ગ્રંથ અને ગ્રંથકાર/મુનિકુમાર મણિશંકર ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મુનિકુમાર મણિશંકર ભટ્ટ

[૭-૨-૧૮૯૮]

કવિશ્રી ‘કાન્ત' (મણિશંકર રત્નજી ભટ્ટ)ના પુત્ર અને સુખ્યાત હાસ્યલેખક શ્રી મુનિકુમાર ભટ્ટનો જન્મ તા. ૭ ફેબ્રુઆરી ૧૮૯૮ને દિવસે વડોદરામાં થયો હતો. એમનાં માતાનું નામ નર્મદા (શંકરકૃત ‘પદ્માખ્યાન'ના કર્તા શંકરલાલ જેઠાભાઈ પંડિતનાં પુત્રી). મૂળ વતન ચાવંડ-બાબરા, જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. ૧૯૧૭માં ગિરિબાલાબહેન સાથે એમનું લગ્ન થયેલું. પ્રાથમિક શાળાનો અભ્યાસ ભાવનગરની તાલુકા શાળા નં. ૧માં કરેલો, અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ભાવનગરની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ અને આલ્ફેડ હાઈસ્કૂલમાં તેમજ પેટલાદની પેટલાદ હાઈસ્કૂલમાં લીધેલું. કૉલેજનો પ્રથમ વર્ષનો (પ્રીવિયસ) અભ્યાસ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અને ઇન્ટરમીડિયેટનો પૂનાની ડેક્કન કૉલેજમાં (ઈ.સ. ૧૯૧૭-૧૮) કરેલો. આ દરમ્યાન ગુજરાત સાહિત્ય પરિષદ ભંડાળ કમિટીની પરીક્ષામાં પ્રથમ આવી રણજિતરામ ચંદ્રક મેળવ્યો હતો. ભાવનગરની દીવાન ઑફિસમાં અને પછી ત્યાંના જૂના દફતરના ઉપરી તરીકે એમણે નોકરી કરેલી. એ પછી સૌરાષ્ટ્ર રાજ્યના ઉપરી-દફતરી તરીકે અને પુરાતત્ત્વના વડા તરીકે સેવાઓ બજાવેલી. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. એમના જીવન પર પ્રબળ અસર પાડનારાઓમાં મુખ્યત્વે રણજિતરામ વાવાભાઈ ભોગીન્દ્રરાવ દિવેટિયા, નાનાલાલ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર, બળવંતરાય, કવિ ‘કાન્ત’ અને હાજી મહમદ અલારખિયા શિવજી છે. અંગ્રેજીમાં પણ કવચિત્ ‘ક્રોનિકલ'માં એમણે લેખો લખ્યા છે. જુદે જુદે સમયે લખવાની જરૂર લાગતાં એમણે લેખનકાર્ય કર્યું છે. એમાંયે વિશેષ સાતત્યથી તો ‘કૌમુદી'માં. ૧૯૧૨માં ‘સુંદરી સુબોધ'માં એક અંગ્રેજી વાર્તાનું રૂપાન્તર કરીને એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ કરેલો. એ પછી શ્રી કનૈયાલાલ મુનશીના ‘ગુજરાત'માં અને ‘હાજી મહમ્મદની વીસમી સદી'માં લખવાનું આરંભ્યું. પણ એ પછી તો ‘કૌમુદી', ‘કુમાર', ‘યુગધર્મ', ‘સુવર્ણમાલા', ‘પ્રસ્થાન', ‘કહાની', અને છેલ્લે ‘અખંડ આનંદ' તેમ ‘ગૃહમાધુરી'માં પણ લખતા. એમનો પ્રિય લેખક અંગ્રેજીમાં જ્યોર્જ બર્નાર્ડ શો અને બંગાળીમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય; ગુજરાતીમાં રમણભાઈ, આનંદશંકર, રણજિતરામ, કરુણાશંકર કુબેરજી ભટ્ટ. પિતા ‘કાન્ત'ને પણ એમના પ્રિય લેખક તરીકે તેઓ ગણવે છે. ગ્રંથોમાં ટેનિસનનાં કાવ્યો, રણજિતકૃતિસંગ્રહ અને ‘ઠંડે પહોરે' એક યા બીજા પ્રકારની લાગણીથી એમની પ્રિય કૃતિઓ રહી છે. પોતાના સમયમાં હળવા નિબંધોનો સાહિત્યપ્રકાર ઓછો ખેડાયો હોવાથી એ એમનો પ્રિય સાહિત્યપ્રકાર રહ્યો છે. એથી જ મનગમતા લેખનવિષય તરીકે તેઓ હાસ્યને ગણાવે છે. તેમ છતાં ઇતિહાસ-સંશોધન પણ એમનો એટલો જ પ્રિય લેખનવિષય છે. દિવસના આઠ કલાક તેઓ વાંચન પાછળ ગાળે છે અને એમાં અનુક્રમે ધર્મ, ઇતિહાસ, કવિતા, નાટક, નવલ-નવલિકા, વિવેચન, રાજનીતિ અને અર્થશાસ્ત્ર (વર્તમાનપત્રો પણ) જેવા વિષેયોનું વાંચન કરે છે. હવે વિશેષ નાટ્યકૃતિઓ વાંચે છે. જુદાં જુદાં માસિકાના તંત્રીઓ સાથેની મૈત્રીએ એમના સાહિત્યસર્જનમાં વિશેષ ભાગ ભજવ્યો છે; કારણ, લેખક માને છે કે એ વિના એ લખી શક્યા ન હોત. લેખકની પ્રથમ મૌલિક વાર્તા ‘હુવા તો વિવા’ ‘શ્રી કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત'ના પ્રથમ વર્ષમાં પ્રકટ કરેલી. ‘માતા' નામે એક ટૂંકી વાર્તા (અનુકૃતિ) ‘સુંદરી સુબોધ'માં ૧૯૧૨-૧૩માં પ્રકટ થયેલી. અત્યારે ‘સૌરાષ્ટ્ર સમાચાર'માં ‘ડેલીનો ડાયરો', ‘ત્યારે અને અત્યારે' વિભાગો એ લખે છે. સરલ પિંગળ નામે નવી ઢબે પિંગળ પણ લખી રહ્યા છે, અને પોતાની પદ્યકૃતિઓનો સંચય પણ તૈયાર કરી રહ્યા છે. પોતે લખેલાં કાવ્યો, લેખો, વાર્તાઓ અને નાટકો ગ્રંથસ્થ થાય કે ન થાય. તે સંબંધે લેખકનું સ્થાયી વલણ ઉદાસીનતાનું રહ્યું છે. લેખક દક્ષિણામૂર્તિ, લલિત કલામંડળ, ભાવનગર સાહિત્યસભા, સૌરાષ્ટ્ર સંશોધનમંડળ, દેશસેવાસમાજ, ભાવનગર મહિલાવિદ્યાલય, ઘરશાળા, કલમમંડળ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ઉપરાંત, ‘બોમ્બે બોર્ડ ઑફ હિસ્ટોરિકલ રેકર્ડ્ઝ એન્ડ એન્શન્ટ મોન્યુમેન્ટ્સ' તેમ જ ‘ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકર્ડ્ઝ કમિશન'ની રીસર્ચ કમિટીના સભ્ય પણ હતા.

‘ઠંડે પહોરે'માંના એમના હળવા નિબંધોમાંનો વિનોદ આકર્ષે છે, ૫ણ એમનો વિનાદ વિશેષ સ્ફુટ છે. એમનું વક્તવ્ય રસનું વહન કરે છે, પણ એનું પોત એકંદરે પાતળું છે, પરંતુ એ શિષ્ટ અને ઘણીવાર સાહિત્યલક્ષી હોય છે. આપણા સંસ્કારી બુદ્ધિલક્ષી વિનોદના લેખકોમાં શ્રી મુનિકુમારનું નામ સ્મરણીય ગણાય. કલાપીના પત્રોનું એમણે કરેલું સંપાદન પણ અત્યંત મૂલ્યવાન છે.

કૃતિઓ
૧ . કલાપીના ૧૪૪ પત્રો : સંપાદન, પત્રધારા; પ્ર. સાલ ૧૯૨૫.
પ્રકાશક : પોતે
૨. સીહોરની હકીકત : સંપાદન (મૂળ લેખક : દેવશંકર વૈકુંઠજી ભટ્ટ). (ઈતિહાસ અને સમાજશાસ્ત્ર); પ્ર. સાલ ૧૯૨૮.
પ્રકાશક : ભા. સ્ટે. કાઉન્સિલ ઑફ ઍડમિનિસ્ટ્રેશન.
૩. ઠંડે પહોરે : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૪૪.
પ્રકાશક: પદ્મ પ્રકાશન લિ.
અભ્યાસ-સામગ્રી :
૧. માટે શ્રી ગગનવિહારી મહેતાનું ‘કૌમુદી'માં અવલોકન; પુરોવચન અને વિવેચન (રસિકલાલ પરીખ).
૨. માટે દી. બ. કૃષ્ણલાલ મો. ઝવેરીનું ‘મોડર્ન રિવ્યુ'માંનું અવલોકન.
૩. માટે શ્રી રામપ્રસાદ બક્ષીનું વિવરણ.
શ્રી ‘ધૂમકેતુ'ની ‘સાહિત્ય'માંની નોંધ.
શ્રી યશવંત પંડ્યાનો ‘ઊગતા તારા' નામે લેખ.

સરનામું :૪૩૨, તપોવન, કૃષ્ણનગર, ભાવનગર.