ચાંદનીના હંસ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



ચાંદનીના હંસ






મૂકેશ વૈદ્ય







સુમન પ્રકાશન
૯૮, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨, ફોન નં. ૮૫૫ ૩૪૨૮
૧૭૮૮/૧, ગાંધી રોડ, મામુનાયકની પોળ પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧

​CHANDANEENA HANSA
by : Mukesh Vaidya
Published by : Suman Prakashan,
         Bombay-400 009 , & 855 3428
© સૌ. લતા વૈદ્ય

મુખપૃષ્ટ ચિત્ર: પ્રભાકર બર્વે
અક્ષરાંકન: હર્ષદ શાહ
ફોટોગ્રાફ: ભરત વૈદ્ય


પ્રથમ આવૃત્તિ : જૂલાઈ, ૧૯૯૧


મૂલ્ય : ૩૦-૦૦


પ્રકાશક :

ગિરીશ આર. ઠક્કર
સુમન પ્રકાશન
૯૮, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ−૪૦૦ ૦૦૨
ફોન નં. ૮૫૫ ૩૪૨૮


મુદ્રક :
અશોકકુમાર ર. જાની
અન્નપૂર્ણા પ્રિન્ટિંગ પ્રેસ
૫, ગજ્જર એસ્ટેટ,
જી. ડી. હાઈસ્કૂલ પાસે,
સૈજપુર બોઘા, અમદાવાદ,






પૂજ્ય મમ્મી-પપ્પા—સૌ. હંસાબેન પ્રિ. વૈદ્ય તથા
શ્રી પ્રિયવદન ૨. વૈદ્યને.
તેમજ
પૂજ્ય ગુરુમિત્રો—શ્રી કાન્તિ પટેલ તથા
શ્રી ભૂપેશ અધ્વર્યુને.



જેમના આશ્રયે પામ્યો કાવ્યમાં રસ હું કદી.
અર્પું હું એમને મારી પામવાની મથામણો.



મારી વાત

૧૯૭૨થી ૧૯૮૯ના ગાળામાં રચાયેલી રચનાઓમાંથી પસંદ કરીને કેટલીક રચનાઓ અહીં મૂકી છે. અપવાદરૂપે એક જ રચના (‘કશાકનું પગેરું શોધતો...’થી શરૂ થતી. પૃ. ૬૨.) અહીં ૧૯૯૧ની લીધી છે. આ સમયગાળામાં કવિતા વિશેના પ્રચલિત ખ્યાલો આત્મસાત કરવાનું બન્યું. અનેક પ્રશ્નો ઊઠતા રહ્યા, અનેક જગ્યાએ ગૂંચ પણ અનુભવી. લખતાં લખતાં સમજ કેળવાશે અને એ ગૂંચનો ઉકેલ આખી પ્રક્રિયામાંથી પસાર થતા મળતો જશે એવી શ્રદ્ધાથી લખતો રહ્યો છું. શબ્દને લયબદ્ધ કરવાની શરૂઆત એકદમ નાનપણમાં થઈ. બારેક વર્ષની વયે ‘જન્મભૂમિ-પ્રવાસી’ના ‘બાળજગત’ વિભાગમાં એક ગીત પ્રકટ થયેલું, ત્યારે માત્ર લય હતો. આજે પણ પહેલી શરત લય જ રહે છે; અછાંદસમાં પણ. સાતેક વર્ષની ઉંમરે મમ્મીના કંઠે ગવાતાં પ્રભાતિયાં અને ભજનો સાંભળતો. એ અરસામાં જ નરસિંહ મહેતા કૃત ‘નાગદમન’ની એક પંક્તિ – ‘સહસ્ત્ર ફેણે ઘૂઘવે જેમ ગગન ગાજે હાથિયો’ સાંભળતા વરસાદી આકાશમાં મેઘથી અભિન્નરૂપે ફરતીમેર ફેણ હોય એવું દૃશ્ય ખડું થયાનું આજે પણ બરાબર યાદ છે. સર્ગશક્તિનો પ્રથમ સ્પર્શ એ ક્ષણે અનુભવ્યો હોય એવું આજે લાગે છે. શિક્ષક માતા-પિતાનો સાહિત્યપ્રેમ મારામાં આવ્યો. ધારણ સાતમામાં વતનગામ ચિખલીમાં ભણવાનું થયું. ત્યાં આચાર્ય શ્રી ધીરુભાઈ રાવળ, વર્ગશિક્ષક શ્રી ઈશ્વરભાઈ રાવળ તથા મારા મામા સર્વશ્રી પ્રકાશ, ગિરીશ અને અશ્વિન વ્યાસના સાન્નિધ્યમાં મારી કવિતા ઊછરી, વિકસી. કવિતા શા માટે લખું છું? એ પ્રશ્નના ઉત્તરમાં કહી શકું કે બીજાં અનેક કારણો હોવા છતાંય, મુખ્ય હેતુ કવિતાની પ્રાપ્તિ છે. રસાત્મક શક્તિ દ્વારા કલ્પનામૂલક અને સંસ્કારમૂલક વ્યાપાર પ્રત્યક્ષ કરવા માટેની ભાષાકીય મથામણ એટલે કવિતા. ભાષાની અનેકવિધ શક્યતાઓ પ્રત્યેનું આકર્ષણ સતત મનમાં ઘૂંટાતું રહ્યું છે. ભાષાના સુબદ્ધ માળખા દ્વારા અને એમાં ય કવિતામાં અપેક્ષિત એવાં વિશિષ્ટ ભાષા-સંયોજન દ્વારા ચિત્તના અવળ-સવળ પ્રદેશો ઉલેચી શકાશે અને એ દ્વારા જાત અને જગતને પામી શકાશે એવો મનુષ્યસહજ ભ્રમ અત્યારે તો છે. આ ખ્યાલને લીધે જ કવિતામાં રૂપાન્તરિત થઈને આવતું જીવન કાચી સામગ્રી કે વિષય-વસ્તુથી વિશેષ લાગે છે. કાવ્યસ્વરૂપમાં રહેલી માનસિક પ્રક્રિયાઓની લાઘવપૂર્ણ અભિવ્યક્તિની અનેક શક્યતાઓ મને આકર્ષતી રહી છે. સંકુલતાનાં જુદાં જુદાં પરિમાણો, વિવિધતા અને સૂક્ષ્મતાને પામવા માટે પણ મને આ સ્વરૂપ વધુ અનુકૂળ લાગ્યું છે. અનુભવને શબ્દનું સઘન, સુઘટ્ટ પોત (texture) આપવાની વાત પણ એટલી સહેલી નથી. ભાષા સાધન અને સાધ્ય બન્ને ય છે. એ સિદ્ધ કરવા માટે મારામાં ઊછરેલી અથવા તો કહો કે મારા કવિ-વ્યક્તિત્વનો સ્પર્શ પામેલી ભાષા ઘડવા માટે હું પ્રયત્નશીલ રહું છું. આખા અનુભવનો અર્ક એકાદ કલ્પનમાં આવતા આનંદ અનુભવાય. એ જ રીતે તર્કને અતિક્રમી જાય એવું સત્ય આવાં કલ્પનની શૃંખલા દ્વારા વ્યક્ત થઈ શકે એવું લાગ્યું છે. છતાં ય કલ્પન દ્વારા જ કવિતા થઈ શકે એવું નથી. અન્ય રીતિ, તરાહો પણ અજમાવી છે. એકદમ સરળ લાગતી વાત પણ ઘણીવાર છટકી જતી લાગી છે. તેથી સંતોષ ન થાય ત્યાં સુધી ફરી ફરી શબ્દો સાથે મચવાનું રહે છે. ચિત્ત શબ્દો સાથે મચેલું હોય ત્યારે જીવનને ઉત્કટપણે સ્પર્શી લેવાતું હોય એવું લાગ્યું છે. તે સાથે જ જીરવવી ન ગમે એવી વાસ્તવિકતામાંથી પલાયન થવા મન કાવ્ય-પ્રવૃત્તિમાં પરોવાતું હોય એવું ય લાગ્યું છે. એ જ રીતે મારું ભાષા પરનું પ્રભુત્વ ઓછું છે કે પછી ભાષાનું સામર્થ્ય ઓછું છે એવી દ્વિધા પણ અનુભવી છે. આવા અનેક વિરોધી બિન્દુઓ વચ્ચે અનિર્ણયાત્મક મનઃસ્થિતિ હોવા છતાં ય અંદરના આવેગને અનુસરીને લખતો રહ્યો છું. શાળાના દિવસોમાં ગીતરચનાઓ સાથે છંદોબદ્ધ સોનેટ પણ અજમાવ્યાં હતાં. પણ શિખરિણી અને હરિગીત સિવાયના છંદોનો રસ્તો મારે માટે ઉબડખાબડ જ રહેલો. પ્રમાણમાં સહેલા એવા માત્રામેળને આત્મસાત કરવા મથ્યો. કવિતા વિશે વિચારતો થયો ત્યારથી (૧૯૭૨) લયનું ભારે આકર્ષણ રહ્યું છે. ગીતો ગેય અને મૃદુ જ હોય એ ખ્યાલથી ઊફરા ચાલવાના ઉત્સાહે robust imagesવાળાં ગીતો લખવા પ્રેર્યો. તે સાથે જ અછાંદસમાં મુક્ત વાણી ઘડવાની અનેક શક્યતાઓ જણાઈ. શરૂઆતમાં સ્મૃતિમાંથી ઊઘડતું ભાવવિશ્વ અને એકમેકમાં એકાકાર સમયલીલાના અવનવાં રૂપ આકર્ષતાં હતાં. પછી નગણ્ય (insignificant) બની રહેલા મનુષ્ય અસ્તિત્વ વિશેના સંવેદનોએ જોર પકડ્યું. ‘કવિલોક'માં છપાયેલી પ્રથમ રચના ‘આંગળીને ટેરવે એકાદ તારો ચીંધી શકાય’થી માંડીને ‘મેદનીમાં', ‘ગતિસ્થિતિ’ વગેરે રચનાઓમાં પરિસ્થિતિઓ સામે લાચાર, લાઇલાજ બની રહેતા માણસને ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનો દ્વારા પામવાની અને શબ્દોમાં આંકવાની શરૂઆત કરી. જુદી જુદી બાની અજમાવવા પ્રેરાયો. કાફકાની ‘મેટામોર્ફોસીસ’ ૧૯૭૪માં વાંચેલી. એની પણ પ્રબળ અસર. તે દિવસોમાં આસપાસ સંભળાતા શૂન્યતાના નગારા અંગે સચેત થયો કે આ બધુ ઉછીનું તો નથી ને? ફરી ઉપર જણાવી તે રચનાઓ સાથે મૂકી શકાય એવી રચના ‘એકાકી' દસ વર્ષ પછી લખાઈ. આમ કેટલીક વસ્તુએ મારે પીછો નથી છોડ્યો ને કેટલીક જગ્યાએ મેં એ વસ્તુનો. વસ્તુના મિનિમલ, એબ્સ્ટ્રેક્શનના વિભાવથી પ્રભાવિત રહ્યો છું. છતાંય લખતી વખતે વસ્તુને અતિક્રમી જવાય એવું પણ બન્યું છે. ‘દેશવટાનું ગીત’માં જીવલેણ પ્રેમિકા જેવી જિંદગી સાથે જ નાયક સંવાદ છેડે છે. જ્યારે ‘નદી’માં ઊંડે ઊંડેથી એ સંવાદનું અનુસંધાન હોવા છતાં ય નવી જ દિશા ખુલતી આવે છે. ‘આકાશ એકાએક ઊંચકાઈ જાય’, ‘ઝંઝા', ‘કાળું છિદ્ર', ‘દાબડા’ વગેરે રચનાના કેન્દ્રમાં મૃત્યુ વિષયક સંવેદન રહ્યું. કવિતા એક એવી બારી લાગે છે જે મુક્ત અવકાશમાં ઊઘડે છે તે સાથે જ ભીતરમાં પણ ઊઘડે છે. આન્તર-બાહ્ય વાસ્તવિકતાઓ કવિતા દ્વારા જ જોડાય છે. કવિએ ‘ખાબોચિયું' (૨)નાં વૃક્ષોની જેમ ડોકાઈને એ બારીમાંથી જ જાત અને જગતને પામવાનાં છે. ચાંદની અને હંસ શબ્દ સાથે ચાલી આવતા રુઢ સંકેતો હું નકારું તો પણ રહેવાના જ. એમાં રહેલી રોમાન્ટિક ઝાંયનું જોખમ પણ હું જાણું છું. કવિશ્રી મકરંદ દવેએ કાવ્યસંગ્રહને શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું તેમ ‘શુભ્ર ધવલ ઉત્થાન’ પણ ખરું. ભાવને મૂર્ત રૂપ આપવાના નિર્દેશ સાથે મારા મનમાં કવિ વાલેસ સ્ટિવન્સ જેનો આગ્રહ સેવે છે એ ‘Imagination and reality equal and inseperable’નો વિચાર રહેલો છે. આ લખવા પાછળ કવિતા સિદ્ધ થઈ છે કે કવિતા પામ્યો છું એવો કોઈ દાવો નથી. મારી મૂંઝવણ અને મથામણની આ લખાણ દ્વારા ઝાંખી આપવાનો એક નમ્ર પ્રયાસ આ છે. કવિતાને સુજ્ઞ ભાવક તો એને ચાતરીને ચાલી શકે છે. જેમની રસકીય દૃષ્ટિ માટે મને ખૂબ આદર રહ્યો છે એવા કવિતાના સાચા મર્મજ્ઞ શ્રી જયંત પારેખે પ્રાસ્તાવિક લખી મને ઉપકૃત કર્યો છે. મારા ઘડતરમાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. હું એમનો ઋણી છું. આંતરરાષ્ટ્રીયખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર અને કળાસિદ્ધાંતવિદ્ શ્રી પ્રભાકર બર્વેએ આ કવિતાઓ પ્રેમપૂર્વક સાંભળી એ વિશે સવિસ્તર ચર્ચા કરી એનો અકથ્ય રોમાંચ છે. કાવ્યસૃષ્ટિને અનુરૂપ ચિત્ર આપવા માટે શ્રી પ્રભાકર બર્વેનો; ઉષ્માપૂર્વક અક્ષરાંકન – ડિઝાઇન કરી આપનાર મિત્ર હર્ષદ શાહનો અને લે-આઉટ અંગે સૂચનો કરનાર શ્રી પવનકુમાર જૈનનો હું આભારી છું. આ કવિતાના પ્રકાશનની જવાબદારી ઉઠાવનાર મુ. શ્રી રમણિકભાઈ ઠક્કર તથા શ્રી ગિરીશભાઈ ઠક્કરનો પણ હું ઋણી છું. સર્વશ્રી, કાન્તિ પટેલ, જયંત પારેખ, કવિશ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર તથા શ્રી અરૂણ અડાલજા મારા અભ્યાસકાળથી આજ લગી, મારી કવિતામાં ઉત્કટપણે રસ દાખવી એ વિશે ચર્ચા વિચારણા કરતા રહ્યા છે. સ્મૃતિશેષ ભૂપેશે અનેક કવિતાઓ વિશે વિસ્તારપૂર્ણ વિવેચના – પ્રતિભાવરૂપે પત્રમાં લખી મોકલી હતી. કવિશ્રી રાધેશ્યામ શર્માએ એમની ઉત્તમ કાવ્યદૃષ્ટિનો લાભ મારી બે રચનાને આપ્યો છે. કવિશ્રી હરીન્દ્ર દવે, ડૉ. ધીરેશ અધ્વર્યુ તથા સંસ્કૃત સાહિત્યના મરમી ડૉ. અરવિંદરાય ઝાલાએ અનેક કપરા સંજોગોમાં મને હૂંફ અને હિંમત આપી છે. આ સર્વે આત્મીયજનોને હું કૃતજ્ઞભાવે યાદ કરું છું. છેલ્લે મારા સર્જનકાર્યમાં પ્રેરણારૂપ બનનાર સર્વશ્રી ભરત નાયક, નીતિન મહેતા, શિરીષ પંચાલ, વિરચંદ ધરમશી, ‘સમન્વય’ બેઠકમાં મળતા તમામ કવિમિત્રોને અને મારી કવિતાને હૂંફ આપતા રહેલા મિત્રો – સર્વશ્રી હેમંત શાહ, ડૉ. દર્શન ઝાલા, મૂકેશ ત્રિવેદી, સુરેશ ઝવેરી, ડૉ. રમણ સોની, જયદેવ શુકલ, વિનીત શુકલ, મુકુલ ચોકસી અને બકુલ ટેલરને હૃદયપૂર્વક યાદ કરું છું. આ કૃતિઓ અગાઉ કવિલોક, સંજ્ઞા, કવિતા, કંકાવટી, પરબ, વિશ્વમાનવ, ખેવના, યુગસેતુ, ક્ષણિક, પગલું, કલહરી, નવનીત-સમર્પણ, વિ., શબ્દસૃષ્ટિ, એતદ્ અને સાયુજ્યમાં પ્રથમ પ્રસિદ્ધ થઈ છે. એ સર્વેના તંત્રી-પ્રકાશકોનો આભારી છું. ૨ જૂન ૧૯૯૧, મુંબઈ – મૂકેશ વૈદ્ય




નવી શોધની પૂર્વતૈયારી

૧૯૭૩માં રાજેન્દ્ર શાહને એકસઠમું વર્ષ બેઠું એ નિમિત્તે મેં એમનાં પ્રગટ તેમ જ અપ્રગટ કાવ્યોમાંથી ‘નિરુદ્દેશે’ નામે એક સંચય તૈયાર કર્યો. ‘કવિલોક’ સંસ્થાએ એનું પ્રકાશન કર્યું ત્યારે મેં એક કવિસંમેલનનું આયોજન કર્યું. એની વિશિષ્ટતા સમજાવતાં મેં રાજેન્દ્ર શાહને કહ્યું કે આજે અમે તમારી કવિતા સાંભળવાને બદલે તમને કવિતા સંભળાવવાના છીએ. સિતાંશુ યશશ્ચન્દ્ર ને પ્રબોધ પરીખ, ભીખુ કપોડિયા ને નીતિન મહેતા વગેરે કવિઓથી તો તમે પરિચિત છો, એમની કવિતાથી પણ પરિચિત છો. આજે એમને કવિતા વાંચવા કહ્યું નથી. પરંતુ જે મિત્રોથી તમે પરિચિત નથી, જેમની કવિતાથી પણ પરિચિત નથી એમને આજે બોલાવ્યા છે. આજે તમારે એમની કૃતિઓ સાંભળવાની છે. એમના ઉન્મેષને તમારી પ્રતિભાનો જરૂર લાભ મળશે. એ દિવસે અલકા દેસાઈ, ભાવના જગડ, હેમંત શાહ, મૂકેશ વૈદ્ય વગેરે પંદરેક મિત્રોએ પોતાની કૃતિઓ રજૂ કરી. સૌથી પહેલાં મેં મૂકેશ વૈદ્યને પોતાની કૃતિ રજૂ કરવા કહ્યું ત્યારે એને ખૂબ જ ક્ષોભ થયો. એનો ક્ષોભ મને આજે પણ એવો ને એવો જ યાદ છે. એને માટે કદાચ આ રીતે પોતાની કૃતિ રજૂ કરવાનો પહેલો જ પ્રસંગ હતો. મેં સમજાવ્યું તો એણે પોતાનો ક્ષોભ જેમતેમ દબાવીને પોતાની કૃતિ રજૂ કરી. રાજેન્દ્ર શાહને એ પસંદ પડી ને એમણે એ ‘કવિલોક'માં પ્રગટ પણ કરી. ત્રણેક વર્ષ પછી આઈ.એન.ટી.ની થિયેટર ક્લબમાં મેં ‘આજના યુવા કવિ’ શ્રેણીનું આયોજન કર્યું. એનો આશય કાંઈક આવો હતો. જે મિત્રો પોતાની કૃતિઓ રજૂ કરે એમણે કોઈ સિદ્ધિ મેળવી છે એવું પુરવાર કરવું નથી, પરંતુ એ બધા કવિતા લખે છે, કવિતાની શોધ કરે છે એમ કહેવું છે. એમની કવિતાની શોધ સફળ થઈ છે કે નહીં, એમણે કવિતા પ્રાપ્ત કરી છે કે નહીં એ તો સહદય ભાવકે નક્કી કરવાનું છે. સહૃદય ભાવકના પ્રત્યક્ષ સંપર્ક દ્વારા એમની નિષ્ઠા ને ધગશ પૂરેપૂરાં કોળી ઊઠે એ માટે અનુકૂળ વાતાવરણ રચવું છે. માલા કાપડિયા, પ્રફુલ્લ પંડ્યા, શોભિત દેસાઈ, હેમેન શાહ, મહેશ શાહ, ઉદયન ઠક્કર, મૂકેશ વૈદ્ય એમ અનેક મિત્રોએ આ શ્રેણીમાં પોતાની કૃતિઓ ૨જૂ કરી ત્યારે વધુમાં વધુ સૂઝ ને શક્તિ મૂકેશ વૈદ્યની કૃતિઓમાં વરતાઈ. મૂકેશ વૈદ્યની એક લાક્ષણિકતાનો આડકતરો પરિચય આપતાં કહ્યું કે કેટલાક કવિઓ એવા હોય છે કે જે તાત્કાલિક સ્વીકૃતિ, પ્રશંસા ને કીર્તિની પરવા કરતા નથી ને કેવળ કવિતાની પ્રાપ્તિમાં જ ઓતપ્રોત રહે છે. સાચું કહું તો મૂકેશ વૈદ્યની સર્જનપ્રવૃત્તિમાં આ એક કારણે મને સતત રસ રહ્યા કર્યો છે. આજે પણ એનામાં પહેલાં જેટલો જ ક્ષોભ છે, નાના બાળકના જેવું ગભરુપણું છે, તો સાથે સાથે પોતાની સર્જનપ્રવૃત્તિમાં ઓતપ્રોત રહેવાની ખુમારી પણ વરતાય છે. આજે પણ તાત્કાલિક સ્વીકૃતિની, પ્રશંસાની ને કીર્તિની એને પરવા નથી. પોતે કવિતા પ્રાપ્ત કરી છે એમ કહેવાને બદલે પોતે કવિતા પ્રાપ્ત કરવાની મથામણ કરે છે એમ એ કહે છે ત્યારે નમ્રતા વ્યક્ત નથી કરતો, કે આપસમજ પ્રગટ કરે છે. બાકી પોતાની આસપાસ અનેક વ્યવહારુ બનીને, ખુશામદ કરીને, સંબંધો સાચવીને લોકપ્રિય બનતા હોય, પારિતોષિક મેળવતા હોય, ત્યારે કેવળ નિજમાં જ નિમગ્ન રહેવાનું દુષ્કર બને ને જરાક વિચલિત થઈ જવાય તો નવાઈ નહિ! મને આનંદ છે કે મૂકેશ આ રીતે વિચલિત થયો નથી. છેલ્લાં વીસેક વર્ષની રચનાપ્રવૃત્તિ દરમિયાન મૂકેશ વૈદ્યની સંવેદનાએ જાતજાતનું પાથેય બાંધ્યું છે. પહેલાં કૉમર્સમાં સ્નાતક થયો, પછી સાહિત્યમાં અનુસ્નાતક. ને કવિતા રચતાં રચતાં ચિત્રકળા વિશે નિયમિત સમીક્ષાઓ લખવા માંડી. ને પોતાની સર્જકતાનાં મૂળ ઊંડાં ને ઊંડાં ઉતારવાની મથામણ કરી. ‘ચાંદનીના હંસ’ મૂકેશ વૈદ્યના આ વિકાસને આલેખ પૂરો પાડે છે. વિષય ગમે તે હોય, એની સંવેદના એમાં કાવ્ય કયાં રહ્યું છે તે શોધવા તત્પર રહે છે. એ સામગ્રીની પ્રચુરતામાં નથી રાચતો, સામગ્રીનું કુશળ ને  કલાત્મક સંયોજન કરવા તત્પર રહે છે ને વાસ્તવ ને અતિવાસ્તવ, જાગૃતિ ને  સ્વપ્ન વચ્ચેની ભેદરેખાની પર ચાલી જાય છે. કોઈક વિચારને વળગી રહેવાને બદલે એને લય ને અલંકારમાં, કલ્પન ને પ્રતીકમાં ઓગાળી દેવા તત્પર રહે છે. જ પોતાની આગવી કહી શકાય એવી બાની સિદ્ધ કરવા તત્પર રહે છે. મારે મન કોઈ પણ કવિનો પહેલો સંગ્રહ આવી પ્રતીતિ કરાવી શકે તો એ નાનીસૂની વાત ન કહેવાય. સહૃદય ભાવકને મારા મંતવ્યના પુરાવા ‘ચાંદનીના હંસ'નાં અનેક કાવ્યમાંથી મળી રહેશે એની મને ખાતરી છે. મને એ પણ ખાતરી છે કે ‘ચાંદનીના હંસ’ મૂકેશ વૈદ્યને માટે કવિતાની નવી શોધમાં નીકળવાની પૂર્વતૈયારી બની રહેશે. ચેમ્બુર, મુંબઈ – જયંત પારેખ તા. ૨૨-૬-૯૧





કવિ મૂકેશ વૈદ્ય

કવિ મૂકેશ વૈદ્યનો જન્મ તા. ૩૧-૭-૫૪ના રોજ ચીખલી (જિ. વલસાડ)માં. એમનાં કાવ્યોમાં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિનાં સુંદર ગતિશીલ સંવેદનચિત્રો મળે છે. (જેમકે, ‘તીથલ દરિયે’માંની આ પંક્તિઓઃ ‘નાળિયેરીનાં તીણાં રુંછાં પંપાળતી/ચંદ્રરેખની ફરતે/પીળું જાંબલી જળકુંડાળું બની/મારું ઘર/મને ઘેરી વળે.’) શિક્ષક પિતા પ્રિયવદન વૈદ્યનો સાહિત્યપ્રેમ મૂકેશને વારસામાં મળ્યો. પિતા સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના પણ અભ્યાસુ. એમની એક પંક્તિ – ‘જે જીવને ઝૂઝવાનું નહીં, એ જીવનને જીવવું શું?’ એમનો વારસો મૂકેશે ઝીલ્યો ને આગળ ધપાવ્યો. માતા હંસાબહેનના કંઠે ગવાતાં પ્રભાતિયાં અને ભજનોએ મૂકેશમાં લય તથા સર્ગશક્તિના સંસ્કાર સીંચ્યા. વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા ચીખલીમાં; પછી ૧૯૭૦માં એસ.એસ.સી. મુંબઈમાં. ૧૯૭૪માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. કૉમ., બે વર્ષ લૉનો અભ્યાસ; ૧૯૮૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ., મુંબઈમાં વસવાટના કારણે એમનાં કાવ્યોમાં નગર-જીવનની વિ-સંગતિ સહજ પ્રગટવા લાગી. બૅન્કમાં નોકરી, હાલ નિવૃત્ત. લતાબહેન સાથે આંતરજ્ઞાતિય લગ્ન, બે દીકરીઓ હિરણ્ય અને ઋત્વિજા. ચિત્રકળામાંય અપાર રસ. ૧૯૮૩થી ૨૦૧૬ સુધી, ૩૩ વર્ષ, મુંબઈમાં યોજાતા કળાકૃતિના પ્રદર્શનોની સમીક્ષા કરતી આસ્વાદમૂલક કટાર ‘કળાજગત’ શીર્ષકથી ‘જન્મભૂમિ’ દૈનિકમાં લખી. મૂકેશનાં કાવ્યોમાંય પંક્તિએ પંક્તિએ જાણે ચિત્રકારની પીંછી ફરે છે ને સંવેદનસભર સરરિયલ કલ્પનશ્રેણી થકી એ કવિતા પ્રગટાવે છે. આ કવિએ યુરોપના કવિઓની કવિતાનો સઘન અભ્યાસ કર્યો છે. (ઓક્તાવિયો પાઝ, લોર્કા, માર્ક સ્ટ્રાન્ડ એમના પ્રિય કવિઓ.) આથી તેઓ લોકપ્રિયતાની કે તાત્કાલિક કીર્તિની પરવા કર્યા વિના શુદ્ધ કવિતાને પામવા માટે સતત ઓતપ્રોત રહે છે. એમનાં કાવ્યોને સ્ફટિક જેવો કલાઘાટ આપવા મથે છે. સુરેશ જોષીએ એમનાં કાવ્યો ‘એતદ્’ તથા ‘સાયુજ્ય’માં પ્રગટ કરેલાં. મૂકેશમાં કવિતાની પાકી સમજ છે. ‘ચાંદનીના હંસ’ના નિવેદન ‘મારી વાત’માં એમણે નોંધ્યું છેઃ ‘રસાત્મક શક્તિ દ્વારા કલ્પનામૂલક અને સંસ્કારમૂલક વ્યાપારો પ્રત્યક્ષ કરવા માટેની ભાષાકીય મથામણ એટલે કવિતા.’ મૂકેશના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચાંદનીના હંસ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું તખ્તસિંહ પરમાર પારિતોષિક મળેલું. ‘દેશવટાનું ગીત’, ‘નદી’, ‘ગતિ-સ્થિતિ’, ‘વરસાદ’, ‘તીથલ દરિયે...’, ‘પવન’, ‘પથ્થર’, ‘સમુદ્ર’, ‘સ્વગતોક્તિ’, ‘કાળું છિદ્ર’, ‘ખાબોચિયું’, ‘છાપરું’, ‘ટ્રેન’, ‘અજિત દેસાઈનાં ચિત્રો જોતાં’ જેવાં મૂકેશની મુદ્રાવાળાં વિલક્ષણ કાવ્યો મૂકેશ વૈદ્ય પાસેથી મળ્યાં છે. એમની કવિતાને સિતાંશુ યશશ્ચન્દ્ર, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રાધેશ્યામ શર્મા, જયંત પારેખ, શિરીષ પંચાલ, નીતિન મહેતા જેવા વિવેચકોએ પોંખી છે. ૩૧-૧-૨૦૨૩ – યોગેશ જોષી