ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રા. બા. ગોવિંદભાઇ હાથીભાઈ દેશાઇ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રા. બા. ગોવિંદભાઇ હાથીભાઈ દેસાઈ

બી. એ. એલ. એલ. બી.

એ ઓ જાતના પાટીદાર (લેવા) છે. મૂળવતની નડિયાદના; અને જન્મ આંકલાવમાં (તા. બોરસદ) સંવત્‌ ૧૯૨૧ના કાર્તક સુદ ૧૧ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ હાથીભાઈ રેવાદાસ દેસાઈ અને માતાનું નામ જીબાબા છે. પહેલાં તથા બીજાં પત્ની ગુજરી ગયા પછી એમનું લગ્ન વીરસદમાં રા. મોતીભાઇ શિવાભાઈ અમીનના દીકરી સૌ. સમજુબા સાથે સન ૧૯૦૩ માં થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ આંકલાવમાં લીધેલું; માધ્યમિક નડિયાદ હાઈસ્કુલમાં અને કૉલેજ શિક્ષણ મુંબઈમાં. સન ૧૮૮૬માં તેઓ બી.એ. ની પરીક્ષા ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ઐચ્છિક વિષય લઈને એલ્ફીન્સ્ટન કૉલેજમાંથી પસાર કરી હતી. તે પછી બે વર્ષ લૉ ક્લાસમાં ગાળી એલ એલ. બી., ની પદવી સન ૧૮૮૮માં મેળવી હતી. કૉલેજના અભ્યાસ દરમિયાન ઈંગ્લાંડમાં નવલકથાની ઉત્પત્તિ અને પ્રગતિ વિષે નિબંધ લેખન માટે તેમજ પાસ થયા બાદ યુનિવર્સિટી નિબંધ ‘રિચર્ડ કાબ્ડનનાં કાર્ય અને પરિણામ’ વિષે લખવા બદલ ઇનામો મળ્યાં હતાં. એલ. એલ. બી થયા પછી ૧૮૮૯ ના જાનેવારીમાં તેઓ વડોદરા રાજ્યની નોકરીમાં મુનસફ તરીકે જોડાયા હતા અને ત્યાં છેક નાયબ દીવાનના અને કામચલાઉ દિવાનના મ્હોટા હોદ્દા સુધી પહોંચી, હમણાંજ તેઓ ૪૦ વર્ષ સુધી રાજ્યની તેમ પ્રજાની માનભર વફાદારીથી સેવા કરી, નિવૃત્ત થયા છે; અને એ વિષેની વિગતવાર હકીકત ‘વડોદરા રાજ્યમાં ૪૦ વર્ષો’–એ નામનું સ્મરણ નોંધનું પુસ્તક એમણે બહાર પાડ્યું છે, તેમાંથી મળી આવશે. એમના જીવન પર બેન્જામિત ફ્રાંકલીનના લખાણની ઉંડી અસર થઇ હતી અને તેથી પ્રેરાઇને, એનો લાભ અન્ય બંધુઓને આપવા એમણે બેન્જામિન ફ્રાંકલીન નામનું એક પુસ્તક ગુજરાતીમાં લખ્યું હતું, જેની અદ્યાપિ એક ઉત્તમ ગ્રંથમાં ગણના થાય છે. તે પછી એજ કોટિમાં મૂકી શકાય એવું “જિંદગીનું સાફલ્ય” એ નામનું પુસ્તક ગુ. વ. સોસાઈટીને એમણે લખી આપ્યું હતું. જે સિદ્ધાંતો, આદર્શ અને ભાવના પોતે પોતાના પુસ્તકોમાં નિરૂપણ કર્યા હતાં, તેનું જીવનમાં અનુસરણ કરવા પોતે ચૂક્યા નથી; અને જીવનમાં એમને જે ફતેહ, યશ અને નામના મળ્યાં છે, તે ઉપરોક્ત કારણને આભારી છે, એમ તેઓ છાતી ઠોકીને કહે છે. નીતિમય જીવન, સદાચાર, ઉદ્યોગ અને સતત્‌ વાચન એ એમનાં જીવનસૂત્રો છે; અને એ વસ્તુઓએ એમને એટલું બધું બળ અર્પેલું છે કે તેઓ સંખ્યાબંધ ઉચ્ચ કોટિના પુસ્તકો લખી, પ્રજાને સારૂં વાચન પૂરૂં પાડવાને શક્તિમાન થયેલા છે. પોલીસ કમિશ્નરના હોદ્દાપર, કે રાજ્યની વસ્તીગણત્રીના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, સર સુબા તરીકે કે કાઉન્સિલના સભ્ય તરીકે, તેઓએ હમેશ કીર્તિ પ્રાપ્ત કરેલી છે. તેઓએ એકલું રાજ્યનું હિત જોયું છ એમ નથી; પણ પ્રજાપક્ષની હિમાયત કરવામાં પણ કદી પાછા પડ્યા નથી. જો કે અત્યારે તેઓ નિવૃત્ત થયલા છે તોપણ શાન્ત બેસી નહિ રહેતાં, આગળ મુજબ પ્રજાસેવામાં પ્રવૃત્ત રહે છે, એ એમની સાત્ત્વિક મનોવૃત્તિનું સૂચક છે.

: : એમની કૃતિઓ : :

૧. બેન્જામિન ફ્રાંકલીનનું જીવનચરિત્ર સન ૧૮૯૪
૨. ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ  ”  ૧૮૯૬
૩. અર્વાચીન  ”  ૧૮૯૭
૪. જીંદગીનું સાફલ્ય  ”  ૧૮૯૮
૫. નીતિશાસ્ત્રનાં મૂળતત્ત્વો ભા. ૧-૨  ”  ૧૯૦૧-૨
૬. ઘરમાં રમવાની રમતો  ”  ૧૯૦૨
૭. પૂર્વ તરફના પ્રાચીન દેશોમાં સુધારો  ”  ૧૯૦૩
૮. હેલ્પસ્‌ કૃત નિબંધો  ”  ૧૯૦૪
૯. દીર્ઘાયુષી શી રીતે થવાય  ”  ૧૮૯૨
૧૦. સારી રીતભાત  ”  ૧૯૦૫
૧૧. પોલીસ પ્રશ્નોતરી  ”  ૧૯૦૩
૧૨. પોલીસની કવાયત  ”  ૧૯૦૪
૧૩. વડોદરા રાજ્યનો વસ્તીગણત્રીનો રિપોર્ટ  ”  ૧૯૧૨
૧૪. Castes and Tribes in Baroda state  ”  ૧૯૧૨
૧૫. Statiscal Abstract of the Baroda state  ”  ૧૯૧૬
૧૬. વડોદરા રાજ્ય સર્વસંગ્રહ ભા. ૧, ૨, ૩, ૪,  ”  ૧૯૧૭-૧૮
૧૭. Gazetteers of the Baroda state, Vol. and II  ”  ૧૯૨૨-૨૩
૧૮. Forty years in Baroda  ”  ૧૯૨૯
૧૯. વડોદરામાં ચાલીસ વર્ષ  ”