ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/સુંદરજી ગોકળદાસ બોટાઇ
એઓ જ્ઞાતે ગૂગળી બ્રાહ્મણ અને બેટ દ્વારકાના વતની છે. એમનો જન્મ સં. ૧૯૬૦ના ભાદ્રપદ સુદ બારશને બુધવારના રોજ બેટ દ્વારકામાં થયો હતો. એમના પિતાનું નામ ગોકળદાસ ગોરધનદાસ અને માતુશ્રીનું નામ (સ્વ. વ્રજકોરબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૮ના વૈશાખ સુદ ૧૨ ના રોજ દ્વારકામાં સૌ. ચંદા બ્હેન સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે બેટ અને દ્વારિકામાં લીધું હતું; અને ઉંચું શિક્ષણ મુંબઈમાં–પ્રથમના બે વર્ષો સેંટ ઝેવીઅરમાં અને બી. એ.નાં બે વર્ષ એલ્ફીન્સ્ટન કૉલેજમાં. હાઇસ્કુલના અભ્યાસ દરમિયાન એમને ઇનામ અને સ્કૉલરશિપો મળેલાં. હાલમાં તેઓ ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ તરફથી ચાલતા સ્ત્રી-વિદ્યાલયમાં મુખ્ય શિક્ષક છે; અને એલ. એલ. બી. નો અભ્યાસ પણ પૂરો કર્યો છે. ભાષા, સાહિત્ય અને ધર્મતત્ત્વજ્ઞાનનું વાચન એમને વિશેષ ગમે છે; ગીતા એ એમનું પ્રિય પુસ્તક છે. કૉલેજમાં શ્રીયુત નરસિંહરાવના એ પ્રિય શિષ્ય હતા. એમની કવિતા ગુજરાતી માસિકોમાં અવારનવાર પ્રગટ થાય છે; અને તેનો એક સંગ્રહ “જ્યોતિ-રેખા” નામે ચાલુ વર્ષમાં પ્રસિદ્ધ થયો છે. શ્રીયુત નરસિંહરાવે તેનો ઉપોદ્ઘાત લખ્યો છે, એ જ એમની કવિતા માટે ઉંચું પ્રમાણપત્ર છે.
- : એમની કૃતિ : :
નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ
: : એમની કૃતિઓ : :
| પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. | |
| ૧ | જ્યોતિ રેખા | સન ૧૯૩૪ |