ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગભૂમિ અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગભૂમિ અને સાહિત્ય : સાહિત્યસ્વરૂપોમાંનું એક સ્વરૂપ નાટક રંગભૂમિ સાથે અનિવાર્યપણે સંકળાયેલું છે. તેનો એક પગ સાહિત્યમાં અને બીજો રંગભૂમિ પર છે. એટલે ‘નાટક’ આ બે વચ્ચેનો એવો સીમાપારનો પ્રકાર છે જેમાં સાહિત્ય અને રંગભૂમિ પરસ્પર જોડાયેલાં છે. અન્ય સાહિત્યસ્વરૂપોથી ‘નાટક’ એ રીતે જ જુદું પડે છે કે તે અભિનયનલક્ષી છે. આથી તેનો શબ્દદેહ કેવળ તે જ સ્વરૂપે સ્વયંપૂર્ણ અને પાઠ્યક્ષમ હોય તથા ‘કાવ્ય’ તરીકે અન્યનિરપેક્ષ સ્વરૂપે આસ્વાદનીય હોય તો પણ. જો તેમાં એ કૃતિને અભિનેય સ્વરૂપે અન્ય પરિમાણમાં ઉઘાડી શકાય એવી ગર્ભિત ક્ષમતા ન હોય, અને એનું કથિતશબ્દ રૂપે જ વ્યક્ત થઈ ચૂક્યું હોય તો તે તેના સંવાદાત્મક અને દૃશ્યોમાં વહેંચાયેલા આકાર સિવાય તત્ત્વત : સાહિત્યનાં અન્ય કથાત્મક સ્વરૂપોથી જુદું પડતું નથી. નાટકમાં જો અભિનેયતા હોય તો પાઠ્ય રૂપે તે આસ્વાદનીય નીવડવા છતાં પ્રત્યક્ષ અભિનીત રૂપે તે અધિક અને કદાચ જુદી જ રીતે રસપ્રદ બની રહે છે. કારણકે નાટકની રચનામાં સ્થળ સ્થળે કેવળ અભિનય દ્વારા જ અભિવ્યક્તિ અપેક્ષિત હોવાથી ત્યાં ગાળા પડતા હોય છે. આ ગાળા અભિનીત સ્વરૂપમાં પુરાય છે એટલે મૂળ રચનામાં પૂર્તિ થાય છે. એ જ રીતે સંવાદભાષા પણ ‘વાંચવા’ નહીં પણ બોલવા-સાંભળવા રચાયેલી હોય છે. આથી વાંચવાને બદલે જ્યારે તે બોલાયેલી સંભળાય છે ત્યારે બોલાવાની રીત-લક્ષણ, કાકુઓ વગેરેથી યુક્ત વાચિક સ્વરૂપ ક્યારેક પાઠકને અણધાર્યો અનુભવ પણ કરાવે છે. ક્યારેક, આ કારણે, એકજ કૃતિ જુદે જુદે રૂપે પણ પ્રત્યક્ષ થાય છે. નાટકનું શાબ્દિક સ્વરૂપ અને તેનું અભિનીત સ્વરૂપ એ વચ્ચે ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થતા પ્રકાશકિરણની જેમ, રંગકર્મીઓ દ્વારા થતા ‘વક્રીભવન’ અને અર્થઘટનની પ્રક્રિયા રહેલી હોય છે. નાટકમાં અંતર્હિત, એક અર્થમાં, વૈકલ્પિકતાનું આ પરિણામ છે. પાઠક વાંચતી વખતે એક જ વિકલ્પ મનમાં રાખીને વાંચે છે જ્યારે અભિનીત સ્વરૂપમાં તેણે ન ધાર્યા હોય એવા અન્ય વિકલ્પો પણ ઊઘડે છે. અલબત્ત, ઉત્તમ અને કુશલ નાટકકાર રચના જ એવી રીતે કરે છે. અભિનીત સ્વરૂપે પણ તેનો અભિપ્રેત અર્થ જ વ્યક્ત થાય છે. રંગકર્મીઓ મૂળથી બહુ દૂર જઈ શકતા નથી. તેમ છતાં તેમાંય અ-વ્યક્તની અભિવ્યક્તિ તો છે જ. ‘વક્રીભૂત’ કિરણ મૂળમાં અવ્યક્ત એવા અનેક રંગોમાં પ્રત્યક્ષ થાય છે. સાચું નાટક રંગભૂમિ પર જ પૂરું અવતરે છે. જે નાટ્યકૃતિમાં, તે પ્રત્યક્ષ રૂપે પ્રગટ થતાં આવી વિકસનની ક્ષમતા નથી તે સાચા સ્વરૂપમાં નાટક નથી, વાસ્તવમાં તો સાચા નાટકના વાચકે પણ તેને ‘ભજવાતું’ કલ્પીને જ વાંચવાનું હોય, નહીં તો તે તેનો યથાર્થ આસ્વાદ પામી જ ન શકે. આ અપેક્ષાને કારણે જ નાટકનું વાચન અઘરું, ને વાચકો ઓછા હોય છે. રંગભૂમિ એ બીજો છેડો છે. જેમ ભજવાય નહીં એવાં માત્ર વાંચવાનાં ‘નાટકો’ (!) પણ મળે છે તેમ વંચાય નહીં માત્ર ભજવાય એવાં નાટકો પણ મળે છે કેવળ અ-શબ્દ અભિનયનો પણ એક પ્રકાર છે, પણ આ બન્ને પેલી સંયુક્ત રેખાની સામી બાજુના છેડા છે. તેમાં પ્રત્યેક કેવળ પોતાપણું સ્થાપે છે પણ નાટકના ઉત્તમ આવિર્ભાવથી વંચિત રહે છે. નાટકનો ઉત્તમ આવિષ્કાર તો સાહિત્ય અને રંગભૂમિના સહયોગમાં જ છે. આવા સહયોગ માટે આવશ્યક એવાં તત્ત્વોના અભાવને કારણે જ આપણી કેટલીય સાહિત્યક્ષેત્રે સુપ્રતિષ્ઠિત નાટ્યકૃતિઓને તખ્તા પર આવકાર મળ્યો નથી. તો રંગભૂમિ પર શત નહીં – સહસ્રરાત્રિઓ ઊજવનાર લોકપ્રિય નાટકોને સાહિત્યમાં સ્વીકૃતિ સાંપડી નથી. કદાચ, તેમાંનાં મોટાભાગનાં મુદ્રિત જ નથી થયાં તેનું પણ એક કારણ હોઈ શકે – અને તે સાહિત્યગુણનો અભાવ. રરંગભૂમિ અને સાહિત્ય બન્ને જોડિયા કળાઓ છે, અને ઉત્તમ નાટ્યકૃતિ તો એ જ છે જે વાંચતાં અને જોતાં, ઉભવ સ્વરૂપે– સૉફોક્લિસ–શેક્સપિયર, ભાસ-કાલિદાસની કૃતિઓની જેમ, ભિન્ન ભિન્ન ભૂમિકાએ સંતર્પક નીવડે. વિ.અ.