ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુંબઈ સમાચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુંબઈ સમાચાર : ૧-૭-૧૮૨૨ના રોજ શરૂ થયેલું ભારતનું સૌથી જૂનું વિદ્યમાન દૈનિકપત્ર. ફરદૂનજી મર્ઝબાન એના આદ્ય સ્થાપક હતા. ઐતિહાસિક ક્રમમાં રાજા રામમોહન રાય ‘સંવાદકૌમુદી’ પછી એ ભારતનું બીજું દેશી વર્તમાનપત્ર ગણાય. પ્રારંભમાં દર સોમવારે પ્રગટ થતું સાપ્તાહિક હતું. ૩-૧-૧૮૩૨થી દૈનિક બન્યું. ૧૩-૮-૩૨થી ફરદૂનજીએ સંજોગોવશાત્ એનું તંત્રીપદ છોડવું પડ્યું. એમને સ્થાને તહેમુલજી મિરઝા તંત્રી બન્યા. એ જમાનામાં દૈનિકપત્ર માટે દરરોજ નવા સમાચારો મેળવવાનું મુશ્કેલ હોવાથી ૧૮૩૩થી ‘મુંબઈ સમાચાર’ અર્ધસાપ્તાહિક બની ગયું હતું. ૧૮૫૫માં ફરીથી દૈનિક સ્વરૂપે પ્રગટ થવા માંડ્યું. પ્રારંભે પારસી સમાજના પ્રશને વિશેષત : ચર્ચતું પણ વખત જતાં સમગ્ર ગુજરાતી પ્રજાનું પત્ર બન્યું. દેશાવરમાં વસતા ગુજરાતી વેપારીવર્ગમાં આજે પણ ઐ દૈનિકની ભારે લોકપ્રિયતા છે. ગુજરાતી દૈનિકોમાં રૂઢિચુસ્ત અને પરંપરાવાદી ગણાતું આવ્યું છે. સનસનાટી કે રાજકીય ગપસપથી દૂર રહીને સમાચારો ઉપરાંત અવનવા વિભાગો એ આપે છે અને દરરોજ બે કોલમ જેટલી જગ્યા વાચકોના પત્રોને ફાળવે છે. આક્ષેપબાજી અને ચારિત્ર્યખંડનથી પર રહે છે. એના વર્તમાન તંત્રી જેહાન દારૂવાલા છે. યા.દ.