ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અકાદેમી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અકાદેમી, દિલ્હી : ભારત સરકાર દ્વારા ૧૨, માર્ચ ૧૯૫૪ના રોજ સાહિત્ય અકાદમીનું ઉદ્ઘાટન થયું. બંધારણમાં જણાવ્યા મુજબ અકાદમી ભારતીય સાહિત્યનો વિકાસ, ઊંચાં સાહિત્યિક ધોરણોની સ્થાપના, ભારતીય ભાષાઓમાં સાહિત્ય-પ્રવૃત્તિઓનું સંવર્ધન તેમજ એ દ્વારા દેશની એકતાને તાકે છે. સરકાર દ્વારા સ્થાપિત હોવા છતાં સાહિત્ય અકાદમી સ્વાયત્ત સંસ્થા છે. અકાદમીના સર્વાધિકાર સામાન્ય સમિતિને સુપ્રત છે. સામાન્ય સમિતિ ૮૫ સભ્યોની બનેલી હોય છે જેમાં પ્રમુખ, આર્થિક સલાહકાર, ભારત સરકાર દ્વારા નિયુક્ત પાંચ સભ્યો, ભારતનાં રાજ્યોમાંથી આવેલા ૨૫ પ્રતિનિધિઓ, સાહિત્ય અકાદમી દ્વારા માન્ય ભાષાઓમાંથી આવેલા ૨૨ પ્રતિનિધિઓ, ભારતની યુનિવર્સિટીઓમાંથી આવેલા ૨૦ પ્રતિનિધિઓ, સામાન્ય સમિતિ દ્વારા ચૂંટાયેલા આઠ પ્રતિષ્ઠિત લેખકો, સંગીત-નાટક અકાદમી, લલિતકલા અકાદમી અને ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ – પ્રત્યેકમાંથી આવેલા એક એક પ્રતિનિધિ – વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય સમિતિ હેઠળ કાર્યવાહી સમિતિ તેમજ પ્રત્યેક ભાષાની જે તે ભાષાના પ્રતિષ્ઠિત સભ્યોની બનેલી સલાહકાર સમિતિ છે. સાહિત્ય અકાદમીએ ભારતના બંધારણ પ્રમાણેની ૧૫ ભાષાઓ ઉપરાંત ડોંગરી, અંગ્રેજી, કોંકણી, મૈથિલી, મણિપુરી, નેપાલી અને રાજસ્થાની ભાષાને પણ માન્યતા આપેલી છે. અકાદમીની મુખ્ય શાખા, રવીન્દ્રભવન, ૩૫, ફિરઝોશાહરોડ, ન્યૂ દિલ્હી : ૧૧૦૦૦૧માં છે. ઉપરાંત કલકત્તા, મદ્રાસ અને મુંબઈ ખાતે ‘એની પ્રાદેશિક શાખાઓ છે. અકાદમીનું પોતાનું આશરે ૯૦,૦૦૦ પુસ્તકોનું વિશાળ ગ્રન્થાલય છે. અકાદમી વખતોવખત સંવત્સરવ્યાખ્યાનો, લેખકમિલનો, પરિસંવાદો, કાર્યશિબિરો યોજે છે, લેખકોને પ્રવાસ અનુદાન આપે છે. તેમજ વિવિધ પ્રકાશનશ્રેણીઓ ચલાવે છે. ૧૯૫૫થી ૨૨ ભાષાઓમાં પ્રત્યેક વર્ષે શ્રેષ્ઠ પુસ્તકને અપાતો પુરસ્કાર અકાદમીનું મહત્ત્વનું અંગ છે. આ પુરસ્કાર આજે ૨૫,૦૦૦ રૂપિયાનો છે. પુરસ્કાર માટેના કેટલાક મહત્ત્વના નિયમો છે. પુસ્તક સર્જનાત્મક હોય કે વિવેચનાત્મક, પુરસ્કારનાં ત્રણ વર્ષ અગાઉ એ પ્રકાશિત હોવું જોઈએ. અનુવાદ, સંપાદન સંક્ષેપનો એમાં સમાવેશ નથી. યુનિવર્સિટી ઉપાધિ માટે તૈયાર થયેલા મહાનિબંધો કે લઘુનિબંધોનો પણ એમાં સમાવેશ નથી. આ પુરસ્કાર મરણોત્તર મળી શકે પરંતુ પુસ્તક લેખકના અવસાન પછી ત્રણ વર્ષમાં પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એકના એક લેખકને બીજી વાર પુરસ્કાર મળવાપાત્ર નથી. ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં પુરસ્કાર આપ્યો નથી. એ સિવાયનાં વર્ષોમાં પુરસ્કાર મેળવનાર કૃતિઓ આ પ્રમાણે છે : મહાદેવભાઈની ડાયરી : મહાદેવ દેસાઈ(૧૯૫૫); બૃહદ્ પિંગલ : રામનારાયણ પાઠક (૧૯૫૬); દર્શન અને ચિંતન : પંડિત સુખલાલજી(૧૯૫૮); શર્વિલક : રસિકલાલ છો. પરીખ(૧૯૬૦); કચ્છનું સાંસ્કૃતિક દર્શન : રામસિંહજી રાઠોડ(૧૯૬૧); ઉપાયન : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી(૧૯૬૨); શાંત કોલાહલ : રાજેન્દ્ર શાહ(૧૯૬૩); નૈવેદ્ય : ડૉલરરાય માંકડ(૧૯૬૪); જીવનવ્યવસ્થા : કાકાસાહેબ કાલેલકર(૧૯૬૫); ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિ-પરિવર્તન : પ્રબોધ પંડિત(૧૯૬૭); અવલોકના : ‘સુન્દરમ્’ (૧૯૬૮); કુળકથાઓ : સ્વામી આનંદ(૧૯૬૯); અભિનવનો રસવિચાર : નગીનદાસ પારેખ(૧૯૭૦); નાટ્ય ગઠરિયાં : ચન્દ્રવદન મહેતા(૧૯૭૧); કવિની શ્રદ્ધા : ઉમાશંકર જોશી (૧૯૭૩); તારતમ્ય : અનંતરાય રાવળ(૧૯૭૪); સૉક્રેટિસ : દર્શક(૧૯૭૫); અશ્વત્થ : ઉશનસ્(૧૯૭૬); ઉપરવાસ કથાત્રયી : રઘુવીર ચૌધરી(૧૯૭૭); હયાતી : હરીન્દ્ર દવે (૧૯૭૮); વમળનાં વન : જગદીશ જોશી(૧૯૭૯); અનુનય : જયન્ત પાઠક(૧૯૮૦); રચના અને સંરચના : હરિવલ્લભ ભાયાણી(૧૯૮૧); લીલેરો ઢાળ : પ્રિયકાન્ત મણિયાર (૧૯૮૨); ચિન્તયામિ મનસા : સુરેશ જોષી(૧૯૮૩); વિવેચનની પ્રક્રિયા : રમણલાલ જોશી(૧૯૮૪); સાત પગલાં આકાશમાં : કુન્દનિકા કાપડિયા(૧૯૮૫); ધૂળમાંની પગલીઓ : ચંદ્રકાન્ત શેઠ(૧૯૮૬); જટાયુ : સિતાંશુ યશશ્ચંદ્ર(૧૯૮૭); અસૂર્યલોક : ભગવતીકુમાર શર્મા(૧૯૮૮); આંગળિયાત : જોસેફ મેકવાન(૧૯૮૯); સ્ટેચ્યૂ : અનિલ જોશી (૧૯૯૦); ટોળાં અવાજ ઘોંઘાટ : લાભશંકર ઠાકર(૧૯૯૧); દેવોની ઘાટી : ભોળાભાઈ પટેલ(૧૯૯૨), ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ : નારાયણ દેસાઈ(૧૯૯૩); વિતાનસુદ બીજ : રમેશ પારેખ (૧૯૯૪); અણસાર : વર્ષા અડાલજા(૧૯૯૫); અંધારી ગલીમાં સફેદ ટપકાંઃ હિમાંશી શેલત (૧૯૯૬); કૂવોઃ અશોકપુરી ગોસ્વામી (૧૯૯૭); વાંક-દેખાં વિવેચનોઃ જયંત કોઠારી (૧૯૯૮); ગુજરાતી સાહિત્યઃ પૂર્વાર્ધ, ઉત્તરાર્ધઃ નિરંજન ભગત (૧૯૯૯); ધૂંધ ભરી ખીણઃ વીનેશ અંતાણી (૨૦૦૦); આગન્તુકઃ ધીરુબહેન પટેલ (૨૦૦૧), તત્ત્વમસિઃ ધ્રુવ ભટ્ટ (૨૦૦૨), અખેપાતરઃ બિંદુ ભટ્ટ (૨૦૦૩), સૌંદર્યની નદી નર્મદાઃ અમૃતલાલ વેગડ (૨૦૦૪); અખંડ ઝાલર વાગેઃ સુરેશ દલાલ (૨૦૦૫); રાતનો સૂરજઃરતિલાલ ‘અનિલ’ (૨૦૦૬); ગઝલ-સંહિતાઃ રાજેન્દ્ર શુક્લ (૨૦૦૭); ફટફટિયુંઃ સુમન શાહ (૨૦૦૮); વાત આપણા વિવેચનનીઃ શિરીષ પંચાલ (૨૦૦૯), છાવણીઃ ધીરેન્દ્ર મહેતા (૨૦૧૦); અંચળોઃ મોહન પરમાર (૨૦૧૧); સાક્ષીભાસ્યઃ ચંદ્રકાન્ત ટોપીવાળા (૨૦૧૨); ખારા ઝરણઃ ચિનુ મોદી (૨૦૧૩); છબિઃ ભીતરનીઃ અશ્વિન મહેતા (૨૦૧૪); અંતે આરંભ ભાગ ૧-૨ઃ રસિક શાહ (૨૦૧૫); અનેકનેકઃ કમલ વોરા (૨૦૧૬); ગુજરાતી વ્યાકરણમાં બસો વર્ષઃ ઊર્મિ દેસાઈ (૨૯૧૭); વિભાજનની વ્યથા, શરીફા વીજળીવાળા (૨૦૧૮); મોજમાં રેવું રેઃ રતિલાલ બોરીસાગર (૨૦૧૯). બનારસ ડાયરીઃ હરીશ મીનાશ્રુ (૨૦૨૦). ચં.ટો., ઈ.કુ.