ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર







સંપાદક : રમણ સોની






Ekatra-emblem-wiki.png
એકત્ર ફાઉન્ડેશન






સંપાદક-પરિચય

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ-નિર્મિત ગુજરાતી સાહિત્યકોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની(જ. ૭-૭-૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. કવિ-વિવેચક ઉશનસ્‌ એ શોધનિબંધમાં તથા વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ,વગેરે વિવેચનગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળું વિવેચન આપનાર ડૉ. સોની ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર સતત નજર રાખતા રહ્યા છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીત વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. એમણે મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ચંદ્રહાસ-આખ્યાનનું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. સમયદર્શી સાહિત્યસંદર્ભકોશના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે. જેની ૧૭ આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન ઉપરાંત અમેરિકા છે ને, છે જ નહીં –જેવા સહજ સુંદર અનુવાદગ્રંથો, વલ્તાવાને કિનારે તથા હિમાલય અને હિમાલય જેવાં પ્રવાસ-પુસ્તકો, સાત અંગ, આઠ નંગ, અને– જેવો હાસ્યનિબંધસંગ્રહ સર્જકતાનો સ્પર્શ ધરાવે છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. અઢી દાયકા(૧૯૯૧-૨૦૧૭) સુધી એમણે કરેલા પ્રત્યક્ષ સામયિકના સંપાદને પુસ્તક-સમીક્ષા-ક્ષેત્રે અમીટ છાપ છોડી છે. પ્રત્યક્ષના ઉપક્રમે થયેલા નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં તથા અવલોકનવિશ્વ જેવા મહત્ત્વના બૃહદ સંપાદનગ્રંથો ચિરસ્મરણીય છે. વિવેચનમાં તેમજ સર્જનાત્મક લેખનમાં એમનું સઘન છતાં મરમાળુ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ તેમની વિશેષ ઓળખ છે.

—કિશોર વ્યાસ




કૃતિ-પરિચય


‘ગુજરાતી વિવેચન પરંપરા’વિશે ચારેક સંપાદન-ગ્રંથો કરવા વિચાર્યું છે એ પૈકી આ ગ્રંથ-૧ ‘સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર’વિશેનો છે. આ ગ્રંથ નર્મદથી આરંભીને છેક સામ્પ્રત સમય સુધીના વિવેચકોના ૫૩ લેખોને સમાવતું એક પ્રતિનિધિરૂપ સઘન સંપાદન છે. ગુજરાતી વિવેચન એના આરંભકાળથી જ પુસ્તક-અવલોકન, કવિ-પરિચય, ઐતિહાસિક ચર્ચા, વગેરેની સાથે સાહિત્યનો તત્ત્વ-વિચાર પણ કરતું રહ્યું છે. ને આરંભે અંગ્રેજી સાહિત્ય અને વિવેચનનું પરિશીલન એ માટે પ્રેરક બનતું રહ્યું ને સાથેસાથે સંસ્કૃતમીમાંસાનું અધ્યયન પણ તત્ત્વવિચાર-સંવર્ધક બનતું ગયું છે. સમય જતો ગયો એમ યુરપીય સાહિત્યતત્ત્વવિચારથી ને એમ વૈશ્વિક વિવેચનવિચારથી પણ ગુજરાતી વિવેચક પરિચિત ને પ્રતિભાવિત થતો ગયો. આધુનિક કાળમાં ને પછી અનુઆધુનિક કાળમાં તે તે સમયની વિચારધારાઓ સાથે ગુજરાતી વિવેચક સંવાદ સાધતો રહ્યો છે ને પોતાની મૌલિક વિચારશીલતાને પણ પ્રયોજતો ગયો છે. એટલે આ સંપાદનમાં વિવિધ દિશાઓમાં જતા ને વિવિધ દૃષ્ટિકોણો ઉપસાવતા લેખોમાંથી પસાર થવાના જિજ્ઞાસા-ઉત્તેજક આનંદ પામી શકાશે. ગુજરાતી સાહિત્ય-વિવેચનના તત્ત્વવિચારનો એક ભાતીગળ આલેખ ઊપસવાની સાથે અહીં, તત્ત્વલક્ષી વિવેચનની ઇતિહાસ-રેખા પણ જોઈ શકાશે. તાત્ત્વિક વાચનમાં રસ લેનાર જિજ્ઞાસુઓ, લેખકો, અનુસ્નાતક અભ્યાસ કરતા ને સંશોધન પણ કરતા વિદ્યાર્થીઓ, સાહિત્યના અધ્યાપકોને માટે આ સંપાદન એક હાથવગા સંદર્ભની ગરજ સારશે, એ જ રીતે ઉચ્ચતમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાસાહિત્યને વિષય તરીકે સ્વીકારનારને માટે પણ એ જરૂરી સંદર્ભ બની રહેશે. દરેક લેખના આરંભે, લેખશીર્ષક પૂર્વે વિવેચકની છબી અને જન્મવર્ષ મૂક્યાં છે ને લેખને અંતે સ્રોતગ્રંથ નોંધ્યો છે, મળ્યું ત્યાં લેખના પ્રથમ લેખન/પ્રકાશનનું વર્ષ પણ મૂક્યું છે. અનુક્રમ લેખકોના જન્મવર્ષ અનુસાર કરેલો છે. તો, હવે આ સાહિત્ય-તત્ત્વ-જગતમાં પ્રવેશીએ –

—રમણ સોની