ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૂન્યવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શૂન્યવાદ : બુદ્ધદર્શનની મહાયાન વિચારધારા. નાગાર્જુને (બીજી સદી) તેમના ‘માધ્યમિક શાસ્ત્ર’ અને તેમના અનુયાયી ‘ચતુષ્ટકમ્’ના કર્તા આર્યદેવે પૂર્વવર્તી ધાર્મિક સાહિત્ય, સવિશેષ પ્રજ્ઞાપારમિતાના આધારે આ સિદ્ધાન્ત વિકસાવ્યો. તેમણે જાગતિક પ્રપંચ અન્તત : અવાસ્તવિક તેમજ નિ :સત્ત્વ હોઈ, બધું શૂન્ય જ હોવાનો અને તેથી દૃશ્યપ્રપંચ અને શૂન્ય સ્વરૂપત : સમાન હોવાનો નોંધપાત્ર નિષ્કર્ષ તારવ્યો. તેમના મતે બધી જ સંકલ્પનાઓ તેમનાથી વિરુદ્ધધર્મીઓનાં લક્ષણો દ્વારા વ્યક્ત થતી હોઈ, સત્ અને અસત્ વચ્ચે રહેલી શૂન્યતા વિશે કશું કહી શકાય નહિ. આ તથ્યની પ્રતીતિ એ જ મોક્ષ. આમ, શૂન્યવાદ ઉત્પત્તિ, ગતિ, સ્વભાવ અને ધર્મનો નિષેધ કરી, સમસ્ત સૃષ્ટિને અનંત શૂન્યતાનો કેવળ ધારાપ્રવાહ હોવાનું સિદ્ધ કરે છે. શા.જ.દ.