ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/ડુંગરસિંહ ધરમસિંહ સંપટ
એઓ કચ્છ અંજારના વતની, જાતે ભાટીઆ છે; એમનો જન્મ અંજારમાં સં. ૧૯૩૮માં જેઠ સુદ પાંચમના રોજ થયો હતો. એમના પિતાનો કલકત્તામાં વેપાર હતો; એટલે એમનું બાળપણ ત્યાં વિત્યું હતું. એમનું લગ્ન સં. ૧૯૫૭માં અંજારમાં બાઈ રમાબાઈ સાથે થયું હતું.
એમણે પ્રાથમિક શિક્ષણ લીધેલું છે; એ સંબંધમાં વધુ વિગતો શ્રીયુત મગનલાલ આસનમલ કીકલાની નોંધમાંથી ઉતારીશું :-
ઠા. ધરમસિંહ, ધરમસિંહ વલભદાસના નામે પોતાની પેઢી ચલાવતા હતા. ભાઈશ્રી ડુંગરસિંહની બાલ્યાવસ્થા કલકત્તા ખાતે ગુજરી, જ્યાં તેઓએ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી અંજાર આવ્યા જ્યાં વધુ અંગ્રેજી અભ્યાસ કરવાની સગવડ ન મળવાથી શાસ્ત્રી નિર્ભયશંકર પાસે ભાંડારકરકૃત માર્ગોપદેશિકા તથા મંદિરાન્ત પ્રવેશિકાનો અભ્યાસ પુરો કરી રઘુવંશ અને મેઘદૂત કાવ્યો ભણ્યા. ૨૦ વર્ષની ઉમરે રંગુન ખાતેની મેસર્સ અમરચંદ માધવજીની કું.ની પેઢીમાં પોતાના પિતાશ્રી સાથે જોડાયા. દોઢ દોઢ વર્ષને અંતરે છ મુસાફરીઓ રંગુનની કરી જે દરમ્યાન કંપની તરફથી મોલમીન, ઇકીયાબ વગેરે ઠેકાણે પેઢીઓ સ્થાપન કરી. સંવત ૧૯૭૧માં મજકુર કંપનીની કલકત્તા ખાતેની પેઢી ઉપર તેમને મોકલવામાં આવ્યા જ્યાં પાંચ વર્ષમાં ચાર મુસાફરીઓ કરી. કલકત્તામાં પાછું અંગ્રેજીનું જ્ઞાન વધારવા સારૂ માસ્તર રાખીને શેકસ્પીયર, સ્પેન્સર, બાયરન, વર્ડસવર્થ, મેકૉલે અને ટેનીસન વગેરે કવિઓના કાવ્યોનો સારો અભ્યાસ કર્યો અને તેની સાથે શાસ્ત્રીની મદદથી ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો વાંચ્યા. બંગાળમાં રહી બંગાળી ભાષા લખતાં વાંચતાં શીખ્યા એટલુંજ નહિ પણ બંગાળી સાહિત્યમાં બંકિમચંદ્ર ચેટરજી, કેશવચંદ્રસેન, રાજા રામમોહનરાય, મધુસુદન દત્ત વગેરેના પુસ્તકોનો અભ્યાસ કર્યો. સંવત્ ૧૯૭૪માં કરાંચી ખાતે મજકુર કંપનીના મેનેજર તરીકે બદલી થઈ. ત્યાં સ્વામી વિદ્યાનંદ પાસેથી વિચારસાગર, વૃત્તિપ્રભાકર અને તત્વાનુસંધાન સમજી લીધાં. સંવત ૧૯૭૭માં પાછું રંગુન જવાનું થયું જ્યાંથી સંવત્ ૧૯૭૮માં કોલંબોના મેનેજર તરીકે કંપનીએ તેમને મોકલ્યા. સંવત્ ૧૯૬૪થી મજકુર કંપનીઓમાંથી તેમના પિતાશ્રીનો ભાગ તેમનેજ મલતો થયો. કોલંબોમાં ત્રણ વર્ષ રહીને બુદ્ધ સાધુઓ પાસેથી બુદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો. સંવત્ ૧૯૮૨માં તેઓ મેસર્સ અમરચંદ માધવજીની કું.માંથી છૂટા થયા અને કરાંચી ખાતે મેસર્સ મુલરાજ લીલાધરના નામની પોતાની પેઢી સ્થાપી, જેનો વહીવટ તેઓએ આજ દિન સુધી ચાલુ રાખેલ છે. તેમને દેશાટન કરવાનો ભારે શોખ છે. તેઓએ કાશ્મીર, સીલોન, બરમા, બંગાલ, ગુજરાત, કાઠીઆવાડ, મહારાષ્ટ્ર, મદ્રાસ, મલબાર, રજપુતાના સંયુક્ત પ્રાન્તો અને નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સમાંના દરેક મુખ્ય શહેરોની મુલાકાતો લીધી છે. હિમાલયના અંદરના ભાગોમાં પણ પ્રવાસ કરેલો છે.
પ્રવાસની પેઠે લેખન વાચન માટે પણ તેમને ભારે શોખ છે, અને તેને લઈને તેઓ વખતો વખત જુદા જુદા ગુજરાતી માસિકોમાં લેખો લખી મોકલે છે, તે જેમ માહિતીપૂર્ણ તેમ અનુભવ પરથી અને વિચારપૂર્વક લખાયેલા હોય છે.
-: એમની કૃતિઓ :-
- (૧) હિમાલયના પુણ્ય પ્રદેશમાં
- (૨) કચ્છી વહાણવટાનો જુનો ઇતિહાસ
- (૩) કચ્છનો વેપારતંત્ર
- (૪) ભાટિયા બેકારી કેમ ટળી શકે?