ગ્રંથ અને ગ્રંથકાર/સ્મૃતિચિત્રો-સંસ્મરણો–રોજનીશી વગેરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સ્મૃતિચિત્રો-સંસ્મરણો-રોજનીશી વગેરે

આ દાયકામાં સ્મરણચિત્રો કે સંભારણનાં પુસ્તકો પણ ઠીકઠીક પ્રમાણમાં પ્રકાશિત થયાં છે. રેખાચિત્રોને પણ આ વિભાગમાં જ સમાવી લેવાં જોઈએ. શ્રી કિશનસિંહ ચાવડાનાં હૃદયંગમ સ્મરણચિત્રો ‘અમાસના તારા' (એને નવલિકા-વિભાગમાં સ્થાન આપ્યું છે) કે દાદાસાહેબ માવળંકરનું ‘માનવતાનાં ઝરણાં'ને અહીં સ્મરી શકાય. શ્રી ચાવડાનું ચારુરમણીય ગદ્ય એની અનેખી સિદ્ધિ છે, તે શ્રી માવળંકરનાં પ્રસંગચિત્રોમાં વ્યક્ત થતો માનવતાનો આદર્શ આસ્વાદ્ય છે. એ જ લેખકનાં ગાંધીજી સાથેનાં ‘સંસ્મરણો'માંથી પણ સચ્ચાઈનો રણકો સંભળાય છે, પણ એમાં ગાંધીજીનું વ્યક્તિત્વ પ્રત્યક્ષ થતું નથી અને પ્રસંગોમાં જાણે લેખક જ મધ્યમાં રહેતા હોય એવું લાગ્યા કરે છે. તેમ છતાં ગાંધીજીવિષયક બીજાં અનેક સ્મરણોની સાથે આ પુસ્તક પણ આપણને મૂલ્યવાન દસ્તાવેજી સામગ્રી પૂરી પાડે છે. શ્રી મનુબહેન ગાંધીનાં ‘બાપુની શીળી છાયામાં’, ‘બાપુના સંભારણાં’, ‘બાપુજીના જીવનમાંથી’, ‘બાપુના જીવનપ્રસંગો’, ‘બાપુના જીવનમાં પ્રેમ અને શ્રદ્ધા' જેવી કૃતિઓ પણ દસ્તાવેજી મૂલ્યવાળી છે અને એ મહાત્મા પુરુષના વ્યક્તિત્વની વિવિધ રેખાઓને મધુર રીતે પ્રગટ કરી આપે છે. આ નાનકડા વિભાગમાં જાણે કે ગાંધીજી જ કેન્દ્રમાં રહેતા હોય એવું લાગ્યા કરે છે અને એ સ્વાભાવિક છે. એમના સાનિધ્યમાં રહેનાર અને એમના નિકટ સહવાસમાં આવનાર કેટલાક સદ્ભાગી જીવો એ વિરલ વિભૂતિનાં સંસ્મરણો આલેખીને, એમની સાથેના કેટલાક વિવિધ પ્રસંગો રજૂ કરીને આપણા પ્રજાજીવનને એમના આંતરસત્ત્વથી ભરી દે એ સર્વથા ઇષ્ટ છે. શ્રી મનુભાઈ પંડિતે ‘બાપુ આવા હતા'માં, શ્રી મુકુલભાઈ કલાર્થીએ ‘બા અને બાપુ'માં, શ્રી લલ્લુભાઈ મકનજીએ ‘ગાંધીજીના પાવન પ્રસંગો-૧'માં, શ્રી સરોજિની મહેતાએ ‘બાપુજીની શીતળ છાયા’માં (સં.), શ્રી રામનારાયણ ચૌધરીએ ‘બાપુ-મારી નજરે'માં- આવાં સુભગ પ્રસંગચિત્રણો આપ્યાં છે. શ્રી ધનવંત ઓઝાએ તો ગાંધીજી વિશેની પુસ્તિકાશ્રેણિ પ્રકટ કરી છે. ૫ણ શ્રી કાકાસાહેબ કાલેલકરકૃત ‘મીઠાના પ્રતાપે’ આ વિભાગનું (જોકે કોઈને રોજનીશી વિભાગમાં પણ મૂકવાનું મન થાય) સમૃદ્ધ પુસ્તક છે. ૧૯૩૦માં મીઠાસત્યાગ્રહને કારણે યરવડા જેલમાં ગાંધીજીના અંતેવાસી તરીકે રહેવાની તક કાકાસાહેબને મળેલી, અને એ સમયની ડાયરી એમણે સ્મૃતિ પરથી અહીં લખી છે. પાંચેક માસના ગાળાને અવલંબીને લખાયેલી આ ડાયરી ગાંધીજીના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંને સમજવામાં મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. અલબત્ત, મહાદેવભાઈની ડાયરી સાથેની આની સરખામણી કરવી અહીં ઉચિત નથી. શ્રી સુશીલાબહેને ‘બાપુના કારાવાસની કહાણી' આપી છે; એમાંનો ખૂટતો સમય-ગાળો આ પ્રકાશનથી પુરાય છે. આ ઉપરાંત શ્રી રમણલાલ દેસાઈનું ‘મધ્યાહ્યનાં મૃગજળ' એમના પુસ્તક ‘ગઈકાલ'ના અનુસંધાનમાં સ્મૃતિકથાને-જીવનસંસ્મરણોને નિરૂપી એમની સંસ્કારિતાની સૌરભ પ્રસરાવે છે. આ કૃતિને, સ્મરણો જ કેન્દ્રમાં હોવાથી, અહીં સ્થાન આપવું ઉચિત ધાર્યું છે. શ્રી પ્રાણશંકર સો. જોશીએ પણ આફ્રિકાની પ્રજાના રાજકીય-સામાજિક ઈતિહાસ તરફ વિશેષ ઝોક આપતા ‘સ્મૃતિ પ્રસંગો' આલેખ્યા છે. શ્રી રઘુનાથદાસ ગોસ્વામીએ ‘મા આનંદમયીના સાંનિધ્યમાં-૨'માં પણ સ્મરણોને વાચા આપી છે, દી. બ. કુ. મો. ઝવેરીના લેખસંગ્રહ-૨માં પણ વિપુલ પ્રમાણમાં સંસ્મરણો આલેખાયાં છે. શ્રી વિદ્યાબહેન નીલકંઠનું ‘ફોરમ’ એકવીસ મહાનુભાવોનાં સ્મૃતિચિત્રો આપે છે, શ્રી લીના મંગળદાસ ‘વ્યક્તિચિત્રો'માં પાંચ વ્યક્તિઓનાં રેખાચિત્રો દોરે છે, શ્રી શારદાબહેન ‘સંભારણાં-૨' રજૂ કરે છે, શ્રી વિજયકુમાર ત્રિવેદી ‘મારા અનુભવો' આલેખે છે, શ્રી. ચિમનલાલ પરમાર ‘દુર્ગારામ મહેતાજીનાં જીવનપુષ્પો' વેરે છે, શ્રી ઈશ્વર પેટલીકર ‘ધૂપસળી'માં મુલાકાત માટે પસંદ કરેલ અઢાર સેવાભાવી પુરુષોના વ્યક્તિત્વનો ૫રિચય કરાવતી પ્રસંગોની ચિત્રાવલિઓ દોરે છે, તો શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘સ્મરણમંજરી'માં રંગભૂમિનાં સ્મરણો આલેખતા પોતાના અનુભવોનો પરિચય કરાવે છે. નારાયણ દેસાઈના ‘પાવનપસંગો’ કે હિંડિયા સુધાકરનાં ‘હિમાલયયાત્રાનાં સંસ્મરણો’ પણ અહીં યાદ કરી લઈએ. પ્રવાસનાં સંસ્મરણો એક તરફ, તો ‘નિવાપાંજલિ' (સં. મગનભાઈ દેસાઈ) -ગાંધીજી, ટાગોર, શ્રી અરવિંદ વગેરે મહાન વ્યક્તિઓને અપાયેલી શ્રદ્ધાંજલિઓ –બીજી તરફ આ વિભાગના વિષયવૈવિધ્યનો પણ ખ્યાલ આપે છે. આ સર્વમાં મનીષી શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની રોજનીશીઓ ‘સ્કેપ બુક્સ' (વૉલ્યુમ ૧-૬) (સંપાદક કાન્તિલાલ પંડ્યા) એ ગુજરાતના પનોતા પુત્રના જીવનનાં વિવિધ પાસાને સમજવામાં ઉપકારક સામગ્રી પૂરી પાડતી, એમની વિવિધ પ્રવૃત્તિઓનો ૫રિચય કરાવતી, એમના પ્રશ્નો, એમની મુશ્કેલીઓ અને એમનાં મનેમંથનોનો ચિતાર રજૂ કરતી અને એ દ્વારા માનવ ગોવર્ધનરામનું ચિત્ર સ્પષ્ટ કરી આપી એમના હૃદયદ્રવ્ય સુધી પહોંચવાની તક પૂરી પાડતી મૂલ્યવાન કૃતિઓ છે. મહાદેવભાઈની ડાયરીના ચાર ભાગ આગલે દાયકે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા; આ દાયકામાં એનો પાંચમો ભાગ પ્રકટ થતાં આ રોજનીશીની પરંપરા આગળ વધી પોતાના દસ્તાવેજી મૂલ્યની વિશેષ પ્રતીતિ આપે છે. આપણા પંડિતયુગના સાક્ષર શ્રી નરસિંહરાવની રોજનીશી પણ (સંપાદક શ્રી રામપ્રસાદ બક્ષી અને શ્રી ધનસુખલાલ મહેતા) આ દશકામાં પ્રકટ થઈ છે; અને એમાં ખુલ્લા હૃદયે પોતાના ભાવને વ્યક્ત કરતા નરસિંહરાવ આપણને આકર્ષી રહે છે. એ સમયના લગભગ પાંચ દાયકા પહેલાંના વાતાવરણમાં, આ રોજનીશી વાંચતાં, આપણે ટહેલતા હોઈએ એવો ભાવ અનુભવી રહીએ છીએ. એમનો અહમ્ અહીં અછતો રહેતો નથી, છતાં એ દ્વારા પણ એ પંડિતના માનવભાવને આપણે પામી શકીએ છીએ એ ઓછું નથી.