ગ્રંથ અને ગ્રંથકાર/કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિતા

કવિતા એ સાહિત્યનાં સર્વ સ્વરૂપોમાં સૌથી વિશેષ ઋજુ અને સંવેદનશીલ સાહિત્યસ્વરૂપ છે. માનવ-આત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવો એમાં ઝિલાય છે અને એમનું સુરેખ કલાત્મક પ્રતિબિંબ એ ઉપસાવે છે. પોતપોતાની આંતર જરૂરિયાત પ્રમાણે તે તે સમયનો કવિ પોતાની અનુભૂતિને નિરૂપવા મથામણ કરે છે, એ માટે પ્રયોગો કરે છે અને એ દ્વારા અભિવ્યક્તિના સ્વરૂપને સિદ્ધ કરવા યત્નશીલ રહે છે. એટલે દસકે દસકે કે બીજા એવા કોઈ સમય-વિભાગથી સાહિત્યપ્રવાહના-કવિતાપ્રવાહના પલટાઓનું ગણિત માંડી શકાતું નથી. એમાં જૂના પ્રવાહો વહેતા હોય, નવા પ્રવાહો ઉમેરાતા જતા હોય, જૂના પ્રયોગો પરંપરારૂપે સ્થપાતા હોય અને નવા પ્રયોગો થતા રહેતા હોય-અને એમ કવિતાનો પ્રવાહ અસ્ખલિત ગતિએ વહેતો રહેતો હોય છે. છેલ્લા દસકાની કવિતાની વાત કરીએ તો એ પ્રવાહમાં અનેક ઝીણીમોટી સેરો ભળેલી છે. એમાં કોઈ સેરનું સાતત્ય મધ્યકાળની પરંપરા સાથે, કોઈકનું અર્વાચીનના ઊગમકાળ સાથે, કોઈકનું પંડિતયુગ કે ગાંધીયુગ સાથે છે, તો વળી કેટલીક નવી જ ફૂટેલી સેરો આ પ્રવાહને પુષ્ટ કરતી ૫ણ દેખાય છે. એમાં પ્રત્યેક સેરનું આગવું વ્યક્તિત્વ પણ હોય છે એટલું જ નહિ, એક સેર પોતાના જૂના પ્રવાહ સાથે સાતત્ય રાખતી છતાં નવા પ્રવાહ સાથે પણ મળી જતી નજરે પડે; નવી ફૂટતી સેર પોતાના ‘નવીન’ને પ્રગટ કરતી છતી પ્રાચીન તરફ મીટ માંડતી ૫ણ દેખાય: આવાં આવાં મનોહર દૃશ્યો પ્રવાહનું અવલેકન કરતાં દૃષ્ટિએ પડવાનાં અને એ દ્વારા પેલા સનાતનની નવનવોન્મેષ સૌન્દર્યલીલાનો રમણીય આવિષ્કાર મનને ભરી દેવાનો. આ દાયકામાં એક તરફ આપણા અર્વાચીન યુગના મહાન કવિ ન્હાનાલાલનો પોણાબારસો પાનાંમાં અને ૨૭૦૦૦ જેટલી પંક્તિઓમાં વિસ્તરીને ‘હરિસંહિતા'ના ત્રણ ભાગમાં વહેતો કાવ્યધોધ જોવા મળે છે. ‘નવ-ભાગવત બનાવવાના મનોરથ' સેવતા આપણા કવિએ યોગેશ્વર સ્વરૂપ શ્રીહરિની ભારતપરિક્રમા અહીં બહુધા અનુષ્ટુપમાં વર્ણવી છે એ સવિશેષ ધ્યાન ખેંચે છે. ૧૯૪૨માં આરંભાયેલું. કવિમૃત્યુને કારણે અધૂરું રહેલું આ ‘ભક્તિભીનું પુરાણકાવ્ય', ગુજરાતી કવિતામાં, મહાન કાવ્યરચનાના આપણે ત્યાં થયેલા પ્રયોગોમાં-સ્થૂળ પંક્તિસંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ૫ણ આટલો વિસ્તાર પ્રથમવાર જ આપે છે, અને આપણા આ કવિના ઊંચા નિશાનનો લાક્ષણિક પરિચય કરાવે છે; તો બીજી બાજુ, આ શતકના ત્રીજા દશકામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર દેશળજી પરમારની કૃતિ ‘ઉત્તરાયન', ગાંધીયુગ સાથે અનુસંધાન દાખવતા પણ નવીન રચનારીતિનો સફળતાથી ઉપયોગ કરતા રામનારાયણ પાઠકનો કાવ્યસંગ્રહ ‘વિશેષ કાવ્યો’, અને ત્રાશીના બે પ્રમુખ કવિઓ-સુન્દરમ્ અને ઉમાશંકર-ના અનુક્રમે ‘યાત્રા' અને ‘વસંતવર્ષા' એ કાવ્યસંગ્રહો; ઉપરાંત કરસનદાસ માણેકનો ‘મધ્યાહ્ન', મનસુખલાલ ઝવેરીનો ‘અનુભૂતિ', સુંદરજી બેટાઈનો ‘વિશેષાંજલિ', પૂજાલાલનો ‘ગુર્જરી', ઇંદુલાલ ગાંધીના ‘શ્રીલેખા' અને ‘પલ્લવી ' એ સંગ્રહ આ દાયકામાં પ્રકટ થયા છે. ત્રીજી તરફ નવતર પેઢીના પ્રમુખ કવિ રાજેન્દ્ર શાહનો ‘ધ્વનિ', અને હરિશ્ચન્દ્ર ભટ્ટ, નિરંજન ભગત, બાલમુકુન્દ દવે, પ્રજારામ રાવળ, ‘ઉશનસ્', જયન્ત પાઠક, પ્રિયકાન્ત મણિયાર, પિનાકિન્ ઠાકોર, રતિલાલ છાયા, વેણીભાઈ પુરોહિત, મકરંદ દવે, હસિત બૂચ, સુરેશ જોશી, હસમુખ પાઠક આદિના, અભિવ્યક્તિના નવનવીન પ્રયોગો કરતા કાવ્યસંગ્રહો, અને આ સમયાવધિમાં સંગ્રહસ્થ નહિ થયેલા છતાં સામયિકોમાં પ્રકટ થયેલ શ્રી હેમન્ત દેસાઈ, નલિન રાવળ જેવા અનેક કવિઓનાં કાવ્યો : આ દાયકાની કવિતાની લાક્ષણિક તાસીર ઉપસાવી આપે છે. ૧૯૪૭માં આ૫ણને સ્વાતંત્ર્ય મળ્યું, દેશના ભાગલા પડ્યા, ગાંધીજીની હત્યા થઈ સરહદોના પ્રશ્નો ઊભા થયા, ચારે બાજુ સંહારની લીલા આરંભાઈ દેશી રજવાડાંઓનું વિલીનીકરણ થયું, પંચવર્ષી યોજનાઓ ઘડાઈ સ્તભૂદાનપ્રવૃત્તિ વિરવા લાગી, પ્રાંતોની પુનર્રચના થઈ; અને સમગ્ર રીતે પ્રજાજીવન વેરવિખેર થયું..આ અને આવી ઘટનાઓનાં પ્રતિબિંબ છેલ્લા દાયકાના સાહિત્યમાં ઝિલાયા વિના રહ્યાં નથી. ગાંધીયુગમાં સ્વતંત્રતાનો અગ્નિ પ્રજ્વલતો હતો અને એણે કવિતાને પ્રાણબળ પૂરું પાડેલું. પ્રસંગ કે ઘટનાની પ્રધાનતા એ યુગમાં વિશેષ મહત્ત્વ ધરાવતી હતી અને કવિતામાં એ સમયની ઘટનાઓ પ્રતિબિંબિત થઈ છે. અંગ્રેજસત્તા સામે અહિંસક યુદ્ધ ખેલાતું હતું, કવિઓમાં પણ એ ઉત્સાહનાં પૂર ઊમટેલાં હતાં. પરિણામે કાવ્યસર્જનમાં એ ભાવો વિપુલ પ્રમાણમાં ગૂંથાયેલા છે. એમાં સત્ત્વશાળી કાવ્યકૃતિઓની સાથે સાથે કેટલીક પ્રાસંગિક રચનાઓ પણ જન્મેલી છે. પરંતુ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગાંધીયુગની ઘટનાઓનો પ્રવાહ ઓસર્યો અને કવિતા પણ ભિન્ન પંથે સંચરી, અંતર્મુખ બનેલો સર્જક નવા નવા રમણીય આકારો સર્જવા કટિબદ્ધ થયો. નરસિંહરાવના સમયમાં ચંદ્ર, સૂર્ય અને તારકનાં ગાન ગાઈ કવિતા સર્જતો કવિ, ગાંધીયુગમાં દલિતો અને પીડિતો પ્રતિ સમભાવનાં ગાન ગાવા લાગ્યો. એમાં સ્વ-પુરૂષાર્થના ઉડ્ડયનને બદલે ક્યાંક ઉછીનાં પીછાંનું બળ પણ દેખાય છે. એ પછી સમયરંગ ઝીલવાને બદલે માનવભાવો તરફ વળતી કલમનાં દર્શન થાય છે. રાષ્ટ્રીય જાગૃતિ અને સામાજિક વિષમતાનો આલેખ હવે મંદ પડે છે અને કવિતાનો પ્રવાહ નરવા સૌન્દર્યના નિરૂપણ તરફ વળે છે. પરંતુ છેલ્લા દશકામાં, શ્રી ઉમાશંકરે દર્શાવ્યું છે તેમ, એમાં સમાજ-સંદર્ભનું પરિમાણ પ્રવેશે છે. આ સમાજ-અભિમુખતા, ગાંધીયુગ કરતાં વિશેષ વાસ્તવલક્ષી છે. એની ગતિ સાચા વાસ્તવદર્શી વલણ પ્રતિની છે. આ દશકામાં જીવન ઉપર પણ વાસ્તવિકતાનું ક્રૂર મોજું ફરી વળે છે અને જીવન નવી વેદનાઓથી ઊભરાવા માંડે છે. આપણો સામાન્ય માનવ-માનવ જીવન એની ભીંસ અનુભવી રહે છે. આ નવીન પરિસ્થિતિમાં કાવ્યસર્જન પણ નિરાશા અને વ્યથાના ભાવો અંકિત કરે છે. સમકાલીન આર્થિક, સામાજિક કે પછી નૈતિક બળોને એ ઝીલે છે અને એમની વ્યંજનાત્મક અભિવ્યક્તિ એ સાધે છે. ૧૯૫૧માં પ્રગટ થયેલા શ્રી રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ' કાવ્યસંગ્રહમાં, સમકાલીન ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ એ પછીના અન્ય કવિઓના સંગ્રહમાં સમકાલીન જીવનનો પડઘો પડે છે: માનવભૂમિકા પરથી કવિ એમનું દર્શન અને નિરૂપણ કરે છે. કેટલીકવાર એ વિષમ પરિસ્થિતિનું આલેખન કરે છે તો વળી કવચિત્ અસહાયતાને કારણે કટાક્ષનો ચાબુક પણ વીંઝી લે છે. શ્રી જયન્ત પાઠકે, એમના ‘આધુનિક કવિતા પ્રવાહ'ના બૃહન્નિબંધમાં દર્શાવ્યુ છે તેમ, છેલ્લા દાયકાની કવિતામાં પરિસ્થિતિની વાસ્તવિક્તાનો અને કવિહૃદયની નિખાલસ સચ્ચાઈનો સ્પષ્ટ રણકાર સંભળાય છે. એ પરિસ્થિતિ અને એ સચ્ચાઈ ‘હું છિન્નભિન્ન છું' કે ‘મને મુર્દાંની વાસ આવે' (બંને શ્રી ઉમાશંકરનાં) એ કાવ્યો આપણા કવિ પાસે સર્જાવે છે. વ્યાકુળતા અને પ્રકોપ, નિરાશા અને હતાર્થતાના સૂર આ દશકાની કવિતામાંથી ઊઠતા સંભળાય છે. પરિસ્થિતિની ભીંસ, નવી યાતનાઓ, માનવીની અસહાયતા અને હતાશા એમાં અભિવ્યક્તિ પામે છે. ચારે બાજુ જેવા મળતાં લાચારી અને દંભ કવિના હૈયાને અકળાવે છે. સ્વતંત્રનાને વધાવનાર કવિ, સ્વાતંત્ર્ય પછી નજરે પડતા માનવમનના અજંપાને, એની ગૂંગળામણને વ્યક્ત કરે છે. એમાં કવિને અંગત દૃષ્ટિકોણ પણ વિશેષ જોવા મળે છે. ક્યાંક ક્યાંક સ્વાનુભૂતિની ઉત્કટતાને સ્થાને, જાણે ફેશન ખાતર, અસુંદરનો પુરસ્કાર અને સુંદરનો તિરસ્કાર કરવાનાં વલણો ૫ણ અછતાં રહેતાં નથી. ચાલી આવતી પરંપરાને તોડી-ફોડી આઘાત આપવાની વૃત્તિ ૫ણુ જોર પકડતી દેખાય છે. એ માટે પરંપરાનાં પુષ્પ કે ચંદ્ર જેવાં પ્રતીકોનું સ્થાન લેવા સર્પ અને ધુવડ, લોહી અને પરુ દોડી આવે છે: એ માટે જ જાણે કૃતિઓ રચાતી હોય, નિશ્ચિત બીબાંમાં ગોઠવાતી હોય એવી છાપ પણ કેટલીકવાર પડે છે. સ્વાનુભૂતિનો અભાવ, આવી રચનાઓને દીર્ધાયુષી ન બનાવી શકે એ સ્વયંસ્પષ્ટ છે. પણ આ તો સમગ્ર પ્રવાહની એક સેર છે, અને એનું દર્શન, મુખ્યત્વે, દશકાના ઉત્તરાર્ધમાં થાય છે. આ દશકાની કવિતાએ આમ તો પ્રચલિત કાવ્ય વિષયોને જ આલેખ્યા છે, પણ એમના નિરૂપણમાં નાવીન્ય છે. અહીં પ્રણય અને પ્રકૃતિ, માનવતા અને અધ્યાત્મભાવ જેવા વિષયોની ખોટ નથી. એમાંયે પ્રેમ જેવો મહત્તમ ભાવ વિવિધ રીતે આલેખાયો છે, અને એના નિરૂપણમાં કવિએાએ નવીન પ્રતીકો પણ આપ્યાં છે. એમાં યૌવનની કોમળ પ્રણયભાવના છે, મસ્તી અને આનંદના ઉલ્લાસ-ઉછાળા છે, દામ્પત્યપ્રેમની પ્રસન્નતા છે અને ભગિનીસ્નેહનું નિરૂપણ પણ છે. નારીસૌન્દર્યનાં વર્ણનો છે, મદનબાણના અનુભવો છે અને સ્ત્રી-પુરુષ સંબંધનું કુત્સિત ચિત્રણ પણ છે. ક્યાંક પ્રણયની મુગ્ધ ચારુતા શુચિતાથી મુદ્રાંકિત થઈ છે, તો ક્યાંક સજની સાથેનું સહજીવન મધુરતા નિર્ઝરે છે. ગઝલોમાં પ્રણયની ચકચૂર મસ્તી આલેખાઈ છે અને ગીતમાં રાધા અને ગોરીના નેડાને નિરૂપતી પ્રીત-ચિનગારીઓ પણ ચમકી છે. ગાર્હસ્થ્યજીવનનું સુભગ દર્શન કરાવવા સાથે એના અસંતોષને પણ ક્યાંક ક્યાંક કવિઓએ નિરૂપ્યો છે. ક્યાંક ઊર્ધ્વયાત્રી કવિની મંગલ દૃષ્ટિનો ૫ણ પરિચય થાય છે, તો ક્યાંક ગૃહના પ્રેમ અને વિરહ ઉપરાંત વાત્સલ્યનું પણ મનોરમ નિરૂપણ થયું છે. પરંતુ આ સર્વમાં મુગ્ધ પ્રણય અને અતૃપ્તિની ઝંખના વિશેષ ધ્યાન ખેંચી રહે છે. શ્રી રામપ્રસાદ શુક્લે નોંધ્યું છે તેમ, અદ્યતન કવિતા પર ‘અરતિના ઓળા' વધુ પડેલા છે. પ્રકૃતિનું નિરૂપણ, આ દશકામાં, આહ્લાદક લાગે એવું થયું છે. અલબત્ત, ઉદ્દીપન વિભાવ તરીકે એનો ઉપયોગ આ ગાળામાં પણ ઠીક ઠીક થયો છે. વિશેષ કરીને ગીતામાં. પ્રકૃતિનાં વિવિધ અંગોનાં-વન, સરિતા, સાગર કે પર્વત સૌન્દર્યનાં-પ્રસન્નચારુ વર્ણનો કવિઓએ આપ્યાં છે અને એની વિવિધ અવસ્થાઓ પણ આલેખી છે. શ્રી રતિલાલ છાયાનાં સાગરકાવ્યોમાં અને આફ્રિકાના કાવ્યગુચ્છમાં સુંદર ચિત્રો અંકાર્યા છે. ગ્રામજીવન સાથે વણાયેલાં રમ્ય પ્રકૃતિચિત્રો પણ આ ગાળામાં અનેક કવિઓએ આપ્યાં છે. કવિઓની પ્રકૃતિપ્રીતિ અને એનાં દૃશ્યચિત્રણો હૈયે વસી જાય એવાં છે. એમાં નવલાં પ્રતિકો અને અભિવ્યક્તિની નવીન રીતિ આકર્ષી રહે છે. વિવિધ ઋતુઓના પ્રભાવને આપણા પ્રજારામ, ઉશનસ્, બાલમુકુન્દ, જયન્ત જેવા કવિઓએ મન ભરીને નીરખ્યા છે અને એથી માનવહૃદયમાં ઊઠતા ભાવોને પારખીને એમણે પ્રસાદભરી વાણીમાં ગાયા છે. ઋતુવિષયક કાવ્યો, કદાચ, આ દશકાની નોંધપાત્ર સમૃદ્ધિ છે. પ્રકૃતિદ્વારા કેટલાકે પરમતત્ત્વની ઝાંખી પણ કરાવી છે, તો બીજી બાજુ પોતાની ભાવાવસ્થાના આલેખન માટે કોઈક કોઈકે પ્રકૃતિતત્ત્વોમાં કુત્સિત દર્શન પણ કર્યું છે. નવતર કવિને પુષ્પમાં ભ્રમરનું ગુંજન નહિ પણ અસહાય ક્રંદન સંભળાય છે; ચન્દ્ર-પરૂ ભરાયેલો પાકી ગયેલો સૂર્ય, સૂર્ય-ઊના લોહીનો ગોળો અને તારા-રાતપાળીના મજૂર જેવા લાગે છે. સવાર કે બપોરનું વર્ણન કરતાં કવિ પોતાના પ્રતિભાવોને ૫ણ કેટલીકવાર ચોટદાર રીતે વ્યક્ત કરે છે. ‘તડકો’, ‘અંધકાર' અને 'ચાંદની' જાણે આ ગાળાના કવિઓના પ્રિય પ્રકૃતિવિષયો રહ્યા છે. પ્રકૃતિનો અલંકારસર્જનમાં થતો વિનિયોગ અહીં વિશેષ ધ્યાન ખેંચી રહે છે અને પ્રતીક તરીકેનો એનો ઉપયોગ સંતર્પક બની રહે છે. ‘બારમાસી' (રાજેન્દ્ર), ‘ઋતુચક્ર’ (હેમન્ત) જેવાં કાવ્યો આ સંદર્ભમાં તરત જ સ્મરણે ચડે એવાં છે. ક્યાંક ક્યાંક માનવભાવપ્રાણિત પ્રકૃતિનું નિરૂપણ પણ રોચક બન્યું છે. પ્રકૃતિચિત્રને માનવભાવોનાં ઉપમાનો આકર્ષક રીતે ઉપસાવી શક્યાં છે, તો ક્યાંક કવિની વિશિષ્ટ ભાવસ્થિતિ, પ્રકૃતિની ભૂમિકામાં, અચ્છી રીતે આલેખાઈ છે. આગળ ઉલ્લેખ્યું છે તેમ આ દશકામાં કવિએાએ દરેક વસ્તુને પોતાનો પ્રતિભાવ આપીને વ્યક્ત કરી છે. કવિની સમાજદૃષ્ટિ અને એના વાસ્તવપ્રેમનું નિરૂપણ અહીં મળે છે. નિરંજન, પ્રિયકાંત, હસમુખ જેવા કવિઓમાં વાસ્તવદર્શી વલણની કલાત્મક અભિવ્યક્તિ થઈ છે. વાસ્તવદર્શનમાં કેટલાક કવિઓએ કટાક્ષનો આશ્રય પણ લીધો છે, અને શ્રીધરાણી, જયંત પાઠક જેવા કવિઓમાં વિશેષ કરીને એ કવિના આંતરિક દર્દનો દ્યોતક બની રહે છે. કવિની મૂંઝવણોના અનુભવો અને એની માનસિક વેદનાઓ, જગતના પ્રવાહ પર દૃષ્ટિ પડતાં જન્મતી આકુળતા અને અસહાયતાની વ્યથા અહીં સાકાર થઈ છે. કોઈક પ્રતીકરૂપે કે કલ્પનરૂપે કવિતામાં સમાજનો સંદભ પ્રવેશે છે અને કવિતાના રસાયણમાં એકરૂપ પણ થઈ જાય છે. આ ગાળાના કવિઓએ જેમ સ્વરાજ્યપ્રાપ્તિ પછી દેશની દુર્દશાના અને હત્યાકાંડના ભાવો ગાયા છે, તેમ ભારતભક્તિનાં, દેશની વિભૂતિઓનાં, નવરસ્વાતંત્ર્યની સિદ્ધિનાં અને નવદેશદર્શનનાં ગાન પણ ગાયાં છે. સ્વરાજ્યપ્રાપ્તિ પછી કોઈકને ભારતદર્શન નિરાશ કરનારું પણ દેખાય છે, અને કડવા ઉદ્ગારો સરતાં ભારતમાં પ્રવર્તતી વિષમતાઓ પરત્વે કટાક્ષકોરડો પણ વીંઝ્યો છે. એક તરફ ગાંધીજી અને એમના મૃત્યુને નિમિત્ત બનાવીને આપણા કવિઓએ કેટલાંક ચિરંજીવ કાવ્યો આ ગાળામાં આપ્યાં છે, તો બીજી બાજુ વિનોબાજી અને ભૂદાનના નૂતન યજ્ઞને પણ એમણે મોકળે કંઠે બિરદાવ્યો છે. મહાગુજરાતની ભાવનાને પ્રેરતાં ગીતો ગાયાં છે, તો બીજે છેડે ‘હું ગુર્જર ભારતવાસી'ની ભાવના પણ સેવી છે. વચમાં ગુર્જરીના મહિમાગાનનાં સ્તોત્રોની સરવાણી પણ વહી છે. શહેરી જીવનની કૃત્રિમતા અને એનાં શોષણને-શહેરી સંસ્કૃતિને-પણ ઘણા કવિઓએ વિવિધ રીતે કાવ્ય સુધી પહોંચાડેલ છે. કોઈ ૫ણ યુગમાં કે સમયના અમુક ખંડમાં પરમતત્ત્વનાં ગાન ન ગવાયાં હોય એવું ભાગ્યે જ જોવા મળશે. ધર્મ-ભક્તિ-અધ્યાત્મનાં ભાવ- ઝરણાં આ દશકામાં પણ વિવિધ છાયાઓ ઝીલતાં વહી રહ્યાં છે. હતાશા અને નિરાશાની સાથે જીવનની પરમ શ્રદ્ધાના સૂર પણ આ ગાળામાં રણકી ઊઠ્યા છે. રામનારાયણ, સુધાંશુ, સુન્દરમ્, સરોદ, પ્રજારામ, રાજેન્દ્ર, મકરંદ, બાલમુકુંદ, વેણીભાઈ રતિલાલ છાયા, ઉશનસ્, પિનાકિન જેવા અનેક કવિઓમાં અધ્યાત્મની અભિવ્યક્તિ સાંપડી છે. અપ્રાપ્યની ઝંખના નવતર કવિઓમાં પણ જોવા મળે છે. ‘યાત્રા' જેવા કાવ્યસંગ્રહોમાં કવિની ઊર્ધ્વમંગલ દૃષ્ટિનો અને અધ્યાત્મયાત્રી કવિનો પરિચય થાય છે. અરવિંદ-જીવનદર્શનની અસર કેટલાક કવિઓએ સ્પષ્ટપણે ઝીલેલી છે. સુન્દરમ્, પ્રજારામ અને પૂજાલાલની કવિતામાં એ વિશેષરૂપમાં દૃષ્ટિગોચર થાય છે. તે આપણા અન્ય કવિઓ પર પણ એની છાયાનાં, ઓછેવત્તે અંશે, દર્શન થયા વિના રહેતાં નથી. . આ ગાળામાં વેણીભાઈ જેવા ભક્તિરસભીનાં, સુધાંશુ અને સરોદ જેવા ભાવાનુભવની સચ્ચાઈથી હૃદયતારને ઝણઝણાવતાં ભજનો આપે છે; દેવજી મોઢા જેવા કવિઓ સોરઠી ભજન પરંપરાને અનુરૂપ હથોટી દર્શાવી પ્રભુઝંખનાને નિરૂપે છે, મકરંદ ભક્તિકાવ્યો આપે છે. આપણી પ્રાચીન પરંપરાનું અનુસંધાન દાખવતાં ‘કીર્તનમંજરી', ‘ભજનામૃત' કે ‘કબીર ભજનમાલા' જેવા ભજનસંગ્રહો પણ આ દાયકામાં પ્રકાશિત થયા છે અને શ્રી દુલા કાગની વાણી પણ આ દાયકામાં સાંભળવા મળી છે. શ્રી મનસુખલાલ અને બેટાઈ જેવા કવિઓના પ્રાપ્ત સંગ્રહોમાં અધ્યાત્મ પ્રતિનો ઝોક, ક્યાંક તો ભજનના ઢાળોની આકર્ષક હથોટી સહિત, દેખા દે છે. શ્રી રાજેન્દ્ર જેવામાં તેમ અન્યત્ર પણ ટાગોરની રહસ્યમયતાની અસર વરતાય છે. તેમ છતાં આ ગાળાની કવિતા પર અરવિંદની અસર સૌથી વિશેષ ગાઢ છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજી તો અનેક કાવ્યોના વિષય તરીકે જેવા મળે છે. તત્ત્વજ્ઞાન અને કવિતાના વિરલ સંગમ સમાં કાવ્યો વિરલ જ મળ્યાં છે. સ્વરૂ૫દૃષ્ટિએ ગીતમાં પ્રાચીન ભજનપરંપરા ઘણી જળવાઈ છે, અને એમાં અધ્યાત્મનિરૂપણની રૂઢતા પણ આવી ગયેલી દેખાય છે; તો રાજેન્દ્ર જેવામાં અધ્યાત્મની સૂક્ષ્મ વ્યંજનાઓ પ્રગટી છે; બાલુમુકુન્દે ઘૂંટાયેલી ભજનિક બાની સર્જી છે, અને બીજા કેટલાકે એમાં લયકેફની સાધના કરી છે. આ વ્યાપકરૂપના પ્રવાહમાં કોઈકને ‘નકલી રહસ્યવાદ’નું તો કોઈકને ‘કૃત્રિમ આધ્યાત્મિકતા'નું પણ દર્શન થયું છે. તેમ છતાં, એક તરફ ટાગોર અને બીજી તરફ શ્રી અરવિંદની અસરો આપણી કવિતામાં ઝિલાયેલી છે એનો ઇન્કાર થઈ શકે એમ નથી. રાજેન્દ્ર એક તરફ ઘરાળુ બાનીનાં ભજનો આપે છે, તો બીજી બાજુ એમનાં કાવ્યોના પ્રિયલક્ષી વાચ્યાર્થમાંથી પણ પ્રભુલક્ષી વ્યંજનાનો અણસાર મળે છે અને ‘ઉપશમની શુભ્રરેખા' તો એમનાં ઘણાંખરાં કાવ્યોમાંથી ઊપસી આવતી દેખાય છે. હરિશ્ચન્દ્ર ભટ્ટની કૃતિઓમાં પણ ધર્મઝંખનાની કેવી ઉત્કટતા વરતાય છે! ગુજરાતી કવિતાએ, આ દાયકામાં, હૃદયના ગેરુઆ રંગનાં પણ દર્શન કરાવ્યાં છે. આ ગાળાની કવિતામાં હાસ્યવિનોદની લહરીઓ પણ ઊઠેલી જોઈ શકાય છે. રામનારાયણ જેવા કોઈક વિનોદ દ્વારા જીવનદૃષ્ટિ સ્પષ્ટ કરી આપે છે, અને રેડિયો-મુશાયરા માટે ‘હળવા હાથ'ની રચનાઓ પણ આપે છે. મુશાયરા પ્રવૃતિને કારણે કે અન્ય કોઈ પ્રયોજનસર કોઈક જુગા પંડ્યા જેવાની રચનાઓમાં સ્થૂળ હાસ્યના ચમકારા નજરે પડે છે. કોઈક ઉખાણાં જેવી રચનાઓ પણ આપે છે, તો ગીતાબહેન પરીખ કે પ્રબોધ જોશી જેવા કવચિત્ શબ્દશ્લેષ પર રાચતી ચાતુરીભરી રચનાઓ કરે છે. પરંતુ આ દાયકામાં રમણલાલ દેસાઈ અને શશિન્ ઓઝા (‘અભ્યર્થના')ના કાવ્યસંગ્રહોમાં પ્રતિકાવ્યોનું પ્રમાણ ઠીક ઠીક નજરે પડે છે. શ્રી ઓઝાને આ પ્રકાર વિશેષ ફાવતો લાગે છે અને એ દ્વારા આકર્ષક વિનોદલહરીઓ પ્રગટાવે છે. શ્રી વેણીભાઈને પણ હળવાં કાવ્યોનો પ્રકાર ઠીક ફાવે છે. એવી કૃતિઓ લોકાનુરંજક શૈલીવાળી છાપાળવી હળવી રચનાઓ હોય છે. ગઝલના સ્વરૂપમાં પણ હાસ્યનું વહેણ ઠીક ઠીક વળેલું દેખાય છે. શ્રી શ્રીધરાણી તેમ જ અન્ય નવતર કવિઓની કવિતામાં તીખા-વેધક કટાક્ષનાં દર્શન થાય છે. આ દાયકાની કવિતાનો અંતર્મુખ બનેલો કવિ પોતાની મૂંઝવણને, પોતાના અનુભવને, પોતાના ચિંતનને વિવિધ રીતે વ્યક્ત કરે છે. ‘ફાઉન્ટનના બસસ્ટોપ પર’ ઊભો રહીને એ પોતાની વેદના નિરૂપે છે; પોતાની છિન્નભિન્નતાનું દર્શન કરાવે છે; વર્તમાન સમયની સંક્ષુબ્ધતા પ્રગટ કરે છે; આસપાસના જીવનની આલોચના કરે છે; વિલક્ષણતાથી ભરેલું વિપરીત દર્શન પણ કરે છે. સમાજના પ્રતિનિધિરૂપ ફેરિયો કે વેશ્યા જેવાં પાત્રો લઈને કે ઊંટ-શિયાળ-કૂતરાના ‘પશુલોક'ને આલેખીને એ ચિંતન રજૂ કરે છે. એમાં ક્યાંક કવિતાનો આસ્વાદ આહ્લાદક રીતે માણવા મળે છે. હવે આ દશકાનાં કાવ્યસ્વરૂપોનું વિહંગદર્શન કરીએ. આપણાં પ્રચલિત કાવ્યસ્વરૂપો ગીત અને સૉનેટ, મુક્તક જેવી રચનાઓ અને ગઝલો, પ્રસંગકાવ્યો ખંડકાવ્યો અને ‘ઓડ' પ્રકારની મનનપ્રધાન રચનાઓ પણ આ સમયમાં સર્જાઈ છે. ઉપરાંત આપણા પ્રચલિત કાવ્યરૂપોનાં ચોકઠાંમાં ન બેસાડી શકાય એવાં, ઉપર ઉલ્લેખેલાં નિરંજનનાં ‘પાત્રો' કે હસમુખનું ‘પશુલોક' પણ ધ્યાન ખેંચે છે. ઉમાશંકરનાં ‘પ્રાચીના'નાં પદ્યરૂપકોનું સ્મરણ કરાવતી સુદીર્ઘ પરલક્ષી વૃત્તાંતાત્મક કૃતિઓ શ્રી ઉશનસે ‘નેપથ્યે’-માં આપી છે. રામનારાયણ, રાજેન્દ્ર, બાલમુકુંદ, પ્રજારામ વગેરે કવિઓએ ખંડકાવ્ય કે કથનાત્મક ઊર્મિકાવ્યોમાં સુદીર્ઘ કૃતિઓ સર્જી છે. ‘તુકારામનું સ્વર્ગારોહણ', 'નિર્વાણસંધ્યા', 'વિશ્વામિત્ર' જેવી કૃતિઓ, આ પ્રકારમાં, ધ્યાન ખેંચી રહે છે. પૌરાણિક, ઐતિહાસિક કે સમકાલીન પ્રસંગો આ પ્રકાર માટે આકર્ષણરૂપ રહ્યા છે. શ્રી માણેકે ‘વ્યાસ' પર એક સુદીર્ઘ કૃતિનો આરંભ કર્યો છે અને ‘સંસ્કૃતિ'માં એના કેટલાક ખંડો પ્રગટ થયા છે. જશવંત ઠાકરનું કથાકાવ્ય ‘ઉર્વશી’ પણ ઉલ્લેખવું જોઈએ. પ્રેમશંકર ભટ્ટ અને હસિત બૂચના સંગીતરૂપકોના સંગ્રહો પણ આ દાયકામાં પ્રગટ થયા છે. અમૃત ઘાયલ, ગની દહીંવાલા, જમિયત પંડ્યા, કુરેશી, રતિલાલ ‘અનિલ', ડાયર, વિશ્વસ્થ, મકરંદ, હરીન્દ્ર, શેખાદમ આબુવાલા, વેણીભાઈ વગેરેની ગઝલ રચનાઓ, ગઝલ આપણે ત્યાં કેવી લોકપ્રિય રહી છે એની પ્રતીતિ આપી રહે છે. ગઝલના સંગ્રહો પણ આમાંના કોઈ કોઈએ આપ્યા છે, અને એમાં સાચી કવિતાને સિદ્ધ પણ કરી છે અને ગઝલના મૂળ સ્વરૂપની બરાબર પકડ પણ ક્યાંક ક્યાંક જણાઈ આવે છે. આ સમયમાં લઘુરચનાઓ તરફ કવિઓની પ્રીતિ વિશેષરૂપમાં જેવા મળે છે. શુદ્ધ મુક્તકો પણ રામનારાયણ, હરિશ્વન્દ્ર, પ્રજારામ, બાલમુકુન્દ, ઉશનસ્, જયંત વગેરે કવિઓએ સર્જ્યાં છે, અને કેટલાકે તો સ્વચ્છ પાણીદાર કાવ્ય-મૌક્તિકોની પણ ભેટ ધરી છે. હસમુખ પાઠક જેવાએ ‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નથી!' જેવું દોઢેક પંક્તિનું અનવદ્ય મુક્તક પણ આપ્યું છે. મુક્તક જેવી ટૂંકી રચનાઓ - એકાદ વિચાર કે સંવેદનને સચોટ રીતે અભિવ્યક્ત કરતી, કવચિત્ વક્રદર્શનનો આશ્રય લેતી કૃતિઓ-નવતર કવિઓએ વિશેષ આપી છે. નિરંજન, પ્રિયકાન્ત, ઉશનસ્, સુરેશ જોષી વગેરે કવિઓની ચાર-છ પંક્તિઓની આવી રચનાઓ આ ગાળામાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો કેટલીક કેવળ આપણાં ઉખાણાંનું સ્મરણ કરાવતી, શબ્દશ્લેષનો આશ્રય લઈ દલપતશૈલીમાં સરી પડતી રચનાઓ પણ ગીતા પરીખ જેવાએ આપી છે ખરી. સૉનેટના સ્વરૂપનું આકર્ષણ હજી ઓસર્યું નથી. ‘ગુર્જરી’, ‘આત્માની કલા', ‘સૉનેટ’ જેવા નર્યા સૉનેટના જ સંગ્રહો આ દશકામાં પ્રગટ થયા છે. તેમ છતાં, આ પ્રકાર આગલા યુગને મુકાબલે ઓછો ખેડાયો છે. અભિવ્યક્તિના નવનવીન પ્રયોગો કરવાનું વલણ એમાં કારણભૂત છે. તેમ છતાં ઉમાશંકર, સુંદરમ્નાં ‘વસંતવર્ષા' અને ‘યાત્રા'માંનાં અતીવ રમણીય સૉનેટકાવ્યો, ‘આયુષ્યના અવશેષે' કે ‘વનખંડન' જેવાં રાજેન્દ્રનાં અનવદ્ય સૉનેટો, નિરંજન, બાલમુકુન્દ, ઉશનસ્, જયંત પાઠક, પ્રજારામ જેવાનાં વિવિધ વિષયો પરના રમ્ય-રસાન્વિત સૉનેટ આ દશકાની સિદ્ધિરૂપ છે. સંસ્કૃતવૃત્તોની ચેતોહારી ચારુતા એમાંના ઘણાખરા કવિઓએ પ્રગટ કરી છે, કરુણપ્રશસ્તિકાવ્યોમાં શ્રી બેટાઈનું ‘સદ્. ચંદ્રશીલાને' સૌથી વિશેષ આકર્ષણ જન્માવે છે અને આપણાં આ સ્વરૂપનાં ઉત્તમ કાવ્યોની હરોળમાં પોતાનું સ્થાન મેળવે છે. આ ગાળાના કવિઓનું માનીતું સ્વરૂપ જાણે ગીત જ રહ્યું હોય એવી સ્પષ્ટ છાપ પડે છે. નરી સંખ્યાને કેન્દ્રમાં રાખીએ તો આ ગાળામાં ગીતોનો ફાલ વિપુલ ઊતર્યો છે એમ કહી શકાય. ઇંદુલાલ ગાંધી, રાજેન્દ્ર, નિરંજન જેવા કવિઓએ ગીતોના સ્વતંત્ર સંગ્રહો પણ આપ્યા છે. પ્રણય, પ્રકૃતિ, પરમતત્ત્વ એમ અનેકવિધ ભાવોનું લલિતમધુર ગાન કવિઓએ ગીતોમાં કર્યું છે. ઉમાશંકર, સુન્દરમ્, રાજેન્દ્ર, નિરંજન, બાલમુકુન્દ, વેણીભાઈ, સરોદ, મકરંદ, પિનાકિન, પ્રિયકાંત વગેરે અનેક કવિઓએ ગીતોમાં પોતાની હૃદયશ્રીને રેલાવી છે. એમાં આનંદ અને ઉલાસ, પ્રણયની મસ્તી અને વિરહની વેદના, પ્રકૃતિનાં વિવિધ તત્વો અને સ્થળની પ્રીતિ, પરમતત્ત્વની ઝંખના અને અધ્યાત્મભાવ-આ સર્વને કવિઓએ ગીતોમાં, વિવિધ લયમાં, રેલાવેલ છે. એમાં ભૂદાનપ્રવૃત્તિનો મહિમા પણ ગવાયો છે. સંગીતનું રવમાધુર્ય, લયકેફ ગીતોમાં વિશેષ આસ્વાદવા મળે છે. એમાં બંગાળી અને મારવાડી લયની અસર પણ જોવા મળે છે, તે પ્રદ્યુમ્ન તન્ના ને ચંદ્ર પરમાર જેવા કવિએાએ પ્રાદેશિક બોલીની અભિવ્યંજનાશક્તિ પણ ગીતરચનાઓમાં આકર્ષક રીતે પ્રગટાવી છે. ક્યાંક લોકગીતોના અનુસરણની ઘેલછા પણ દેખાય છે. રાજેન્દ્ર અને બાલમુકુન્દે કદાચ, આ સ્વરૂપમાં, સૌથી વિશેષ સિદ્ધિ દર્શાવી છે. ગ્રામજીવનની પાર્શ્વભૂ લઈને અને રાધા-કૃષ્ણને કેન્દ્રમાં રાખીને આપણા ગીતકવિઓએ પોતાના ઉલ્લાસને ગાયો છે, વાગોળ્યો છે. કવચિત્ ફાગણ-શ્રાવણ કે રાધા-ગોરીનું ચવાઈ ગયેલું વસ્તુ કોઈને એકવિધ અને કંટાળાજનક પણ લાગે, કવચિત્ ગીતના લયમાં ઢાળની એકવિધતા કોઈને રોચક ન પણ થઈ પડે. આ સ્વરૂપમાં હજી ન્હાનાલાલને આપણે ત્યાં કોઈ આંબી શક્યું નથી. ન્હાનાલાલ-યુગમાં એ સ્વરૂપનો અતિરેક થયો અને બળવંતરાયના આગમને આખો ‘રાસયુગ' અલોપ થઈ જવા જેવું થયેલું. એ જ રીતે વર્તમાન સમયમાં પણ અતિશય ફૂલેલી-ફાલેલી ગીતપ્રવૃત્તિ, થોડાક અપવાદને બાદ કરતાં, હવે કવિના વાસ્તવદર્શી વલણ, અભિવ્યક્તિના નવીન પ્રયોગો, પરંપરિત છંદો અને ગદ્યલઢણોના ઉપયોગ પ્રતિના સવિશેષ ઝોકને કારણે મંદ પડેલી વરતાય છે. અત્યારનો કવિ રૂઢ કાવ્યસ્વરૂપોની ઉપાસના કરતો નજરે પડતો નથી. એનું લક્ષ્ય તો પોતાના અનુભવને અભિવ્યક્ત કરવા તરફ છે. રામનારાયણ જેવા કોઈક નવીન રીતિનો ૫ણ આશ્રય લે છે, તો હરિશ્ચન્દ્ર અને રાજેન્દ્ર જેવા કવિઓએ આપણે ત્યાં પ્રચલિત બનેલાં કાવ્યરૂપોમાં પણ રમણીય કવિતા સર્જી છે. શ્રીધરાણી જેવા કવિની ઉત્તરરચનાઓ એમની પૂર્વની રચનાઓથી જુદું જ કાઠું, જુદી જ ઇબારત દર્શાવે છે. નવતર કવિ અભિવ્યક્તિ તરફ પોતાનું લક્ષ્ય વિશેષ કેન્દ્રિત કરી. રહ્યો છે. પદ્યલયના વિવિધ પ્રયોગો એ કરે છે. સંસ્કૃત વૃત્તો એને અકળાવતાં નથી, એમાં પણ મધુર કાવ્યબાની એ સિદ્ધ કરી શકે છે. નવતર કવિઓમાંથી શ્રી સુરેશ જોષીએ પોતાના પ્રથમ સંગ્રહ ‘ઉપજાતિ'ની પ્રત્યેક રચના ઉપજાતિ છંદમાં જ રચી છે. ઉમાશંકર-સુન્દરમ્ પછીની પેઢીના રાજેન્દ્ર આદિ કવિઓએ સંસ્કૃત છંદો-હરિણી, મંદાક્રાન્તા. શિખરિણી વગેરે-માં મેળવેલી સિદ્ધિ અનુપમ છે. સંસ્કૃત વૃત્તોમાં પણ એકાદ વર્ણ ઉમેરીને કે ઘટાડીને એ પોતાની અભિવ્યક્તિને અનુરૂપ સ્વરૂપ માટે સુભગ પ્રયત્નો કરે છે. અભ્યસ્ત વૃત્તના પ્રયોગો પણ તે કરી જુએ છે, પરંતુ છન્દની બાબતમાં આ દશકાનો કવિ વિશેષ પ્રયોગશીલ છે. સંસ્કૃત છંદોનો ઉપયોગ હવે ઓછો થતો જાય છે અને ગદ્યની સમીપની લઢણ એ વિકસાવતો જતો દેખાય છે. કવિતાના કલેવરમાં અત્યારે ફેરફારો થઈ રહ્યા છે એમાં કવિહૃદયનાં સંવદનો સચ્ચાઈપૂર્વક પ્રગટ થવા મથામણ કરી રહ્યાં છે એમ લાગે છે. ન્હાનાલાલની ડોલનશૈલીને મળતી નહિ, પણ બળવંતરાયે શરૂ કરેલી પ્રવાહી પદ્યરચના જાણે અત્યારે આગળ વિસ્તરીને મુક્ત પદ્ય તરફ ગતિ કરી રહી હોય એવું સ્પષ્ટ લાગે છે. અત્યારનો કવિ હરિગીત, ઝૂલણા, સવૈયા, ગુલબંકી, મનહર, વનવેલી જેવા છંદો પ્રવાહી બનાવવા એમનાં પરંપરિત રૂપો યોજે છે, એના કથયિતવ્યને અનુરૂપ પંક્તિના ખંડો યોજે છે, અર્થ વધુ સ્પષ્ટ થાય એ માટે અર્થને અનુકૂળ પંક્તિઓની ગોઠવણી કરે છે અને એ છંદોની સાથે કવચિત્ ગદ્યખંડો પણ પ્રયોજે છે. આમ, નિશ્ચિત છંદરચનાથી એ સહેજ દૂર પણ રહે છે. ઉમાશંકરથી નલિન રાવળ સુધીના કવિઓમાં છંદના આ પ્રયોગો થતા રહ્યા છે, અને એ દ્વારા મુક્ત પદ્યનું સ્વરૂપ સિદ્ધ કરવા મથામણ ચાલી રહી છે. ઉમાશંકરે એમના એક કાવ્યમાં આપણા ચારે છંદકુળના છંદો અને એ સાથે ગદ્યપંક્તિખંડનો ઉપયોગ કાવ્યના ભાવને અત્યંત અનુરૂપ થાય એ રીતે સફળતાપૂર્વક કર્યો છે. આ દશકાના નવતર કવિઓ ઘરાળુ, બોલચાલની લઢણવાળી ભાષા યોજે છે, એક-બે કે ત્રણ શબ્દોની પંક્તિઓવાળાં લાંબાં-ટૂંકાં ચરણો યોજે છે, અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતાં એમને છોછ થતો નથી, તેમ ઉપેક્ષિત શબ્દોની પ્રતિષ્ઠા પણ કરે છે. કોઈને વિલક્ષણ લાગે એવા અલંકારપ્રયોગો કવિઓ કરે છે, પણ અલંકારનો ઉપયોગ કાન્ત-ન્હાનાલાલ કે ગાંધીયુગના કવિની જેમ સૌન્દર્યનિષ્પત્તિ માટે કરવાનું વલણ નથી. ‘છાપાની હજારો પ્રત' કે ‘કંટાળાજનક ભાષણ’, ‘રાતપાળીના મજૂર' કે ‘ઠોઠ નિશાળિયાનો કાન’ નવતર કવિનાં ઉ૫માનો બને છે. એ દ્વારા એ વર્તમાન પરિસ્થિતિનો વેધક ચિતાર પણ આપી દે છે. એ જ રીતે એ નવાં નવાં પ્રતીકો યોજે છે અને રૂઢ પ્રતીકો દ્વારા પણ નવાં નવાં અર્થદર્શન કરાવે છે. માનવીની હતાશા અને અસહાયતાને એ ઘુવડ કે સર્પ, અંધકાર કે કાચંડા દ્વારા વ્યક્ત કરે છે. એવાં પ્રતીકોની વિપુલતા અત્યારના કવિમાં, કેટલીકવાર તો અસહ્ય થઈ પડે એટલા પ્રમાણમાં, નજરે પડે છે, અને ભાવ સ્પષ્ટ થવાને બદલે અસ્પષ્ટ પણ રહી જાય છે. એમાં ક્યાંક કૃત્રિમતાનું પણ દર્શન થાય છે. રાજેન્દ્ર કે પ્રિયકાન્ત, હસમુખ કે નલિન જેવા કેટલાક કવિઓમાં જોવા મળતાં ભાવસભર, વ્યંજનાગર્ભ પ્રતીકો કાવ્યાર્થને ઝળાંહળાં પણ કરી મૂકે છે. એ સાચું કે નવતર પેઢીના કવિઓનું લક્ષ્ય પ્રતીક અને કલ્પન પર સવિશેષ છે. આજનો કવિ પોતાનાં કાવ્યોમાં કવચિત્ વિવેકપૂર્વક તો ક્વચિત્ ફેશન ખાતર કૌંસનો ઉપયોગ કરે છે. મનની વાત આડવાતમાં કહી દેવા, કાવ્યમાં ભાવનું નિરૂપણ કરતાં કરતાં સ્ફુરેલા અન્ય વિચારને એ કૌંસમાં મૂકી દે છે, તો કાવ્યમાં કેટલીકવાર ભૌમિતિક આકૃતિઓ પણ ઊભી કરે છે. અલબત્ત, ભાવ પ્રમાણે પંક્તિખંડો કે શબ્દખંડો છાપીને એ અમુક ચોટ ઊભી કરવા પ્રયત્નો કરતો હોય છે, અને એ દ્વારા કેટલેક સ્થળે ચોટદર ભાવાભિવ્યક્તિ સાધે છે. પરંતુ મુદ્રણકળા તરફ એથી વિશેષ લક્ષ આપવા જતાં-ચિત્રકાવ્યોની જેમ શબ્દોની કરામત ભરી ગોઠવણી કરવા જતાં-એમાં ફસાઈ જવાનો પણ પૂરો સંભવ છે. ગમે તેમ, આજના કવિનું કાવ્યના સ્થૂળ આકાર તરફ પણ વિશેષ ધ્યાન ગયું છે. પશ્ચિમની વર્તમાન કવિતાની અસરો એ ઝીલતો જોવા મળે છે. ભાષા અને છન્દ, ભાવપ્રતીક અને નિરૂપણરીતિ-એમ અનેક દિશામાં એ અભિવ્યક્તિ માટે વિવિધ પ્રયોગો કરી રહ્યો છે. આ સર્વ દ્વારા પોતાના આંતરવાસ્તવનું પ્રકટન કરવા એ મથી રહ્યો છે.

મુશાયરા અને કવિસંમેલનો, રેડિયો, પાઠ્યપુસ્તકો અને વિવિધ સામયિકો-આ સર્વ કવિતાના પ્રચારનાં સાધનો છે. બુધકાવ્યસભાનું પણ કવિતાવિકાસપ્રવૃત્તિમાં મહત્ત્વનું અર્પણ છે. ‘કવિતા', ‘કવિલોક', ‘મંજરી' જેવાં અનિયતકાલિક કાવ્યસામયિકો આ ગાળામાં પ્રકાશિત થતાં રહ્યા છે. ગઝલ અને મુશાયરાની પણ ખાસ પુસ્તિકાપ્રવૃત્તિ આ દાયકામાં આરંભાઈ છે. સાહિત્ય અકાદમીએ પણ ભારતની પ્રત્યેક ભાષામાં કાવ્યોમાંથી તે તે વર્ષનાં ઉત્તમ કાવ્યો હિન્દી અનુવાદ સાથે સંગ્રહસ્થ કરીને પ્રકાશિત કર્યા છે. આપણે ત્યાં પણ આ દાયકામાં કેટલાંક વર્ષોના પ્રતિનિધિ સંગ્રહો, અમુક કવિઓનાં વણેલાં કાવ્યોના સંગ્રહો, વિવિધ વિષયો, પ્રકારો અને સમયગાળાને લક્ષમાં રાખીને થયેલાં સંપાદનો પ્રકાશિત થયાં છે. આમ, કાવ્યપ્રવૃત્તિ માટે ગુજરાતમાં, આ દાયકામાં સવિશેષ ઉત્સાહ અને ઉમંગનાં દર્શન થાય છે. આ દાયકાના વિપુલ કાવ્યસંગ્રહરાશિમાંથી કેટલાક સત્ત્વશાળી સંગ્રહોમાં ‘હરિસંહિતા’, ‘યાત્રા’, ‘વસંતવર્ષા’, ‘ધ્વનિ', ‘અનુભૂતિ', ‘વિશેષાંજલિ', ‘છંદોલય' (સંવર્ધિત), ‘સ્વપ્નપ્રયાણ', ‘પ્રસૂન', ‘પરિક્રમા', ‘પદ્મા', ‘સિંજારવ', ‘પ્રતીક', ‘આલાપ', ‘કોડિયાં' (સંવર્ધિત), ‘મર્મર’, ‘મધ્યાહન’, ‘નમેલી સાંજ', ‘રોહિણી’, ‘ગોરજ’ જેવા સંગ્રહોનું સ્મરણ કરી શકાય. એમ તો ઉપરના સંગ્રહો આપનાર કવિઓએ પોતાના બીજા કે ત્રીજા સંગ્રહ પણ દાયકામાં આપેલા છે–‘શ્રુતિ', ‘મનોમુદ્રા’, ‘સંકેત', ‘નેપથ્યે', ‘કિન્નરી', ‘અલ્પવિરામ’, ‘૩૩ કાવ્યો', ‘અશબ્દ રાત્રિ' વગેરે. સ્વરૂપ કે વિષય, અભિવ્યક્તિ કે અન્ય રીતે ધ્યાન ખેંચતા સંગ્રહોમાં ‘ઉપજાતિ', ‘દેવદત્તા', ‘ગાતાં ઝરણાં', ‘આત્માની કલા', ‘કાવ્યલહરી', ‘ગુર્જરી', ‘રૂપનાં અમી', ‘ચાંદની’, ‘સોનેરી લટ', ‘અભ્યર્થના', ‘આરત ', ‘વિશ્રામ', ‘રામરસ', '‘અલખ તારો', ‘પલ્લવી', ‘શૂળ અને શમણાં', ‘ડમરો અને તુલસી', ‘દીવાને સાગર', ‘નયનધારા'ને યાદ કરી શકાય. એમ તો જેમના સંગ્રહો આ દાયકામાં પ્રગટ ન થયા હોય છતાં સામયિકોમાં જેમની અનેક કૃતિઓ વારંવાર આસ્વાદવા મળે છે એ કવિઓનાં નામની યાદી કરીએ તો પણ લાંબી થવાનો સંભવ છે. આગળ નહિ ઉલ્લેખાયેલા જૂની પેઢીના સ્નેહરશ્મિ, રામપ્રસાદ, નંદકુમાર જેવા કેટલાય કવિઓ તરફથી આ દાયકાને કાવ્યરચનાઓ પ્રાપ્ત થઈ છે, અને ગયા દાયકાના તેમ જ નવ કવિઓ પણ આ સ્વરૂપને પોતાના અર્પણથી સત્ત્વવન્તું બનાવી રહ્યા છે. એમાંના કેટલાકમાં ચંપકલાલ વ્યાસ, પારાશર્ય, જશવંત ઠાકર, જયાનંદ દવે, વિવિત્સુ, સ્વપ્નસ્થ, દુર્ગેશ શુકલ, હેમંત દેસાઈ પ્રાસન્નેય, નલિન રાવળ, સુરેશ દલાલ, જશભાઈ પટેલ, હીરાબહેન પાઠક, ગીતા પરીખ, રમણ કોઠારી, દિનેશ કોઠારી, વિનોદ અધ્વર્યુ, શશિશિવમ્, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ભાનુપ્રસાદ ત્રિવેદી, જગદીશ ત્રિવેદી, રાજેન્દ્ર વોરા, બટુકરાય પંડ્યા, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી, ઈન્દુકુમાર ત્રિવેદી, અનવર આગેવાન, ફકીરમહંમદ મનસૂરી, રમણલાલ જાની, જશવંત લ. દેસાઈ, જતીન્દ્ર આચાર્ય વગેરેનું અહીં સહેજે સ્મરણ કરી શકાય. અલબત્ત, આ યાદી સંપૂર્ણ નથી અને નામોનો ક્રમ સૂચક નથી. દાયકાનું કવિતાસાહિત્ય વિપુલ છે, સ્વરૂપ અને સામગ્રીની દૃષ્ટિએ વિવિધ છે, અને આગલા દાયકા કરતાં વધુ સત્ત્વશાળી છે. આપણા એક શ્રેષ્ઠ કવિની લાક્ષણિક્તાઓનો પરિચય કરાવતી, પંક્તિસંખ્યાની દૃષ્ટિએ અપૂર્વ ‘હરિસંહિતા,’ નવીન પેઢીના અગ્રણી કવિ સુન્દરમનો દાયકાનો ઉત્તમ ગણી શકાય એવો કાવ્યસંગ્રહ ‘યાત્રા' અને બીજા અગ્રણી કવિ ઉમાશંકરનો ‘વસંતવર્ષા' તેમ જ આપણા ‘સૌન્દર્યલુબ્ધ કવિ' રાજેન્દ્ર શાહનો ‘ધ્વનિ’-આ દાયકાની અતીવ મૂલ્યવાન કાવ્યસંપત્તિ છે.