જનાન્તિકે/સાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાત

સુરેશ જોષી

આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાનતા કાંઈ ઝાજી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીની પાછી લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો – લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે. અષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્ર-વૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાની ય અજબ માયા હોય છે! કેટલી ઊર્મિઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐશ્વર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ.