ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/કંચનલાલ વાસુદેવ મહેતા

(અર્વાચીન વિદેહી)

શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતા (મલયાનિલ)

શ્રી. કંચનલાલ વાસુદેવ મહેતાનો જન્મ અમદાવાદમાં ઈ. સ. ૧૮૯૨ માં થયો હતો. તેઓ જાતે સાઠોદરા નાગર હતા અને ખાડીઆમાં હજીરાની પોળમાં રહેતા હતા. તેમના પિતા વાસુદેવ ગુણવંતરાય મહેતા અમદાવાદમાં એક મીલમાં સારા હોદ્દા ઉપર હતા. કંચનલાલ પિતાના સૌથી મોટા પુત્ર હતા. પોતાની પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે અમદાવાદમાં જ લીધી હતી. અમદાવાદની ગવર્નમેન્ટ હાઈસ્કુલમાં તેઓ ભણતા હતા ત્યારે નિશાળના સારા વિદ્યાર્થીઓમાં એમની ગણત્રી થતી. અને તેમના અભ્યાસમાંથી હંમેશા ફુરસદ કાઢી અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરતા. આ ઉપરાંત ડ્રોઈંગ અને સંગીતના વિષયમાં પણ તેઓ એટલો જ રસ લેતા.

ઈ. સ. ૧૯૦૮ ની સાલમાં તેમણે મેટ્રીકની પરીક્ષા પાસ કરી અને અમદાવાની ગૂજરાત કૉલેજમાં જોડાયા. ઈ. સ. ૧૯૧૨ ની સાલમાં તેઓ મુંબાઈ યુનીવર્સીટીના ગ્રેજ્યુએટ થયા. ગ્રેજ્યુએટ થયા પછી તરતજ અને તે અરસામાં શ્રી કંચનલાલે પોતાના સાહિત્ય જીવનમાં પગલાં માંડેલા અને “ગોળમટોળ શર્મા” ના તખલ્લુસથી કવિતા અને હાસ્યરસ પ્રધાન વાર્તાઓ સુન્દરી સુબોધ, વાર્તાવારિધી, ભક્ત વિ. માસિકોમાં લખવા માંડેલી અને થોડા જ વખત પછી એટલે લગભગ ૧૯૧૩ ની સાલમાં “મલયાનિલ” ના નામથી નવલિકાઓ લખવાની શરૂઆત કરી. ગ્રેજ્યુએટ થયા પછી અમદાવાદની મેચ ફેકટરીમાં નોકરી લીધી હતી. નોકરી દરમીઆન પણ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ તો ચાલુ જ હતો અને શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતા અને રામકૃષ્ણ શાસ્ત્રીની મદદ અને સૂચના અનુસાર તેમણે સંસ્કૃત સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૩ ની સાલમાં એલ. એલ. બી ની પરીક્ષા પસાર કરી ઇ. સ. ૧૯૧૪ ની સાલમાં એમ. એ. ની પરીક્ષા આપવાનો વિચાર કરેલો પરંતુ સંજોગવશાત્ તે અપાઈ નહિ. ઈ. સ. ૧૯૧૫ ની સાલમાં ફરી એમ. એ; ની પરીક્ષામાં બેસવાનું નક્કી કર્યું અને તે મુંબાઈ પણ ગયા પરંતુ એકાએક શરીર બગડવાથી પરીક્ષા અપાઈ નહિ. આ પ્રમાણે બે વખત એમ. એ ની પરીક્ષા એક યા બીજા કારણે અપાઈ નહિ તેથી તે આપવાનો વિચાર પડતો મૂક્યો અને ઈ. સ. ૧૯૧૬ ની સાલમાં બીજી એલ. એલ. બી.ની પરીક્ષા આપી ડીગ્રી મેળવી. અને ધંધાર્થે મુંબાઈ જવાનું નક્કી કરી “ભાઈશંકર કાંગા” એ નામની સૉલીસીટરની પેઢીમાં નોકરી સ્વીકારી અને મુંબાઈમાં વકીલાત કરવી શરૂ કરી.

અમદાવાદ છોડી મુંબઈ આવ્યા તે પહેલાં અમદાવાદમાં પોતાની જ્ઞાતિની “સ્વસુધારક સભા” ને સજીવન કરી જ્ઞાતિમાં યોગ્ય એવા સુધારા કરવા માટે પ્રવૃત્તિઓ આદરી. ઉપરાંત અમદાવાદની “સાહિત્ય સભા” માં સભ્ય તરીકે જોડાઈ સાહિત્યસેવા કરવાનો વિચાર કરેલો. અમદાવાદમાં સ્થપાએલી ‘ગોખલે સોસાયટી’ તથા ‘હોમરૂલલીગ’ ની શાળામાં સક્રિય ભાગ લઈ રાજકીય પ્રવૃત્તિમાં પણ પડવાનો મનસુબો કર્યો હતો.

પણ મુંબઈમાં જીવનના હરેક ક્ષેત્રમાં સંગીન કાર્ય થઈ શકે એ ખ્યાલથી અમદાવાદ છોડ્યું અને મુંબઈ આવ્યા. આ વખતે એમની નવલિકાઓ અને હાસ્યરસ પ્રધાન લેખો ઘણા માસિકોમાં આવતા હતા અને આજ વખતે તેઓ વીસમીસદીના આદ્યસ્થાપક હાજીમહમદ અલારખીઆ શિવજીના સંસર્ગમાં આવ્યા અને તેમને પોત્સાહન અને સહકારથી “ગોવાલણી” વિ. વાર્તાઓ “વીસમીસદી” માં પ્રસિદ્ધ કરી નવલિકાના આદ્ય લેખક તરીક ગુજરાતભરમાં નામના મેળવી પણ તેમના તરફથી વધારે પ્રાણવાનને સુંદર કૃતિઓ આપણને મળે અને સાહિત્ય પ્રદેશમાં તેમની કીર્તિસુવાસ પ્રસરે તે પહેલાં તો ઈ. સ. ૧૯૧૯ ના જૂન માસની ૨૪મી તારીખે એપેન્ડીસાઈટીસના દર્દથી તે દેવલલોક પામ્યા.

એમનું જીવન જેટલું ટુંકુ તેટલું જ ટુંકું એમનું સાહિત્યજીવન હતું અને તેથી તેમની એક પણ કૃતિ પુસ્તક ફળે તેમની હયાતિમાં બ્હાર પડી નહતી પણ ઈ. સ. ૧૯૩૫ના જૂન માસમાં તેમના પત્ની ડો. ભાનુમતિ એ “ગોવાલણી અને બીજી વાતો” એ નામનો ૨૨ વાર્તાઓનો વાર્તા સંગ્રહ બ્હાર પાડ્યો છે. ઉપરાંત તેમની કેટલીક અધૂરી વાર્તાઓ પ્રસિદ્ધ થવી બાકી છે. તેમણે અનેક હાસ્યરસપ્રધાન અને હળવા કાવ્યો લખેલાં છે તે જુદા જુદા માસિકોમાં છપાએલાં છે.