ગ્રંથ અને ગ્રંથકાર/પીતાંબરભાઈ નરસિંહભાઈ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પીતાંબરભાઈ નરસિંહભાઈ પટેલ

[૧૦-૮-૧૯૧૮]

શ્રી પીતાંબરભાઈ પટેલ મહેસાણા જિલ્લાના શેલાવી ગામના વતની છે, અને એમનો જન્મ એ જ ગામમાં તા. ૧૦-૮-૧૯૧૮ના રોજ થયો હતો. જ્ઞાતિએ તેઓ કડવા પાટીદાર છે. પિતાનું નામ નરસિંહભાઈ હીરાભાઈ પટેલ, અને માતાનું નામ લહેરીબહેન. એમનાં લગ્ન ઈ. ૧૯૪૭માં શ્રી લલિતાબહેન સાથે થયાં હતાં. પ્રાથમિક શિક્ષણ શૈલાવી અને પાકાસર ગામમાં લીધેલું અને માધ્યમિક શિક્ષણ કડીના સર્વ વિદ્યાલયમાં. ત્યાંથી ઈ. ૧૯૩૬માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ અમદાવાદની એલ. ડી. આર્ટ્સમાં જોડાયેલા. ત્યાંથી ઈ. ૧૯૪૦માં મુંબઈ યુનિ.ની ઓનર્સ સાથે બી. એ.ની અને ઈ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે દ્વિતીય વર્ગમાં એમ. એ.ની પદવી મેળવી. એમનો મુખ્ય વ્યવસાય પત્રકારિત્વનો રહ્યો છે. ઈ. ૧૯૫૬થી ત્રણ વર્ષ સુધી ઑલ ઇન્ડિયા રેડિયોને પણ એમણે પોતાની સેવાઓ આપેલી. હાલ તેઓ ‘સંદેશ' દૈનિકના તંત્રીવિભાગમાં અને ‘આરામ'ના સંપાદક તરીકે કાર્ય કરે છે. સામાજિક સેવાપ્રવૃત્તિમાં એમને ઉત્કટ રસ છે અને એને પરિણામે લોકસંપર્ક પણ વધ્યો છે. પંચાયતીરાજ આવતાં ગામના સરપંચ અને તાલુકા શિક્ષણ-સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવે છે. આ રીતે લોકજીવનનું પ્રતિબિંબ એમના સર્જનમાં પડે છે એમ તેએા માને છે. રમણલાલ દેસાઈ ટોલ્સ્ટોય, પર્લ બક, ટાગોર, શરદબાબુ વગેરેનાં પુસ્તકોની અને વ્યક્તિઓમાં ગાંધીજીની લોકસેવાની ભાવનાની અસર તેમના પર પ્રબળપણે પડી છે. ટૂંકી વાર્તા અને નવલકથા એ એમના પ્રિય સાહિત્યપ્રકાર છે. તેઓ માને છે કે લોકજીવનના પ્રત્યક્ષ અનુભવને મૂર્ત કરવાની એ સ્વરૂપોમાં સારી ક્ષમતા રહેલી છે. લોકજીવન એ એમનો મનગમતો લેખનવિષય રહ્યો છે. પોતાની સાહિત્યસાધના માટે તેઓ નીવડેલી નવલકથાઓ, વાર્તાઓ અને વિવેચનનાં પુસ્તકો વિશેષ વાંચે છે. ઉપરાંત, સમાજસેવા અને પત્રકારિત્વના વ્યવસાયે પણ એમના સાહિત્યસર્જનમાં સારી સહાય કરી છે. શાળાજીવન દરમ્યાન એમણે હસ્તલિખિત માસિક શરૂ કરેલું. વાર્તાલેખનનો રસ તો આરંભથી હતો જ. ઉચ્ચ શિક્ષણ માટે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા ત્યારે સ્વ. રામનારાયણ પાઠક તેમના ગુજરાતીના પ્રાધ્યાપક હોઈ તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાનો લાભ મળ્યો. એમ. એ. માટે વિદ્યાસભામાં જોડાતાં સર્વશ્રી રસિકભાઈ પરીખ, ઉમાશંકરભાઈ જોશી અને કે. કા. શાસ્ત્રી ઉપરાંત વિદ્યાવ્યાસંગના વાતાવરણનો પણ લાભ મળ્યો-આ પ્રેરક બળોએ એમની સર્જનપ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી. એમણે મુખ્યત્વે ગુજશતીમાં જ લેખનપ્રવૃત્તિ કરી છે, પણ એમની વાર્તાઓ અને નવલકથાઓ હિંદીમાં અનુવાદિત થઈ ગ્રંથસ્થ થઈ છે. લેખન દ્વારા વૈયક્તિક વિકાસ સાધવા સાથે લોકજીવનને ઉન્નત કરવાની પણ એમની પરોક્ષ ભાવના રહી છે. ઈ.૧૯૪૧-૪૨ના અરસામાં અમદાવાદમાં કોમી હુલ્લડો થતાં થોડોક સમય કૉલેજો બંધ રહી એ સમયે ‘રસિયો જીવ' નામે ગ્રામજીવનની એમણે લખેલી પ્રથમ નવલકથા ઈ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલી. એ પછી તો એમણે ગુજરાતને ૧૧ નવલકથાઓ, ૧૬ જેટલા નવલિકાસંગ્રહો અને બીજાં અનેક પુસ્તક આપ્યાં છે. અત્યારે તેઓ ‘આઠમો કોઠો' નામે નવલકથા લખી રહ્યા છે. ઈ.૧૯૫૫માં જન્મભૂમિ-હેરલ્ડ ટ્રીબ્યુનલે યોજેલી ટૂંકી વાર્તાની સ્પર્ધામાં એમને પારિતોષિક મળેલું, અને મુંબઈ તેમ ગુજરાત સરકાર તરફથી એમનાં સાત પુસ્તકોને અને ભારત સરકાર દ્વારા એમનાં બે પુસ્તકોને પારિતોષિકો મળ્યાં છે. પૂર્વ આફ્રિકાની સાહિત્યસંસ્થાઓએ એમને ઈ.૧૯૬૨માં ત્યાંના પ્રવાસ માટે પણ નોંતરેલા. શ્રી પીતાંબરભાઈ પટેલ આપણે ત્યાં નવલકથાકાર અને નવલિકાકાર તરીકે સુખ્યાત છે. શહેરી અને ગ્રામજીવનનાં ચિત્રો આલેખતી એમની કૃતિઓમાં જીવનમાંગલ્યની શુભ દૃષ્ટિનું દર્શન થાય છે. ‘ખેતરને ખોળે' એમની સૌથી વધુ સફળ કૃતિ રહી છે. એમને ધરતીપ્રેમ એમની કૃતિઓમાં પ્રતીત થાય છે, અને મોટે ભાગે ઉત્તર ગુજરાતના વાતાવરણને–ત્યાંની સોડમને તેઓ કલાત્મકતાથી પોતાની કૃતિઓમાં લઈ આવે છે. તેઓ ‘સંદેશ'માં ભજવાતાં નાટકોની નીડરપણે આલોચના કરે છે અને વર્તમાન પ્રશ્નો વિશે ૫ણ ચર્ચા કરે છે. શ્રી પીતાંબરભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના અને ગુજરાત લેખક મિલનના મંત્રી છે; ગુજરાત વિદ્યાસભાની કારોબારીના સભ્ય છે. જુદાં જુદાં ગામોની કેળવણી સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા છે.


કૃતિઓ
સર્વ કૃતિઓના પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય, સૂરત.
નવલકથા :
૧. રસિયો જીવ : ૧૯૪૨
૨. પરિવર્તન : ૧૯૪૪
૩. ઊગ્યું પ્રભાત : ૧૯૫૦
૪. ખેતરને ખોળે : ૧૯૫૨
૫. તેજરેખા : ૧૯૫૨
૬. આશાભરી : ૧૯૫૪
૭. અંતરનાં અજવાળાં : ૧૯૬૦
૮. ચિરંતન જ્યોત : ૧૯૬૦
૯. ધરતીનાં અમી : ૧૯૬૨
૧૦. કેવડિયાનો કાંટો : ૧૯૬૫
૧૧. ઘરનો મોભ : ૧૯૬૬
નવલિકા :
૧. વગડાનાં ફૂલ : ૧૯૪૪
૨. મિલાપ : ૧૯૫૦
૩. શ્રદ્ધાદીપ : ૧૯૫૨
૪. કલ્પના : ૧૯૫૪
૫. શમણાંની રાખ : ૧૯૫૬
૬. સૌભાગ્યનો શણગાર : ૧૯૬૩
૭. નીલ ગગનનાં પંખી : ૧૯૬૪
૮. રૂડા સરોવરિયાની પાળ : ૧૯૬૪
૯. ઝૂલતા મિનારા : ૧૯૬૬
૧૦. છૂટા છેડા
૧૧. કીર્તિ અને કલદાર
૧૨. રામનામની પરખ
૧૩. ઘેર બેઠાં ગંગા
૧૪. લીબડીની એક ડાળ મીઠી
૧૫. કર લે સિંગાર
પ્રકીર્ણ :
૧. ભારતનાં નવાં યાત્રાધામો : પ્રવાસ
૨. માણસાઈની વાતો : સંપાદન :
૩. મંગલ વાતો : સંપાદન; સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ.
ઉપરાંત સર્વોદય પાત્ર, વીરપસલી, રામનાં રખોપાં, હૈયાનાં હેત, ગંગાપૂજન, કાચો પારો જેવી આમસાહિત્યની કૃતિઓ.
અભ્યાસ-સામગ્રી :
(૧) ખેતરને ખોળે - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૩
(૨) શ્રદ્ધાદીપ- ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૩
(૩) ગુપ્તદાન - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૭
 (૪) કલ્પના - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૭
(૫) છૂટાછેડા - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૫
(૬) અંતરનાં અજવાળાં - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૯
(૭) કર લે સિંગાર - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૯
(૮) નીલ ગગનનાં પંખી - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૬૧
(૯) પીતાંબરવાર્તા વૈભવ - ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૬૧
(૧૦) ગુજરાત સાહિત્યની વિકાસરેખા (ભા. ૨), ડૉ. ધીરુભાઈ ઠાકર

સરનામું : ૧૨૧, સરદાર પટેલ કૉલોની, અમદાવાદ-૧૪.