ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હર્ષવદન ત્રિવેદી, 1961

From Ekatra Wiki
Jump to navigation Jump to search


Harshvadan Trivedi photo.jpg ૫૩
હર્ષવદન ત્રિવેદી
(૧૭.૬.૧૯૬૧)
રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર
 

રોલાં બાર્ત (Roland Barthes) (1915–1980) ફ્રાન્સના એક અગ્રણી સાહિત્યવિવેચક અને ચિંતક હતા. સંરચનાવાદ, ઉત્તરસંરચનાવાદ તથા સંકેત વિજ્ઞાન જેવા ક્ષેત્રો પર તેમનો ઘણો મોટો પ્રભાવ છે. લેખકનું મોત, આંતરપાઠ્યતા, સાંસ્કૃતિક સંકેત વ્યવસ્થાનો અભ્યાસ, સાહિત્ય અને સંસ્કૃતિને લગતી ઘણી થિયરીઓમાં તેનું મહત્ત્વનું પ્રદાન છે. તેઓ વીસમી સદીના સૌથી મહાન સાહિત્ય વિવેચકો પૈકીના એક હતા. તેમનો પ્રભાવ સાહિત્ય વિવેચન, સાંસ્કૃતિક અધ્યયનો, સમાજશાસ્ત્ર, ફિલ્મ સ્ટડીઝ, દર્શનશાસ્ત્ર સહિતના ક્ષેત્રો પર પડ્યો. રોલાં બાર્તનો જન્મ 1ર નવેમ્બર 1914ના રોજ ફ્રાન્સના શેરબૂર્ગમાં થયો હતો. પેરિસમાં તેમણે અભ્યાસ કર્યો હતો. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જ તેમને ટી.બી. થયો હતો. આ કારણે તેમને થોડોક સમય ટી.વી.ના સેનેટોરિયમમાં રહેવું પડ્યું હતું. અભ્યાસ પૂરો થયા બાદ બાર્તે આરંભમાં કેટલીક શાળાઓમાં અધ્યાપન કરાવ્યું. તે પછી તેમણે યુનિવર્સિટી કક્ષાએ પણ શિક્ષણકાર્ય કર્યું. બાર્ત સાવ નાનાં હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. આથી તેમની માતાએ જ તેમને મોટા કર્યા. બાર્ત લગભગ 60 વર્ષ એટલે કે તેમની માતાના અવસાન સુધી તેમની સાથે રહ્યા હતા. બાર્ત પર તેમની માતાનો ઊંડો પ્રભાવ હતો. કારકિર્દીના આરંભે બાર્ત સાર્ત્રના અસ્તિત્વવાદથી પ્રભાવિત હતા પણ બહુ ઝડપથી તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું. 1950ના દાયકામાં બાર્તનો ફ્રેન્ચ સાહિત્યજગતમાં પ્રવેશ થયો ત્યારે ફ્રેન્ચ સંસ્કૃતિ અને સાહિત્ય બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાની અસરમાંથી મુક્ત થયા ન હતા. યુદ્ધ બાદ ફ્રાન્સમાં આધુનિકીકરણની જે પ્રક્રિયા ચાલી તે અંગે એક ઇતિહાસકારે એવો પ્રશ્ન કર્યો કે ફ્રાન્સ પરના નાત્સી કબજા અને દમનના ડાઘાં પડી ગયા છે તેને ભૂંસવાના એક પ્રયાસ તરીકે ફ્રેન્ચ સમાજ આધુનિકીકરણ તરફ વળ્યો છે કે કેમ? (આધુનિકીકરણ એ નાત્સી કબજા અને તેના દમનના ડાઘાંઓ દૂર કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે?) આનો અર્થ એવો હતો કે ફ્રાન્સ નાત્સીઓના દમનનું શિકાર બન્યો હતો કે તેનું ભાગીદાર પણ હતું? હિટલરના દમનમાં ફ્રાન્સની તત્કાલીન સરકારની ભૂમિકા પણ શંકાસ્પદ હતી. એ જ અરસામાં ફ્રાન્સની આફ્રિકન કોલોની અલ્જીરીયામાં સ્વાતંત્ર્ય ચળવળ શરૂ થઈ. (1962માં ફ્રાન્સે તેને સ્વતંત્ર દેશ જાહેર કરી.) વૈશ્વિકસ્તરે અમેરિકા અને સોવિયેત સંઘનું વચ્ચેનું શીત યુદ્ધ વધુ ઉગ્ર બન્યું. ફ્રાન્સની સરકારે અમેરિકાને ટેકો આપ્યો પણ ફ્રેન્ચ બુદ્ધિજીવીઓ તે નીતિ સ્વીકારી શક્યા નહીં. તો બીજી બાજુ, સોવિયેત સંઘનો જડ અને દમનકારી સામ્યવાદ પણ તેમના ગળે ઉતર્યો નહીં. આમ તેમની સ્થિતિ ‘ન ઘરના ન ઘાટના’ જેવી જ થઈ. આ દ્વિધા અને તનાવ ફ્રેન્ચ અસ્તિત્વવાદી ચિંતક જાં પાઉલ સાર્ત્રના લખાણોમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયા. 1930થી 1970ના દાયકા સુધી સાર્ત્ર ફ્રેન્ચ સાહિત્યમાં અત્યંત લોકપ્રિય રહ્યા. તેમના દ્વારા પ્રચલિત અસ્તિત્વવાદ એક મોટી સાહિત્યિક ચળવળ બની અને ફ્રાન્સ બહાર પણ તે એક ફેશનરૂપ બન્યો હતો. બાર્તે લેખનની શરૂઆત 1952માં સમકાલીન સાંસ્કૃતિક ઘટનાઓ વિશે ફ્રેન્ચ અખબારોમાં લેખો લખવાથી કરી હતી. Mythologises નામની આ કટાર તેમણે વર્ષો સુધી લખી જે અત્યંત લોકપ્રિય નીવડી હતી. 1957માં આ લેખો માઇથોલોજીઝ નામે પ્રકાશિત થયા. આજે પણ બાર્તની સૌથી વધુ વંચાયેલી કોઈ કૃતિ હોય તો તે એ જ છે. આજે ‘સેલ્ફી’ અને ગૂગલ જીપીએસના જમાનામાં બાર્તની Mythologyની વિશ્લેષણ પદ્ધતિમાં સુધારા-વધારા કરીને તેને ઉપયોગમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ કૃતિ એક અર્થમાં, બીજાં વિશ્વ યુદ્ધ પછીનાં ફ્રાન્સના રોજિંદા જીવનનો ચિતાર આપે છે. બાર્ત એ વખતની ‘યુગચેતના’ બરાબર પકડી શક્યા હતા. આ જ કારણે તે આટલી લોકપ્રિય હતી. તેમણે તત્કાલીન ફ્રેન્ચ સમાજ અને સંસ્કૃતિના વિવિધ પાસાં, ઘટનાઓ વગેરેનું પોતાની આગવી શૈલીમાં વિશ્લેષણ કર્યું. તે જે તે ઘટના કે મુદ્દાનું વિશ્લેષણ ડુંગળીનું પડ આપણે એક પછી એક કાઢતાં જઈએ તેમ અર્થનું પડ કાઢતાં જતાં હતાં અને છેલ્લે વિશ્લેષ્ય પદાર્થનું તાત્પર્ય બહાર લાવતા હતા. તેમના વિષયોની પસંદગી પણ વ્યાપક હતી. કુસ્તીની દુનિયા, ફિલ્મ કલાકારોના ફોટાઓ, ફિલ્મોમાં નિરૂપિત રોમન પ્રજા, વેકેશન ગાળી રહેલા લેખકો, વોશિંગ પાવડરની જાહેર ખબરો વગેરે. આ ઘટનાઓ તરફનો બાર્તનો અભિગમ ઘણો વિશિષ્ટ અને બિનપરંપરાગત હતો. 1960ના દાયકાના ફ્રાન્સનું બૌદ્ધિક વાતાવરણ જે પ્રકારનું હતું તેમાં સમાજને અસર કરતાં સાંસ્કૃતિક સંદેશાઓનું અર્થઘટન કરવું કે તેના રહસ્યનો સ્ફોટ કરવા એ ઘણી ક્રાન્તિકારી બાબત ગણાતી હતી. આંગ્લાભાષી દેશોમાં 1970 પછીના દાયકાઓમાં સાંસ્કૃતિક અધ્યયનની પરંપરા શરૂ થઈ તેમાં બાર્તના આ વિશ્લેષણોની ખાસ નોંધ લેવાઈ હતી. બાર્તનું પહેલું પુસ્તક ‘Michelet’ હતું. ‘Mythologies’ પહેલાં તેમનું જાણીતું પુસ્તક ‘Writing Degree Zero’ પણ પ્રકાશિત થઈ ચૂક્્યું હતું. આ પુસ્તક એક પ્રકારે 17મી સદીથી માંડીને વીસમી સદીના ઉત્તરાર્ધ સુધીના ફ્રેન્ચ લેખનના ઇતિહાસની રૂપરેખા દર્શાવે છે. ‘Mythologies’ પ્રકાશિત થયું એ અગાઉ બાર્તના ઉપરોક્ત બે પુસ્તકો બહાર પડ્યાં. બંને ઐતિહાસિક અને સાહિત્યક અભ્યાસને લગતા હતા. એટલે એ પછી ‘Mythologies’ જેવાં છાપાળવા લેખો બાર્ત લખે એ ઘણાં લોકો માટે આશ્ચર્યજનક હતું. તેની વિશેષતા એ હતી કે બાર્ત જે કંઈ ઘટના કે કૃતિનું વિશ્લેષણ કરતા તેમાં પરંપરાગત અવરોધોને ઓળંગીને પ્રવર્તમાન માન્યતાઓને પડકારવાને તે તત્પર રહેતા હતા. બાર્તે ઉચ્ચ સંસ્કૃતિ અને જનસંસ્કૃતિને લગતા ઉત્પાદનો કે ઘટનાઓનું સઘન વિશ્લેષણ કરીને દર્શાવ્યું કે બંને એકસમાન મહત્ત્વનાં છે. ફ્રાન્સના એ વખતના સમાજ માટે આ એક નવો અભિગમ હતો. બાર્ત માનતા હતા કે સમાજમાં અને વિશ્વમાં પોતાના સ્થાન અંગેની માનવની સમજ સમયાંતરે બદલાયા કરે છે. આ કારણે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે જે ખાઈ સર્જાય છે તેની તપાસ જરૂરી બને છે. આપણી અને આપણાં પૂર્વજો વચ્ચેના જે અંતરના કારણે આપણા અને તેમની માન્યતાઓ અને ધારણાઓ અલગ પડે છે. તે અંતર જ આપણા વર્તમાન અને ભૂતકાળને સમજવાની ચાવી છે. બે પેઢીઓ વચ્ચેની માન્યતાઓ વચ્ચેનો ટકરાવ દર્શાવે છે જે સમાજમાં જે તે સમયે જે માન્યતાઓ અને મૂલ્યો સ્વીકૃત હતા તે ઇતિહાસની નીપજ છે. આ માન્યતાઓ, ધારણાઓ અને પ્રથાઓને વર્ણાવવા માટે બાર્ત વિચારધારા (Ideology) સંજ્ઞા પ્રયોજે છે. બાર્તના મતે વિચારધારા એ સામાજિક અને આર્થિક હિતોની નીપજ છે. વર્ગવ્યવસ્થાની એ સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે. ઉચ્ચ વર્ગ સમાજમાં વર્ચસ્વ ધરાવતો હોવાથી હોવાથી, નિમ્ન વર્ગના દમન માટે ઉચ્ચ વર્ગ વિચારધારાનો પણ ઉપયોગ કરે છે.

મિથ

સાહિત્યમાં વિચારધારાના સૂચિતાર્થો પર ભાર મૂક્યા બાદ બાર્ત ‘Mythologies’માં કહે છે કે સમાજમાં ફરતા તમામ સંદેશાઆને આ જ બાબત લાગુ પડે છે. ‘મેસેજ’ એટલે માત્ર શાબ્દિક સંદેશ નહીં પણ જેને અર્થ હોય તેવી કોઈ પણ વસ્તુ. આમાં ફિલ્મ, ફોટોગ્રાફ, જાહેરખબર વગેરેની ઇમેજ, વર્ણવ્યવસ્થા આહાર, પ્રેમ અને ભાવના જેવી લાગણીઓ વિશેના વલણો, સાયકલ સ્પર્ધા, મજૂર હડતાળ, પ્રદર્શન જેવી ઘટનાઓ કે નવી કાર, રમકડાં, કપડાં જેવી રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે. બાર્તના મતે આ બધું મેસેજ છે. આ પુસ્તકમાં બાર્તે એબે પિએરે (Abbe Pierre) નામના માણસની મિથનું વિશ્લેષણ કર્યું છે. પિએરે 1950ના દાયકામાં ઘરબારવિહોણા અને સમાજથી તરછોડાયેલા લોકોના અધિકારો માટે લડત ચલાવી અને આજની ભાષામાં કહીએ તો તે મીડિયા સેલીબ્રિટી બની ગયો. તેના વાળ લઘરવઘર હતા. દાઢી લાંબી હતી. બાહ્ય દેખાવ અને ફેશન તરફ તે સાવ બેદરકાર હતો. પણ એક વાર તે અખબારોના કારણે જાણીતો બન્યો એટલે તેના લઘરવઘર વાળ માત્ર વીંખરાયેલા વાળ જ ન રહ્યા પણ તેને એક નવો અર્થ (second order meaning)પ્રાપ્ત થયો. એક મામૂલી માણસના સાદા દેખાવના બદલે તે પિયેરની નમ્રત અને ‘સ્વચ્છ’ વ્યવહારનો સંકેત બની ગયો. તેની લાંબી દાઢીનું પણ એવું જ થયું. નાના કસ્બાના પાદરીઓ ત્યારે લાંબી દાઢી રાખતા ન હતા. ધાર્મિક પરંપરામાં પણ દાઢી એ મિશનરી ભાવના તથા ત્યાગ-તિતિક્ષાનો ભાવ સૂચવે છે. આમ એક નવી મિથનો જન્મ થયો. લોકો પિયેરના સાત્ત્વિક છવિથી આકર્ષાયા અને તેની મર્યાદાઓની તેમણે અવગણના કરી. તેમને ગરીબી અને નિરાધાર લોકો માટે રાજકીય ઉકેલમાં નહીં પણ પિયેરની ચેરિટી - સેવાભાવનામાં વધારે વિશ્વાસ બેઠો. આમ સેવાકીય પ્રવૃત્તિના સંકેતો સામાજિક ન્યાયના પર્યાયરૂપ બન્યાં. બાર્તને હાડમાંસના બનેલા પિયેરમાં રસ નથી પણ તેની છબિ-ઇમેજમાં તેને રસ છે. પિએરના ઇરાદા શુભ છે - તે તેના કામને first order meaning- અર્થ અર્પે છે. આમ તેની છબિ સાથે સંકળાયેલા second order meaning દ્વારા જ બૂર્ઝવા વિચારધારાનો હેતુ સર થાય છે. આ વિચારધારા યથાસ્થિતિને કુદરતી ગણીને તે અંગે કોઈ પ્રશ્ન ખડો કરવામાં માનતી નથી. અમુક વ્યક્તિનું સમાજમાં સ્થાન કે તેમની સિદ્ધિઓ તેમને બાકીના લોકોથી અલગ કે મૂઠી ઊંચેરા તારવે છે. તેમનું સ્થાન મહામાનવ કે પરમ આરાધ્ય દેવનું થઈ જાય છે. બાર્તને આવા લોકોમાં રસ હતો. તે દર્શાવે છે કે આવા લોકો (આપણે ત્યાં દા.ત., અમિતાભ બચ્ચન) સામાન્ય માણસની જેમ જ ખાવાની, દાઢી કરવાની કે ખુરશી પર લાંબા થઈને આરામ કરવાની પ્રવૃત્તિ કરે તો તેમાંથી તે પણ આપણા જેવા જ સામાન્ય માનવ છે એવો અર્થ તારવવાને બદલે આ મિથ તેમને વિશિષ્ટ વ્યક્તિ બનાવી દે છે. સામાન્ય માણસની જેમ તેઓ જીવવાનો પ્રયત્ન કરે તો તે બાબત ચમત્કારક બની જાય છે. દા.ત., જાણીતા રામકથાકાર મોરારિબાપુ કોઈની મોટર સાયકલ પર પાછળ બેસી જાય તો તે એક મહત્ત્વની ઘટના બની જાય છે. મોટરસાયકલ પવિત્ર અને તેનો ચાલક ધન્ય બની જાય છે. વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે લોકોની આ જ મનોવૃત્તિને ધ્યાનમાં રાખીને માથે મફલર વીંટાળવા જેવી ચેષ્ટાઓ કરી છે જેના કારણે તેઓ લોકોની વધુ નજીક જઈ શક્યા છે અને ચૂંટણીમાં પણ ભવ્ય વિજય પ્રાપ્ત કરી શક્યા છે. બાર્ત મિથમેકર અને માયથોલોજીસ્ટ વચ્ચે ભેદ કરે છે. તે કહે છે કે મિથમેકરનું કામ મિથ રચવાનું છે જ્યારે માયથોલોજીસ્ટનું કામ મિથનો સ્ફોટ કરીને તેની પાછળ રહેલા જૂઠાણાં કે ભ્રાન્તિનો ભંડાફોડ કરવાનો છે. બાર્ત કહેતા કે જે ‘નિર્દોષ’ અને ‘નિર્મળ’ દેખાય છે તેની પાછળ ઘણીવાર સ્થિતિની ખોટી અને વિકૃત રજૂઆત હોય છે. તેનું પ્રેરકબળ વિચારધારા હોય છે. મિથનો રહસ્ય સ્ફોટ કરવાથી મિથની તાકાત તો ઘટે જ છે સાથોસાથ જે શક્તિશાળી આર્થિક અને રાજકીય હિતો તે સાચવે છે તે પણ નબળા પડે છે. બાર્તની આ દલીલ આજે સાચી ઠરી નથી. મિથ નબળી નથી પડી કે તે જેનાં હિતો સાચવે છે તે પરિબળો પણ ઢીલાં નથી પડ્યાં. એક મિથ-રચના તરીકે ઇમેજ સમાજજીવનનું એક સર્વસ્વીકૃત પાસું બની ગઈ છે. રાજકારણીઓ આ બાબતનો બરાબર ઉપયોગ કરી રહ્યા છે.

સંકેતવિજ્ઞાન

મિથના અભ્યાસ-વિશ્લેષણમાં દરમિયાન જ બાર્ત ભાષાવિજ્ઞાન તરફ વળ્યાં અને એમાંથી જ સંકેતવિજ્ઞાનનો તેમણે પુરસ્કાર કર્યો. સ્વિસ ભાષાવિજ્ઞાની ફર્દિનાં દ સોસ્યૂરે સંકેતવિજ્ઞાનનો વિચાર રજૂ કરેલો. તેને આગળ ધપાવવાનું કામ બાર્તે કર્યું એમ કહી શકાય. મિથના વિશ્લેષણમાં બાર્તને મિથનું અંત:સ્તવ કે તેનો અર્થ કે અર્થના પ્રકારોમાં એટલો રસ નથી જેટલો મિથિકલ અર્થનું જે રીતે પ્રત્યાયન થાય છે તેના વિશ્લેષણમાં તેનો રસ છે. તે કહે છે કે મિથ એ કોઈ પદાર્થ કે સંપ્રત્યય કે વિચાર નથી પણ એક ઉચ્ચારણ કે ‘વાચિક કાર્ય’ છે. આપ મિથનો અર્થ નહીં પણ આ અર્થનું પ્રત્યયન કેવી રીતે થાય છે તેનું મહત્ત્વ છે. મિથમાં અર્થ-સંપ્રેષણની ક્ષમતા હોવાથી તે સંપ્રેષણની એક વિશિષ્ટ વ્યવસ્થા છે. સંચારના એક પ્રકાર તરીકે માનવ ભાષાનો વ્યવસ્થિત અભ્યાસ ભાષાવિજ્ઞાનમાં થતો હોવાથી મિથના વિશ્લેષણ માટેના ઓજારોની શોધ માટે બાર્ત સ્વાભાવિકપણે જ ભાષાવિજ્ઞાન તરફ વળ્યાં અને સ્વિસ ભાષાવિજ્ઞાની ફર્દિનાં દ સોસ્યૂરના ભાષાવિચાર તરફ તેમનું ધ્યાન ગયું. સોસ્યૂરે એવું કહ્યું કે સંકેતને સિક્કાની જેમ બે બાજુ હોય છે. સંકેતક અને સંકેતિત. એ બંને વચ્ચેનો સંબંધ યાદૃચ્છિક હોય છે. બાર્તે સોસ્યૂરના સંકેતવિચારનો વિનિયોગ મિથના અભ્યાસમાં કર્યો. આગળ જેનો ઉલ્લેખ કર્યો છે તે એટલે પિયરની મિથનો દાખલો લઈએ. પિએરના લઘરવઘર વાળ માણસ કે તેના ફોટા તરફ જાઈએ ત્યારે આપણી માનસિક સ્થિતિ બરાબર હોય અને દૃષ્ટિ પણ બરાબર હોય તો આ સંકેતકનો આપણે એક ખાસ પ્રકારનો કેશ કલાપ તરીકે અર્થ તારવીએ છીએ. વિશિષ્ટ કેશકલાપ એ આ કિસ્સામાં અર્થ પ્રક્રિયાની દિશામાં પહેલું કદમ છે (first order meaning) એ પછી વિશિષ્ટ કેશકલાપ એક સંકેત તરીકે વધુ એક અર્થ નિષ્પન્ન કરે છે. તે વિનમ્રતા, સાદગીનો ખ્યાલ સૂચવે છે. આ ખ્યાલ second order meaning સૂચવે છે. આ જ કારણે બાર્ત મિથને second order semiological system કહે છે.

વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ (denotation અને connotation)

પાછળથી બાર્તે તેની પરિભાષાઓમાં ફેરફાર કરીને first order meaning માટે denotation (વાચ્યાર્થ) અને second order meaning માટે connotation (લક્ષ્યાર્થ) સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે મુખ્ય ફરક એ છે કે વાચ્યાર્થ સ્થિર, સ્થાયી છે. કેશકલાપ હંમેશા કેશકલાપ રહે છે. જ્યારે લક્ષ્યાર્થ સંદર્ભ આધારિત હોય છે. લઘરવઘર વાળ દા.ત., જુદા જુદા સમયે અને જુદી સ્થિતિ - સંદર્ભમાં તેનું અર્થઘટન અલગ થશે. દા.ત., બિન્દાસ કે તુમાખીની છબિ ઊભો કરતો, ઉદ્દંડતા વગેરે અર્થ ઉત્પન્ન થાય છે. બીજા મુદ્દો એ છે કે અનેક સંકેતોનો એક જ લક્ષ્યાર્થ હોઈ શકે છે. પિયેરના કિસ્સામાં તેની લાંબી દાઢી અને લઘરવઘર વાળ એક જ પ્રકારના લક્ષ્યાર્થ સૂચવ્યા હતા. નમ્રતા, સાદગી અને સેવાભાવના એવા બાબતો તે સૂચવતા હતા. આ લક્ષ્યાર્થ મૂળભૂતપણે વિચારધારા - સંસ્કૃતિને લગતા છે. જે વિચારોના સાહચર્યના કારણે જન્મે છે. ભાષિક સંકેતની યાદૃચ્છિક પ્રકૃતિ ભાષિક સંકેતની વ્યાખ્યામાં સોસ્યૂરે તેની યાદૃચ્છિક પ્રકૃતિ પર ભાર મૂક્યો હતો. તેણે કહ્યું કે સંકેતક અને સંકેતિત વચ્ચે કોઈ પ્રાકૃતિક સંબંધ નથી. એ સ્વીકૃત શિરસ્તાનો કે રૂઢિનો મામલો છે. સંકેતની પ્રકૃતિ યાદૃચ્છિક હોવાના કારણે વિશ્વમાં એક જ ભાષા નથી પણ અસંખ્ય ભાષાઓ છે. એમણે વિવિધ સંકેતો અને સંકેતક-સંકેતિત વચ્ચેના વિવિધ સંબંધો વિકસાવ્યા છે. બે ભાષામાં એકસરખા શબ્દ હોય તો પણ તેમનાં અર્થ અલગ થતાં હોય છે. દા.ત., Chair વર્ણસમુચ્ચયનો અર્થ ઇંગ્લીશમાં ખુરશી છે તો ફ્રેન્ચમાં માંસ એવો અર્થ થાય છે. રવાનુકારી શબ્દો ઉચ્ચારનું અનુકરણ કરે છે. તેમ છતાં જુદી જુદી ભાષાઓમાં એક જ વસ્તુનો રવ અલગ અલગ રીતે વ્યક્ત થાય છે. ઉદ્ગારવાચકોનું પણ એવું જ માનવું. દા.ત., પીડાની અભિવ્યક્તિ માટે ગુજરતીમાં ‘આહ કે ‘ઓહ‘ છે તો ઇંગ્લીશમાં ‘આઉચ‘ અને ફ્રેન્ચમાં ‘આઈ’ છે. આપણે જ્યારે ભાષા શીખીએ છીએ ત્યારે સંકેતક અને સંકેતિક વચ્ચેની કડીઓનો રેડીમેડ વારસો આપણે મેળવીએ છીએ. બાર્ત કહે છે કે આપણું રોજિંદું જીવન સાંસ્કૃતિક શિરસ્તાઓ પર આધારિત મિથથી છવાયેલું હોય છે. આ મિથોના કારણે આપણે સંસ્કૃતિને પ્રકૃતિ ગણી લેતા હોઈએ છીએ. ભાષાકીય પરિભાષાઓ અને વિભાવનાઓ સાંસ્કૃતિક ઘટનાઓને સમજવા માટે નવાં પરિપ્રેક્ષ્ય પૂરાં પાડે છે એ જોયા પછી બાર્તને એવો વિચાર આવ્યો કે તમામ માનવીય પ્રવૃત્તિઓનો અભ્યાસ સંકેતોની વ્યવસ્થાઓ કે ભાષાઓ તરીકે શા માટે કરી ન શકાય? અહીં તેને સોસ્યૂરના સંકેતવિજ્ઞાનના ખ્યાલમાં રસ પડ્યો. સોસ્યૂરના મતે ભાષા એ એક વ્યાપક સંચારવ્યવસ્થાનો હિસ્સો છે. આ જ કારણે ભાષાવિજ્ઞાનને તેણે ‘સમાજમાં પ્રર્વતતી સંકેત વ્યવસ્થા’નો અભ્યાસ કરતા એક બૃહદ વિજ્ઞાનીનો ભાગ ગણ્યો હતો. આ નવી શાખાને તેણે ‘સંકેતવિજ્ઞાન’ (semiology) તરીકે ઓળખાવી. બાર્તના અભ્યાસના તારણો ‘Elements of Semiology’ (1954) નામના પુસ્તકમાં પ્રસિદ્ધ થયા જેણે સંકેતવિજ્ઞાનના ભાવિ વિકાસનો નકશો દોરી આપ્યો. સને 1967માં તેની Fashion System (ફ્રેન્ચ: System de la Mode) બહાર પડી. બાર્તને નારી દેહને સુંદર બનાવનારા એક તત્ત્વ તરીકે ફેશનમાં રસ ન હતો. તેનો મુખ્ય રસ વસ્ત્રો કેવી રીતે સામાજિક રીતે અર્થપૂર્ણ બને છે તે જાણવામાં હતો. અહીં તેણે ફેશન મૅગેઝિનોમાં આવતા વસ્ત્રોના ફોટોગ્રાફ્સનું વર્ણન કરતી ફોટો કેપ્શનનો અભ્યાસ કર્યો હતો. અહીં બાર્ત એક અર્થમાં સોસ્યૂરથી જુદાં પડ્યા. સોસ્યૂર માનતા હતા તેમ ભાષાવિજ્ઞાન એ સંકેતવિજ્ઞાનની શાખા નહીં પણ તે એક સામાન્ય વિજ્ઞાનની શાખા બની ગઈ. સાહિત્ય શું છે? ‘The last word on Robbe Grillet?’ નિબંધમાં બાર્ત ‘સાહિત્ય શું છે?’ એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. સાહિત્ય ભાષા અને જગતને સમજવાનો પ્રયાસ કરે છે પણ આ પ્રશ્નનો કોઈ આપસી કે સંતોષકારક જવાબ તે મેળવી શકતું નથી. આમ, Literature is this question minus its answer વિશ્વની કોઈ પણ ભાષાનું સાહિત્ય પોતે ઊભા કરેલા પ્રશ્નનો જવાબ આપી શક્યું નથી. આમ ઉકેલ વિનાનો કોયડો જ સાહિત્ય છે. સાહિત્ય અને ઉપસ્થિત કરેલો કોયડો અને તેના સંભવિત ઉકેલ વચ્ચે... ભાષા માધ્યમ તરીકે કામ કરે છે. The last word on Robbe Grillet? - P. hon. ‘Critical Essays.’ Northwestern Unviersity prests. 1972. સાહિત્ય આપવાને આપણી આસપાસના વિશ્વ અંગે સભાન બનાવે છે. આપણે આપણાં જીવન, કાર્ય ઇત્યાદિ અંગે વિચારતાં હોઈએ છીએ. તે અંગે એક પ્રશ્નો પણ જાગે છે. સાહિત્ય આ પ્રશ્નોને સમજવામાં મદદ કરે છે. તેમને વિશદ બનાવે છે પણ તેના ઉત્તર મેળવવામાં આપણને મદદ કરતું નથી. જીવન કેવું હોવું જોઈએ! એવો પ્રશ્ન હોય તો તેનો કોઈ જવાબ આપવાને સાહિત્ય પૂરો પાડતું પછી પણ તે અંગે આપણને સભાન બનાવે છે.

સાર્ત્ર અને બાર્ત

અસ્તિત્વવાદી ચિંતક જાં પોલ સાર્ત્રે ‘What is Literature’(1947)માં સાહિત્યની વ્યાખ્યા બાંધવાનો પ્રયાસ કર્યો. તેના મત મુજબ સાહિત્ય એ લેખક અને વાચક વચ્ચેનો સંવાદ છે. લેખક એવું ઇચ્છતો હોય છે કે વાચક તેના સ્વાતંત્ર્યનો ઉપયોગ તેના વાચનમાં પ્રમાણભૂત રીતે કરે. (કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વિના) બીજી બાજુ વાચક પણ એવું ઇચ્છે છે કે લેખક પોતે પણ એ જ રસ્તે ચાલે. લેખનનું આ મોડેલ પ્રતિબદ્ધતાના ખ્યાલ પર અવલંબે છે. લેખક અને વાચક બંને સ્વાતંત્રતા પરત્વે પ્રતિબદ્ધ બને. સાર્ત્રએ પ્રતિબદ્ધતાના મુદ્દા વિશે સંપ્રેષણના મોડેલને ધ્યાનમાં રાખીને વિચાર્યું હતું. તેના મતે પ્રતિબદ્ધ લેખનનું કામ જગતની છવિ, માનવની સ્થિતિ ઇત્યાદિ સંપ્રેષિત કરવાનું છે. સાહિત્ય તેના પાઠકને શો સંદેશ આપે છે તેની ચર્ચા કર્યા વિના સાહિત્યના પ્રતિબદ્ધ સ્વરૂપ અંગે વાત કરવાનો કોઈ અર્થ નથી. બાર્તના ‘Writing Degree zero’ પર સાર્ત્રના આ પુસ્તકનો ઊંડો પ્રભાવ હતો. સાર્ત્રના ઘણાં વિચારોનો તેના આરંભિક કાળમાં પ્રભાવ હતો. પ્રતિબધ્ધતાના આ વિચાર અંગે બાર્ત સાર્ત્ર સાથે અસહમત હતા. ‘Writing Degree zero’ પુસ્તક બે એકબીજા સાથે સંકળાયેલા બે ભાગોમાં વહેંચાયેલું છે એક ભાગ ઐતિહાસિક અને બીજો ભાગ સાર્ત્રે રજૂ કરેલા ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસનો એક વિકલ્પ રજૂ કરે છે. ‘Writing Degree Zero’ (1953)માં તેમણે કહે છે કે સર્જક લેખનની અમુક રૂઢ શૈલીને જડપણે વળગી રહે તો તેનાથી તેની સર્જકતા અને મૌલિકતા પર અસર પડે છે. સર્જન અને સતત ચાલતી પરિવર્તનની પ્રતિમા છે. સર્જકે પોતાનાં સર્જનને સતત ઘૂંટતા રહેવું જોઈએ. 1848 બાદ ફ્રેન્ચ બૂઝર્વા સમાજમાં લેખક પોતાના પરિવેશથી પોતાને અજનબી (એલિયેનેટેડ)અનુભવે છે. પોતાના શબ્દ કે વિચારોને બાકીના સમાજનું સમર્થન છે એવો વિશ્વાસ હવે તેને રહ્યો નથી. આધુનિકોની સ્વાતંત્ર્યની શોધ અને પરાયાપન-અજનબીપનની અનુભૂતિમાં સાહિત્યની ભૂમિકા પણ નિર્દોષ હોવાનું માની શકાય નહીં. સાહિત્ય પણ આધુનિક સમાજની બીજી બધી ચીજાની જેમ બૂઝવા વર્ગના નિયંત્રણ હેઠળ છે. સાહિત્ય એ એક સંસ્થા છે અને સત્તાનું કેન્દ્ર છે. તે બૂર્ઝવાવર્ગના હિતમાં કામ કરે છે. બાર્તના આ વિચારો જર્મન ફ્રેન્કફર્ટ સ્કૂલની ઘણી નજીકના છે. ‘Writing Degree Zero’ લેખકની ભૂમિકા અને તેના દરજ્જાને સમજવા માટેનો એક નવો જ અભિગમ રજૂ કરે છે. લેખન એ સંપ્રેષણનું કૃત્ય નથી આ શૈલી અને ભાષાને જોડતી એક અભિવ્યક્તિ છે. કોઈ કૃતિનું વાચન આપણે તેના આકલન અને આનંદ માટે કરીએ છીએ. કૃતિનું વાચન પૂરું થયા બાદ આપણને ખ્યાલ આવે છે કે કૃતિ આપણી સમક્ષ પૂરેપૂરી ઉઘડી નથી. ઘણીવાર અમુક માણસોના ચહેરા પર એવા ભાવો હોય કે આપણને તેમને પૂછવાનું મન થાય કે શું વિચારો છો? કે મનમાં શું ચાલી રહ્યું છે. આ zero degree of sense છે. અર્થના સ્થગન(suspension)ની પ્રક્રિયા છે.

ઉત્તરકાળ

બાર્તના કાર્યનો બીજા ભાગ 1960ના અંતભાગમાં શરૂ થાય છે. આ ગાળામાં તે સંરચનાવાદની કેટલીક ક્ષતિઓને ધ્યાનમાં લઈને ઉત્તર સંરચનાવાદ તરફ વળે છે. આમાં બલ્ગેરિયન વિદૂષી જુલ્યા ક્રિસ્તેવાનો તેની પર મહત્ત્વનો પ્રભાવ હતો. આ ગાળામાં થયેલા તેના કાર્યમાં બે નાનાં નિબંધો અત્યંત મહત્ત્વના છે. The Death of Author (1968) અને From work to Text (1971).

લેખકનું મોત (The Death of The Autor)

1969માં મિશેલ ફૂકોએ તેનું પ્રખ્યાત ભાષણ આપ્યું What is an Author અને 1968માં બાર્તે એક સનસનીખેજ લેખ લખ્યો. The Death of Author આ લેખ પ્રતિ-માનવવાદ (anti-humanism)ના માનીતા સ્લોગનરૂપ બન્યો. 19મી સદીથી માંડીને વીસમી સદીના સાઠના દાયકાના અંત સુધી લેખક અને તેનો આશય સનાતની વિચારકો અને ફૂકો, બાર્ત જેવા આધુનિકો વચ્ચે મોટા વિવાદનો વિષય રહ્યા હતા. સાહિત્ય અને કૃતિ અંગેનો વિવાદ લેખકની આસપાસ કેન્દ્રિત હતો. વીસમી સદીના સાહિત્ય, સાહિત્ય સિદ્ધાન્ત, ઉત્તર સંરચનાવાદ, ઉત્તર આધુનિકતાવાદ વગેરેના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ લખાણ છે. કર્તાના જીવનના સંદર્ભમાં કૃતિનું વિશ્લેષણ કરતા પરંપરાગત વિવેચનનો આ લેખ વિરોધ કરે છે. ઇશ્વરનું મૃત્યુ, કૃતિનો એક ચોક્કસ અર્થ હોય છે એવા વિચારનો વિચ્છેદ, મૌલિકતાના વિચારનાં અંત જેવા ઉત્તર આધુનિકતાવાદી વલણો સાથે આ લેખ સંકળાયેલો છે. બાર્ત કહે છે કે text એ કોઈ મૌલિક સર્જન જ હોતી નથી. એ તો પ્રચલિત વિચારો કે અવતરણોની ગોઠવણી માત્ર જ હોય છે. આથી ‘લેખક’ એ ‘લેખક’ નથી પણ એક scriptor- લહિયો કે કંપોઝીટર છે. The Death of The Authorને મિશેલ ફૂકોના ‘What is an Author’ સાથે સરખાવવો જોઈએ. ‘લેખકનું મોત’ નિબંધના શીર્ષકના અનેક અર્થ થઈ શકે. વિવેચનની વાત કરીએ તો કોઈ કવિની કવિતાનું વિશ્લેષણ કવિના જીવનસંદર્ભથી મુકત રીતે કરવું તે કાવ્યના કર્તા કવિનાં મૃત્યુ સામન છે. સર્જનમાં ‘સર્વવ્યાપી કથક’ (omnipresent narrator)નાં મૃત્યુનો નિર્દેશ કરે છે. અગાઉની નવલકથાઓમાં કથક સર્વવ્યાપી બનીને ઉપસ્થિત રહેતો અને પ્રિય વાચક હવે તું જોઈશ એવા વાક્યો દ્વારા પોતાની હાજરી પૂરાવતો હતો. લેખક પાત્રો વગેરે વિશે પણ આવી રીતે માહિતી આપતો હતો. આધુનિક સર્જકો પૈકીના ઘણાએ આ પદ્ધતિનો ત્યાગ કર્યો હતો. લેખક હવે લહિયો (Scriptor) કે મુદ્રક બન્યો છે. તે કશું મૌલિક આપી શકે તેમ નથી. એક લહિયા કે મુદ્રક તરીકે તે પહેલેથી જ ઉપલબ્ધ અવતરણો ઇત્યાદિને ભેગાં કરીને તેમની ગોઠવણી કરે છે. બાર્તનો લેખકનાં મોતનો ખ્યાલ ક્રાન્તિકારી હતો. સંરચનાવાદના અસ્ત અને ઉત્તરસંરચનાવાદના ઉદયમાં તેની મહત્ત્વની ભૂમિકા હતી. લેખકનું મોત એ વાચકના જન્મનો નિર્દેશ કરે છે. કૃતિનું મૂલ્યાંકન તેના જીવનસંદર્ભના આધારે નથી કરવાનું પણ તેની ભાષા અને વાચકના ચિત્ર પર પડેલા તેના પ્રભાવના આધારે કરવાનું હોય છે. કૃતિને કર્તા હોય છે અને textને scribe હોય છે. Scribe એટલે લખનારો, જે લખે છે તે પત્રકારોને Scribe કહેવાય છે. તેઓ પહેલેથી ઉપલબ્ધ માહિતીઓ, નેતાઓ વગેરેના અવતરણો, અભિપ્રાયો વગેરે ભેગાં કરીને તેમને વૃત્તાંતરૂપે ગોઠવે છે. અખબારી ભાષામાં તે ‘Story’ કહેવાય છે પણ તે તેનો સર્જક/લેખક નથી ગણાતો. તે તેની મૌલિક રચના ગણાતી નથી. તેણે લખેલા સમાચાર વૃત્તાંતનું અર્થઘટન વાચકો પોતપોતાની મતિ પ્રમાણે કરે છે. બાર્ત કહે છે કે author એ scripter છે. કેમ કે, ભાષા એની નિજી સંપત્તિ નથી. વિચારો પણ તેનાં પોતાનાં નથી હોતા. એ તો માત્ર વિચારો અને શબ્દોને સીવવાનું કામ કરે છે તે તો એક મધ્યસ્થી (Mediator) છે. પત્રકારોની જેમ જ તે વિચારો અને શબ્દોને ભેગાં કરીને તેમને ગોઠવીને વાચક સમક્ષ રજૂ કરે છે. Death of Authorના સંપ્રત્યયના મૂળમાં આ વિચાર છે. બાર્તના એ વખતે નવા ગણાયેલા વિવેચનની દલીલ એ હતી કે લેખક એક મૂડીવાદી વિચારધારાનો એક બૂર્ઝવા અવતાર છે. સાહિત્યક ઇતિહાસ અને સાહિત્યના શિક્ષણ સર્જકની અવધારણાના આધારે રચાય છે. કૃતિનો અર્થ લેખકમાં શોધવામાં આવે છે. એટલે કે લેખકનું અંગત જીવન તેમાં પ્રતિબિંબ થાય છે. તેનું કોઈ આત્મવૃત્તાંત છે વગેરે. અહીં તે કૃતિના અર્થઘટનમાં કૃતિબાહ્ય, પરિબળો જેવા કે લેખકનો જીવનસંદર્ભ, તેનો યુગ વગેરેનો આધાર લેવાની પદ્ધતિનો વિરોધ કરે છે. અહીં તે અમેરિકન નવ્ય વિવેચકો અને રશિયન સ્વરૂપ વાદની ઘણી નજીક છે. બાર્તનું માનવું હતું કે સર્જક અને તેનું સર્જન એ બે અલગ અલગ બાબતો છે. કૃતિના વિવેચન વખતે એ બંને વચ્ચે ભેળસેળ કરવી જોઈએ. નહીં સર્જકના રાજકીય, ધાર્મિક વલણો અને તેનાં જીવનના અન્ય સંદર્ભોના પ્રકાશમાં તેની કૃતિ સમજવી સહેલી જણાય પણ તે પદ્ધતિ ભૂલ ભરેલી છે. તેનાથી વાચકની આકલનક્ષમતા મર્યાદિત થઈ જાય છે. વાચક એ સીમારેખાની બહાર નીકળી શક્યો નથી. આમ લેખક કેન્દ્રમાં ન રહેતા લેખન કેન્દ્રમાં આવે છે. વ્યાકરણમાં કર્તાનું જે સ્થાન છે એ જ લેખકનું લેખનમાં. મનોવિજ્ઞાનીઓ ‘વ્યક્તિ’ સંજ્ઞા પ્રયોજે છે ત્યારે તેમનો આવો જ ભાવાર્થ હોય છે. લેખન એ અભિવ્યક્તિનો વિષય છે જે અભિવ્યક્તિની સાથે જ નિષ્પન્ન થાય છે. ભાષાની જેમ તેને પણ કોઈ ઉદ્ગમ નથી. અને ઉદ્ગમહીન કૃતિ A tissue of citation છે. આંતર પાઠ્યતાનો ખ્યાલ પણ The Death of Authorમાંથી આવ્યો છે. હવે વાચકનો મહિમા છે. અર્થ હવે લેખકમાં નહીં વાચકમાં છે. લેખકના મોતની જાહેરાત એ કૃતિના અર્થબોધની જૂની પદ્ધતિની અવસાનનોંધ માત્ર ન હતી. સાહિત્યિક અર્થબોધ અંગેની આપણી સમજ માટેના તેના સૂચિતાર્થો ઘણાં વ્યાપક હતા. બાર્ત કહે છે કે અગાઉ કૃતિના અર્થનો ખુલાસો આપણે સર્જકના જીવન-કથનમાં શોધતા હતા જાણે કે કૃતિને એક રૂપક બનાવીને સર્જક પોતાની આપવીતી આપણને કહેતો ન હોય! લેખકના મૃત્યુ સાથે જ કૃતિની તેના સર્જક સાથેની જન્મનાળ કપાઈ જાય છે. આમ કૃતિનું અર્થઘટન કેવી રીતે કરવું તે નક્કી કરવામાં લેખકની કોઈ ભૂમિકા જ રહેતી નથી. આમ પરંપરાગત માન્યતાથી વિરુદ્ધપણે કૃતિ લેખકના જીવન કથન કે તેના સાંસ્કૃતિક પરિવેશમાંથી જ જાણી શકાય એવો કોઈ ચોક્કસ સ્થિર અને સ્થાયી અર્થસંપ્રેષણ કરતી નથી. કૃતિ વાચનમાં બહુવિધ અને સંદર્ભ-નિર્ધારિત અર્થો નિષ્પન્ન થાય છે. લેખકને કેન્દ્રમાં રાખીને, તેનું આધિપત્ય સ્વીકારીને થતાં અર્થબોધમાં એક કરતાં વધુ અર્થોને અવકાશ રહેતો નથી. હવે જ્યારે લેખકનું પ્રતીકાત્મક મૃત્યુ થયું છે ત્યારે અર્થઘટન સર્જકકેન્દ્રિત અર્થઘટન પદ્ધતિમાંથી બહાર નીકળી શકે છે. કૃતિની સાથે સર્જકને સાંકળવાથી કૃતિની એક મર્યાદા કે સીમા નક્કી થાય છે. આમ લેખકના મોતથી કૃતિની આંતરપાઠ્યતા અને વાચકનો એક અર્થઘટનકાર તરીકેનો જન્મ થાય છે. હવે વાચક કૃતિનો અર્થ પોતાની રીતે કરવા માટે મુક્ત છે. બાર્ત કહે છે કે કૃતિનો કોઈ એક અર્થ નથી થતો હોતો પણ બહુવિધ અર્થઘટનોની તેમાં શક્યતા રહેલી હોય છે. આ વિવિધ અર્થઘટનો એ માત્ર વિવિધ વાચકો અને તેમનો વિવિધ સામાજિક વલણોના કારણે શક્ય બને છે એવું નથી પણ શબ્દોના અસ્થિર અને પરિવર્તનશીલ પ્રકૃતિ, અને અસંખ્ય આંતરપાઠો (intertexts)ના કારણે બહુવિધ અર્થઘટનો શક્ય બનતા હોય છે. શબ્દો સ્થિર નથી હોતાં કારણ કે શબ્દનો અર્થ તેના બીજાં શબ્દો સાથેના સંદર્ભમાં નિર્ધારિત થાય છે. વળી ભાષિક સંકેત પોતે પણ યાદૃચ્છિક, ભેદક અને સાપેક્ષ હોય છે. સંકેતની આ અંતનિર્હિત અસ્થિરતા જ કૃતિ અંગેના વિવિધ અર્થઘટનોને શક્ય બનાવે છે. સોસ્યૂરથી પ્રેરિત સંકેત અંગેનો આ ખ્યાલ પ્રતિનિધાન (representation) અંગેના પરંપરાગત દૃષ્ટિબિંદુ પર પ્રહાર કરેછે. પ્રતિનિધાનનો પરંપરાગત વિચાર શબ્દ અને અર્થ વચ્ચેના શાશ્વત અને સ્થિર સંબંધનો નિર્દેશે કરે છે. આમ બાર્તના મતે તમામ કૃતિઓ એકબીજા સાથે સંકળાયેલી ગણે છે. એક સાંસ્કૃતિક સંદર્ભમાં પ્રવર્તતી વિવિધ કૃતિઓ વચ્ચેના આંતર સંબંધોની એક બૃહદ વ્યવસ્થામાં આ કૃતિઓ નિહિત હોય છે. પ્રત્યેક કૃતિ અન્ય કૃતિનો હિસ્સો હોય છે. અહીં એ પણ નોંધપાત્ર છે કે બાર્તના મતે લેખકનું મૃત્યુ એટલે કૃતિ કે તેના કથનનો પણ અંત. વાચક એક નિષ્ક્રિય ભોક્તા બનવાને બદલે વાચન અને અર્થઘટનની પ્રક્રિયામાં કૃતિમાં અર્થ નિષ્પન્ન કરે છે. From Work to Text (1971)માં બાર્ત આ જ મુદ્દા પર ભાર મૂકે છે. બાર્ત અહીં બે મહત્ત્વના વિચારો રજૂ કરે છે. સર્જન એક પાઠ (ટેક્સ્ટ) છે. વાચક દ્વારા પાઠનું ઉત્પાદન અને કૃતિના આનંદનું પરિણામ છે. કૃતિ એ જીવંત લેખકનો જ એક હિસ્સો છે. તેનો કૃતિ અને લેખક વચ્ચેનો સંબંધ વિશિષ્ટ હોય છે. કૃતિ એ કર્તાનું પ્રતિબિંબ સમાન છે. આ પરંપરાગત ખ્યાલનો નિર્દેશ કરે છે. કૃતિ એ એક સ્થિર વસ્તુ છે. તેને ઐતિહાસિક સંદર્ભ અને લેખકના આશયના જ્ઞાન દ્વારા સમજી શકાય છે. કૃતિના શબ્દો બાહ્ય વાસ્તવનો નિર્દેશ કરે છે. તેનામાં એક કેન્દ્ર છે જે ચોક્કસ અને સ્થિર અર્થ સંપ્રેષિત કરે છે. તેના અર્થને નિયંત્રિત કરી શકાય છે. આ પરંપરાગત ખ્યાલ હતો. બાર્ત લેખક-કૃતિ (Writerly)અને વાચક-કૃતિ (Readerly) વચ્ચે મહત્ત્વનો ભેદ કરે છે. લેખક-કૃતિમાં લેખકના જીવનમાં અર્થ શોધી શકાય છે જ્યારે વાચકકૃતિ irreducible છે. તેને અર્થઘટનના કોઈ ચોક્કસ માળખામાં બાંધી શકાતી નથી. બાર્ત કૃતિ (work) અને (text) વચ્ચે ભેદ કરે છે. કૃતિથી વિરુદ્ધપણે textનો અર્થ અસ્થિર છે. કારણ કે ભાષાની પ્રકૃતિ અને આંતરપાઠ્યતાના કારણે નિષ્પન્ન અર્થોની ક્રીડાનો તે ભાગ બને છે. પાઠ લેખકના મોતમાંથી નિષ્પન્ન થાય છે. કૃતિ એક નક્કર પદાર્થ છે. જેને બાંધી (binding) છે અને જેને કબાટમાં મૂકી શકાય છે. જ્યારે text અનિર્ધારિત, અસ્થિર, અચોક્કસ અને લપસણો છે ને કોઈ પદાર્થ હોવાને બદલે તે વાચન, અનુભવ અને અર્થઘટનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં text વિસ્ફુટિત (explode) થાય છે. From Work To text લેખમાં ‘text’ અને ‘work’ એ બે સંપ્રત્યયોની ચર્ચા કરતી વખતે બાર્ત ટેક્સ્ટ સંજ્ઞાની વ્યાખ્યા કરવાના બદલે આ બંને સંપ્રત્યયો વચ્ચેના ભેદોની ચર્ચા કરે છે. બાર્ત આ બંને સંપ્રત્યયો વચ્ચેના ભેદની ચર્ચા સાત પ્રકથનો (propositions)ના આધારે કરે છે. 1. પદ્ધતિ (Method): બાર્ત કહે છે કે ‘કૃતિ’ એ નક્કર અને મૂર્ત પદાર્થ છે. જેમ કે, એક પુસ્તક. તેને હાથમાં લઈ શકાય કે તેનાં પાનાં ઉથલાવી પણ શકાય. ‘કૃતિ’ એક નિશ્ચિત કદ-મર્યાદાવાળો સંપૂર્ણ પદાર્થ છે. જ્યારે ‘પાઠ’ એ ‘કૃતિ’નું Composition કે ‘અર્થ’ હોય છે. જે વાચકો ‘કૃતિ’માંથી તારવે છે. પાઠ એ કોઈ નિશ્ચિત કદ-મર્યાદાવાળો નક્કર પદાર્થ નથી. 2. પ્રકાર (Genre): ‘કૃતિ’ના વર્ગીકરણ અંગે કેટલાક ચુસ્ત અને જડ ધોરણો પ્રવર્તે છે. જેમ કે, કાવ્ય, નાટક, પત્ર, નવલકથા વગેરે. પાઠને કોઈ સાહિત્યકાર જેવી વ્યવસ્થામાં બાંધી શકાય નહીં. 3. સંકેતો (Signs): ‘કૃતિ’, ‘સંપૂર્ણ’ અને ‘સર્વગ્રાહી’ હોય છે. તેનો એક નિશ્ચિત અર્થ હોય છે. અમુક કૃતિ કાવ્ય છે કે નાટક છે તે નિશ્ચિત હોય છે. તેના આકલન કે અર્થઘટન માટે એક નિશ્ચિત માળખું ઉપલબ્ધ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારની યદૃચ્છાને અવકાશ હોતો નથી. જ્યારે ‘પાઠ’ ‘સંપૂર્ણ’ કે નિશ્ચિત કદ-મર્યાદાવાળો હોતો નથી. તેનું સ્વરૂપ Metronymic હોય છે. વાક્યમાં જે શબ્દો કે વાક્યાંશોમાં ફેરફાર કરી શકાય છે. (જેમ કે, ‘રમેશ ગયો’ ના બદલે સુરેશ ગયો) એવી જે રીતે પાઠના શબ્દો કે વાક્યાંશોના સ્થાને તેના જેવો જ અર્થ કે અર્થસાહર્ચય ધરાવતા શબ્દો કે વાક્યાંશો મૂકી શકાય છે. ‘પાઠ’ વાચકના ચિત્રમાં આકાર લે છે. આથી વાચક તેનો અર્થ પોતાના વિચારોના સંદર્ભમાં કરતો હોય છે. આથી ‘કૃતિ’ની જેમ ‘પાઠ’નો અર્થ સ્પષ્ટ અને સુનિશ્ચિત નથી રહેતો. આમ પાઠ અર્થ બાહુલ્યની શક્યતા ઊભી કરે છે. આગળ કહ્યું તેમ કૃતિના આકલન-અર્થઘટનમાં વાચક સ્પષ્ટ હોય છે. તેમાં યદૃચ્છા વિહાર થતો નથી. જ્યારે ‘પાઠ’ એક Woven Fabric જેવો હોય છે. તેમાં અન્ય કૃતિઓ કે ઘટનાઓના સીધા કે આડકતરા ઉલ્લેખો, સંદર્ભો અને પડઘાના તાણાવાણા વણાયેલા હોય છે. એક ‘પાઠ’ બીજાં અનેક ‘પાઠો’ સાથેના સાહચર્યને વ્યક્ત કરે છે. આમ વાચકના ચિત્રમાં એક text બીજી અનેક text સાથે સંબંધ રચે છે. આમ બે text વચ્ચેનો સંબંધ intertextual હોય છે. 4. સંલગ્નતા (Filiation): કોઈ લખાણને આપણે ‘કૃતિ’ તરીકે જોઈએ ત્યારે તેમાં લેખન પ્રક્રિયા અને તે દ્વારા લેખકનો વિચાર જોડાઈ જાય છે. આમ ‘કૃતિ’ ને ‘કર્તા’ સાથે સંકળાયેલી હોય છે. આથી કૃતિને સમજવામાં કર્તા અને અગાઉની કૃતિઓની જાણકારી પણ મહત્ત્વની બનતી હોય છે. પણ જો લખાણને ટેક્સ્ટ તરીકે જોઈએ તો તેનું ક્ષેત્ર કૃતિની જેમ નિશ્ચિત અને મર્યાદિત નહીં રહે. અહીં કવિ શું કહેવા માગે છે? વાળો પ્રશ્ન નહીં આવે. કેમકે, ‘પાઠ’ એ બીજાં અનેક પાઠોની શૃંખલાની એક કડી હોય છે. આથી તેનો અર્થ વાચકના વિચારો કે અન્ય પાઠોના સાહચર્યોના બૃહદસંદર્ભમાં થતો હોય છે. 5. વાચન (Reading): ‘કૃતિ’ એ Commodity છે. એક ભોજ્ય પદાર્થ છે. તેનો ઉપભોગ થાય છે. વાચક તેમાં ખાસ સક્રિય રહેતો નથી. વાચક તેનો ઉપભોગ કરીને આનંદ માણે છે. પણ લેખન જ્યારે ‘કૃતિ’ના બદલે ‘પાઠ’ બને ત્યારે તેમાં વાચકની ભૂમિકા સક્રિય બને છે. ‘પાઠ’ કોઈ એક કેટેગરી કે પ્રકારના માળખામાં બંધાઈ નથી જતો. અહીં ‘ઉપભોગ’નું સ્થાન વાચક અને પાઠ વચ્ચેના સંવાદ લે છે. હકીકતમાં તો વાચન અને લેખન અથવા તો વાચક અને લેખક વચ્ચેનું અંતર ઘટી જાય છે. ‘કૃતિ’ને વાચક યથાત્ય સ્વીકારી લે છે. જ્યારે તે લેખનને એક ‘પાઠ’ તરીકે જુએ છે ત્યારે વાચક સજાગ બને છે. 6. આનંદ (Pleasure): આસ્વાદ - આનંદ માણે છે. વાચક જ્યારે પ્રશિષ્ટ કૃતિઓનો ત્યારે તેમાં તે કોઈ સક્રિય ભૂમિકા ભજવતો નથી. તે તેનો ઉપભોગ કરે છે. તેના અર્થઘટનમાં તે કોઈ હસ્તક્ષેપ કરતો નથી. આમ વાચક અને કૃતિ વચ્ચે એક અંતર ઊભું થાય છે. પણ પાઠ સાથેના સંબંધમાં આ અંતર ઘટી જાય છે. વાચક તેમાં ઓતપ્રોત થઈ જાય છે. પાઠ ભાષા અને સમાજના તમામ અવરોધો વટાવી દેતો વાચકના ચિત્રમાં આનંદની લાગણી જન્મે છે. From work to Text: બાર્ત કહે છે કે લેખક, વાચક અને નિરીક્ષક વચ્ચેનો સંબંધ કૃતિથી પાઠ તરફની ગતિમાં બદલાય છે. કૃતિ એક ભૌતિક પદાર્થ છે. તેને આપણે હાથેથી પકડી શકીએ છીએ. જ્યારે text એક અમૂર્ત સંકલ્પના છે. તેને આપણે ભાષાથી પકડવાની હોય છે. work અને text વચ્ચેનો ભેદ ઝાક લાકાંના ‘reality’ અને ‘real’ વચ્ચેના ભેદની સમાંતરે છે. Realityને display કરી શકાય છે. જ્યારે realને demonstrate કરવું પડે છે. workને display કરી શકાય. (હાથમાં પકડીને) જ્યારે textને demonstrate કરવી પડે છે કારણ કે તેને ભાષામાં પકડી શકાય છે. Display એ ભૌતિક ક્રિયા છે. જ્યારે Demonstrate માનસિક સ્તરે થતી ક્રિયા છે. કોઈ બાબતને સમજાવવા આપણે ઉદાહરણ આપીએ છીએ ત્યારે આપણે demonstrationની પ્રક્રિયાનો આશરો લેતાં હોઈએ છીએ. Text ને ભાષામાં જ પકડી શકાતી હોવાથી તેના અર્થાનુભવની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. કારણ કે ભાષાનો પ્રવાહ પણ અવિરતપણે ચાલતો રહે છે. આથી textનો અર્થાનુભવ હંમેશા કામચલાઉ હોય છે. કાયમી નહીં. કેમ કે, આ સતત ચાલતી પ્રક્રિયા છે. ભાષા જેમ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી તેમ text પણ બીજી અનેક સાહિત્ય કૃતિમાંના તાણાવાણામાંથી ગૂંથાઈ હોય છે. આપણે જે શબ્દો-વાક્યો બોલીએ છીએ તે આપણાં મૌલિક હોતા નથી. આપણે ક્યાંકથી સાંભળેલા-વાંચેલા શબ્દો વાક્યો પ્રયોજતા હોઈએ છીએ. એવું જ Textનું છે. આમ બધી સાહિત્ય કૃતિઓ વચ્ચે એક આંતરિક સંબંધ હોય છે. જેને આપણે Intertextual સંબંધ કહી શકીએ. ભાષાની જેમ textનું પણ કોઈ આદિ(આરંભ) કે અંત હોતો નથી. આથી તેનો કોઈ એક ‘મધ્યવર્તી વિચાર’ની કલ્પના કરવી અઘરી બને છે. ‘મધ્યવર્તી વિચાર’ એ કૃતિનો ચોક્કસ અર્થ થયો પણ textમાં તો એક નહિ અનેકવિધ અર્થો હોય છે. સાહિત્યનું શાસ્ત્ર આપણને બે બાબત શીખવે છે. 1. કૃતિનો આદર કરવો, અને ર. કૃતિના કર્તાના ઉદ્દેશો, કાયદો (કોપીરાઇટ વગેરે)નો પણ આદર કરવો. કૃતિ વાંચતી વખતે આપણે તેનું કયું સાહિત્ય સ્વરૂપ છે તે ધ્યાનમાં રાખીને જે તે સાહિત્યસ્વરૂપ અથવા પ્રકારની પરંપરામાં રહીને કૃતિને વાંચીએ છીએ. કોઈ કાવ્યકૃતિ હોય તો તેને કાવ્ય તરીકે વાંચીએ છીએ. કૃતિના વાચનમાં પણ મામલો કર્તાને ધ્યાનમાં રાખીએ છીએ. ‘કવિ શું કહેવા માગે છે?’ કૃતિ પર કર્તાનો અધિકાર (કોપીરાઇટ વગેરે) હોવાથી તેમાં કોઈ ફેરફાર કરતા નથી. પણ લખાણને જ્યારે આપણે એક text તરીકે વાંચીએ છીએ કે તેને અનુચ્છેદો કે ફકરાઓમાં વહેંચીને તેનું વિશ્લેષણ કરીએ છીએ. ત્યારે આપણે કૃતિના કર્તાનો વિચાર કરતા નથી. લેખક તો માત્ર એક textual element કે પરિબળ જ બની રહે છે. લેખકની જીવનવિષયક માહિતી એ વળી એક અન્ય text બની જાય છે. textમાં લેખકનું નહીં ભાષાનું મહત્ત્વ છે. textના અર્થબાહુલ્ય સાથે ઝઝૂમનારો વાચક મહત્ત્વનો છે, લેખક નહિ. textને મામલો એક ‘પ્રક્રિયા’ તરીકે જોઈએ છીએ. જ્યારે ‘કૃતિ’ એક પરિણામ હોય છે. કૃતિ એ તૈયાર માલ છે અને તેનો ઉપભોગ કરવાનો હોય છે. જ્યારે આપણે ‘પ્રક્રિયા’ પર ભાર મૂકીએ ત્યારે ’text’નું સર્જન થાય છે. textનો ઉપભોગ થઈ શકે નહિ, કેમ કે તે કોઈ નક્કર પદાર્થ નથી. તેની સાથે વાચકની ક્રીડા શક્ય બને છે. લાડુ એ નક્કર પદાર્થ છે તેનો ઉપભોગ થઈ શકે છે પણ લાડુનો જે સ્વાદ છે તેને મમળાવવાનો હોય છે, તેનું વર્ણન કરવાનું હોય છે કે ‘સ્વાદ’ આગળ ‘આ’ ઉપસર્ગ લગાવીને તેનો આસ્વાદ કરાવવાનો હોય છે. સ્વાદ સાથે સંકળાયેલી આ તમામ ક્રિયાઓ પ્રક્રિયા સાથે સંબંધિત છે અને તે ભાષા દ્વારા જ શક્ય બને છે. કૃતિની જેમ લાડુને હાથથી પકડી શકાય છે. જ્યારે તેના સ્વાદને textની જેમ ભાષા વડે પકડી શકાય છે. લાડુનો અહીં એક સ્થૂળ ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો છે. છેલ્લે મુદ્દો textના આનંદાનુભવનો છે. અમુક કૃતિઓ વાંચીને આપણને આનંદનો અનુભવ થાય છે પણ તે ઉપભોગના સ્તરે હોય છે. એને નિષ્ક્રિય આનંદ કહી શકાય. જ્યારે textનો જે આનંદ હોય છે તે બાર્ત ફ્રેન્ચમાં Jouissance કહે છે. વાચક અને text વચ્ચે તાદાત્મ્ય સ્થપાય, બંને એકાકાર બને ત્યારે જે આનંદની અનુભૂતિ થાય છે તે Jouissance એટલે કે રતિક્રીડાના ચરણોત્કર્ષ સમાન હોય છે. આમ text લેખક, વાચક, વિવેચક જેવા સામાજિક સંબંધોને અતિક્રમે છે. From work to Text લેખ બાર્તના ચિંતનમાં એક મોટા વળાંક સમાન સાબિત થયો. અહીં સંરચનાવાદથી ઉત્તરસંરચનાવાદ તરફ તેની ગતિ જોઈ શકાય છે.

આંતરપાઠ્યતા (Intertextuality)

સામાન્ય માન્યતા એવી છે કે દરેક કૃતિને અર્થ હોય છે અને વાચકનું કામ તે અર્થને બહાર લાવવાનું કે તે સમજવાનું છે. કૃતિવાચન દ્વારા અર્થબોધનની આ પ્રક્રિયાને ‘વાચન’ કે અર્થઘટન કરીએ છીએ. જુલ્યા ક્રિસ્તેવા 1965માં ફ્રાન્સ આવી અને સંરચનાવાદ તથા સંકેતવિજ્ઞાન પર તેનો પ્રભાવ પડવો શરૂ થયો. બાર્તના સેમિનારમાં તેઓ એક વક્તવ્ય આપ્યું જેમાં તેણે સંરચનાવાદને એક નવી દૃષ્ટિ આપી. ક્રિસ્તેવા પર રશિયન સ્વરૂપવાદ પછીની વિચારણા અને મિખાઇલ બાખ્તિનનો મોટો પ્રભાવ હતો. એ વખતે બાખ્તિનનું નામ ફ્રાન્સમાં જાણીતું ન હતું. ક્રિસ્તેવાનો પ્રયાસ સંરચનાવાદી અભિગમમાં ઐતિહાસિક પરિમાણ ઉમેરવાનો હતો જેથી સાહિત્યકૃતિઓ વ્યાપકપણે આકલનક્ષમ બની શકે. ક્રિસ્તેવાથી બાર્ત ઘણા પ્રભાવિત થયા હતા. ક્રિસ્તેવાના વિચારોનો ઉપયોગ કરીને તેમણે પોતાના અભિગમમાં ધરમૂળમાંથી ફેરફાર આણ્યો. બાખ્તિનની બહુસંવાદિતાનો ખ્યાલ પણ તેને અસર કરી ગયો. કોડનો ખ્યાલ intertextuality સાથે સંકળાયેલો છે. આ સંજ્ઞા એ બખ્તિનની dialogismના ખ્યાલના ફ્રેન્ચ પર્યાય તરીકે પ્રથમ યોજાઈ હતી. બખ્તિનના લખાણો 1960ના દાયકા સુધી ફ્રેન્ચમાં અનુદિત થયા ન હતા. જુલ્યા ક્રિસ્તેવાએ તેનો અનુવાદ કરીને બાર્તનો બખ્તિનના વિચારો સાથે પરિચય કરાવ્યો. 1960ના દાયકાના અંતિમ ભાગમાં સંરચનાવાદી અભિગમની અનેક મર્યાદાઓ બાર્તના ધ્યાનમાં આવી હતી. બખ્તિનના Dialogismના ખ્યાલમાં તેને રસ પડ્યો. આમ આંતરપાઠ્યતાનો સંપ્રત્યય પ્રચલિત બન્યો. આ સંજ્ઞા પાછળનો ખ્યાલ એવો છે કે ભાષા જેવું આપણે અર્જિત કરીએ છીએ. તે રીતે discourse (આપણી આસપાસની ઘટનાઓ, પદાર્થો વગેરે વિશે આપણે જે રીતે વિચારીએ છીએ કે વાત કરીએ છીએ) પણ આપણે રેડીમેડ અર્જિત કરીએ છીએ. દા.ત., જ્યારે આપણે કોઈ વાર્તા સાંભળીએ છીએ ત્યારે અગાઉ સાંભળેલી વાર્તાઓના આધારે આપણને ખબર હોય છે કે તેનું અર્થઘટન કેવી રીતે કરવું કે તેનું પુન:કથન કેવી રીતે કરવું. પ્રત્યેક કૃતિ એ સંપ્રજ્ઞ કે અસંપ્રજ્ઞ અવતરણોનું મોઝઇક (mosaic) હોય છે. આંતરપાઠ્યતાનો ખ્યાલ પરંપરાગત ‘પ્રભાવ’ના ખ્યાલથી સાવ અલગ છે. પ્રભાવમાં કોનો પ્રભાવ છે તે નિર્ધારિત કરવું સહેલું હોય છે. જ્યારે આંતરપાઠ્યતામાં ભાષામાં embedded ફોર્મ્યુલાઓને આત્મસાત કરીને ભાષા અને સંસ્કૃતિ દ્વરા પ્રસારિત તમામ પ્રકારના ડિસ્કોર્સનું સંયોજન અને રૂપાંતર થાય છે. અહીં પ્રભાવથી વિરુદ્ધપણે સ્રોતનું મહત્ત્વ હોય છે. બખ્તિનના મતે સાહિત્યકૃતિઓ વચ્ચેનો સંવાદ મહત્ત્વનો છે. તેણે ઐતિહાસિક પરિમાણ પોતાના વિવેચનમાં ઉમેર્યુ જે સંરચનાવાદી અભિગમથી વિરુદ્ધનું હતું. સંરચનાવાદની આ ઐતિહાસિક મર્યાદા ક્રિસ્તેવાના ધ્યાનમાં તરત જ આવી ગઈ. એના ઇલાજ તરીકે તેણએ બખ્તિનનું ઐતિહાસિક પરિમાણ ઉમેરીને સંરચનાવાદને નવો તરવરાટ આપવાની કોશિશ કરી. સંરચનાવાદે કૃતિઓ વચ્ચેના આંતરસંવાદનો વિરોધ કર્યો હતો. જ્યારે ક્રિસ્તવા આંતરપાઠ્યતાના ખ્યાલ દ્વારા સંવાદનું તત્ત્વ ઉમેર્યું. પણ બાર્ત અને ક્રિસ્તેવાના લખાણોના કારણે એવી દલીલ પ્રચલિત બની કે કૃતિઓમાં તેમનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી. આ કૃતિઓ intertextual હોય છે. કૃતિના ભાવનની ક્રિયામાં વાચકનો મુકાબલો પાઠ્યાત્મક સંબંધોના એક નેટવર્ક સાથે થાય છે. પાઠકનું અર્થઘટન કરવું એટલે આ સંબંધોનું પગેરું મેળવવાનું. એ વાચન આમ કૃતિઓની વચ્ચેના આવનજાવનની પ્રક્રિયા બને છે. અર્થનું અસ્તિત્વ પાઠ અને તેનાથી સંબંધિત તમામ અન્ય પાઠો વચ્ચે છે. આમ પાઠ એક આંતરપાઠ બને છે. આંતરપાઠ્યતાના સંજ્ઞાના મૂળ સોસ્યૂરમાં છે. બીજા મહત્ત્વનો પ્રભાવ બખ્તિનનો છે. ક્રિસ્તેવાએ સોસ્યૂર અને બખ્તિન બંનેના સંયોજન દ્વારા આંતરપાઠ્યતાની એક થિયરી રચવાનો પ્રયાસ કર્યો હતો. જાકે સોસ્યૂર અને બાખ્તિને intertextual સંજ્ઞાનો પ્રયોગ કર્યો નથી.

કથાવિશ્લેષણ અને રશિયન સ્વરૂપવાદ

રશિયન સ્વરૂપવાદીઓનો બાર્ત ઉપર મહત્ત્વનો પ્રભાવ હતો. સ્વરૂપવાદીઓની જેમ બાર્તે સાહિત્યકૃતિની સમજ માટે જીવનકથા, મનોવિજ્ઞાન અને સામાજિક સ્થિતિ ઇત્યાદિના અભ્યાસને લક્ષમાં લેવાના વલણને પડકાર્યું હતું. તેઓ સાહિત્યને ભાષાનો એક વિશિષ્ટ પ્રયોગ ગણાતા હતા અને તે માટે જ તેમણે પોતાની અભ્યાસ પદ્ધતિ માટે સોસ્યૂરના ભાષાવિચારનો યથેચ્છ ઉપયોગ કર્યો. સ્વરૂપવાદીઓ સાહિત્યને વિજ્ઞાનનો દરજ્જા આપવા માગતા હતા. એટલા માટે જ તેમણે માટે કેટલીક પરિભાષાઓ ચોકસાઈપૂર્વક ઘડી. સાહિત્યકૃતિને તેમણે એક તંત્ર તરીકે નિહાળી. તેમનો હેતુ કૃતિને વ્યવસ્થાતંત્ર બનાવનારા સંરચનાત્મક નિયમોના વિશ્લેષણનો હતો. સ્વરૂપવાદીઓના નિકટવર્તી વિદ્વાનોમાં લોકકથાવિદ્ વ્લાદિમિર પ્રોપ (1895-1970)નો પણ સમાવેશ થાય છે. તેમનું પુસ્તક ‘The Morphology of Russian Folktale’ મૂળ રશિયનમાં 1928માં પ્રકાશિત થયું હતું. તેનો ઇંગ્લીશ અને અન્ય ભાષાઓમાં અનુવાદ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. પ્રોપે રશિયન લોકથાઓના અભ્યાસમાં બે પ્રકારનાં ઘટકો અલગ તારવ્યા: ભૂમિકાઓ (role) વિવિધ પાત્રો દ્વારા ભજવતી ભૂમિકાઓ અને ‘કાર્યો’ (functions) જેના વડે પ્લોટની રચના થાય છે. તેણે 100 કથાઓનો અભ્યાસ કરીને સાત ભૂમિકાઓ અને 31 પ્રકારના એક્શન અલગ તારવ્યા, આ ભૂમિકાઓ અને કાર્યોનો કથાના વિકાસમાં મહત્ત્વનો પ્રભાવ હોય છે. એક action અનેક functions દ્વારા સિદ્ધ થઈ શકે છે. દા.ત., હીરો પ્રાણીમાં પરિવર્તિત થઈ શકે એક પ્રકારે તેણે કથાનું વ્યાકરણ રચી આપ્યું. બાર્તે પ્રોપના કાર્યને આગળ ધપાવ્યુ અને તેમાં સંકેતવિજ્ઞાનનું પરિમાણ ઉમેર્યું. 1966માં બાર્તે ‘Introduction to Structural Analysis of Narrative’ પ્રકાશિત કર્યું. આ તેનું એક મહત્ત્વનું કાર્ય છે. અહીં બાર્તે પ્રોપની વિશ્લેષણ પદ્ધતિ, સંરચનાત્મક ભાષાવિજ્ઞાનમાં થયેલી અદ્યતન કામગીરી અને એ જે ગ્રીમાની વિચારણાને લક્ષમાં લઈને કથાના સંરચનાત્મક વિશ્લેષણની એક નવી પદ્ધતિ રજૂ કરી. બાલ્ઝાકની એક લઘુનવલ Sarrasine પર આધારિત અભ્યાસ S/Z (1970) આ પદ્ધતિના નિદર્શનરૂપ છે. આ પુસ્તકમાં તેમણે પોતાના અગાઉના કેટલાક વિચારોને ત્યાગ કર્યો. આનાથી બાર્તના ચિંતનના ઉત્તરસંરચનાવાદી યુગનો આરંભ થયો. ‘Introduction to the Structural Analysis of Narrative’ આરંભે જ બાર્ત એક મહત્ત્વની સમસ્યાનો નિર્દેશ કરે છે. વિશ્વમાં કથા-આખ્યાનોની સંખ્યા ઘણી મોટી છે. તો તેમનું વિશ્લેષણ કેવી રીતે કરવું? આ તો ઉપાય સોસ્યૂરમાં છે. સોસ્યૂર સામે પણ ભાષાઓની વિશાળ સંખ્યાનો મુદ્દો હતો. એટલે તેણે વૈયક્તિક ભાષા (Parole) નહીં પણ ભાષાવ્યવસ્થા (Langue)ના અભ્યાસની હિમાયત કરી. બાર્તે આખ્યાનના વિશ્લેષણનું મૉડેલ વૈજ્ઞાનિક હોવું જોઈએ એવું કહીને તેણે ભાષાને તેના માટેનું શ્રેષ્ઠ મૉડેલ ગણાવ્યુ. આખ્યાનના તમામ કાર્યો એક સંહિતા (કોડ)ની વ્યવસ્થા અને કવિસમયો (કન્વેન્શન)ને આધીન હોય છે. આખ્યાનનું પોતાનું એક વ્યાકરણ હોય છે. આમ ભાષા આપોઆપ એક ઉત્તમ મૉડેલ બની રહે છે. તેના કારણે તેનું ધ્યાન ભાષાવિજ્ઞાન તરફ ગયું. બાર્ત આખ્યાન અને વાક્ય વચ્ચે સમાનતા જુએ છે. કથા વિશ્લેષણમાં બાર્ત ઉપર લેવી સ્રોસનો પ્રભાવ પણ ઘણો મોટો હતો. સંરચનાવાદી પરંપરાને અનુસરીને બાર્તે બાલ્ઝકની 30 પાનાંની નવલકથાનું લગભગ બસો પાનામાં વિશ્લેષણ કર્યું. બાર્તે આ લઘુનવલને રચનાત્મક ઘટકોમાં વિભાજિત કરી તેણે કૃતિને 561 Lexias કે શૃંખલાઓમાં વહેંચી દીધી. દરેકનું કદ અલગ અલગ છે. દા.ત., લેક્સી નં. 1 માત્ર એક શબ્દની બનેલી છે તો નં. 21 18 લાઇનોની બનેલી છે. દરેક lexias તેની બાજુની lexias કરતાં અલગ અર્થ ધરાવે છે. આ lexiasનું અર્થઘટન બાર્તે પ્રસ્તાવિત કરેલા પાંચ કોડના સંદર્ભમાં થાય છે. બાર્ત કહે છે કે, કૃતિનું અર્થઘટન કરવું એટલે તેને અર્થ આપવો એમ નહીં પણ તેની અનેક અર્થચ્છાયાઓની નોંધ લેવી. કૃતિ પઠનના એક કરતાં વધુ માર્ગ હોય છે. કોઈપણ કૃતિમાં કોઈ એક સાચો અર્થ હોય છે એવું નહીં પણ તેમાં અનેક અર્થાે હોય છે. આમ કૃતિની આ અર્થબહુલતાનો તાગ મેળવવા માટે તેમજ તેને ઉપસાવી આપવા માટે એકાદવારના વાચનથી કામ નહીં સરે પણ તેનું પુન: પુન: વાચન કરવું પડશે. કૃતિને તમે જેટલીવાર વાંચશો દરેક વખતે તમે થોડીક અલગ રીતે તેનો પાઠ કરશો. પ્રત્યેક પુન: પાઠ એક નવા અર્થને ઉપસાવે છે. કોઈ કૃતિમાં એક કરતાં વધુ અર્થ હોઈ શકે એ વાતથી આપણે વાકેફ છીએ. બાર્તના આ કથાસૂત્રો કે અર્થસૂત્રો કૃતિના કથન સ્તરે નહીં પણ સંકેતકીય સ્તરે જોવા મળે છે. બાર્તે પાંચ કોડની થિયરી એ સંકેતકોની કૃતિમાંની ભૂમિકાના આધારે તેમને જુદાં જુદાં જૂથોમાં વહેંચવાની પદ્ધતિ છે. બાર્તના આ પાંચ કોડ લગભગ તમામ કૃતિઓમાં જોવા મળતાં સર્વસામાન્ય છે. અહીં કોડ સંજ્ઞાથી થોડો ગૂંચવાડો સર્જાવાની શકયતા છે. કોડ એટલે કૃતિના અર્થઘટનની કોઈ આચારસંહિતા નહીં પણ તે કૃતિના અર્થઘટનનું એક પરિપ્રેક્ષ્ય પૂરું પાડે છે. આ પાંચ કોડને ધ્યાનમાં રાખીને કૃતિનું વાચન કરવું એટલે વિવિધ રંગના કાચ દ્વારા કોઈ પદાર્થ કે દૃશ્યને જોવા જેવી સ્થિતિ સર્જાશે. દૃશ્ય એ જ રહે છે પણ તેના તમારા મનમાં પડતી છાપ બદલાય છે. બાર્ત કહે છે કે પ્રત્યેક કૃતિમાં અનેક અર્થધ્વનિઓ એક સાથે પડઘાતા હોય છે. આમાં અમુક કૃતિઓમાં અમુક ધ્વનિ ઉપર કે પ્રમુખ હોય તો બીજી કૃતિમાં અન્ય ધ્વનિ પ્રમુખ હોઈ શકે છે. પ્રશિષ્ટ કૃતિઓમાં Proraietic Code અને Hermeneutic code પ્રમુખ હોય છે. સાહિત્યની કેટલીક મહત્ત્વની કૃતિઓનો આ જૂથમાં સમાવેશ થશે. વળી અમુક સાહિત્ય સ્વરૂપો કે પ્રકારો કોઈ ચોકકસ કોડ પર વધુ આધારિત હોય છે. દા.ત., જાસૂસી કે રહસ્ય કથાઓમાં hermeneutic કોડનું વર્ચસ્વ હોય છે. પ્રયોગશીલ કે ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાવાળી કૃતિઓમાં વાચકની સક્રિય ભાગીદારીની અપેક્ષા હોય છે. બાલ્ઝાકના Sarrasineના અભ્યાસમાં બાર્ત Lisible/scriptable (readerly/writerly) એવો ભેદ કરે છે. Lisible text પ્રતિનિધાનલક્ષી હોય છે. 19મી સદીની વાસ્તવવાદી નવલકથાઓ તેના ઉદાહરણો છે. બાર્ત આ નવલકથાઓને modernના વિરોધમાં ક્લાસિક તરીકે ઓળખાવે છે. આ પાઠ વાચકને એક અર્થ તરફ લઈ જાય છે તે એવી ભ્રાન્તિ સર્જે છે કે આ અર્થ એક જ ધ્વનિ દ્વારા નિષ્પન્ન થયો છે. intertextualની અવગણના કરે છે. Scriptibleમાં વાચક પેસિવ હોય છે. બાર્ત જેને writerly કૃતિ કહે છે તેમાં semantic, symbolic અને cultural codesનું વર્ચસ્વ હોય છે. આ કોડ અભિધાર્થ પણ લક્ષણાર્થ ધરાવતા હોય છે. મોટા ભાગની કૃતિઓ readerly હોય છે. તેની લેખન પદ્ધતિ પરંપરાગત અને સ્વરૂપ સર્વપરિચિત હોય છે. તેનો અર્થ પણ નિશ્ચિત હોય છે. ટૂંકમાં કૉર્મશિયલ ફિલ્મોના દર્શકની જેમ વાચકે પોતાના મગજને ઝાઝી તસ્દી આપવી પડતી નથી. આ કૃતિઓ નિરૂપવાની પ્રચલિત અને માન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જ્યારે readerly કૃતિ જે તત્ત્વોને જાજમ નીચે દબાવવાનો કે સંતાડવાનો પ્રયાસ કરે છે તેને writerly કૃતિ ઉપસાવવાની કોશિશ કરે છે. અહીં વાચકે સક્રિય ભૂમિકા ભજવવાની હોય છે. અહીં એક નિશ્ચિત અર્થ નહીં પણ અર્થબહુલતા હોય છે. આમ, વાચક અહીં લેખક બની જાય છે. સમાંતર કે કલાત્મક સિનેમા આનું ઉદાહરણ છે. હકીકતમાં આ પાંચ કોડ એ કૃતિ પાઠના પાંચ વિવિધ સંદર્ભાે છે. જેના કારણે કૃતિ વિચાર-વિમર્શને પારખી શકાય છે.

બાર્ત-પિકાર વિવાદ

બાર્તે વિવેચનના બે પ્રકારના ગણાવ્યા હતા. સંરચનાવાદ, મનોવિશ્લેષણ અને અન્ય સૈદ્ધાંતિક વિચારોમાંથી વિકસેલા અભિગમોને તે અર્થઘટનાત્મક વિવેચન કરે છે. આ પ્રકારનું વિવેચન પોતાના વિચારવલણો (માર્ક્સવાદ, અસ્તિત્વવાદ મનોવિશ્લેષણાત્મક વગેરે) કશા છોછ વિના વ્યક્ત કરે છે. આની સામેનો બીજા પ્રકાર શૈક્ષણિક (academic) વિવેચનનો છે. ફ્રાન્સમાં ગઈ સદીના પૂર્વાર્ધમાં સોરબોનના પ્રોફેસર ગુસ્તાવ લેન્સો (Gustav Lanson) એ સાહિત્ય વિવેચનના કેટલાક પાયાના નિયમો ઘડી કાઢ્યા હતા. શૈક્ષણિક વિવેચનનો પ્રયાસ વિચારધારાથી અલગ રહીને કૃતિનો અર્થ તેના લેખક કે તત્કાલીન સામાજિક ઐતિહાસિક પરિસ્થિતિમાં શોધવાનો હોય છે. Racine પરના પુસ્તકમાં બાર્તે શૈક્ષણિક વિવેચન સામે પોતાના અર્થઘટનાત્મક કે સંરચનાત્મક અભિગમનો વિનિયોગ કર્યો હતો. Writing Degree Zero અને Micheletમાં બાર્તે કૃતિવિશ્લેષણની જે પદ્ધતિ વિકસાવી તે સંસ્કૃતિ અને આખ્યાનોના વિશ્લેષણમાં પણ પ્રભાવક બની. બાર્તે કૃતિની ભાષિક સંરચના પર જે ભાર મૂક્યો તે Nouvelle Critique તરીકે જાણીતો બન્યો. તેની ટીકા પણ થઈ. Le Critique et La Verite માં તેણે તેના ટીકાકારોને જવાબ આપ્યો છે. તેણે લેખક કરતાં વાચક અને કૃતિને અગ્રસ્થાન આપ્યું. આત્મનિવેદન અને પ્રેમોક્તિઓનું વિશ્લેષણ તેમનાં જીવનના અંતિમ વર્ષોમાં તેમણે ‘Roland Barthey By Roland Barther’ નામની આત્મકથા અને ‘Lovers Discouse’ નામનું પ્રેમોક્તિઓ કે પ્રેમીઓના ઉદ્ગારોનું એક વિશિષ્ટ વિશ્લેષણ રજૂ કર્યું હતું. બાર્તમાંનો સંકેત વિજ્ઞાની હંમેશા જાગૃત રહેતો. તેઓ કહેતા કે આખું જગત સંકેતોની અપાર અને અમર્યાદિત લીલામય છે. આપણી આસપાસની ઘટનાઓ, પદાર્થો વગેરે સંકેતોની વ્યવસ્થારૂપે જ વ્યક્ત થાય છે. તમે તમારા આખા દિવસની પ્રવૃત્તિનું અવલોકન કરો. જેમાંથી કશું સંકેતિત થતું ન હોય કે જેને આપણે એક સંકેત વ્યવસ્થા કે text તરીકે વર્ણાવી ન શકીએ એવું ભાગ્યે જ કશું બને છે. બાર્ત ડાયરી લખતા હતા. એટલે આજે આપણે જેને ડાયરી કહીએ છીએ તેવી ડાયરી કે નોટબુક નહીં પણ સહેજ જાડો કાગળના કાર્ડ પર નોંધો ટપકાવવાની તેમને આદત હતી. જીવનના અંતિમ વર્ષોમાં તેમણે College de Franceમાં તેમણે જે વ્યાખ્યાનો આપ્યા તેમાંથી ‘The Preparalism of the Novel’ પુસ્તક તૈયાર થયું. આ પુસ્તક અંગ્રેજીમાં પણ અનૂદિત થઈ ગયું છે. ‘The Preparation of the Novel’ પુસ્તક પરથી ખ્યાલ આવે છે કે તેઓ એક નવલકથા પણ લખવા માગતા હતા. બાર્ત એક નવી જ પદ્ધતિએ તે લખવા માગતા હતા. ‘Roland Barthers’ માં તેમણે આત્મકથાના સ્વરૂપમાં પ્રયોગો કર્યા. ‘Lover’s Discourse’માં પ્રેમાલાપ અને પ્રેમોદ્ગારોનું એક નવી જ રીતે વિશ્લેષણ કર્યું. બાર્તનું મૃત્યુ પણ તેમના જીવન જેવું જ આકસ્મિક હતું. 1980માં ફ્રાન્સના ભાવિ પ્રેસિડેન્ટ Francois Mittereand સાથે લંચ લઈને તેઓ બહાર નીકળ્યા અને એક લોન્ડ્રી બાર્ત તેમને હડફેટે લઈ લીધા. થોડા દિવસ હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ તેમનું અવસાન થયું. એ વખતે તેઓ 64 વર્ષના હતા. બાર્તનું મૃત્યુ આકસ્મિક હતું કે તેમની હત્યા હતી? આવો એક મુદ્દો લઈને Laurent Binet નામના એક ફ્રેન્ચ લેખકે ‘7th Function of Language’ (અંગ્રેજી અનુવાદ Sam Taylor, પ્રકા. Vintage, 2018) નામની પ્રયોગશીલ નવલકથા પણ લખી છે જે ઘણી ખ્યાતનામ નીવડી છે. 1980માં અકસ્માતમાં બાર્તનું અવસાન થયું ત્યારે તેઓ પોતે જ માતૃશોકમાંથી બહાર આવી રહ્યા હતા. બાર્ત અપરિણીત હતા અને તેમની માતા સાથે જીવનના સંખ્યાબંધ વર્ષ તેમણે ગાળ્યા હતા. તેમની માતાનું 1977માં અવસાન થયું એ પછી પોતાનો શોક, માતાનો વિયોગ, માતા વિનાનું પોતાનું જીવન વગેરે વિશેની પોતાની લાગણીઓની એક ડાયરી રાખી હતી. આ નોંધો બાર્તના અનેક પુસ્તકોના અનુવાદક Richard Howard ભેગી કરીને થોડાં વખત પહેલાં જ ‘Mourning Diary’ નામે પ્રકાશિત કરી છે. આ ડાયરી વાંચનારને ખ્યાલ આવશે કે બાર્ત એક અર્થમાં ‘માવડિયા’ હતા.

(આ લખાણ તૈયાર કરવામાં નીચેના પુસ્તકોનો અનુવાદ સહિત આધાર લીધો છે.) સંદર્ભ • Culler, Jonathan Roland Barthes: A Very Short Introduction, Oxford: Oxford University Press, 2001. • Gil, Marie Roland Barthes: Au lieu de la vie, Paris: Flammarion, 2012. • Graham, Allen. Roland Barthes. Taylor and Francis, London: Routledge, 2003. • Louis-Jean Calvet, Sarah Wykes (trans.). 1994. Roland Barthes: A Biography, Indiana University Press, Bloomington • Moriarty, Michael Roland Barthes, Stanford: Stanford University Press, 1991. • Rabate, Jean-Michel ed., Writing the Image After Roland Barthes, Philadelphia: University of Pennsylvania Press, 1997. • Ribitre, Mireille, Barthes: A Beginner’s Guide, Abingdon: Hodder & Stoughton, 2002 • Sontag, Susan. A Roland Barthes Reader, Hill and Wang, New York, 1982. • Wasserman, George R. Roland Barthes. Boston: Twayne Publishers, 1981. [એતદ્, જુલાઈ-સપ્ટેમ્બર, 2021]