ગ્રંથ અને ગ્રંથકાર/અમીદાસ પરમાણંદદાસ કાણકિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમીદાસ પરમાણંદદાસ કાણકિયા

[૧૭-૭-૧૯૦૬]

કવિશ્રી કાણકિયા સૌરાષ્ટ્રમાં આવેલ સિહોરના વતની છે અને એમનો જન્મ પણ એ જ ગામમાં તા.૧૭-૭-૧૯૦૬ના રોજ થયો હતો. એમના પિતાનું નામ પરમાણંદદાસ ભગવાનદાસ કાણકિયા, માતાનું નામ કાશીબાઈ અને પત્નીનું નામ ભાનુમતી. તેમનાં પ્રથમ લગ્ન ઈ.સ. ૧૯૨૨માં અને બીજી વારનાં ૧૯૩૯માં થયેલાં. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ૧૯૨૦થી ૧૯૨૨ સુધી એમણે અભ્યાસ કર્યો. એ વખતે સ્વ. યશવંત પંડ્યા એમના સહાધ્યાયી હતા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા, અને નરસિંહરાવ દિવેટિયાના શિષ્ય બન્યા. ૧૯૨૬-૨૭માં મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા અને ૧૯૨૮-૨૯માં એમ. એ. ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. એ સમયગાળામાં જ મુખ્ય વિષય તરીકે ગુજરાતી યુનિવર્સિટી-શિક્ષણમાં દાખલ થયું હતું, અને શ્રી કાણકિયાએ એનો લાભ લીધેલો. ૧૯૩૪માં બી. ટી. ની ડિગ્રી પણ એમણે મેળવેલી. એમને મુખ્ય વ્યવસાય શિક્ષણ છે. સમાજસુધારણાની પ્રવૃત્તિમાં પણ તેઓ રસ લે છે. એમના પિતા શિક્ષક અને પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી હતા, અને માતા પણ કાવ્યો-આખ્યાનોનું વારંવાર ગાન કરતાં; પરિણામે શ્રી કાણકિયાને સાહિત્ય પ્રતિ પ્રીતિ જન્મી. માતપિતા તરફથી મળેલો સાંસ્કૃતિક વારસો, સર્વશ્રી જયંતકુમાર ભટ્ટ, મુનિકુમાર, ભાનુશંકર વ્યાસ, સુંદરજી બેટાઈ વગેરે મિત્રોનો સંપર્ક અને નરસિંહરાવ જેવા ગુરુ પાસે અધ્યયન-આ સર્વ પ્રેરકબળોએ એમની જન્મજાત વૃત્તિને પ્રબળ બનાવી પ્રદીપ્ત રાખી છે. કાવ્ય અને ઇતિહાસ એ બંને એમના મનગમતા લેખનપ્રકારો છે અને એ વિષયના ગ્રંથો જ તેઓ વિશેષ વાંચે છે. શાળાજીવન દરમ્યાન જ એમણે કાવ્યલેખન આરંભેલું. આત્મતૃપ્તિ એ એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ. ૧૯૨૨માં એમનું પ્રથમ કાવ્ય પ્રગટ થયું. એ પછી ‘સુવર્ણમાળા’, ‘ગુજરાત’, ‘સાહિત્ય', ‘કૌમુદી' વગેરે સામયિકોમાં એમનાં કાવ્યો પ્રગટ થતાં રહેતાં. સને ૧૯૩૭માં એમનાં કાવ્યોનો પ્રથમ સંગ્રહ 'દીપશિખા’ પ્રગટ થયો. એ પછી ઈ. ૧૯૬૨માં ‘દીપજ્યોતિ' નામે બીજો સંગ્રહ પણ એમણે આપ્યો છે. કવિની પદાવલી સુકુમાર છે અને ક્યાંક ક્યાંક કવિ કાન્તની અસર એમના પર વરતાય છે. એમનાં અંગત સંવેદનો સુઘડ અને સ્વસ્થ રીતે એમની કાવ્યકૃતિઓમાં રજૂ થયાં છે. છંદો પર એમને સારું પ્રભુત્વ છે અને ભાષાની પ્રૌઢિ પણ આકર્ષી રહે છે. ત્રીશીના સમયના આ કવિની ઉત્તર વયની કૃતિઓમાં, વિકસેલી કવિતાલઢણો સામાન્ય રીતે જોવા મળતી નથી. એમની લેખનપ્રવૃત્તિના ત્રણ પ્રવાહો છે: (૧) કાવ્યપ્રવૃત્તિ, (૨) સમાજ અને જ્ઞાતિસુધારણાની ભાવનાથી જ્ઞાતિના સામયિકમાં લખેલા અનેક લેખો, અને (૩) પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે, અદ્યતન સંશોધન અને શિક્ષણસિદ્ધાંતો મુજબ લખેલાં, ઇતિહાસ વિષયનાં વીસેક પાઠ્યપુસ્તકો. અત્યારે તેઓ સામાજિક વિષયો પર જ્ઞાતિમાસિકમાં અવારનવાર લેખો લખે છે. મુંબઈની એશિયાટિક સોસાયટીના તેઓ આજીવન સભ્ય છે.

કૃતિઓ
૧. દીપશિખા : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૩૭.
પ્રકાશક: પોતે; વિક્રેતા : આર. આર. શેઠ, મુંબઈ.
૨. દીપજ્યોતિ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : પોતે; વિક્રેતા : આર. આર. શેઠ, મુંબઈ.
ઉપરાંત ઇતિહાસ, નાગરિકશાસ્ત્રના પાઠ્યપુસ્તકો અને શ્રી રમણ વકીલ આદિ સાથે ‘કિશારવાચનમાળા'નું કરેલું સંપાદન.

અભ્યાસ-સામગ્રી:
(૧) આધુનિક કવિતાપ્રવાહ (જયંત પાઠક).
(૨) ગુ. સા. સભાની કાર્યવહી, ૧૯૬૧.
સરનામું : વિજયાભવન, તેજપાલ રોડ, વિલેપાર્લે (પૂર્વ) મુંબઈ-૫૭.