત આવર્તનો. અંતે ગરુ, પ્રથમ દલની છઠ્ઠી ચતુષ્કલ સંધિ લગાલ, યતિ : ૧૨મી માત્રાએ દાદા દાદા દાદા દાદા દાદા લગાલ દાદા ગા દાદા દાદા દાદા દાદા લદાદા ગા ઉદા. દુઃખ હર દીનદયાળા, ધર્માળા પ્રભુ સદા સુકર્માળા ઉદા. ગુણવાળા ગોપાળા, સ્મરણ કરું તારું શોભાળા. ગીતિ : માત્રા : ૬૦ તાલ : ૧૬ બંને દલ ૩૦+૩૦ માત્રાનાં સરખાં, યતિ : ૧૨મી માત્રાએ ઉદા. સાંપ્રત રસમય ઋતુની કદર અરે! જાણતા નથી કોઈ ઉદા. એ મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ. ગુલબંકી : દાલ સંધિનાં આવર્તનો ઇષ્ટ રીતે લંબાવી શકાય છે. ઉદા. જન્મગાંઠ/કાળના અનંત સૂત્ર પે પડંતી જિન્દગી તણા અનેક આમળાની એક ગાંઠ અન્ય છંદો તોટક : અક્ષર : ૧૨ ગણ : સ સ સ સ લલગા લલગા લલગા લલગા છંદનું સ્વરૂપ લગાત્મક છે. સ્થિર અને પાસાદાર પરંતુ એમાં ચાર ચાર માત્રાના સંધિનું આવર્તન છે તેથી માત્રામેળની લગાત્મક જાતિમાં વર્ગીકૃત થાય છે. ઉદા. નહિ તે કંઈ દોષભર્યાં નયનો ભુજંગી : અક્ષર : ૧૨ ગણ : ય ય ય ય માત્રામેળની લગાત્મક જાતિ લગાગા લગાગા લગાગા લગાગા ઉદા. વડાં પાથર્યાં આભનાં પત્ર કાળાં લખી ,તેજના શબ્દથી ,મંત્રમાળા સ્રગ્વિણી છંદમાં પણ ગાલગા સંધિ ચાર ચાર આવે છે. ભુજંગીમાં પ્રથમ ગુરુ મૂકીને અંત્ય ગુરુ બાદ કરાયો છે. વૈતાલીય કુળ : આ કુળના છંદોને અર્ધસમ વૃત્તો કહે છે. મૂળ એ માત્રાગર્ભવૃત્તો છે. એમાં વિયોગિની છંદનું પહેલું અને ત્રીજું ચરણ માત્રામેળ છંદનું છે અને બીજું તથા ચોથું ચરણ અક્ષરમેળ/રૂપમેળ છંદનું છે. દદદા દદ ગાલ ગાલગા દદદા દાદદ ગાલ ગાલગા પહેલા ચરણમાં છ અને ત્રીજા ચરણમાં આઠ માત્રા. બીજું અને ચોથું ચરણ સરખા માપનાં ગાલ ગાલગા. પાછળથી આ છંદો લઘુગુરુનું સ્થિર રૂપ પામે છે. વિયોગિની : પહેલાં અને ત્રીજા ચરણમાં ૧૦ અક્ષર ગણ : સ સ જ+ગા બીજા અને ચોથા ચરણમાં ૧૧ અક્ષર ગણ : સ ભ ર+લગા લલગા લલગા લગાલગા શિશિરે ઉગતું સવાર આ લલગા ગાલલ ગાલગા લગા અરવા શાંત બધાં સમાધિમાં પુષ્પિતાગ્રા : પહેલા, ત્રીજા ચરણમાં ૧૨ અક્ષર ગણ : ન ન ર ય બીજા, ચાથે ચરણમાં ૧૩ અક્ષર ગણ : ન જ જ ર+ગા લલલલ લલગા લગા લગાગા લલલલગા લલગા લગા લગાગા ઉદા. સરવર જલ જેવું વ્યોમનીર અતલ પડ્યું પથરાઈ નીલ ઘેરું વિયોગિનીમાં અંતે એક ગુરુ ઉમેરતાં ઔપચ્છંદરસિક અને પુષ્પિતાગ્રામાં અંતે એક ગુરુ ઉમેરતાં અપરવક્ત્ર છંદ બને છે. સંખ્યામેળ છંદો આ છંદો હિન્દીમાંથી ગુજરાતીમાં આવ્યા છે. એમાં દરેક પંક્તિમાં નક્કી કરેલી અક્ષરસંખ્યા હોય છે. પરંતુ જેમ માત્રામેળમાં નિશ્ચિત માત્રાસંધિ (ત્રણ-ચાર-પાંચ-સાત) આવર્તિત થાય છે તેમ સંખ્યામેળમાં નિશ્ચિત કરેલી અક્ષરસંધિનું આવર્તન થાય છે. એ અક્ષરસંધિના અક્ષરો લઘુ હોય, ગુરુ હોય કે બંને હોય. જેમકે ચાર અક્ષરના ચતુરક્ષર સંધિવાળા મનહર છંદમાં ચાર ચાર અક્ષરનાં જૂથોનો બનેલો સંધિ આવર્તિત થાય છે. પણ અક્ષરમેળ છંદોની જેમ એમાં પ્રત્યેક અક્ષરનું લઘુ-ગુરુ રૂપ નિશ્ચિત હોતું નથી. મનહર : અક્ષર : ૩૧ યતિ : આઠમા અક્ષરે. ૩૧ અક્ષરની પંક્તિ લાંબી થતી હોવાથી ૧૬ અને ૧૫ અક્ષરોની બે પંક્તિ રૂપે એ લખાય છે. છેલ્લો ૩૧મો અક્ષર ગુરુ જોઈએ. ચાર ચાર અક્ષરોનાં ઝૂમખાં એમાં સ્પષ્ટ જુદાં બોલાય છે. ઉદા. રવિવારે રજા તો યે બીજા દિની બીક લાગે તેથી મને શનિવાર રવિથીયે ભાવે છે. ઘનાક્ષરી : અક્ષર : ૩ યતિ : આઠમા અક્ષરે. ૧૬-૧૬ અક્ષરોની બે પંક્તિઓ રૂપે આ છંદ લખાય છે. છેલ્લો ૩૨મો અક્ષર દૂર કરીને, છેલ્લી ચતુરક્ષર સંધિને ખંડિત કરીને આ છંદમાંથી મનહર છંદ રચાયો છે. ઉદા. ગાઈ ગાઈ ગીત તને રીઝવતો રૂડી રીતે ગુજારું છૂં દિવસ હું હવે દુઃખ ગાઈ ગાઈ. વનવેલી : મનહર-ઘનાક્ષરી છંદનું ગદ્ય જેવું પઠન થઈ શકતું હોવાથી એના ચતુરક્ષર સંધિનાં આવર્તનો નાટકની ઉક્તિને અનુકુળ લાગતાં આપણે ત્યાં વનવેલી રૂપે મનહર/ધનાક્ષરી છંદ અવતર્યો. એમાં પંક્તિ ગમે તેટલી લાંબી-ટૂંકી કરી શકાય છે અને ગમે ત્યાંથી શરૂ કરી મેળને હાનિ કર્યા વિના એ ગમે ત્યાં પૂરી કરી શકાય છે. ઉદા. જાણપણ હતું એને, શાણપણ રૂડું એથી ઉદા. જે સહસા આગંતુક ઉપાધિઓમાંથી માર્ગ કોરી કાઢે કૃષ્ણ જેમ. મુક્તધારા : મનહરના છેલ્લા ત્રણ અક્ષરના સંધિને ખંડિત કરી એને બે અક્ષરનો અને એ પણ ‘ગાલ’ રૂપે મૂકી આ નવો છંદ રચાયો છે. ઉદા. રજનીને ગળે નભગંગા જેમ દેખી રહે તેમ પ્રિયા કંઠે શોભે પુષ્પ તણો હાર

લયમેળ છંદો</cenetr>

લયમેળ છંદોના સંધિઓ માત્રામેળના જ સંધિઓ છે પરંતુ લયમેળ સંગીતપ્રધાન વિશેષ છે. મધ્યકાળના સાહિત્યમાં સર્જાયેલાં પદો, ગબી-ગરબા, આખ્યાન વગેરે તેમજ આપણી ગીતરચનાઓ લયમેળ છંદની રચનાઓ છે. માત્રામેળમાં દાદા કે દાદાલદા કે અન્ય સંધિઓનાં આવર્તનો તરત પરખાઈ જાય છે જ્યારે લયમેળ સંગીતપ્રધાન હોઈ એમાં કેટલેક સ્થળે પ્લુતિથી-સ્વરને લંબાવીને બોલવાનો હોય છે. આ પ્લુતઉચ્ચારણને કારણે એની કેટલીક સંધિઓ અન્ય સંધિઓ જેટલી માત્રાની થઈ રહે છે. ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા’ મીરાંના એ પદમાં સાત માત્રાની સપ્તકલ સંધિ(લદાદાદા)નું આવર્તન છે. એમાં લદાદાદા લદાદાદા લદાદાદા લદા લદા એમ સંધિ-આવર્તન છે. પરંતુ કેટલાક અક્ષરોનું ઉચ્ચારણ એમાં લંબાવીને કરવાનું હોવાથી એ માત્રાસંધિઓ પહેલી નજરે સપ્તકલ ન લાગતી હોવા છતાં પ્લુત ઉચ્ચારણથી સપ્તકલ થઈ રહે છે. જેમકે ‘મુખડા’નીમાં ‘મુ’નું ઉચ્ચારણ એકને બદલે બે માત્રા લે છે અને એમ છતાં ‘મુખડાની’ સપ્તકલ સંધિ બને છે. ‘માયા લાગી’ એ સંધિ ‘મા’નું ‘મ’ ઉચ્ચારણ કરતાં ‘મયા લાગી’ થઈ જઈને સપ્તકલ બને છે. ‘રે...મો’ એ સંધિમાં ‘રે’ ઉચ્ચારણમાં પાંચ માત્રા લે છે અને ‘મોહન’ના ‘મો’ સાથે ભળીને સપ્તકલ પૂરું કરે છે. ‘હન-પ્યારા’માં પણ ‘ન’ બે માત્રાનું ઉચ્ચારણ હોઈ એ સંધિ પણ સપ્તકલ. આ રીતે અહીં કેટલાક સંધિ સપ્તકલ ન હોવા છતાં પ્લુત ઉચ્ચારણની સહાયથી સપ્તકલ નીવડી લય સાધે છે. ઉદા. ‘માળા, મોતી, હાર, ઉર પર, લળકે, છે - જડાવ, ચૂડો, હાથ, કંકણ, ખળકે છે - આ ઉદાહરણ ચતુષ્કલ દેશીનું છે. ચાર-ચાર માત્રાનાં આવર્તન એમાં સ્પષ્ટ દેખાય છે. ‘હાર’ અને ‘હાથ’માંનો અંત્યાક્ષર પ્લુત ઉચ્ચાણથી બે માત્રા લે છે. ‘હંસે માંડિયો રે વિલાપ પાપી માણસાં રે’ – એ રોળાની દેશી ‘રે’ ધ્રુવખંડવાળી છે. ચતુષ્કલ સંધિનું પ્લુત ઉચ્ચારણથી છ વાર આવર્તન થાય છે. ‘જલ કમલ છાંડી જાને બાલા સ્વામી અમારો જાગશે’ – માં સપ્તકલ સંધિ આવર્તિત થાય છે. મારાં] નયણાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી’માં છ ષટ્કલો છે. એમાં ‘મારાં’ નિષ્તાલ છે. ‘એક ઝારા ઉપર ઝારી રે’ ચોપાઈની દેશી છે. ‘વૈષ્ણવ, જન તો, તેને, કહિયે, પીડ પ, રાઈ જાણે, રે – એ સવૈયાની દેશી છે. અગેય પદ્યરચના : અંગ્રેજીના બ્લેંકવર્સ જેવી સળંગ અગેય પદ્યરચના માટે કેટલાક પ્રયત્નો થયા છે. બ. ક. ઠાકોરે એ માટે પૃથ્વી છંદને સમર્થ ગણ્યો. એમાં યતિની સ્વતંત્રતા છે, એ પાઠ્ય છે, અગેય છે, ચાર પંક્તિએ શ્લોકને પૂરો કરવાની જરૂર નથી. ‘યતિભંગ’ દ્વારા એમણે અર્થને ધ્યાનમાં રાખીને યતિની રચના કરી; વાક્યનો અંત પંક્તિ કે શ્લોકને અંતે જ આવે એવી જરૂર ન સ્વીકારીને ‘શ્લોકભંગ’ કર્યો, અરે શ્લોકોને બદલે ખંડકો-પરિચ્છેદોને સ્થાન આપ્યું. એક ગુરુને બદલે બે લઘુ સ્વીકારીને ‘શ્રુતિભંગ’ કર્યો. આ ત્રણ હિકમતો દ્વારા એમણે પદ્યરચનાને પ્રવાહી બનાવી અને લાંબાં કાવ્યો માટે અગેય પદ્યરચનાનો પુરસ્કાર કર્યો. યતિભંગને તેઓ યતિસ્વાતંત્ર્ય ગણે છે. અર્થ પ્રમાણે એમાં વિરામ આવે છે. વાક્યનો અંત પણ પંક્તિ કે શ્લોકને અંતે આવવાને બદલે અર્થ અને ભાવના વહન પ્રમાણે જ્યાં જરૂર હોય ત્યાં જ આવે છે. અર્થભાવપ્રવાહની સંવાદિતા ઉપર જ એમાં ભાર મૂકવામાં આવ્યો છે. પરંપરિત : સંસ્કૃત વૃત્તોએ સંગીત છોડીને સળંગ પદ્યરચના તરફ ગતિ કરેલી છે તેવી રીતે માત્રામેળ છંદોમાંથી પણ સંગીતનું ગેયતાનું તત્ત્વ દૂર કરીને, પંક્તિમાં આવતાં સંધિઓનાં આવર્તનોનો બંધ તોડીને ગુજરાતીમાં પરંપરિત રચનાઓ થઈ છે. હરિગીત, ઝૂલણા જેમાં માત્રિક છંદો પરંપરિત બનીને ગુજરાતીમાં વિકસેલા છે. પરંપરિતમાં માત્રામેળના સંધિઓની ઓછીવત્તી સંખ્યાવાળી પંક્તિઓ રચાઈને પરંપરિત બનેલ છે. આ પરંપરિત છંદોમાં પંક્તિને છેડે આખો સંધિ પૂરો થવાને બદલે એ બીજી પંક્તિમાં રેલાય છે. ક્યાંક પંક્તિને અંતે વિરામથી સંધિ પૂરો કરી મેળ સાચવવામાં આવે છે. હરિગીતનું આ ઉદાહરણ જુઓ : ‘આ હાથ જે સામે ધર્યો/એ હાથને ઘડનારનો પણ હાથ/એના જેટલો લાચાર ને પામર ઠર્યો’ અહીં દાદાલદા સંધિ પ્રથમ પંક્તિમાં ચારને બદલે બે જ વાર આવર્તિત થાય છે, બીજી પંક્તિમાં દાદાલદા દાદાલદા દાદાલ – એમ ત્રીજો સંધિ ત્યાં અધૂરો રહી ત્રીજી પંક્તિમાં ‘એના’માંના ‘એ’ પાસે પૂરો થાય છે અને ‘–ના જેટલો લાચાર....’ દાદાલદા દાદાલદા-નો પ્રવાહ આગળ ચાલે છે. આ રીતે એક પંક્તિનો સંધિ અહીં બીજી પંક્તિમાં અને એ રીતે સંવાદ જાળવીને પછીની પંક્તિઓમાં રેલાતો જાય છે. આને કારણે એમાં બોલચાલની વિવિધ ભંગિઓને ઉતારી શકાય છે, ગદ્ય સમીપની લઢણો એમાં આવી શકે છે અને રચના પ્રવાહી બને છે. ગુજરાતી ભાષાની તાસીરને પરંપરિત છંદો વિશેષ અનુકૂળ જણાય છે. ચિ.ત્રિ.