ચંદ્રકાન્ત શેઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ , ‘આર્યપુત્ર', ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર (૩-૨-૧૯૩૮) : કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક. જન્મ કાલોલ (જિ. પંચમહાલ)માં. વતન ઠાસરા (જિ. ખેડા). ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશી-સર્જક અને વિવેચક’ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યા વાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપડવંજ કૉલેજમાં, ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬થી ૧૯૭૨ સુધી ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાં અને ૧૯૭૨થી ૧૯૭૯ સુધી પુનઃ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિરમાં નિયામકપદે. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૬૪માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક-વિજેતા. ૧૯૮૪-૮૫નું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવોર્ડ. સાતમા દાયકામાં પ્રભાવક બનેલા રે મઠ'ના કવિઓના સંપર્કને કારણે એમને ‘પવન રૂપેરી' (૧૯૭૨) કાવ્યસંગ્રહ રાંવેદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજાજ દાખવે છે. જીવનની કૃતકતામાંથી જન્મતો ખાલીપો, સાચું જીવન ન જીવી શકવાને લીધે અનુભવાતી ગૂંગળામણ, મથામણની વંધ્યતા, ચૈતહાસ જેવાં સંવેદનો તથા ભાષા અને કલ્પનાની તાજપ, આકારની સુરેખતા, કટાવનો લય આદિ અભિવ્યક્તિગત લાક્ષણિકતાઓથી યુકત સંગ્રહની આધુનિક મુદ્રાવાળી કવિતામાંથી કેટલીક નીવડેલી, ધ્યાનાર્હ રચનાઓ છે. અલબત્ત ગીત, ગઝલ, સૉનેટ જેવા કાવ્ય પ્રકારોને આશ્રય લઈ પુરોગામી સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પણ અહીં છે. ‘ઊઘડતી દીવાલો' (૧૯૭૪) ની રચનાઓમાં શબ્દની વ્યર્થતાનો અનુભવ, જીવનની અગતિકતામાંથી જન્મતો વિષાદ, નિરૂપણમાં હળવાશ, અછાંદસ તરફની ગતિ આદિ લાક્ષણિકતાઓથી આધુનિક વલણ બળવત્તર બન્યું છે. ‘ચાંદલિયાની ગાડી' (૧૯૮૦) બાળકો માટે, તો ‘પ્રૌઢશિક્ષણ ગીતમાળા' (૧૯૮૬) પ્રૌઢે માટે રચાયેલાં ગીતોના સંગ્રહો છે. ‘પડઘાની પેલે પાર' (૧૯૮૭) કાવ્યસંગ્રહમાં આત્મશોધકનું ઉક્તિવૈચિય છે. ‘નંદ સામવેદી' (૧૯૮૦)માં અંગત સંવેદનને અભિવ્યક્ત કરતા લલિતનિબંધ છે. નંદના કલ્પિત પાત્ર દ્વારા લેખકે ‘સ્વ’ સાથે વાત કરી છે. માનવમાનવ વચ્ચેના સંબંધમાં જયાં સંકુચિતતા, કૃતકતા, કુટિલતા છે ત્યાં નંદ ગૂંગળામણ ને વિષાદ અનુભવે છે. શૈશવને સ્મૃતિમાં વાગોળતી કૃતિ ધૂળમાંની પગલીઓ' (૧૯૮૪) -ના પ્રસંગેની કથા આત્મચરિત્ર અને લલિતનિબંધ - બંનેના સંધિસ્થાને ઊભી છે. ‘ચહેરા ભીતર ચહેરા' (૧૯૮૬)માં સમાજનાં સામાન્ય માનવીઓના ચહેરાઓને ઊજળી બાજએથી જોઈને, આલેખાયેલા ચરિત્રલક્ષી નિબંધો છે. હેત અને હળવાશ’ (૧૯૯૦)માં વિદરસિક લેખો છે. ‘કાવ્યપ્રત્યક્ષ' (૧૯૭૬) મુખ્યત્વે કાવ્યસર્જનની પ્રક્રિયા, કવિતા અને છંદ, કાવ્યમાં ઔચિત્ય જેવા કાવ્યસિદ્ધાંતોની અને અર્વાચીન ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી કવિઓની કવિતાની તપાસ કરતો વિવેચનગ્રંથ છે. ‘અર્થાન્તર' (૧૯૭૮)માં નાટક, નવલકથા, ગુજરાતી ગદ્ય આદિ વિશેના સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચાથી પર રહેતી, ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓની ચર્ચા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની ‘રામનારાયણ વિ. પાઠક’ (૧૯૭૯) પુસ્તિકામાં સર્જકના વાડમયપુરુષાર્થની તપાસ છે. આયરનીનું સ્વરૂપ' (૧૯૮૪) નાની પરિચયપુસ્તિકા છે. ‘સ્વામિ નારાયણ સંતકવિતા' (૧૯૮૪)માં સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓની કેટલીક નોંધપાત્ર કવિતાઓ પરના આસ્વાદલેખ છે. ‘સ્વપ્નપિંજર' (૧૯૭૩) નાં એકાંકીઓ નિરૂપણ પરત્વે ઍબ્સર્ડ નાટ્યશૈલીનો પ્રભાવ દર્શાવે છે. ગુજરાતીમાં વિરામચિહનો’ (મોહનભાઈ પટેલ સાથે, ૧૯૭૩) ગુજરાતી વિરામચિહ્નો વિશે. શાસ્ત્રીય દૃષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું ગુજરાતીમાં પ્રથમ પુસ્તક છે. ‘દામ્પત્યમંગલ' (૧૯૭૯) દામ્પત્યવિષયક કાવ્યો અને વિચારોનો સહસંપાદિત ગ્રંથ છે. ‘પુષ્ટિદર્શન’(૧૯૮૬) આચાર્ય વ્રજરાયજીએ પુષ્ટિદર્શન વિશે આપેલાં વ્યાખ્યાનોનું સંપાદન છે. ‘માતૃ દર્શન' (૧૯૮૧) માતૃભક્તિનાં ગુજરાતી કાવ્યોનું સહસંપાદન છે. ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા' (૧૯૭૭) મુખ્યત્વે ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીઓના સાહિત્ય દ્વારા સધાતી રાષ્ટ્રીય એકતા વિશેના વિચારોનું સહસંપાદન છે. ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય'- ભા. ૧-૨ (૧૯૭૩) તથા મધ્યકાલીન ગુજરાતી કાવ્યગ્રંથોમાં વપરાયેલી સંખ્યાનો નિર્દેશ કરતા શબ્દોની માહિતી આપતું ‘સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ' (૧૯૮૩) એ એમનાં અન્ય સહસંપાદનો છે. ‘પંડિત ભાતખંડે' (૧૯૬૭) એ ડૉ. એસ. એન. રાતજનકરના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે. ‘મલયાળમાં સાહિત્યની રૂપરેખા' (૧૯૭૮) પણ એમના અનુવાદગ્રંથ છે.