ચારણી સાહિત્ય/17.એને મુરશિદો મળ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
17.એને મુરશિદો મળ્યા

શકરા-બાજના શિકારમાં સમળી શું જાણે? વાંઝણી શું જાણે પુત્ર માટેના વલવલાટ? દીવાનું જલન કરગઠિયું શું જાણે? માખ શું જાણે પતંગિયાનું અગ્નિસ્નાન? જેને જ્યારે અનુભવ થાય છે ત્યારે જ તે જાણે છે. ઉપર આપ્યું છે તે કશ્મીર દેશની પુરાતન લોકકવિતાના એક ઊર્મિગીતનું ભાષાન્તર છે. હવે એનું અસલ જોઈએ : શાહૂની હુન્દ શિકાર ગન્થ કવ ઝાનિ, હન્થ કવ ઝાનિ પોત્રય દ્યુઅદ, શમા હુક માનિ લશ કવ ઝાનિ, મછ કવ ઝાનિ પમ્પર સોઝ, યેલી યેસ બનિ તેલિ સુય જાનિ. શબ્દો પરિચિત નથી લાગતા? જાનિ (જાણે), ધુઅદ (દોહદ), હુન્દ (છઠ્ઠી વિભક્તિનો ગુજરાતી પ્રત્યય). મૂળની ભાષારચના અને ભાવ-નિરૂપણ શૈલીને મનમાં હજુ વિશેષ ઘૂંટીએ! મલ વોન્દી ઝોલુમ જિગર મોરૂમ તેલિ લલ નાવ દ્રામ યેલિ દલ ત્રવ મસ તતી. ભાષાન્તર : મળને મેં જલાવી દીધા. જિગરને મારી નાખ્યું. મારું ‘લલ’ એવું નામ ત્યારે જ ધારણ કર્યું, જ્યારે એની કૃપા માટે હું રાહ જોતી બેઠી. હજુ એક વધુ મૌક્તિક તપાસીએ : લલ બોહ દ્રાયસ લોલારે, ચારાન લસ્તુમ દેન કહો રાથ, વુછુળ પંડિથ પનનિ ગરે, સૂય મેરોત્મસ નેછતુરત સાથ. [પ્યારની પ્યાસે હું લલ્લ ચાલી નીકળી. કેટલા દિન અને રાત મેં શોધ કરી. આખરે પંડિતને તો મારા પોતાના ઘરમાં દીઠો. એટલે પછી મેં મંગળ મૂરત નક્કી કર્યું.] આ લલ-લલ્લ-લલ દેદ જેનું પૂરું નામ છે, તે એક નારી હતી. ચૌદમી સદીના કશ્મીર દેશની એ ‘મિસ્ટિક’, મર્મઘાયલ લોક-કવયિત્રી હતી. ગૂઢાર્થભરી એની પદાવલિનો થોડોક પરિચય કરશું. અને સમજી શકશું કે ભારતવર્ષના સામસામા ભૂમિ-છેડા પર જે લોકવાણી ગવાતી તેમાં શબ્દે, ભાવે ને સંવેદને અભેદાત્મ એવી એક સમાનતા રમણ કરતી હતી. જેમાંથી ઉપલાં અવતરણો લીધાં છે તે પુસ્તક અંગ્રેજીમાં છે. એનું નામ ‘કશ્મીરી લિરિક્સ’ છે. મૂળ કવિતા-પાઠ એણે રોમન લિપિમાં મૂક્યા છે, ને તે દરેક પદની સામે અંગ્રેજી ગદ્યાનુવાદ આપ્યો છે. શોચનીય વાત છે, કે હજુય આપણા ‘સ્કૉલર’ ગણાતા સાક્ષરો અરબી અગર દેવનાગરીમાં પણ મૂળ પાઠોને પ્રકટ કરતા નથી. રોમન લિપિ મારફત અસલની કેટલી ખૂબીઓ ખોવાઈ જતી હશે! અને એ પરથી મેં ઉતારેલ ગુજરાતી લિપિ-પાઠમાં કેટલીય અશુદ્ધિઓ રહી ગઈ હશે, ને હવે મુદ્રણમાં પણ કેટલોક કડૂસલો થવાનો! ખેર. ‘કશ્મીરી લિરિક્સ’ (કશ્મીરી ઊર્મિકાવ્યો) એ પુસ્તકના જન્મને લગતી હકીકત પણ જાણવા જેવી છે. અનુવાદક શ્રી જયલાલ કૌલ પોતે જ કહે છે કે અલાહાબાદ યુનિવર્સિટીમાં પોતે પીએચ.ડી.નો કોર્સ કરવા ગયા. ‘થીસિસ’ માટે એમણે ‘બૂર્ઝવા એલીમેન્ટ ઇન બ્રિટિશ ડ્રામા’નો વિષય પસંદ કર્યો. પ્રો. અમરનાથ ઝા વગેરે પંડિતમણિઓ એમના ઉસ્તાદો હતા. પણ શ્રી કૌલને થોડે વખતે જાણ પડી કે પોતે પસંદ કરેલા વિષયને લગતી સામગ્રી જ એ વિદ્યાપીઠના ગ્રંથાગારમાં પૂરતી નહોતી. અરે, લખનઉ ને બનારસ યુનિવર્સિટી સુધી પણ એમણે સામગ્રી શોધી. કલકત્તાની ઇમ્પિરિયલ લાઇબ્રેરીમાં પણ ઢૂંઢી ચૂક્યા. નિરાશા મળી. કરેલો શ્રમ વૃથા ગયાનો આઘાત લાગ્યો. તે વખતે પછી એમના ઉસ્તાદોએ એમને સૂચવ્યું, કે હે જુવાન! તારા પોતાના વતનને લગતો કોઈક વિષય પસંદ કરે ને! પછી લોકગીતોના સંશોધક શ્રી દેવેન્દ્ર સત્યાર્થીનો ભેટો થયો. એ પણ કહે કે ‘તમારી ભૂમિની જ જૂની લોકકવિતા ઉપાડી લો ને!’ પરિણામે આ જુવાન અનુવાદક કશ્મીરના કુંજ-ગાયકો તરફ લલ દેદ, નુન્દ રયોશ, ખ્વાજા હબીબ, કલન્દર શાહ, અજીઝ દરવેશ, ક્રિષ્ન રાઝદાન, પરમાનંદ ઇત્યાદિ મર્મી, રહસ્યવેત્તા લોકકવિઓ તરફ વળ્યા અને એણે જે જશ મેળવ્યો છે તે તરફ આંગળી ચીંધીને આપણા ગુજરાતી ‘સ્કૉલર’ યુવાનોને ઘણુંઘણું કહેવાનું મન થાય છે, પણ કંઈ નહિ. આપણા વતનની આ ભૂમિજાત સાહિત્યસંપત્તિની સૌ પહેલી ભાળ આપનારાઓ તો, ઘણાંખરાં પ્રાન્તોમાં, વિદેશી ગોરાઓ હતા! આ લલ દેદ નામની કશ્મીરી લોકકવયિત્રીની પિછાન પરદેશી ગ્રિયર્સન અને બાર્નેટે કરાવી હતી. ‘લલ્લવાક્યાનિ’ (લલ દેદનાં જ્ઞાનવચનો) નામનો સંગ્રહ, તેમણે આપ્યો. તે પછી 1924માં સર રિચર્ડ ટેમ્પલ નામના વિદેશીએ લલ્લની કવિતાનો અંગ્રેજી અનુવાદ-સંગ્રહ ‘ધ વર્ડ ઑફ લલ્લ ધ પ્રોફેટેસ’ પ્રકટ કર્યો. આ લલ્લ-વાણી છે તો લોકવાણી, છતાં એની અંદર કબીર, ચંડીદાસ તથા તુકારામનાં લોકપદોમાં રમતાં જ્ઞાનદર્શન લળકી રહ્યાં છે, એમ પ્રૉફેસર ઝાનું કહેવું છે, અને એની સત્યપ્રતીતિ આપણે જોઈ ગયા તે પદોમાંથી થઈ રહે છે. પાંચ સદીઓના વિસ્તીર્ણ પટ પર આ પ્રાચીન કશ્મીરી ઊર્મિકવિતા કૌમુદી સમી રેલી રહી છે, જીવનને બહુવિધ મર્મછેડે એ સ્પર્શે છે, રોજબરોજની સંકુલ ઘટનાઓને આલેખે છે, પ્રકૃતિનાં દૃશ્યોને પકડે છે, માનવ-લાગણીને ગૂંથે છે. મજૂરી, વેદના, ક્ષુધા અને આવેશોનું ચિત્રાંકન કરે છે, અને આ ભૂમિના આત્મિક જ્ઞાનસંસ્કારની પાર્શ્વભૂમિને સાંગોપાંગ સાચવી રાખે છે. લલ દેદની દર્દભરી વાણીની વાનગી જોઈ. હવે નુન્દ રયોશને નિરખીએ : આશ ખ સુય યુસ અશ્ક સાટિ દઝે, સોન ઝાન પ્રઝલેસ પનનુય પાન, અશ્કુન નાર યેસ વલિન્ઝી સઝે, અદ માલિ વાતિય સુય લામખાન. [આશક તો એ, કે જે ઇશ્ક માટે સળગે છે, જેનો જાન (પ્રાણ) સોના સમો પ્રજ્જ્વલે છે; ઈશ્કની જ્વાલાએ માણસનું હૃદય પ્રકાશી ઊઠે છે, ત્યારે જ એ અનંતને પામે છે.] આમાં શબ્દો જોતા જજો : દઝે (દાઝે), ઝાલ (જાન), પ્રઝલેસ (પ્રજ્જ્વલે). અશખ ચુય કુન ગોબર માજી મરુન, સુ ઝોલા કરી ત કિહય, અશખ ચુય ગનતુલરેવ પાન બરૂન, સુ સોખ રોઝી ત કિ હય, અશખ ચુય રતજામ તની પરાવુન, સુ આહ કરિ ત કિહય. [ઈશ્ક તો ખોટનો દીકરો. જેનો મુઓ હોય તે મા જેવો છે. એને ઝોલું કેમ આવે? ઇશ્ક તો ભમરીઓના ડંખ જેવો છે. એનું કરડ્યું જંપે કેમ કરી? ઇશ્ક તો રક્ત ટપકતા જામા (ડગલા) જેવો છે : એનું પહેરનાર આહ નાખી શકે શી રીતે?] નુન્દ રયોશના ઘાયલ ઘટડામાંથી એક પછી એક કેવી વાણી નીકળે છે તેનો વધુ હવે એક જ નમૂનો નિહાળીએ : પોતાના શિષ્ય નસરૂદ્દીનને સંબોધીને એ ગાય છે — કાયાને માથે ટાઢા નદી-વાયરા સૂસવતા હતા, આછી ઘેંશ અને અધકાચી ભાજીનું ભોજન હતું, એવો એ દિવસ હતો, નસરો! ગોદમાં પિયા હતી, ગરમ કામળ ઓઢવા હતી, બતરીશાં ભોજન અને મચ્છીનાં જમણ હતાં. એ પણ એક દિન હતો, નસરો! એ પણ એક દિન હતો, નસરો : ‘સુ તિ દોહાં, નસરો!’ એ ધ્રુવપદ વડે ગૂંજતી એ ચાર જ પંક્તિઓનું મૌક્તિક છંદમધુર, તાલમધુર સંગીતે સભર લાગે છે. એની શબ્દાવલિ ઉચ્ચારણમાં કેટલી કુમાશ ધરતી હશે? કાશ્મીરની ખીણોમાં હરિયાળી ઉપર આ શબ્દો અને એનું સંગીત સજોડે લેટતાં હશે. એની જેલમ અને રાવીના સરિતાપટ પર ‘ખોચુ’ (માલભરેલી) નાવડીઓ હંકારતા નિર્ધન નાવિકો, નૌકાભાર ખેંચતાખેંચતા જે ગાતા હશે તેના અસલ શબ્દો તો આ ચોપડીમાં નથી, પણ એક અંગ્રેજ બાઈએ એની વિદેશી વાણીમાં એક નાવિક-ગાનને અનુરૂપ તર્ઝમાં ઉતાર્યું છે, Swift the current, dark the night. (Ya-illa, la illa) Stars above our guide and light, (kraliar, baliyar) All together on the rope, (Ya pir-Dust Gir) In our sinews lies our hope (khaliko, Malik-ko) [નદીનો પ્રવાહ ધસમસે છે, રાત કાળી છે : યા-ઈલ્લા, લા-ઈલ્લા. આપણા રાહબર, આપણા દીવા કેવળ આકાશના તારા જ છે : ક્રાલિયાર! બાલિયાર! સૌ સંગાથે રસી ખેંચો : યા-પીર! દસ્ત ગીર! આપણી આશા આપણાં જ બાવડાંમાં છે : ખાલિ કો માલિક કો!] એવો એક દિવસ જરૂર આવશે, કે જ્યારે પ્રાંત-પ્રાંતનાં આ લોકપદોની આપ-લે ચાલશે, હરએક નાનામોટા પ્રદેશમાં વ્યાપક એવી આપણી સાંસ્કારિક એકતાનો આપણને એ ગાનોના પ્રત્યક્ષ શ્રવણપાન દ્વારા ગાઢ અનુભવ થશે, અને પરદેશી નાટકો વગેરેના ભંગાર પર ‘થીસિસ’ લખવા ગ્રંથાગારોની અભરાઈઓમાં જીવાત જેવા ખદબદતા આપણા જુવાનો પોતાની ધરતીનો સાદ સાંભળી, જન્તુ મટી, સાચા ભામિક સત્ત્વનો આસ્વાદ લેનાર રંગીલા માનવી બનશે. ભાઈ જયલાલ કૌલને સુમાર્ગે વાળનારા મુરશિદો લખનૌના વિદ્યાલયમાં જેમ મળ્યા તેમ મુંબઈ યુનિવર્સિટીમાં પણ મળો!