છંદોલય ૧૯૪૯/ત્રેવીસમા વૈશાખમાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ત્રેવીસમા વૈશાખમાં


શુક્લ વૈશાખની સપ્તમી,
પ્રખર મધ્યાહ્ન જ્યારે હતો પાસમાં,
ત્યાહરે મેં લીધી સૃષ્ટિને શ્વાસમાં!
ત્યારથી જીવનનો ખેલ હું અહીં રહ્યો છું રમી!

જન્મ શું, એ નથી જાણતો,
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો!
જન્મ શું, એની અનુભૂતિની ના સ્મૃતિ;
મૃત્યુમાં જન્મ, નવજન્મની છે કૃતિ;
તો પછી એક દિન એહને ત્યાં પુન: લહી શકું!

– કિન્તુ ત્યારેય નહીં કહી શકું!

૧૯૪૮