ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીકવિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીકવિઓ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન, પારસી જેમ વિવિધ જ્ઞાતિનું વિશિષ્ટ પ્રદાન છે, એમ સ્ત્રીજાતિનું પણ વિશિષ્ટ પ્રદાન છે. આખા સમયગાળા દરમ્યાન શતાધિક સ્ત્રીકવિઓની પાંચ હજારેક રચનાઓ મળે છે. મધ્યકાલીન સમાજરચનાના સંદર્ભમાં ૨,૦૦૦ જેટલા કુલ કર્તાઓની સામે આ શતાધિક સંખ્યા પણ ધ્યાનાર્હ છે. બહુધા આ સ્ત્રીકવિઓ ભક્ત કોટિની છે, ગૃહસ્થ પણ છે. કેટલીક સ્વેચ્છાએ કુમારિકા, ત્યકતા બનીને ઈશ્વરભક્તિમાં રત રહેલી છે. કેટલીક જૈન, ક્ષત્રિય કે બ્રાહ્મણ જ્ઞાતિની છે તો હરિજન જ્ઞાતિની પણ છે. આ સ્ત્રીકવિઓએ મોટે ભાગે પદરચનાઓ કરી છે. મોટેભાગે એમને પુરુષ ગુરુઓ જ છે. કોઈ સ્ત્રીકવિ કોઈની ગુરુ બની હોય એવાં પ્રમાણો – ઉલ્લેખો મળતાં નથી. આ સ્ત્રીકવિઓમાંથી કોઈ કથાકૃતિઓની રચયિતા કે કથાકથક હોય તેવાં ઉદાહરણો પણ મળતાં નથી. ૧૪૮૨ આસપાસ જૈનસાધ્વી પદ્મશ્રીની રચેલી ‘ચારુદત્ત ચરિત્ર’ નામની ૨૫૪ કડીની એક રચના મધ્યકાલીન સ્ત્રીકવિઓમાં આરંભની રચના મનાય છે. પંદરમી શતાબ્દીની મીરાંનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું છે. એની આત્મચરિત્રાત્મક પ્રસંગોવાળી પદરચનાઓમાંથી એમની પ્રેમલક્ષણા ભક્તિની વિભાવનાનો તથા અંગતજીવન પ્રસંગોનો પરિચય મળી રહે છે. પ્રેમજન્ય વિરહનું હૃદયસ્પર્શી નિરૂપણ મીરાંને મહત્ત્વની સ્ત્રીકવિ તરીકેનાં સ્થાન-માન અપાવે છે. મીરાંના નામે મીરાંની પરંપરા પ્રકારની અનેક રચનાઓ પણ રચાઈ છે. હિન્દી, રાજસ્થાની અને વ્રજભાષામાં પણ મીરાંએ રચનાઓ કરેલી મનાય છે. સોળમી સદીમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયની વેલસખી નામની સ્ત્રીકવિએ સંસારના સુખને તુચ્છ ગણાવી તથા શ્રીનાથજી પરત્વેના ભાવને આલેખતી રચનાઓ કરી છે. એ જ સમયગાળામાં રતનબાઈ નામની જૈન કવયિત્રીની ૨૪ કડીની રેંટિયાની સઝ્ઝાય નામની રચના પણ મળે છે. ઉપરાંત વડતપ ગચ્છના નયસુંદરની શિષ્યા હેમશ્રીએ મૌન એકાદશીની સ્તુતિ અને બીજાં પદો રચેલાં છે. એમની, ‘કનકાવતીનું આખ્યાન’ જૈનકથાને આલેખતી દીર્ઘરચના પણ ખૂબ જ મહત્ત્વની છે. આ સમય દરમ્યાન પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયની વીરબાઈનું પ્રદાન પણ મહત્ત્વનું છે. એ દક્ષિણ વિસ્તારના બાલગણ પ્રાંતના ધારતા ગામનાં રહેવાસી અને ગોકુલેશ પ્રભુનાં ભક્ત હતાં. એમના પતિનું નામ વિશ્રામ હતું. ગોકુળમાં તેઓ પતિ-પત્ની સ્થાયી થયેલાં. એમનાં પદોમાં વૈષ્ણવ ભક્તિનાં વિધિવિધાન કેન્દ્રસ્થાને છે. સત્તરમી સદીનાં આનંદીબહેન, ગોમતીબહેન અને વ્રજસખીનું પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરંપરામાં મહત્ત્વનું પ્રદાન છે. ગોમતીબહેનનાં પચાસ જેટલાં પદો અને વ્રસજસખીકૃત ‘ગોપીકૃષ્ણ વાદવિવાદ’, ‘દશવિધભક્તિ’ અને ‘કૃષ્ણમિલન’ જેવી રચનાઓ તથા અજબકુંવરબાઈએ ઔરંગઝેબના વ્રજ પરના આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુલક્ષીને રચેલાં પદો વૈષ્ણવ પરંપરામાં પ્રેમલક્ષણા ભક્તિના સુંદર ઉદાહરણરૂપ છે. આ જ સમય દરમ્યાન ખરતર ગચ્છનાં જૈનસાધ્વી હેમસિદ્ધિની રચનાઓ જૈન પરંપરાને વહેતી રાખનારી રચનાઓ છે. સત્તરમી સદીના અંતભાગમાં ક્ષત્રિય સ્ત્રીભક્તકવિઓ રૂપાંદે અને તોરલનું પ્રદાન ગુજરાતી સંતવાણીમાં ખૂબ જ મહત્ત્વનું છે. મહાપંથમાં આ બન્નેનું પાયાનું પ્રદાન છે. દાસી જીવણ, મેધધારું, કતીબશા, ખીમડિયો કોટવાળ આદિએ એમની રચનાઓમાં રૂપાંદેના ખાસ ઉલ્લેખો કરેલા છે. તોરલ અને રૂપાંદેનાં બોધ-ઉપદેશનાં ભજનો મહાપંથની ભજનવાણીનું ઉજ્જ્વળ પ્રકરણ છે. એવું જ મહાપંથનું બીજું સ્ત્રીરત્ન લોયણ પણ આ સમયમાં ભજનો દ્વારા સુખ્યાત થયેલાં છે. લાખા ફુલાણી નામના રાજવીને સંબોધીને લોયણે લખેલાં ૬૨ જેટલાં ભજનો મળે છે. આ ત્રણે સ્ત્રીભક્તોએ અનુક્રમે માલદે, જેસલ અને લાખા જેવા દુરાચારીઓને ભજન દ્વારા ઉપદેશ આપીને સદ્માર્ગે વાળેલાના પુરાવાઓ પણ મળે છે. આ જ પરંપરામાં દેવાયત પંડિતનાં પત્ની દેવલદેનાં ભજનો અને ડાળલદેનાં ભજનો પણ ખૂબ મહત્ત્વનાં છે. સંત દેવીદાસની જગ્યામાંના આહીર સ્ત્રીભક્ત અમરબાઈનાં ભજનો અને મેર જ્ઞાતિનાં કવયિત્રી લીરબાઈ અને લુહાર જ્ઞાતિનાં લીળલબાઈ કે લીરલબાઈનું પ્રદાન પણ આ કક્ષાનું છે. અઢારમી સદીમાં અનાવિલ સ્ત્રીકવિ નાનીબાઈની ‘વણઝારો’ અને બીજી પદરચનાઓ, ભરુચી વૈષ્ણવ કપડવણજના દેસાઈ વેણીભાઈની પુત્રી ફુલકુવંરબાઈની ‘વિરહ વિનતી’ અને બીજાં પદો તથા અખાની શિષ્ય પરંપરામાં હરિકૃષ્ણજી નામના જ્ઞાનમાર્ગી કવિની પુત્રી રતનબાઈનાં પદો પણ ઉલ્લેખનીય પ્રકારનાં છે. ઔદિચ્ય બ્રાહ્મણ પુરીબાઈનું પ્રદાન રામભક્તિ કવિતા સંદર્ભે મહત્ત્વનું છે. એમનું ‘સીતામંગળ’ ખૂબ જ પ્રખ્યાત છે. કુંવરબાઈ, બદરીબાઈ, રૂપાંબાઈ, સહજાબાઈ નામનાં પુષ્ટિમાર્ગી સ્ત્રીકવિઓનાં પદો પણ ઉલ્લેખનીય છે. મુસ્લિમ સ્ત્રીકવિ રતનબાઈ જ્ઞાતિએ વોરા હતાં. કાયમદ્દીન ચિશ્તીની આ શિષ્યાએ રચેલાં ગરબી, પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનો પ્રવાહ છે. એની રચનાઓ ગુજરાતી ભક્તિ કવિતામાં ધર્માંતરિત પ્રજાના સાહિત્ય સંદર્ભે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ દરમ્યાન જેમણે વિપુલ માત્રામાં પ્રદાન કર્યું હોય એવાં એક ગૌરીબાઈ સીમાસ્તંભ કોટિનાં સ્ત્રીકવિ છે. વડનગરા નાગર જ્ઞાતિનાં આ સ્ત્રીકવિ અખાની શિષ્યપરંપરામાં જિતામુનિ નારાયણ કે હરિકૃષ્ણજી મહારાજનાં શિષ્યા હતાં. તેમની રચનાઓમાં ‘ગીતા’, ‘શ્રીમદ્ ભાગવત’, ઉપનિષદ આદિનો વિપુલ સંદર્ભ પણ મળે છે. ગુજરાતી જ્ઞાનમાર્ગી ધારામાં આ કવયિત્રીનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું છે. એમનાં ૬૦૦થી વધુ પદોમાં વિષયસામગ્રી જ્ઞાનમાર્ગી વેદાન્ત તત્ત્વદર્શનની છે. એમના દ્વારા ગદ્યમાં રચાયેલી ‘ગુરુશિષ્ય પ્રશ્નોત્તરી’ પણ મહત્ત્વની રચના છે. બારમાસી, ગરબી જેવા સ્વરૂપમાં પણ તેમનું પ્રદાન ઉલ્લેખનીય છે. રાગ-ઢાળ તળપદી ભાષાભિવ્યક્તિને અનુષંગે રામ-કૃષ્ણ, સગુણ, નિર્ગુણ અને અધ્યાત્માનુભવને એમણે જે રીતે ગાયો છે. એમાંથી એમની કવિત્વ શક્તિનાં દર્શન થાય છે. શાક્ત સંપ્રદાય સાથે સંકળાયેલા મીઠુ મહારાજનાં શિષ્યા જનીબાઈનું પ્રદાન પણ મહત્ત્વનું છે. મીઠુ મહારાજની ચરિત્રાત્મક વિગતોવાળાં, ગુરુ મહિમાનાં ભાવવાળાં કાવ્યો, શક્તિ સિદ્ધાન્તોના તત્ત્વદર્શનને અનુલક્ષીને રચાયેલાં પદો, ‘નવનાયિકા વર્ણન’ જેવી એમની રચનાઓ ગુજરાતી શાક્ત સાહિત્યમાં મહત્ત્વના પુરાવારૂપ છે. ઓગણીસમી સદીની પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સ્ત્રીકવિ નંદકુંવર અને ગોસ્વામી બાળક તરીકે જાણીતાં સુંદરબાઈનાં રચેલા શ્રીનાથજીનાં ધોળ તથા બીજાં પદો પરંપરાને વહેતી રાખનારી રચનાઓ છે. નડિયાદના સંતરામ મહારાજની શિષ્યા તેજબાઈનાં અને જતુબાઈનાં પદો, નિરાંત મહારાજની શિષ્યા જમુનાબાઈ અને વણારસીબાઈનાં પદો અને યોગમાર્ગી રેવારામ ભારથીનાં શિષ્યા જતુબાઈનાં પદો જ્ઞાનમાર્ગી કવિતામાં અપરોક્ષાનુભૂતિની વિષયસામગ્રીને કારણે મહત્ત્વનાં છે. ડાકોરમાં રણછોડજીના મંદિરનો માત્ર પ્રસાદ ખાઈને જ ૩૦ વર્ષ સુધી રણછોડભક્તિને જ જીવનક્રમ બનાવી દેનારાં ઇચ્છાબાઈનાં કૃષ્ણભક્તિનાં પદોમાં પરમતત્ત્વને પામવાની આરત પ્રગટ થયેલી છે. ગિરનારી સંત વેલાબાવાનાં પત્ની જસોમાએ વેલનાથે સમાધિ લીધી ત્યારે અધ્યાત્મ – વિરહભાવને પદ દ્વારા ગાયેલો અને એ કારણે સમાધિ ઉપરની શિલા ખસેડી ત્યાં પોતે પણ સમાધિ લીધેલી, આ દંતકથાની સાથે જોડાયેલું એમનું પદ ખૂબ જ પ્રખ્યાત છે. જેમનો સમય અનુમાને અઢારમી-ઓગણીસમી સદીમાં નિશ્ચિત કરી શકાય તેમ છે એવાં સ્ત્રીકવિઓમાં વડનગરા નાગર સ્ત્રીકવિ કૃષ્ણાબાઈની ‘સીતાવિવાહ’ અને ‘શ્રીકૃષ્ણની ઘોડી’માં રામ અને કૃષ્ણના જીવન સંદર્ભોને વણી લઈને રચાયેલી રચનાઓ છે. એમાંના સંઘર્ષમૂલક સંવાદોને કારણે મહત્ત્વની છે. તેમણે કૃષ્ણવિષયક હાલરડાં પણ રચેલાં છે. રામભક્તિ સાથે સંકળાયેલાં સુખ્યાત સ્ત્રીકવિ દિવાળીબાઈનું પ્રદાન પણ મહત્ત્વનું છે. રામાયણને વિષય બનાવીને રચેલાં સો જેટલાં એમનાં પદોમાં રામરાજ્યાભિષેક વર્ણનનાં ૧૦૩ પદો અને રામવિવાહની ૭૭ ગરબીઓ ખૂબ મહત્ત્વની છે. રામજન્મનાં અને રામબાળલીલાનાં એમણે રચેલાં પદો ભાલણની પરંપરામાં રચેલાં જણાય છે, તેમણે પદોમાં અનેક સ્થાને આત્મચરિત્રાત્મક વિગતો પણ વણી લીધી છે. પદોને આધારે ખ્યાલ આવે છે કે તેમણે રામાયણનો વિગતે અભ્યાસ કરેલો અને કાવ્યરચનાની તાલીમ પણ લીધેલી. ભાવનું વાતાવરણ નિર્માણ કરવાના કૌશલ્યને કારણે રામવિષયક તેમનું આ પ્રદાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું છે. વડોદરાનાં વતની અને કોઈ અવધૂતનાં શિષ્યા તથા એમની સાથે ભારતનાં વિવિધ તીર્થસ્થળોની યાત્રા કરનાર મરાઠા બ્રાહ્મણ જ્ઞાતિનાં સ્ત્રીકવિ રાધીબાઈની રચનાઓ રાધી, રાધે કે રાધાબાઈ નામે પણ મળે છે. એમનાં કૃષ્ણલીલાને વિષય બનાવીને રચેલાં ૫૦૦ જેટલાં પદો મળે છે બાળલીલા, કૃષ્ણવિવાહ, કંસવધ, મુચકંદમોક્ષ જેવા પ્રસંગો વિશે તેમણે વિપુલ પદો રચ્યાં છે. ‘મીરાં માહાત્મ્ય’ તથા ‘દત્તાત્રેય ગરબી’ પણ તેમણે રચેલી છે. સામાન્ય પ્રકારનું કવિત્વ અને નર્યા પ્રસંગ – હકીકતોનું સરળ આલેખન તેમણે કર્યું હોવા છતાં હિન્દી, મરાઠી છાંટવાળી ગુજરાતીને કારણે એ રચનાઓ ઉલ્લેખનીય બની રહે છે. સ્ત્રીકવિઓમાં ક્ષત્રિય જ્ઞાતિનાં ગંગાસતીનું સ્થાન પણ મહત્ત્વનું છે. તેમણે રચેલી યોગસાધનાની પદ્ધતિનો ખ્યાલ આપતી અને ઉપદેશાત્મક પ્રકારની કથા ગુરુમહિમાની ૬૦ જેટલી રચનાઓ સંતવાણીમાં ખૂબ જ પ્રખ્યાત છે. લય, ઢાળ, રૂપકાત્મક પદાવલિ અને અધ્યાત્માનુભવને કારણે હૃદયસ્પર્શી બનતી તેમની રચનાઓમાં જીવનવિષયક સંદર્ભો પણ પડેલા છે. તેમની દાસી તરીકે ઓળખાવાયેલી પાનબાઈને ઉદ્દેશીને પણ કેટલીક રચનાઓ રચાયેલી છે. આ પાનબાઈએ પણ થોડી પદરચનાઓ કરી છે. જેમનો સમય અનુમાને પણ નિશ્ચિત થઈ શકતો નથી અને અત્યંત ગૌણ કહી શકાય એવું જેમનું પ્રદાન છે એમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સ્ત્રીકવિઓ કલુબાઈ, રાજબાઈ, લલિતાબાઈનાં પદો, જાનકીબાઈ, મંગળીબાઈ, માનબાઈ અને રૂપાંબાઈનાં કૃષ્ણભક્તિનાં પદો, જેઠીબાઈ, જેબાઈ, માલીબાઈ, સવરીબાઈ અને સુરદારાણીનાં જ્ઞાનમાર્ગી પદો તથા કચ્છી સ્ત્રીકવિ ફુલીબાઈનાં પદો અને નરસિંહ પરંપરામાં નરસિંહ જીવનને વિષય બનાવીને પદો રચનારી રતનીબાઈનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે. બ.જા.