ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/હિંમતલાલ ગણેશજી અંજારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિમતલાલ ગણેશજી અંજારિયા

એમનો જન્મ ઈ. સ. ૧૮૭૭માં ઓકટોબર મહિનાની ૨જી તારીખે (સંવત ૧૯૩૩ના ભાદરવા વદ ૧૦) રાજકોટમાં થયલો; જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. માતાનું નામ નરભેકુંવર હતું. તેઓ સન ૧૮૯૮માં બી. એ., સન ૧૯૦૫માં એમ. એ; અને ત્યારપછી ૧૯૧૩માં એલ એલ. બી; સને ૧૮૯૯થી ગોંડલ રાજ્યના કેળવણી ખાતાની નોકરીમાં જોડાયા, અને એમ. એ થયા પછી સન ૧૯૦૬થી મુંબાઇ કોરપોરેશનમાં સ્કુલ કમિટીમાં મુંબાઇની સ્કુલોના પ્રથમ આસીસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અને ૧૯૧૫થી ગુજરાતી સ્કૂલોના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયલા અને તે હોદ્દા પર હજુ ચાલુ છે.

ગોંડલ રાજ્યમાં તે વખતે સન ૧૯૦૩માં ગોંડલ રાજ્યનો ઇતિહાસ પ્રકટ કરેલો અને તે અરસમાં જ ‘કાવ્ય માધુર્ય’ નામનું અર્વાચીન કવિતામાંથી સારી સારી કવિતાઓના સંગ્રહનું પુસ્તક પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરીના ધોરણે એડિટ કરી સારી ખ્યાતિ મેળવી હતી. તે પછી ‘કવિતા પ્રવેશ’, ‘સંગીત મંજરી’, ‘સાહિત્ય પ્રવેશિકા’ પદ્યસંગ્રહ અને શાળાશિક્ષણને લગતાં પાઠ્ય પુસ્તકો ભૂગોળ અને કેળવણીના વિષયો પર લખેલાં છે.

એમના ગ્રંથોની યાદી:

ગોંડલનો વાર્તારૂપ ઇતિહાસ ૧૯૦૩
કાવ્ય માધુર્ય ૧૯૦૩
 દેશભક્તિનાં કાવ્યો ૧૯૦૫
ગદ્યશૈલીના બે શિષ્ટ લેખકો (‘વસન્ત’ માસિકમાં) ૧૯૦૫
કવિતા પ્રવેશ (કરીમ મહમદ માસ્તર સાથે) ૧૯૦૮
સંગીત મંજરી ૧૯૦૯
મુંબઇ બેટની ભૂગોળ ૧૯૧૪
હિંદુસ્તાનની ભૂગોળ ૧૯૧૫
મધ્યબિન્દુ ૧૯૧૫
કિન્ડરગાર્ટન સંબંધી ૬ લેખો. ૧૯૧૬
બાળ સ્વભાવ અને બાળઉછેર ૧૯૨૦
સાહિત્ય પ્રવેશિકા. ૧૯૨૨
શિક્ષણ ચંદ્રિકા ૧૯૨૩
પદ્ય સંગ્રહ (શ્રી ગુ. વ. સોસાઇટી તરફથી) ૧૯૨૬
કવિતા વિનોદ. ૧૯૨૬