ચિત્રકૂટના ઘાટ પર/આથમણી બારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આથમણી બારી

આપણે ત્યાં મહિમા ઉગમણી દિશાનો છે, અને તે યોગ્ય રીતે જ. રાત્રિ પછી પૂર્વમાં સૂરજનો ઉદય થતાં સમગ્ર વિશ્વમાં પ્રકાશ પથરાય છે. રાત્રિની વિશ્રાન્તિ પછી સારી સૃષ્ટિ ફરી તરોતાજા થઈ પ્રસન્નતા ધારણ કરે છે. ઘોર નિરાશામાં સૂનાર પણ સવારે ઊઠતાં વળી કશીક અનાગત આશાથી કર્મવિશ્વમાં પ્રવેશ કરે છે. પુષ્પો પ્રફુલ્લિત થાય છે, પંખીનાં ગાન સ્વચ્છ સૂરાવલિ રેલાવે છે.

પૂર્વ દિશા ભણી મોં રાખી ઉદયમાન સૂરજનો સંસ્પર્શ અનુભવતાં એના પવિત્ર ભર્ગનું ધ્યાન ધરી આપણી બુદ્ધિને પ્રેરવા એને પ્રાર્થના કરીએ છીએ. પૂર્વ દિશા એટલે પ્રકાશ અને પ્રવૃત્તિની દિશા. સવારની વેળાએ ઉગમણી બારી ખોલતાં ઘરમાં પણ પ્રકાશનાં પૂર વિખરાય છે. ઉત્તરોત્તર વધતા જતા એ પ્રકાશને લીધે માત્ર ઉગમણી જ નહિ, બીજી બધી દિશાની બારીઓથી પણ ઉજાસનો પ્રવેશ ઘરમાં થાય છે, તે એટલે સુધી કે ઉગમણી બારી બંધ હોય તોય એ સવારની વેળાએ અજવાશ પથરાતો હોય છે.

પરંતુ પ્રકાશનો એ રીતનો પ્રવેશ સૂર્યાસ્ત વેળાએ અનુભવાતો નથી. એ વખતે સૂરજનો અસ્તમિત પ્રકાશ છેલ્લા કિરણ સુધી પહોંચે એવી ઈચ્છા હોય તો આથમણી બારી બરાબર ખુલ્લી રાખવી પડે સાંજ વેળાએ, જેમ સવાર વેળાએ બને છે એમ. અન્ય બધી દિશાઓની બારીઓમાંથી અજવાશ રેલાતો નથી, એટલે આથમણી બારી ખુલ્લી રહેવી જોઈએ.

આ ભૂમિકા તો યુવાવયે વાંચી ત્યારથી મનમાં રમી રહેલી કવિ સુન્દરમ્‌ની ‘આથમણી બારી’ નામની કવિતાની નિકટ લઈ જવા માટે છે. એ વખતે કવિતાનો અર્થ તો સમજાયો હતો, હવે જીવનના ઉત્તરાર્ધમાં એ કવિતાના મર્મનો અસ્તિત્વવાદી અનુભવ થાય છે.

ઘણા કાવ્યરસિક મિત્રોને કવિ સુન્દરમ્‌ની એ કવિતાની પહેલી કડી વાતવાતમાં સંભળાવી છે. છ કડીની આ કવિતાના પહેલા અને છેલ્લા એ બે અંજની છંદો પહેલી વારના વાચને જ કંઠસ્થ થઈ જાય એવા છે :

ઉત્તર દખ્ખણ અને ઉગમણાં

ભલે ભીડજો બારીબારણાં

એક રાખજો ખુલ્લી મારી

આથમણી બારી.

દરેક બીજી દિશાના બારીબારણાં ભલે બંધ રાખો, પણ એક આથમણી બારી ખુલ્લી રાખવા કવિ વિનવે છે. પણ માત્ર ‘બારી’ શબ્દ નથી, એની આગળ કવિએ ‘મારી’ શબ્દ ઉમેરી – ‘મારી આથમણી બારી’ કહી, એથી તરત મનમાં અર્થ સ્ફુટ થવા લાગે છે. જે કવિએ સ્વયં પછી કવિતામાં અતિસ્ફુટ કર્યો છે. મમ્મટ જેવા કાવ્યસમીક્ષક તો કહેશે કે, કવિએ આટલો બધો અર્થ ખુલ્લો કરી ન નાખવો જોઈએ.

મમ્મટ પણ ખરા છે. ઝીણી પર્યેષક બુદ્ધિથી કાવ્યના સિદ્ધાંતોની માંડણી કરે ત્યારે તેમને સમજવા આપણે પણ બરાબર સજ્જ હોવું ઘટે, પણ સિદ્ધાંતોને સ્પષ્ટ કરવા ઉદાહરણ આપે, ત્યારે કાવ્યશાસ્ત્રમાં પા-પા પગલી પાડનારને પણ ગળે ઊતરી જાય. મમ્મટે બારમી સદીની આસપાસ ભારતમાં સ્ત્રીઓના છાતી ઢાંકવા, ન-ઢાંકવાના પરિધાનને આધારે કાવ્યર્થ કેટલો સ્ફુટ હોવો જોઈએ તે સમજાવતો શ્લોક ટાંક્યો છે. શ્લોકમાં કહેવાયું છે કે, કવિતામાં અર્થ એટલો ખુલ્લો, પ્રકટ ન હોવો જોઈએ – આંધ્રપ્રદેશની સ્ત્રીઓના ખુલ્લા સ્તનની જેમ. કવિતામાં અર્થ એટલો ગૂઢ, ઢંકાયેલો ન હોવો જોઈએ – ગુર્જરી સ્ત્રીઓનાં એકદમ ઢંકાયેલાં સ્તનની જેમ. કાવ્યમાં તો અર્થ ક્યાંક પ્રકટ થતો ને ક્યાંક સંતાઈ જતો હોવો જોઈએ – મહારાષ્ટ્રની નારીનાં સ્તનોની જેમ.

સુન્દરમ્‌ની આ કવિતામાં અર્થ આંધ્રપ્રદેશની નારીની છાતીઓ જેમ એકદમ ખુલ્લો છે. તેમ છતાં એનું સૌંદર્ય તો અનુભવાય છે, પણ પ્રકટ-અપ્રકટથી ખેંચાણનો જે બોધ રસિક ચેતનામાં તનાવ જગાવે અને રસિકને જ અનુભવ માટે પ્રવૃત્ત થવું પડે તેવું અહીં ન થાય.

ચલો, કાવ્યશાસ્ત્રની એ વાત જવા દઈએ. એ આવી ગઈ છે આમેય કવિતાના અધ્યાપક તરીકે આખી જિંદગી સારી કવિતામાં પણ આવી ખોડખાંપણો કાઢવાની આદતથી, એટલે માફ.

‘આથમણી બારી’ ની પહેલી કડીમાં કવિ કહે છે કે, તમે ભલે બીજી બધી દિશાઓનાં બારી-બારણાં ભીડો, માત્ર ‘મારી આથમણી બારી’ ખુલ્લી રાખજો. ‘મારી આથમણી બારી’ કહેતાં મર્મી વાચક સમજી જાય : જીવનની આથમણી બારી, એટલે કે વૃદ્ધાવસ્થાના સમયની બારી.

કવિ કહે છે કે, સવારમાં ઊગતો સૂરજ હોય ત્યારે વળી દિશાઓ ઉલ્લસિત થઈને તેજપ્રાણનાં સિંચન ઝીલી રહે છે, પણ સાંજ ટાણે પ્રકાશ ઓસરવા લાગે અને બધી દિશાઓ નિચોવાઈ જતી લાગે, ત્યારે રવિની પ્રજાને એકલી પશ્ચિમ દિશા જ ધારી રહે છે :

છેલ્લી કળા એ કિરણોની જોવા

છે કામની આથમણી જ બારી,

એના સૂના હું વિરમી ઉછંગમાં

જોઈશ આ આથમતી જ જિંદગી.

કવિએ આપણને સમીકરણ આપી દીધું : આથમણી બારી = આથમતી જિંદગી. જીવનના ઉદય-યૌવન કાળે તો બધાં સગાંસ્નેહીઓનાં ભડ દ્વારોમાંથી આવતા અજવાળાથી આખું આપણું જીવન ખીલી ઊઠે છે. એ વખતે સૌ આપણી નિકટ રહેતા હોય છે. આપણે બધાની નિકટતા અનુભવીએ છીએ. એથી જીવન ભર્યુંભર્યું લાગે છે. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, ત્યારે ઘણાં સ્નેહીઓ જીવનમાંથી ઊઠી પણ ગયાં હોય, કેટલાંક નિકટના સ્વજનો જીવનમાંથી દૂર ચાલ્યાં ગયાં હોય, અજવાળાં ઓછાં થયાં હોય, તેવે વખતે :

ત્યાં આથમતું જગને નિહાળવા

પ્રાર્થું છું હું અંતરબારી કોઈની.

કોઈની ‘અંતરબારી’ દ્વારા જ આથમતા જગને જોઈ શકાય અને એવી કોઈની અંતરબારી જીવનની ઢળતી અવસ્થાએ ખુલ્લી રહે, એવી અહીં કવિની પ્રાર્થના છે. કોઈ એક – માત્ર એક પણ–ની અંતરબારીમાંથી થોડો ઉજાસ જીવનના અંતિમ દિવસોમાં આવતો રહે એવી ઝંખના કોની ન હોય? અસ્તિત્વવાદીઓ તો કહે છે કે, આ જગતમાં જે દિવસથી માણસ અવતરે છે ત્યારથી જ તે ‘ફેંકાયેલો’ હોય છે, એકાકી રહેવા સરજાયો હોય છે. અંતિમ અવસ્થાએ તો એ ભૌતિક રીતે એકાકી બની જાય છે. તેવે વખતે કોઈના હૃદયની બારીમાંથી હૂંફનું અજવાળું મળે એ જ એક પ્રાર્થના હોય. આવી અંતરબારીની આકાંક્ષા રાખી કવિ અંતમાં કહે છે :

ઉદય બપોર તણા સુખભવને

ભલે ભિડાતાં દ્વાર જીવને,

કોક ખુલ્લી પણ રહેજો મારી

આથમણી બારી.

સવાર અને મધ્યાહ્‌નના સુખભવનનાં દ્વાર બિડાય, તોપણ પ્રકાશનાં ચાંદરણાં તો આવ્યા જ કરવાનાં. માત્ર (જીવન) સંધ્યા વેળાએ કોઈક એક – આથમણી – બારી ખુલ્લી રહે એટલે બસ.

સુન્દરમ્‌ની કવિતામાં પહેલેથી જ સ્ફૂટ કાવ્યાર્થને મેં વધારે ખોલવાનો પ્રયત્ન કરી કવિતાના આસ્વાદકોનો અપરાધ કર્યો છે.

હમણાં હમણાં એક મિત્રે મને કહ્યું કે, ‘વર્ષો પહેલાં આપણે કાવ્યચર્ચા કરતા હતા તે વખતે આપણી મૈત્રીની શરૂઆત હતી. તમે એ વખતે ભાવુક બનીને ‘આથમણી બારી’ વાંચી હતી અને પછી આ કવિના શબ્દોનો આધાર લઈને એવી ઇચ્છા વ્યક્ત કરેલી કે કોક ખુલ્લી પણ રહેજો મારી આથમણી બારી.’ અને એમ જીવનના અંતિમ સમય સુધીની મૈત્રીની તમે ઇચ્છા વ્યક્ત કરી હતી. પણ હવે સ્થિતિ એવી બની છે કે મારે ‘આથમણી બારી’ની એ પંક્તિઓ તમારી આગળ બોલવાની થાય છે.’

એમના ઉપાલંભમાં સચ્ચાઈ હતી. અપરાધીની જેમ હું ચૂપ રહ્યો. આ કવિતાની વાત કરવાનું પણ એમ બની આવ્યું છે.

[૧-૯-’૯૬]