છંદોલય ૧૯૪૯/અકારણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અકારણે

અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!

મારે અધર સ્મિત ફૂટે
તો ઝાકળ થૈને છાય,
નેનમાંથી જો નીર છૂટે
તો હસી હસી ન્હાય;
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!

લોકની માયા શીય કીધી
તે નિજમાંયે ના માય,
કોકની છાયા જોઈ લીધી
કે ચરણ ચૂમવા જાય;
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
૧૯૪૮