ગ્રંથ અને ગ્રંથકાર/નવલિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નવલિકા

ગયા દાયકા કરતાં લગભગ બમણા નવલિકાસંગ્રહો આ દાયકા દરમ્યાન પ્રકટ થયા છે. બસોએક નવલિકાસંગ્રહો અને પચાસેક નવલિકાલેખકો વિશે સમગ્રપણે વિચારતાં સૌ પ્રથમ ધ્યાન ખેંચે છે નવલિકાસ્વરૂપ પ્રત્યે લેખકો અને ભાવકોની સહજ પ્રીતિ. વાર્તાઓ થોકબંધ લખાયે જાય છે, ઢગલાબંધ પ્રકટ થયે જાય છે અને તોય ચિરંજીવ કહી શકાય એવી વાર્તાઓ બહુ ઓછી ઊતરે છે. આ દાયકામાં આપણી ગુજરાતી ટૂંકી વાર્તાએ વિષય પરત્વે અપૂર્વ વૈવિધ્ય અને સંખ્યા પરત્વે ઠીક ઠીક વૈપુલ્ય દાખવ્યું છે. ટૂંકી વાર્તાની ટેકનિક પરત્વે પણ અભૂતપૂર્વ પ્રયોગો થયા છે; એટલું જ નહિ, ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં વિશ્વભરના નામી વાર્તાકારોની કૃતિઓના વાચન-મનનને પરિણામે આપણે ત્યાં પણ અવનવીન રીતિની વાર્તાઓ પ્રકટ થઈ રહી છે. આ બધું એક જ વાત કહે છે - ટૂંકી વાર્તાની આવતી કાલ ખૂબ ઊજળી છે. આ દાયકાના નવીન વાર્તાકારો અને તેમની કૃતિઓને સૌ પ્રથમ સંભારીએ. શ્રી શિવકુમાર જોશીકૃત ‘રજનીગન્ધા' અને ‘રહસ્યનગરી': શ્રી સુરેશ જોશીકૃત ‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક'; શ્રી ચંદ્રકાત બક્ષીનો ‘પ્યાર'; સ્વ. કેતન મુનશીકૃત ‘અંધારી રાતે’ અને ‘સ્વપ્નનો ભંગાર'; શ્રી મોહનલાલ પટેલકૃત ‘હવા તુમ ધીરે બહો!', ‘વિધિનાં વર્તુલ' અને ‘ટૂંકા રસ્તા’; શ્રી રમણલાલ પાઠકકૃત ‘સબસે ઊંચી પ્રેમસગાઈ'; ‘શ્રી સરોજ પાઠકનો' ‘પ્રેમ ઘટા ઝુક આઈ’; શ્રી વિનોદિની નીલકંઠકૃત ‘કાર્પાસી અને બીજી વાતો' તેમ જ ‘દિલદરિયાવનાં મોતી': શ્રી કુન્દનિકા કાપડિયાકૃત ‘પ્રેમનાં આંસુ' તેમ જ ‘દ્વાર અને દીવાલ'; શ્રી સરોજિની મહેતાકૃત ‘ચાર પથરાની મા'; શ્રી ધીરુબહેન પટેલના ‘અધૂરો કોલ’ અને ‘એક લહર'; શ્રી મહાશ્વેતા પંડ્યાકૃત ‘દર્પણ'; શ્રી મોહમ્મદ માંકડકૃત ‘ઝાકળનાં મોતી’; ‘શ્રી ચંદુલાલ પટેલકૃત ‘રંગ અને દીવો' તથા ‘ઉઘાડા આકાશ નીચે'; શ્રી જયંત પરમારકૃત ‘બીજરેખા' અને ‘નદીનાં નીર'; શ્રી કે. જે. મહેતાકૃત ‘સમર્પણ'; શ્રી ચંદુલાલ સેલારકાનો ‘દૂરના ડુંગરા'; શ્રી ટી. પી. સૂચકની ‘છેલ્લી રાત'; શ્રી શનાભાઈ પટેલકૃત ‘સાચાં જીવતર’; શ્રી ડાહ્યાભાઈ પટેલકૃત ‘કલા કલાવતી' ‘પદ્માવતી', ‘આગમન', ‘શર્મિષ્ઠા'; શ્રી રમણીક પટેલકૃત ‘ધર ‘ધરતીની પ્રીત'; શ્રી કનૈયાલાલ રાવળકૃત ‘છૂંદણાં'; શ્રી રતિલાલ દેસાઈકૃત ‘રાગ-વિરાગ': શ્રી દામુભાઈ શુક્લ અને કુમુદ શુકલને સહિયારી નવલિકાઓનો સંગ્રહ ‘ગુલાબની ટેકરી'; શ્રી રમેશ સંઘવીકૃત ‘કફન અને ચૂંદડી'; શ્રી ભૂપત વડોદરિયાકૃત ‘કસુંબીનો રંગ', ‘જીવનનાં જળ'; શ્રી ભગવત ભટ્ટનો ‘કીટી અને ધાગા’, શ્રી વિષ્ણુકુમાર પંડ્યાનો ‘દિલની સગાઈ’-આ છે આપણાં ઊગતાં વાર્તાકારો અને એમની કૃતિઓ. આમાનાં કેટલાંકની વાર્તાઓ પરંપરાગત છે તો વળી કેટલાંકે નવા ચીલા પાડ્યા છે. આ દાયકાનો સૌથી નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બનેલ નવલિકાસંગ્રહ છે ‘ગૃહપ્રવેશ'. શ્રી સુરેશ જોશીના આ સંગ્રહમાં વાર્તાના રૂપ અને રંગ તેમ જ આકારમાં આમૂલ પરિવર્તન થયેલું નજરે પડે છે. એમાં નવા અલંકારો, નવાં પ્રતીકો, નવી શૈલી અને નવીન રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. શ્રી ચંદ્રકાન્ત બક્ષીનો વાર્તાસંગ્રહ ‘પ્યાર' પણ ‘ગૃહપ્રવેશ' જેવો વૈવિધ્ય અને વૈચિત્ર્યભર્યો છે. જાતીય પ્રશ્નોની, જિન્સી સંબંધોની વાર્તામાં નીડર અને વેધક રજૂઆત આ બંને વાર્તાકારોને સહજસાધ્ય છે. મનનાં આજસુધી અગોચર રહેલાં ઊંડાણોમાં ડૂબકી લગાવીને આજનો વાર્તાકાર નવી જ સૃષ્ટિનો નિર્માતા બન્યો છે. નવી વાર્તા પાત્ર યા પ્રસંગથી વિમુખ બનીને માનસશાસ્ત્રીય નિરૂપણમાં વધુ રાચે છે. પશ્ચિમના વાર્તાકારો અને વાર્તાપ્રચારકોની અસર નીચે આપણો નવીન વાર્તાકાર અનુકરણ કરે છે કે નિજની અભિવ્યક્તિ માટે મથે છે એ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. ક્ષણિક આકર્ષણ કે મોહ પામીને stream of consciousness ને નામે કેટલાક વાર્તાકારો પશ્ચિમનો રગડો પણ લાવે છે એ હકીક્તનો ઈશારો અહીં કરી લઈએ. આખરે તો નિર્મળ, નિતાન્ત સુંદર વાર્તાઓ જ ટકશે એ નિઃશંક. ઉપર ઉલ્લેખેલાં અનેક વાર્તાકારો આપણા આ સ્વરૂપને વિકસાવવા પોતપોતાની રીતે ફાળો આપી રહ્યાં છે. એમાંનાં કેટલાં ટકશે, આગળ વધશે યા ઝંખવાશે એ તો કાળ જ કહેશે. આટલી બધી સંખ્યામાં વાર્તાઓ અને વાર્તાકારો વધતાં જાય છે. એનું એક કારણ છે વાર્તાસામયિકો. ચોમાસામાં ઊગી નીકળતા બિલાડીના ટોપ જેમ અનેક વાર્તાસામયિકો આજે શતાવધિ વાર્તાઓ પ્રગટ કરી રહ્યાં છે. વાર્તા દ્વારા જલદી જલદી સસ્તી પ્રસિદ્ધિ પામવાની લોલુપતા પણ આજે ઠીક ઠીક જોવા મળે છે. સંખ્યાદૃષ્ટિએ ખૂબ ખેડાતો લાગતો આ સાહિત્યપ્રકાર ગુણવત્તાની દૃષ્ટિએ પાંખો પડે છે. વાર્તાક્ષેત્રે અનેકવિધ પ્રયોગો થતા રહેતા હોય છે, છતાં ગઈકાલના સમર્થ વાર્તાકારોને ભુલાવે એવી કલમ હજી પ્રગટવી બાકી છે. નવલિકાક્ષેત્રે નામી લેખકોએ આ દાયકામાં એક યા વધુ નવલિકાસંગ્રહની ભેટ ધરી જ છે. શ્રી ધૂમકેતુ વાર્તાસંગ્રહો નિયમિત આપ્યે જ જાય છે. ‘તેજબિંદુ', ‘જલદીપ', ‘વનરેખા', ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ ‘વનવેણુ', ‘મંગલદીપ' અને ‘ચંદ્રરેખા'માં ધૂમકેતુની વાર્તાકલાના ઉન્મેષો ક્યાંક ક્યાંક ઝબકી જાય છે, પણ સમગ્રતયા એમના અસલ નૂરની ઓટ જ વરતાય છે. ધૂમકેતુ પાસે વાર્તાનો કસબ અને કલાત્મકતા બંને છે. આજે પણ એમને કોઈ આંબી શક્યું નથી. એમણે પોતાની બહુસંખ્ય વાર્તાઓમાંથી વીણીને, ચૂંટીને બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ' ૧૯૫૮માં પ્રગટ કર્યો છે. આ જ પ્રમાણે આપણા પ્રસિદ્ધ વાર્તાકારો સ્વ. દેસાઈ ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ આદિના ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહો' પ્રગટ થઈ ચૂક્યા છે. એકદંરે આ સંગ્રહોને સારો આવકાર મળ્યો છે. શ્રી જયંતી દલાલકૃત ‘આ ઘેર પેલે ઘેર,’ ‘મૂકં કરોતિ' અને ‘શહેરની શેરી'; શ્રી બ્રોકરકૃત ‘પુણ્ય પરવાર્યું નથી' અને ‘પ્રકાશનું સ્મિત'; શ્રી પન્નાલાલ પટેલકૃત ‘વાત્રકને કાંઠે', ‘ઓરતા,; ‘દિલની વાત', ‘પારેવડાં’; શ્રી પેટલીકરકૃત ‘શ્રેષ્ઠ વાતો’; શ્રી પીતાંબર પટેલકૃત ‘શ્રદ્ધાદીપ', ‘છૂટાછેડા’, ‘સોનાનું ઈડું’, ‘કલ્પના' અને ‘કર લે સિંગાર'; શ્રી ચુનીલાલ મડિયાકૃત ‘તેજ અને તિમિર', ‘રૂપ-અરૂપ', ‘શરણાઈના સૂર', ‘અંતઃસ્રોતા’; શ્રી જીતુભાઈ મહેતાકૃત ‘ખરતા તારા'; શ્રી સારંગ બારોટકૃત ‘મોરનાં આંસુ’, ‘વિમોચન’, ‘કોઈ ગોરી કોઈ સાંવરી' અને ‘નારી નમણું ફૂલ’; સ્વ. બકુલેશકૃત ‘કંકુડી'; શ્રી કિશનસિંહ ચાવડાકૃત ‘અમાસના તારા'; શ્રી ઉમાશંકરકૃત‘વિસામો'; શ્રી જયંત ખત્રીકૃત ‘વહેતાં ઝરણાં': શ્રી જયભિખ્ખુકૃત ‘અંગના’; શ્રી પુષ્કર ચંદરવાકરકૃત ‘બાંધણી’, ‘શુકનવંતી', ‘ખેતરનો ખેડૂ' અને ‘અંતરદીપ'; શ્રી સોપાનકૃત ‘કલ્યાણમૂર્તિ’, ‘અખંડ જ્યોત', ‘છેલ્લો પ્રયોગ', ‘વિદાય’; શ્રી ધનસુખલાલ મહેતાકૃત ખોળો ભર્યો'; સ્વ. ૨. વ. દેસાઈકૃત ‘સતી અને સ્વર્ગ' તેમ જ ‘હીરાની ચમક’; શ્રી યશોધર મહેતાકૃત ‘પ્રેમગંગા' અને ‘રસનંદા'; શ્રી ચુ. વ શાહકૃત ‘વર્ષા અને બીજી વાતો' તથા ‘કાળની કલમે'; શ્રી ગુણવંતરાય આચાર્ય કૃત ‘આ જાણે આંબાનું ઝાડ'; શ્રી કરસનદાસ માણેક કૃત ‘અમર અજવાળાં'- આ છે આપણા જૂના વાર્તાકારનું અર્પણ. આ સર્વમાં વાર્તાનાં આંતરબાહ્ય તત્વોની સારી સમજણ છે, છતાં સંઘેડાઉતાર કલાકૃતિઓ પ્રમાણમાં ઘણી ઓછી ઊતરી છે. કેટલાક સમર્થ વાર્તાકારોના આ દાયકે મળેલા નબળા વાર્તાસંગ્રહો આ હકીકતની ચાડી ખાય છે. જૂના વાર્તાકારોમાંથી સર્વશ્રી પન્નાલાલ પટેલ, ગુલાબદાસ બ્રોકર, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, જયંતી દલાલ, પીતાંબર પટેલ, સારંગ બારોટ વગેરે ઓછેવત્તે અંશે પ્રવાહની સાથે રહ્યા છે. પ્રતિભાબીજની માવજત કરતાં કરતાં સાહિત્યકાર આંતરયાત્રી બને અને વિશ્વસાહિત્યની વાર્તાઓનું પરિશીલન કરે તો આપણું વાર્તાધન સમૃદ્ધ બને ખરું. આ દાયકામાં ‘લોકમિલાપ' કાર્યાલય તરફથી ‘ગુજરાતી વાર્તાસમૃદ્ધિમાળા’માં સર્વશ્રી ધૂમકેતુ, મેઘાણી, રા. વિ. પાઠક, સુન્દરમ્, ઉમાશંકર, પન્નાલાલ, પેટલીકર, મડિયા, વિનોદિની આદિની પસંદ કરેલી વાર્તાઓ ‘પ્રૌઢો માટે' સંગૃહીત થઈ છે. સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યની શિષ્ટ કૃતિઓ સામાન્ય વાચકવર્ગને સુલભ થઈ પડે એ હેતુથી નાનાં નાનાં પુસ્તકોમાં પ્રગટ થઈ છે. આ પ્રવૃત્તિ ખાસ ઉલ્લેખ માંગી લે છે. આથી પ્રજાનો વાર્તારસ પોષાય છે અને પ્રજામાં સંસ્કારસિંચન પણ થાય છે. માનવતાનું સુભગ દર્શન કરાવતી સત્યકથાઓ લઈ આવેલું સ્વ. ગણેશ વાસુદેવ માવલંકરકૃત ‘માનવતાનાં ઝરણાં' તેની વિશિષ્ટતાના કારણે ધ્યાન ખેંચે તેવું પુસ્તક છે. જીવનમાંગલ્ય અને માણસાઈને કેન્દ્રમાં રાખી શ્રી પીતાંબરપટેલ સંપાદિત ‘માણસાઈની વાતો' પણ આવું જ હેતુલક્ષી પ્રકાશન છે. નવી અને જૂની પેઢીના વાર્તાકારો વચ્ચે તુલના કરવાનું સહજ રીતે મન થાય છે. વ્યષ્ટિસમષ્ટિના જીવનના થરેથરનું નિરૂપણ વાર્તામાં હવે જૂનું થયું એટલે મનનાં અનંત ઊંડાણોમાં ડૂબકી લગાવવામાં આજનો વાર્તાકાર ઠીક સફળ થયો છે. આજે તો વાર્તામાં વસ્તુ કે ઘટના કે પ્રસંગ કે પાત્ર સુધ્ધાં ન હોય તો ચાલે છે. અગોચર પ્રદેશના અંધકારનું નિરૂપણ કરવામાં સુરેશ જોશી અને ચંદ્રકાંત બક્ષી અગ્રપદે છે. ઇંગિતમાં રાચતી, નવાં જ પ્રતીક સર્જતી, નવીનતાભર્યા દૃષ્ટાંતો દ્વારા અપૂર્વ ધ્વનિ કે વ્યંજના સાધતી, બૌદ્ધિક ઉન્મેષોથી શોભતી, પ્રગટ કે પ્રચ્છન્ન રીતે જિન્સી આવેગોનું ચિત્રણ કરતી અને ભાવકોને આઘાત કે આંચકો આપવાની વૃત્તિથી લખાતી આજની વાર્તા કાલે કેવો વળાંક લેશે એ કહેવું મુશ્કેલ છે. જમાને જમાને નવા પ્રશ્નો અને નવી સમસ્યાઓ જાગે જ. ૧૯૨૬થી ૧૯૫૦ સુધીની પચીશી દરમ્યાન વાર્તાક્ષેત્રે ‘તણખા'થી માંડી ‘સુખદુઃખનાં સાથી', ‘લોહીની સગાઈ' અને ‘ઘૂઘવતાં પૂર'માં કચડાયેલાં, ત્યજાયેલાં, તરછોડાયેલાં દલિતો અને પીડિતો તરફ અનુકંપા; મધ્યમવર્ગીય પાત્રો-પ્રસંગોનું અશેષ નિરૂપણ; સ્વતંત્રતા, બંધુતા, સમાનતાની ભાવનાનું વાસ્તવિક આલેખન; પ્રગતિશીલતા અને પ્રેયોગશીલતા વગેરેનું યથાર્થદર્શી ચિત્રણ સફળતાપૂર્વક થયું છે. તો, ૧૯૫૦ પછીની વાર્તાઓમાં આઝાદ ભારતની અનેક સમસ્યાઓનું આલેખન, વિશ્વયુદ્ધોથી ત્રાસેલી પ્રજાઓની આશા-નિરાશાનું આલેખન, સમાજના કોઈ પણ સ્તરના માનવીની આંતરમનની છબીનું નિરૂપણ, પ્રણયની-સનાતન છતાં નૂતન પ્રણયની-ભાવનાનું કે વાસનાનું અતિરાગી આલેખન; સક્ષ્માતિસૂક્ષ્મ ભાવ કે વિચારનું વિશ્લેષણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ દાયકામાં વિશ્વ-પ્રતિષ્ઠિત વાર્તાકારો મોપાસાં, ચેખોવ, સ્ટીફન ઝૂવિગ આદિની વાર્તાઓના ગુજરાતીમાં અનુવાદ થયા છે અગર રૂપાંતર, શ્રી જયંત પાઠક અને શ્રી રમણલાલ પાઠકે ‘ચેખોવની શ્રેષ્ટ નવલિકાઓ' ૧૯૫૭માં આપી છે, તે મોપાસાંની કેટલીક વાર્તાઓને ‘ચંપાકલી' નામે રૂપાંતરિત વાર્તાસંગ્રહ શ્રી રમણીકલાલ જ. દલાલે પ્રગટ કર્યો છે. સ્ટીફન ઝૂવિગની બે પ્રસિદ્ધ વાર્તાઓ Amok અને Letter from the Unknown Womar નો અનુવાદ ‘હૈયાની થાપણ' નામે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહે આપ્યો છે. શ્રી ચુનીલાલ મડિયાએ ‘કાળજાં કોરાણાં'માં વિશ્વના નામી વાર્તાકારોની કૃતિઓ સંગ્રહી છે. શ્રી મડિયાએ ‘શ્રેષ્ટ અમેરિકન વાતો'નું પણ સંપાદન પ્રગટ કર્યું છે. અનુવાદપ્રવૃત્તિ વિકસે એ આપણી ભાષાની ધારણશક્તિને બળવતી કરવા માટે જરૂરી છે. અહીં શ્રી ગુલાબદાસ બ્રોકરસંપાદિત ‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ' અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત તેમ જ શ્રી મનસુખલાલ ઝવેરી-સંપાદિત ‘ગુજરાતી ટૂંકી વાર્તા’ને પણ નોંધી લઈએ. બંને સંપાદકોએ પોતપોતાની રુચિ અનુસાર ઉત્તમ કક્ષાની કૃતિઓને સંગૃહીત કરી છે. આ દાયકામાં ‘શ્રેષ્ઠ'નું લેબલ બહુ લપટું બની ગયું છે. કાળના પ્રવાહમાં આ ‘શ્રેષ્ઠ' સંગ્રહમાંથી કેટલા ટકશે એ ભવિષ્ય કહેશે. ૧૯૫૧ના વર્ષમાં પ્રગટ થયેલી વાર્તાઓમાંથી વીણીને શ્રી ઉમાશંકર જોશીએ ‘વરસની શ્રેષ્ઠ વાર્તાઓ'નું સંપાદન કર્યું છે. એ રીતે ‘વરસની શ્રેષ્ઠ વાર્તાઓ'નાં વર્ષે વર્ષે ત્રણ ચાર સંપાદનો થયાં છે. શ્રી તખ્તસિંહ પરમારે ૧૯૫૫માં ‘દસ શ્રેષ્ઠ નવલિકાઓ'નું સંપાદન કરેલું. ‘સવિતા’ માસિક દ્વારા યોજાયેલ વાર્તાહરીફાઈની પ્રથમ ૫૪ વાર્તાઓનું ‘મોગરાનાં ફૂલ’ નામથી શ્રી ધીરજબહેન પારેખે સંપાદન કર્યું છે. એમાં ઊગતા, આશાસ્પદ, વાર્તાકારોની મધ્યમ કક્ષાની વાર્તાઓ છે. ‘સંસ્કૃતિ', ‘બુદ્ધિપ્રકાશ', ‘કુમાર', ‘ક્ષિતિજ', ‘નવચેતન', ‘અખંડ આનંદ', ‘ગૃહમાધુરી', ‘જનકલ્યાણ', ‘ચાંદની’, ‘આરામ આદિ સામયિકોમાં તેમ જ દૈનિકોમાં પણ વાર્તાઓ આવતી રહે છે. એમાં જૂના-નવા અનેક પ્રવાહોનું દર્શન થાય છે. વાર્તામાસિકોની સંખ્યા ઠીક ઠીક વધતી રહી છે. આવાં સામયિકો ‘ખાસ અંકો’-હાસ્યાંક, વિદેશ-વાર્તા અંક-પ્રગટ કરતાં રહે છે. ટૂંકમાં, ટૂંકી વાર્તાનું–નવલિકાનું મેદાન મોકળું છે પ્રત્યેક પ્રયોગવીરને માટે. નવલકથાની જેમ જ ટૂંકી વાર્તા લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. દાયકાના નોંધપાત્ર વાર્તાસંગ્રહો આટલા: તમામ ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહો’, ‘ઓરતા’, ‘વાત્રકને કાંઠે’, ‘આ ઘેર પેલે ઘેર', ‘અંતઃસ્ત્રોતા', ‘ગૃહપ્રવેશ', ‘પ્યાર', ‘સ્વપ્નનો ભંગાર’, ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’, ‘પ્રેમ ઘટા ઝુક આઈ’.