ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
ગ્રંથ ૧ થી ૮
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ (૧૧૫૦–૧૪૫૦)
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨ ખંડ : ૧ (૧૪૫૦–૧૬૫૦)
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨ ખંડ : ૨ (૧૬૫૦–૧૮૫૦)
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૩ (દલપતરામથી કલાપી)
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૪ (ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી)
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૫ (૧૮૯૫–૧૯૩૫) ગાંધીયુગીન – અનુગાંધીયુગીન કવિઓ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૬ (૧૮૯૫–૧૯૩૫) ગાંધીયુગીન – અનુગાંધીયુગીન ગદ્યસર્જકો
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૭ (૧૯૧૦–૧૯૩૫) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૧
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ ખંડ : ૧ (૧૯૩૬–૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૨
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ ખંડ : ૨ (૧૯૩૬–૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૨
કુલ આઠ ભાગ અને ૪૦૪૮ પૃષ્ઠોમાં આલેખાયેલો, દસમી-અગિયારમી સદીથી વીસમી સદીના અંત સુધીના દીર્ઘ સમયગાળાને આવરી લેતો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગુજરાતી સાહિત્ય પરિષદનો એક મહત્વાકાંક્ષી પ્રકલ્પ છે. ઇ.સ. ૧૯૬૭થી ૧૯૮૧ સુધીમાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ચાર ભાગ પ્રગટ થયા અને ઇ.સ. ૧૯૯૭થી ૨૦૧૭ સુધીમાં તેના બીજા ચાર ભાગ પ્રગટ થયા છે. ગુજરાતી સાહિત્યના ઉત્તમ વિદ્વાનોએ તેના સંપાદક મંડળમાં અને પરામર્શક મંડળમાં સેવાઓ આપી છે. ઇતિહાસના અધિકરણ લખનારા સહયોગી લેખકો તરીકે પણ ગુજરાતી સાહિત્યના તેજસ્વી તજજ્ઞશ્રીઓએ સેવા આપી છે.
સમયની આનુપૂર્વીની દૃષ્ટિએ જોઈએ તો તેના પ્રથમ ભાગમાં ગુજરાતની ભૌગોલિક, રાજકીય અને સાંસ્કૃતિક ભૂમિકાને આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાનો ઉદભવ, વિકાસ, તેની સાહિત્યિક પૂર્વ પરંપરાઓ, લૌકિક કથાઓના પ્રકરણો પણ પ્રથમ ભાગમાં છે. આ રીતે ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસ અને ભાષાના ઉદભવથી લઈને સાહિત્ય અને સંસ્કૃતિને પોષક એવી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા-સાહિત્યની સમૃદ્ધ પરંપરાના મૂળ સુધી આ ઇતિહાસના લેખકો પહોંચ્યા છે.
બીજા ભાગમાં બે ખંડમાં સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સાંસ્કૃતિક અને સાહિત્યિક ભૂમિકાઓ લક્ષમાં લેવાઈ છે. જેમાં જૈનસાહિત્ય, જૈનેત્તર સાહિત્ય, જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ, સંતસાહિત્ય, સ્વામિનારાયણ સંપ્રદાય, લોકસાહિત્ય, લોકનાટ્ય ભવાઈ સુધીની સાહિત્ય ધારાઓ, મહત્વના સર્જકો, મહત્વની કૃતિઓ અને મધ્યકાળના સાહિત્ય સ્વરૂપો આવરી લેવાયા છે.
ત્રણથી આઠ ભાગમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારક, પંડિત, ગાંધી, અનુગાંધીથી સ્વાતંત્ર્યોત્તર યુગ સુધીનો સમયગાળો આવરી લેવાયો છે, જેમાં જે તે યુગની સાંસ્કૃતિક, સાહિત્યિક, રાજકીય પૃષ્ઠભૂમિ, સાહિત્ય પર તેની અસર અને દરેક યુગની લાક્ષણિકતાઓ સુપેરે ઉપસી આવી છે. આ ઉપરાંત જે તે યુગના સર્જકો, તેમની મહત્વની કૃતિઓ પણ ઐતિહાસિક તેમજ સાહિત્યિક દૃષ્ટિએ મુલવાઈ છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગથી વીસમી સદીના અંત સુધીનો ૧૫૦ વર્ષનો સમયગાળો આવરી લેતા છ ગ્રંથોમાં સાહિત્ય સ્વરૂપો, સર્જકો અને કૃતિઓની ચર્ચા તો થઈ છે, સાથોસાથ વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ જેવા મહત્વના પ્રદેશો આવરી લેવાયા છે. અહીં મુખ્ય સર્જકોની સાથે સાથે ગૌણ સર્જકોની સાહિત્યિક ઉપલબ્ધિઓ પણ આલેખાઈ છે. ગુજરાતી સાહિત્યના લગભગ તમામ સ્વરૂપો અને તેમાં કામ કરતા સર્જકો અહીં આવરી લેવાયા છે.
સમગ્ર રીતે જોઈએ તો દીર્ઘ સમયપટ, સાહિત્યની અનેક ધારાઓ, તેને અસર કરતાં પરિબળો, સમયે સમયે ઉદભવતા સાહિત્ય સ્વરૂપો તેમજ મુખ્ય અને ગૌણ સર્જકોને આવરી લેતો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્વાન અને તજજ્ઞ અભ્યાસીઓ દ્વારા ચોકસાઈપૂર્વક તૈયાર કરવાનો પ્રમાણિક પ્રયત્ન છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરના વિદ્વાન નિયામકો અને તેજસ્વી અભ્યાસનિષ્ઠ અધ્યાપકોએ તેના સંપાદનની અને લેખનની જવાબદારી પણ સંભાળી છે. જુદા જુદા અધિકરણો ગુજરાતી ભાષાના વિદ્વાન અભ્યાસીઓએ લખ્યા છે. દરેક લેખકોની પોતીકી શૈલી અને લેખન પદ્ધતિના જુદાપણાનો અનુભવ છેલ્લા બે ભાગમાં થતો હોવા છતાં આપણે એમ કહી શકીએ કે ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસીઓ અને ભાવકોને ગુજરાતી સાહિત્યના લગભગ તમામ પ્રદેશોમાં જવાની તક અને માહિતીનો શ્રદ્ધેય સ્રોત આ ઇતિહાસ બની રહે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના આ ભગીરથ કાર્યને એકત્ર ફાઉન્ડેશને ડિજિટલ પ્લેટફોર્મ પર વિશ્વ સમક્ષ મૂકીને અભ્યાસીઓ માટે તો ઉત્તમ કાર્ય કર્યું જ છે, પરંતુ સાહિત્યને કાલાતીત એવી ભૂમિકાએ પણ મૂકી દીધું છે. આ માટે એકત્ર ફાઉન્ડેશનના સ્થાપકો શ્રી અતુલ રાવલ, શ્રી રાજેશ મશરૂવાળા અને સંયોજક અનંત રાઠોડ અભિનંદનના અધિકારી છે.
— સમીર ભટ્ટ
મહામંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ