જનાન્તિકે/બાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાર

સુરેશ જોષી

ધૂંધળા ધુમ્મસનું આછું પરિવેષ્ટન પૃથ્વીના મુખને ઢાંકે છે. વાતાવરણમાં જ અન્યમનસ્કતા છે. ગમે તે લાગણી કે વિચારને વળગી સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ ત્યાં આપણે જાતે જ કશાક દ્રાવણમાં ઓગળીને બાષ્પરૂપ થઈ ને આ ચારે બાજુથી ધૂસરતામાં ખોવાઈ જઈએ છીએ. પછી હિંમત કરીને સૂર્ય બહાર આવે છે, એનાં કિરણો ખંતપૂર્વક ધૂસરતામાં લુપ્ત થયેલા આપણા નકશાની બધી રેખા શોધી આપે છે, ને આપણે ફરી વ્યવસ્થિત થઈ જઈએ છીએ. સૂર્યને હાથ આમ ફરીથી આકાર પામવાની મજા માણવા જેવી છે. પણ કોઈ વાર રાત્રિના દ્રાવણમાં આપણે નિ:શેષ ઓગળી જઈએ, આપણી ટેવના અસ્થિની આજુબાજુ ફરીથી આપણને ગોઠવી દેવાનું સૂર્યથી પણ નહીં બને ત્યારે? ધૂસરતામાં જ આપણું નિર્વાણ? ધૂસરતાને ખોળે જ સૂર્ય જન્મે છે એવું આશ્વાસન લેવાની સગવડ વિજ્ઞાન કદાચ ભવિષ્યમાં કરી આપે તો નવાઈ નહિ.

પણ એ દિવસે સૃષ્ટિનું એવું રૂપ જોઈને શકુન્તલા યાદ આવી. દુષ્યંત એ દિવસે ગયો છે, ને નમતે પહોરે એ અન્યમનસ્ક, દિશાઓના છેડા તરફ જોતી છતાં કશું ન જોતી, બેઠી છે. આંખ પર, નહિ સારેલાં છતાં જામેલાં, આંસુની આછી ઝાંય છે ને ત્યાં અયમહં ભો: – આ હું આવ્યો છું, કોઈ છે કે? – કરીને ક્રોધની ઝાળ જેવા દુર્વાસા આવી પહોંચે છે શાપ લઈને. શિશિરને છેડે પહોંચ્યા પછી દૂરથી આવતા પેલા દુર્વાસા જેવા ઉનાળાના ભણકારા હવામાં સંભળાય છે, પણ પૃથ્વી આજે કશું સાંભળતી નથી, જોતી નથી. એ અંતર્મુખ થઈને બેઠી છે. નક્ષત્રમંડળના પિયરની કશીક સ્મૃતિ સળવળી ઊઠી છે. ને હવે દઝાડતા ગ્રીષ્મનો શાપ આવ્યો જ જાણે! પણ એ તાપ વેઠતાં વેઠતાં જ જેમ શકુન્તલાએ ચક્રવર્તી ભરતને પોતાની કૂખમાં સેવ્યો તેમ એ ગ્રીષ્મમાં જ આંબા ડાળે આમ્રફળમાં મધુરતાનો સંચય થાય છે, વર્ષાના વાદળ બંધાય છે ને આખરે ધનધાન્યથી પૃથ્વીનો ખોળો ભર્યો ભર્યો થઈ રહે છે. પણ અત્યારે તો ‘અરે એ તે ક્યારે?’ – એવો જ પ્રશ્ન મનમાં થાય છે.

પણ ગ્રીષ્મ પહેલાં છે વસંત. કવિઓ બિચારા મુશ્કેલીમાં છે. આ વસન્તે શું લખવું? ને નહીં લખીએ તો લોકો ભૂંડા એમ કહેવાના કે વસન્ત જેવી વસન્ત આવી ને અમારા જેવાને કંઈકનું કંઈક થઈ જાય છે ને તમને કશું થતું નથી, તો તમે તે કવિ છો કે પછી… ચાલો, પ્રયત્ન તો કરી જુઓ : ગીત સહેલાં થઈ પડશે. ફાગણ, કેસૂડાં, કોઈ ગોરી, એની લાલ ચૂંદડી, થોડા પ્રાસ, રાધાકૃષ્ણ તો બિચારાં તૈયાર બેઠાં છે, એમને લાવો. ગીતો પૂરતી સંખ્યામાં તૈયાર થઈ જશે. આ વસન્ત પૂરતું તો કામ ઉકલી જશે. પછી વળી જોયું હશે!

કાલિદાસ જેવો વિલાસી કવિ કહેશે કે રતિક્રીડામાં પ્રિયતમના ગાઢ પરિરમ્ભણતી નખક્ષત અને દન્તક્ષતને કારણે પૃથ્વીને અંગે જે ટશર ફૂટી છે તે જ આ કેસૂડાં! વાલ્મીકિ, રામાયણના વસ્તુસંદર્ભને ધ્યાનમાં રાખીને, કહેશે કે રામ અને વાલી જેવા બે બળિયા યુદ્ધમાં લડતા ઘવાય ને એમના અંગોમાં જે લોહીની ટશર ફૂટે તેના જેવાં આ કેસૂડાં છે. કવિઓ જ્યારે રીઢા થાય છે, કુતૂહલ અને આશ્ચર્યની માત્રા ઘટતી જાય છે ને ડહાપણ વધતું જાય છે ત્યારે એમની ઉત્પ્રેક્ષા અર્થાન્તરન્યાસ તરફ વળે છે. કાલિદાસનો દુષ્યન્ત પ્રેમ કરતાં કરતાં ય કેવી ગણતરી કરે છે, કેટલા હડાપણભર્યા અર્થાંતરન્યાસ બોલ્યે જાય છે! કદાચ એને માટે આ રતિ તે નવાનુરાગ નથી, એ હંસપદિકા અને વસુમતીનો સ્વામી છે. સ્વામી બની ચૂક્યા પછી પ્રિયતમ બનવાનું શક્ય હશે જ પણ…

સાચું કહું, આજે કાલિદાસ મનનો કબજો લઈ બેઠો છે. એ માણસ જરા છે જ ખરાબ. ને ખરાબને દુનિયા જલદી ભૂલતી નથી. કાલિદાસ ઇન્દ્રિયનું લાલનપાલન કરનારો કવિ છે. સ્પર્શેન્દ્રિયનું સુખ ચોખાલિયા સમાજનો કવિ વર્ણવવાની હિંમત ન કરે. આપણા સાહિત્યમાં તો એ ઇન્દ્રિય સાવ જૂઠી જ થઈ ગઈ છે. એમ કહીએ ખોટું નથી, પણ ભવિષ્યમાં દુષ્યન્તની નિષ્ઠુરતાને કારણે (રાજદરબારના કવિએ રાજાને બચાવવા શાપની યોજના ભલેને કરી! ને ડાહ્યાઓ ને પણ્ડિતો શકુન્તલાને દુર્વાસાની જેમ ભલેને શાપે, નિષ્ઠુરતા તે નિષ્ઠુરતા) શકુન્તલા પર જે વીતવાનું છે તેનું સંવિધાન કાલિદાસે કુશળતાથી કર્યું છે. શકુન્તલાના ભાવી દુ:ખથી યોજના ભારે કાળજીપૂર્વક કરી છે. પ્રથમ પ્રણય નિવેદન કરવાને પત્રલેખનની તૈયારી ચાલે છે. પત્ર શેના પર લખવો! શુકોદર સુકુમાર નલિનીપત્ર પર લખવો એમ પ્રિયંવદા સૂચવે છે. પોપટના પેટની સુંવાળપ કાલિદાસ જાણે છે. એવા સુકુમાર પત્ર પર એથી ય સુકુમાર પ્રણયની લાગણીનું નિવેદન કર્યું તેનું કેવું કઠોર ને નિષ્ઠુર પ્રત્યાખ્યાન! વળી ચોથા અંકમાં જે પ્રભાત પ્રકટ્યું – શકુન્તલાના વિદાયના દિવસોનું પ્રભાત – તે સૌ પ્રથમ બોરડી પર ઝીલાયેલા ઝાકળબિંદુ તરફ આંગળી ચીંધીને કાલિદાસ બતાવે છે. પ્રકૃતિ આપણા અંતરમાં હવે આટલો પ્રવેશ પ્રવેશ પામતી નથી.

ને ‘કુમારસંભવ’માંની પેલી પંક્તિ શૈલાધિરાજતનયા ન યયૌ ન તસ્થૌ– એ જે ચિત્ર આંકી દે છે તે આંખ સામેથી ભૂંસાય એવું નથી. કવિતાના સ્વરૂપનો ખ્યાલ કરું છું ત્યારે મારા મન:ચક્ષુ આગળ કવિતાની પણ આવી જ છબી ખડી થાય છે. મહાદેવને જ મુખે મહાદેવની નિંદા સાંભળતી પાર્વતી, એમને સાચે રૂપે ઓળખતી ન હોવાથી ભાવી વરની નિંદાને સહી ન શકવાથી રોષમાં છણકો કરીને ચાલી જવા ઊભી થઈ છે, એક પગ ઊંચક્યો પણ છે, ત્યાં મહાદેવ પોતાનું સાચું રૂપ પ્રકટ કરે છે ને એ ન તો ગઈ કે ન તો ઊભી રહી! કવિતા પણ જાણે ભાવનો છદ્મવેશ સરી જતાં આમ જ ન યયૌ ન તસ્થૌની મુદ્રામાં જ આપણને દેખાય છે. એમાં ગતિ નથી ને છતાં ગતિ છે – આવા બિંદુની જ્યારે ઉપલબ્ધિ થાય ત્યારે ભાવમાં કાર્યક્ષમતા પ્રગટ થઈ ગણાય. દૈનન્દિનીય વ્યવહારમાં ઢંકાયેલી ભાવના, રહસ્યની કાન્તિ આમ એકાએક પ્રકટ થઈને ચકિત કરી દે, તેનો વિસ્મય, તેનો ન યયૌ ન તસ્થૌ છન્દ, કવિતામાં રણકી ઊઠે. ભાવને પ્રથમ વાર સાક્ષાત્ કર્યાનો વિસ્મય અને તેથી પ્રગટતી કાલી કાલી વાણીની નિર્વ્યાજ મધુરતા એ ઊંચા પ્રકારની કવિતાનું અનિવાર્ય લક્ષણ છે. રૉબર્ટ ફ્રૉસ્ટ જેવો કવિ વૃદ્ધાવસ્થાને આરે ઊભો રહીને ય શિશુસહજ વિસ્મયની કાલી કાલી વાણી બોલી શકે છે. વધારે પડતું Sophistication, ચટુલ વિદગ્ધતા, કુશાગ્ર બુદ્ધિના તર્કના બુટ્ટા કવિતાની આ નૈસર્ગિક કાન્તિને ઝાંખી પાડી નાખે છે. પણ સહજ ઉદ્રેકનું સ્થાન કૃત્રિમ આયાસ લે ત્યારે કરામત જ નવીનતાનો પર્યાય બની રહે. પ્રસ્તુત અને અપ્રસ્તુત. પ્રકૃત અને સમ, ઉપમેય અને ઉપમાન વચ્ચેનો સંબંધ દુરાકૃષ્ટ ને ઉચિત સંદર્ભયોજનાથી પરિપોષ પામ્યા વિનાનો, આકસ્મિક, રચીને ચોંકાવી દે એવી બૌદ્ધિક ચમત્કૃતિની યોજના કરવી – આટલામાં જ નવીનતા સમાઈ જતી હોય તો આપણી કવિતા વિશે ચિંતા કરવા જેવી સ્થિતિ ઊભી થાય.

કોઈ વાર ઉશ્કેરાઈને આવી ઉત્પ્રેક્ષાઓનો ગંજ ખડકી દેવાનું મન થાય છે – એમ બતાવવા કે એમાં સાચું કવિકર્મ રહ્યું જ નથી! જુઓ, થોડા નમૂના કરી આપું : એનો હાથ-રૅફ્રિજરેટરમાંથી કાઢેલા આઇસ્ક્રીમના જેવો ઠંડો, સ્નિગ્ધ ને સ્વાદુ : વાચાળ પ્રિયાના મુખમાંથી નીકળતા શબ્દો સ્લોટ મશીનમાંથી નીકળતી ટિકિટ જેવા; હું તને જોયા કરીશ, નિર્નિમેષ, – રાતે તું સૂતી હોય છે ત્યારે તારી પાસેના ટેબલ પરના એલાર્મ ક્લૉકના રેડિયમ ટીપ્ડ કાંટાઓ તને જુએ છે તેમ, વાદળાં ખસતાં સવારનું ફિક્કું આકાશ આછું દેખાયું – મીણબત્તી પર ઉંદરે પાડેલા નખના આંકા જેવું; શિશિરનો વિવર્ણ તડકો મસળીને ફેંકી દીધેલા મસોતાના જેવો; ફૂલ-કોઈ અભિનવ આઈન્સ્ટાઈનના મગજમાં સ્ફુરેલી વિશ્વરહસ્યની નવી ફોર્મ્યુલા જેવાં; અમારા બેનું મિલન-પાણીના ટીપામાંના પ્રાણવાયુ અને આર્દ્રવાયુના સંયોગ જેવું; પાનખરનાં ખરતાં પાંદડાં – મહાકાવ્યના છેલ્લા શ્લોકો જેવાં; શ્રાવણની આછી ઝરમર – અમદાવાદની કોઈ મિલમાં વણાતી શરબતી મલમલના તાણાવાણા જેવી; વૈશાખની બપોરનો તડકો સંસ્કૃત નાટકના પ્રણયી ધીરોદ્ધાત નાયકના પ્રલાપ જેવો; હેમંતની સુરખી ભરી સવાર – કાલિદાસની કાવ્યપંક્તિ જેવી; નીરસ દિવસ-દળદાળ પુસ્તકની વચ્ચે દબાઈને ચપટ થઈ ગયેલી કીડી જેવો; અમાસની રાતે તારાખચિત આકાશ યતિ વિનાની છંદોરચના જેવું… બોલો, ક્યાં સુધી આગળ વધવું છે? વિજ્ઞાનની પણ અસર ઉત્પ્રેક્ષામાં છે. અત્યાધુનિકતામાં છે, કહો તો થોડી કૌંસમાં મૂકી આપું, પછી છે કાંઈ?

ત્રણ અકસ્માત : બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘર છોડીને બહાર નીકળી ગયો; ઘરે એની વહુ દીકરા રાહ જુએ, પણ ધૂનમાં ધૂનમાં એ ઝાડ નીચે બેસી રહ્યો. ખાધાપીધા વિના મરવા પડયો. કહે છે કે એક ભરવાડણે દયા લાવી દૂધ પાયું. હવે સ્થિતિ સુધારા પર છે. એનું નામ પૂછતાં ગૌતમ બુદ્ધ એમ કહે છે.

લાગતાવળગતાએ ઘટતી તપાસ કરી એ વ્યક્તિનો કબજો લઈ લેવો.

સાંજને વખતે ટેકરી પર ઊભા કરેલા થાંભલા પર ચઢીને એક માણસ કશુંક જોવા ગયો. એ શું જોવા ગયો હતો તે વિશે કશી આધારભૂત માહિતી જાણવા મળી નથી. પણ અંધારામાં નીચે ઉતરવા જતાં એ ખીલામાં ભેરવાયો ને એ જ દશામાં મરણ પામ્યો. એનું નામ ઇસુ એમ કહેવામાં આવે છે. પોલિસને સંબંધ વિશેની ખાતરી આપતાં મૃતદેહનો કબજો સોંપવામાં આવશે.

બે બંદૂકની ગોળી સાંજને વખતે સહેજ લટાર મારવા નીકળી હતી. કોઈ ‘રામ રામ’ બબડતો ધૂની માણસ દેખતો છતાં ન દેખતો એ ગોળીના માર્ગમાં આડે આવવાથી ગોળીના માર્ગમાં અન્તરાય ઊભો થયો. એનું નામ મોહનદાસ હતું એમ કહેવાય છે. આવા ગાફેલ આમ બેધ્યાન બનીને ફરે છે તેથી આવા અકસ્માત થાય છે. એ વિશે ભવિષ્યમાં કાળજી રાખવી.