ચિલિકા/ચિત્તમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચિત્તમાં બજે ઉદયશંકરનો દેહ




સાંભળો: ચિત્તમાં બજે ઉદયશંકરનો દેહ — યજ્ઞેશ દવે


એ ભર્યાભાદર્યા ભૂતકાળની કેટલીયે સ્મૃતિઓ તેમની નજર સામે રોજ તરવરતી હશે. ૧૯૩૮થી ૧૯૭૨ સુધીનો લગભગ પાંત્રીસ વરસનો સંબંધ. તેમની સમજણનાં વરસોનાં વરસો અને જુવાનીના પૂરા દિવસો ઉદયશંકર સાથે ગયાં. ચિરંજીલાલ કહે, “મેં બહોત પસંદ કરતા થા. વે ભી મુઝે બહોત પસંદ કરતે થે. જબ મૈં સિક્સટીવન મેં કલકત્તા સે અલ્મોડા આયા તબ ઉન્હોંને મુઝે લિખા થા. “આઈ કેન નોટ ડૂ વિથાઉટ યુ.” પછી તો મને આખો પત્ર જ વાંચવા આપ્યો. ચિરંજીલાલ સતત નહીં રહેતા. મદ્રાસ હતા ત્યારે મદ્રાસ અલ્મોડા વચ્ચે અને કલકત્તા હતા ત્યારેય કલકત્તા-અલ્મોડા વચ્ચે આવ-જા ચાલ્યા કરતી. ૧૯૬૧માં અલ્મોડા આવ્યા હશે ત્યારે ઉદયશંકરે તેમને આ પત્ર લખેલો. પત્રમાં તેમની વચ્ચેની અંતરંગતા અને સૌહાર્દ છલકાતાં હતાં. ઉદયશંકરને એ જ ગાળામાં કલકત્તાની અને ફૉરેન ટૂરની એસાઇન્મેન્ટ આવી હતી અને તેમાં ચિરંજીલાલ જેવા ઇશારામાં જ બધું સમજી જનારા ટ્યૂનિંગવાળા અને સમરસ થઈ ગયેલા સ્ટેજ મૅનેજરની જરૂર હતી. ઉદયશંકરે આશા, અધિકાર અને વિશ્વાસપૂર્વક કાગળ લખેલો— My dear Shahji, I hope you have arrived in Almoda quiet safely, and now enjoying good time with all of your family members. I am still in Calcutta and there is no possibility of my going outside. Although, I need some rest and change of climate after continuous stain. Ravu (Ravishankar) has agreed to help me and he will recompose the music of both the shadow play from 4th July, 1961, which will continue upto 20th July. This is very important in view of very bright possibility of foreign tour next year. I have accepted the assignment to give one show in Calcutta on 25 July, 1961. The show will be given in Pendal. Shahji, you know that I have accepted this show only due to my finacial dif ficulties, and this show cannot be given without you. So, please help me by comming to Calcutta in time. You know that how I am going through amidst various difficulties, financially and with so many problems. Please write to me as early as possible. I hope you are in the best of your health with all the members of your family. With love and best wishes
Yours affectionately,
Dada
ઉદયશંકરના જીવનના ચડાવઉતારમાં સાક્ષી અને સાથીદાર ચિરંજીલાલ તેમની તકલીફોમાં ક્યાંથી આઘા રહે. ચિરંજીલાલને પૂછ્યું નથી પણ શો માટે કલકત્તા ગયા જ હશે. મેં લેટર વાંચવાનો પૂરો કર્યો ને તરત બોલી ઊઠ્યા, “યે મૈંને નહીં કહ રખા હૈ, યે જિતની ચિઠ્ઠિયાં હૈં દાદા કી હો, અમલાકી હો... ચાહે કિસકી ભી હો યે ઉનકે સર્ટિફિકેટ હૈં, આજ આપ આ ગયે હૈ તો યે સબ બાતેં હુઈ.” તેમનું ફોટોગ્રાફનું એ જૂનું આલ્બમ એટલે માત્ર આલ્બમ નહીં, એક સ્મરણમંજૂષા. કોઈ ફોટો વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પાછળ, કોઈ પેરિસમાં, કોઈ બર્લિનમાં તો કોઈ આફ્રિકામાં, પાનાં ઉથલાવતાં વળી એક ફોટો જોયો ચાઈના વૉલનો. બંને તરફ ટેકરીઓવાળાં મેદાનો વચ્ચે ચડતી ઊતરતી વળાંક વળતી પહોળી ચાઇનાવૉલ પર ઉદયશંકર સાથે ચિરંજીલાલ સાથીદારોના ગ્રૂપમાં ઊભા હતા. બર્લીનની બજારમાં પાડેલો એક ફોટો મને ખૂબ જ ગમી ગયેલો. કોટ-સુટમાં ઉદયશંકર પાસે અમલાશંકર એ બંને વચ્ચે આઠદસ વરસનો નાનકડો આનંદશંકર અને પાછળ આનંદશંકરના ગળે હાથ વીંટી ઊભેલા પડછંદ, પ્રેમાળ કુટુંબમિત્ર ચિરંજીલાલ, આનંદના શાહજીકાકા. એકમેક સાથેના સંબંધ અને હૂંફ વ્યક્ત કરતો આત્મીય ફોટો. એ બધા ફોટામાં એક ફોટો બતાવી કહે ‘યે હે લૉર્ડ બુદ્ધ, દાદા ઉદયશંકર બુદ્ધ બને થે. યે જો આપ દેખ રહે હૈં વહ પેઇન્ટ કિયા હૈ. ગોજ હૈ મૉસ્કિટોનેટ જૈસા. પહેલી વાર ઇન્ટ્રોડ્યૂસ કિયા. સ્ટેજ કે બીચ મેં ગોજ પડા હૈ. ઇધર લાઇટ ઑફ કિયા, દૂસરા સીન હો ગયા. એક સેકન્ડ કા ભી અંતર નહીં બસ સીન તુરંત બદલ ગયા. શેડો પ્લે તો કન્ટિન્યૂઅસ ચલતા થા દો-ઢાઈ ઘટે.” ઉદયશંકરના નૃત્યમાં ભારતીય નૃત્યશૈલીઓના સમન્વય ઉપરાંત તેમની સર્જનશક્તિ અને કલ્પનાશક્તિએ ઉમેરેલું આગવું વિશિષ્ટ તત્ત્વ હતું. બધી નૃત્યશૈલીઓના ગુરુઓ રાખેલા. મણિપુરીના મોટા ગુરુ હતા. કથકલીના ગુરુ નામુદ્રીપાદને ત્યાં રાખેલા. ચિરંજીલાલ કહે, “સિર્ફ કથક પર જ્યાદા ધ્યાન નહીં દિયા. ફિર ભી કથક મેં કામ તો કિયા. રવિશંકર કો કથક હી કરવાયા. કથક કો જ્યાદા નહીં સમજતે થે. પહલે સે કથકલિ ભરતનાટ્યમ્ મણિપુરી પહલે સે લી. કથક તો આયા આપ કે પાસ મુગલ ઇન્ફલ્યુઅન્સ કે બાદ. યે દેશકા સૌભાગ્ય હૈ કિ જો આયે સબ મિલ ગયે યહીં કે હો ગયે.” અલ્મોડામાં માત્ર ચારેક વરસમાં જ ક્રિયાકલાપ વાવટા રાવટી સંકેલી ઉદયશંકર કેમ ચાલ્યા ગયા તે વિશે ઝાઝી વાત ન કરી. દૂઝતો ઘા હશે કે અંગત સ્વજનની અંગત વાત હશે. માત્ર ઇંગિત આવ્યું. ‘કોઈ પર્સનલ ચીજેં હૈ જિસસે બંધ હુઆ હોગા. કોઈ ખાસ કારણ નહીં હૈ. કોઈ પર્સનલ કારણ રહા હોગા. કિસી કી મંછા યહાં નહીં રહને કી હોગી. ક્યા માલૂમ?” ચિરંજીલાલને આતિથ્ય માટે પત્નીને સાદ દેવાનીય જરૂર ન રહી. અડધોએક કલાક થયો ત્યાં તો તેમનાં પત્ની ઉપરના માળેથી ફુદીનાની સુગંધવાળી ચટપટી લીલી સેવ, બિસ્કિટનો નાસ્તો અને ચા લઈને આવ્યાં. સેવ ભાવી. બિસ્કિટ તો આગ્રહ કરીને ખવરાવ્યાં, નાસ્તા દરમ્યાન ઘરમાંથી બહાર ધ્યાન ગયું. રોડ પર બજારમાં ચહલપહલ વધી હતી. સામેના કાષ્ઠકલાની નકશીદાર નાનકડી હવેલી જેવાં ઘરોની ચાક પાડેલી બારીઓના ચાક ઊંચા થઈ ગયા હતા, તેમાંથી ગૌર નમણી નારી નજરે પડી. સવારના ઘરકામમાં વ્યસ્ત. જૂના જમાનાની કલાપ્રિયતા અને શાલિનતાને ઉપસાવતું સિસમનું ફર્નિચર; સવારના ઘરની અંદરના હળવા આછા પ્રકાશમાં કામ કરતી નારી એ ચાક ચડાવેલી નકશીદાર બારી પાસે ઊભી રહી અને ફૂલઘરના મોટા ઘરની એ નારીનો બારીની નકશીદાર ફ્રેમ મઢેલો ફોટો મનમાં ક્લિક થઈ ગયો. બારી કેવી અવનવી ભેટ ધરી દે છે! બારી બહાર મન ફરી આવી ફરી ઘરમાં આવ્યું. ચિરંજીલાલ કહે, “ફોર્ટી થ્રી કે એન્ડ મેં હમ મદ્રાસ ગયે. વહાં ઘર બનાયા, સંસ્થા બનાયી. વહાં મદ્રાસ જા કે ‘કલ્પના' ફિલ્મ બનાયી.” એ ફિલ્મના પેમ્ફલેટ્સ અને ફોટોગ્રાફ્સ બતાવ્યા. ઉદયશંકરને શંકરકુટુંબની પ્રયોગધર્મિતાના પૂરોધા કહેવા પડે. ભારતીય નૃત્યશૈલીઓના સમન્વયરૂપ પોતાની ઓળખવાળી આગવી નૃત્યશૈલી, પાશ્ચાત્ય બેલેનો વિનિયોગ, કોરિયોગ્રાફી, છાયા નાટ્ય, આ બધામાં તેમનો જવાબ નહીં. એ જમાનામાં વિકસતા તેવા ફિલ્મના માધ્યમનો પણ આજથી પચાસ વરસ પહેલાં સર્જનાત્મક ઉપયોગ કર્યો. ફિલ્મની વાહ વાહ થઈ. નામ થયું, પણ ચાલી નહીં. બૉક્સ ઑફિસ પર હિટ ન થઈ. ઉદયશંકરને તેનો આઘાત પણ લાગ્યો. અલ્મોડામાં હતા તે વરસો તો બીજા વિશ્વયુદ્ધના દિવસો હતા તેથી પરદેશની ટ્રિપો ન થઈ. અહીં ‘કલ્પના' પૂરી કર્યા પછી ફરી ટ્રુપ ઓર્ગેનાઇઝ કરી પરદેશની ટ્રિપો કરી. ફોટો આલ્બમમાં ઘણા ફોટામાં તેમનાં નાનકડાં દીકરા-દીકરીઓ સાથે ઉદયશંકર, અમલા શંકર ને નાનકડા આનંદના ફોટો હતા. ફોટો આલ્બમ ઉથલાવતાં કોઈ ફોટા પાસે અટક્યા. જેમના લીધે ઉદયશંકરના પરિચયમાં આવ્યા તેવા તે બંનેના વડીલ મિત્ર શ્યામલાલ શાહનો ફોટો બતાવી ઊલટથી કહે, “યે હૈં શ્યામલાલજી. બડા દોસ્તાના તાલુક થે ઉદયશંકરજી સે. ઉદયશંકર અલ્મોડા આયે તબ શ્યામલાલજી કી એસ્ટેટ ‘સ્નો-વ્યૂમેં હી તીન મહિને ઠહરે થે. કઈ દુકાનેં થી. બડા કારોબાર થા. આજ તો કુછ નહીં હૈ. હાં ‘સ્નો-વ્યૂ’ હૈ. ફોરેન ટૂર મેં ભી શ્યામલાલજી કો સાથ લે જાતે.” એ જ ફોટામાં નાનકડી છોકરી બતાવીને પ્રેમથી તેને હુલામણા નામે બોલાવીને કહે, “યે નન્ની હૈં. શ્યામલાલજી કી પોતરી.” એક ફોટો બતાવીને ઓળખાણ કરાવી ‘યે હૈ લક્ષ્મીશંકર... ઉદયશંકર કે ભાઈ રાજેન્દ્રશંકર કી પત્ની. નન્હી સી થી જબ આઈ થીં તબ. શાદી તો યહાં આને કે બાદમેં હુઈ.” હું લક્ષ્મીશંકરના એ મુગ્ધ યુવાન વયના ભાવનાશીલ મોટી મોટી આંખવાળા ફોટાને જોઈ રહ્યો. લક્ષ્મીશંકરના એ ફોટાની સાથે જ આઠેક વરસ પહેલાં જ રેડિયો સંગીત સંમેલનમાં તેમણે ગાયેલો ગંભીર મધુર માલકૌંસ યાદ આવ્યો. આ લક્ષ્મીશંકર એ ગાંધીજીના “હરિજન'ના સંપાદક આર. વી. શાસ્ત્રીનાં પુત્રી. બાળપણથી જ શાસ્ત્રીય સંગીતમાં પ્રવીણ. યુવાનીના ઉંબરે અહીં અલ્મોડા આવ્યાં. ઉદયશંકરની વિદેશની ટ્રિપમાં તેમની સાથે શંકર કુટુંબના રાજેન્દ્રશંકર સાથે લગ્ન આ પરિચયમાંથી જ થયાં. આજે એંસી વરસની વયે એવાં જ તરવરતાં ટી.વી.ની જાહેરાતમાં ‘હમ સબ કો ઊઠ ખડે હોને કા વક્ત આ ગયા હૈ” એમ ક્રાંતિકારીઓના શિલ્પ પાસે ઊભા રહી જુસ્સાપૂર્વક બોલતાં. સ્ટેજ, ફિલ્મ અને ટીવીનાં કલાકાર જોહરા સહગલ અને સીમ્ક્રીના યુવાવસ્થાના સ્વપ્નિલ ફોટા બતાવ્યા. અલ્મોડાનાં એ વરસો લક્ષ્મીશંકર અમલાશંકરના હૃદયમાં સુવર્ણકાળ તરીકે હંમેશાં કોતરાઈ ગયા હશે. ચિરંજીલાલે લક્ષ્મીશંકરનાય કાગળો બતાવ્યા. એક પત્રમાં તેમનો કોઈ અમેરિકન મિત્ર ઉદયશંકર પર રીસર્ચ કરતો હશે તેને અલ્મોડા આવે ત્યારે મદદ કરવા વિનંતી કરી હતી.