ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧

{{Color|Blue|[[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેધના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતાને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે. એવું જાણ્યા પછી અર્જુનને આ બાળકોના પિતા ચંદ્રહાસની કથા સાંભળવાની ઇચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}

રાગ : કેદારો

પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જેથી સરે મનોરથ મન તણો રે.         

સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે.         

ઢાળ


સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.         

વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.         

પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.         

પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.         

પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’         

એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.         

અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
પૂંઠે વૃષકેતુ[1] પરવર્યો, વળી વીર પ્રદ્યુમન[2].         

વાટમાં જાતાં નીલધ્વજ[3] ને હંસધ્વજ[4] ભૂપાળ;
સુધન્વા ને સુરથ[5] નામે, હણ્યા બન્યો બાળ.          ૧૦

મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન[6];
જેણે મહાબળિયા પારથનું, મસ્તક કર્યું છેદન.          ૧૧

પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.          ૧૨

રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.          ૧૩

એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઊતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હતા, બે ચંદ્રહાસના તન.          ૧૪

વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.          ૧૫

ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.          ૧૬

વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.          ૧૭

પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
સાંભળીને સવ્યસાચી[7] પામ્યા દુઃખ અપાર.          ૧૮

વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’          ૧૯

વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’          ૨૦

એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.          ૨૧

હરિગુણ ગાતા વીણા વાતા આવ્યા નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.          ૨૨

ત્યારે દેવર્ષિ એમ બોલિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?          ૨૩

પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.          ૨૪

સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’          ૨૫

વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.          ૨૬

દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’          ૨૭

ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.[8]          ૨૮

વલણ

‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.          ૨૯





  1. વૃષકેતુ – કર્ણનો પુત્ર
  2. પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર
  3. નીલધ્વજ – માહિષ્મતીનો રાજા
  4. હંસધ્વજ – ચંપકપુરીનો રાજા
  5. સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો
  6. બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર
  7. સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
  8. વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ