ગ્રંથ અને ગ્રંથકાર/ધનવન્ત પ્રીતમરાય ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ધનવન્ત પ્રીતમરામ ઓઝા

[૨૩-૯-૧૯૧૨]

એમનો જન્મ સૌરાષ્ટ્રના ગામ વસાવડમાં ઈ.સ. ૧૯૧૨ના સપ્ટેમ્બરની તેવીસમીએ થયો હતો. તેઓ મૂળ રાજકોટના વતની. એમનાં માતાનું નામ મણિબહેન અને પિતાનું નામ પ્રીતમરામ દોલતરામ ઓઝા. તેમણે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં માધ્યમિક અને જૂનાગઢની બહાઉદ્દીન તેમ જ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું હતું. તેઓ વિજ્ઞાનના સ્નાતક છે. કૉલેજકાળ દરમ્યાન કૉલેજની ‘મેરિટ સ્કોલરશિપ’ તેમને મળેલી. અભ્યાસ પૂરો કરી શરૂમાં તેઓ અમદાવાદના મજૂર મહાજન સંઘમાં જોડાયા અને પછી સ્વાતંત્ર્ય આંદોલનો અને પત્રકારત્વ તેમ જ લેખનવ્યવસાયમાં પડ્યા. એમના જીવન ઉપર સૌ પ્રથમ અસર એમના વડીલ બંધુ સદ્ગત શ્રી વિજયરામની પડી હતી. તે પછી મુરબ્બી શિક્ષક શ્રી જ્યેષ્ઠારામ ઉપાધ્યાયની, પ્રોફેસર મહાદેવ મલ્હાર જોશીની અને શ્રી ગુલઝારીલાલ નંદાની અસર નીચે તેઓ આવેલા. છેવટે માર્ક્સવાદી સાહિત્યે એમને જીવનદર્શન આપ્યું. સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાન કારાવાસે એમના લેખનને વ્યવસ્થિત બનાવ્યું. શ્રી ધનવન્ત ઓઝાએ પોતાની જાતને ‘સર્વતંત્રસ્વતંત્ર સિદ્ધાંતનિષ્ઠ જ્ઞાનાર્થી’ તરીકે ઓળખાવાનો સતત આગ્રહ રાખ્યો છે. લેખનપ્રવૃત્તિ એમને મન સંગ્રામનું શસ્ત્ર છે. વર્ગવિહીન સમાજરચનાની સ્થાપના માટેના સંગ્રામમાં તેમણે એ શસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એમણે લેખનપ્રવૃત્તિનો આરંભ શાળામાં હતા ત્યારે કાવ્ય લખીને કર્યો. પછી ‘મજૂર સંદેશ'ના સંપાદન કાર્યમાં તેમને ઠીક ઠીક તાલીમ મળી. ૧૯૩૩થી પુસ્તક-પુસ્તિકા લખવાનું શરૂ કર્યું. એમનું પહેલું પુસ્તક છે શ્રી જયપ્રકાશ નારાયણ કૃત 'સમાજવાદ શા માટે?' એ ગુજરાતી અનુવાદ. શ્રી ધનવન્તભાઈએ અંગ્રેજીમાં ૫ણ લેખો અને પુસ્તકો લખ્યાં છે. Gandhi and Labour, Whither Jawahar, Salute to the Soviet Union, Emerging Problem, Indulal Yagnik, Neo-revisionism, Wilkie's World વગેરે. એમનો પ્રિય લેખક છે કાલિદાસ, કાલિદાસ એના નક્કર વાસ્તવવાદને લીધે, આજપર્યત અદ્વિતીય રહેલી પ્રતિભાને લીધે, એમને સતત આકર્ષે છે. એમનું પ્રિય પુસ્તક છે ‘મેઘદૂત'. કલ્પના, વર્ણન, શબ્દચિત્ર-એક શબ્દમાં કહીએ તો તેના પરિપૂર્ણ કાવ્યત્વ-ને લીધે એમને એ પ્રિય છે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે ઇતિહાસલક્ષી જીવનચરિત્ર. જીવનચરિત્ર એ જીવનદૃષ્ટિ આપવાનું સૌથી સફળ ને સબળ સાહિત્ય-સ્વરૂપ છે માટે એમને એના તરફ પક્ષપાત છે. તેઓ સતત સાહિત્યની સાધના કરે છે; લગભગ બધા જ વિષયોનાં પુસ્તક વાંચે છે. તેઓ માને છે કે જ્ઞાન અખંડ છે. તેઓ આજીવન જ્ઞાનાર્થી છે. તેઓ પ્રવર્તમાન પરિસ્થિતિથી અજંપો અનુભવે છે; એ જ અજંપો એમનું પ્રેરક બળ છે. એમની સૌ પ્રથમ કૃતિ ‘સમાનતાના રાહ' નામની સામ્યવાદની બાળપોથી, અમદાવાદના સરસપુરના કામદાર બંધુઓની સહાયથી, એમણે પ્રસિદ્ધ કરી હતી. અત્યારે તેઓ કેટલાંક વર્ષોથી ‘જીવનચરિત્રમાળા' લખી રહ્યા છે. એમાં સુમારે ૨૫૦ ઉપરાંત પુસ્તિકાઓ આપવાનો સંકલ્પ છે. આ ‘જીવનચરિત્રમાળા' આંતરરષ્ટ્રીય, ભારતીય કે પ્રાંતીય જીવનની સમૃદ્ધિમાં ફાળો આપનાર પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોની મિતાક્ષર જીવનકળા અને જીવનભાવનાનો સુમેળ સાધે છે, સાહિત્ય, સંસ્કાર, વિજ્ઞાન, સમાજકારણ વગેરે સર્વ ક્ષેત્રમાં નજર ફેરવીને લેખકે જ્યોતિર્ધરોની જીવનઝરમર આલેખી છે. નભદીવડા અને ઘરદીવડા બંને આમાં આવી જાય છે. તેથી લેખકની વ્યાપક દૃષ્ટિનો ખ્યાલ આવે છે. સંસ્કૃતિપોષક વિભૂતિઓને અપાયેલી અંજલિઓમાં ગુણદર્શનની ઝલક આવી છે. લેખકે ક્યાંક ક્યાંક પોતાનાં મૂલ્યાંકનો આપ્યા છે તે કદાચને કોઈને ન ગમે એ શક્ય ખરું. અલબત્ત, આવાં સ્વમતદર્શનનાં સ્થાનો બહુ નથી. આ જીવનચરિત્રમાળા આબાલવૃદ્ધ સર્વને પ્રેરક અને પથ્ય સામગ્રી પીરસે છે એમાં શંકા નથી. શ્રી ધનવંતભાઈને મુંબઈ સરકારનાં, ગુજરાત સરકારનાં અને કેટલીક સાહિત્યસંસ્થાઓ તરફથી પારિતોષિકો મળ્યાં છે. તેમને ભગિની ભાષાઓની પરિષદમાં પ્રવચન કરવાની તકો પણ મળી છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાના સામાન્ય સભ્ય છે. ક્યાંય પણ હોદ્દેદાર ન થવાનું તેમણે પ્રથમથી જ ઠરાવ્યું છે. ‘અકિંચન' એ ઉપનામથી એમણે સામયિકોમાં ચોક્કસ સ્વરૂપનાં અનેક લખાણો કર્યાં છે. વચ્ચે ‘ગ્રંથપરિચય’ નામના વિશિષ્ટ માસિકનું એમણે દોઢ વર્ષ સુધી કુશળ સંપાદન કર્યું હતું. એમની અસંખ્ય કૃતિઓમાંથી કેટલીક કૃતિઓની યાદી નીચે પ્રમાણે છે:

કૃતિઓ
૧. સુભાષચંદ્ર : મૌલિક, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૩૭.
પ્રકાશક : નવી દુનિયા કાર્યાલય, અમદાવાદ.
૨. મારા વિના નહિ ચાલે : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૩૬.
પ્રકાશક: નવયુગ પ્રકાશન, રાજકોટ.
૩. વૈજ્ઞાનિક સમાજવાદ: મૌલિક, સિદ્ધાંતગ્રંથ; પ્ર. સાલ ૧૯૪૨.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૪. કલંકશોભા : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૪૭.
પ્રકાશક : સી. શાંતિલાલ એન્ડ કુ., મુંબઈ.
૫. ગુજરાતદર્શન: મૌલિક, સંશોધન; પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક: રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૬. સાહિત્યકથા : મૌલિક, ઇતિહાસ; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૭. નરસિંહ, નર્મદ, હેમચંદ્રાચાર્ય, ગાંધીજી, નાનાલાલ, પ્રેમાનંદ અને બીજાં ૧૫૦થી વધુ ચરિત્રો | મૌલક, ચરિત્ર પ્ર સાલ ૧૯૫૬ પછી
(કુલ ૨૫૦ ચરિત્રો આપવાની યોજના છે.)
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૮. ઉર્વીસાર ગુજરાત: મૌલિક, લલિત ઇતિહાસ; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક: રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
સ્વ. કકલભાઈ કોઠારી, ગુણવંતરાય આચાર્ય, ઝવેરચંદ મેઘાણી, શ્રી સોપાન, શ્રી રવિશંકર મહેતા આદિના આ લેખક વિશેનાં પરિચયાત્મક લખાણો.
ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી ૧૯૫૫ (‘સાહિત્યકથા' માટે), ૧૯૬૧ (વિવિધ વ્યક્તિઓનાં ચરિત્રો માટે).

સરનામું : C/o રવાણી પ્રકાશનગૃહ, તિલકમાર્ગ, અમદાવાદ-૧.