જયંત કોઠારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કોઠારી જયંત સુખલાલ (૨૮-૧-૧૯૩૦) : વિવેચક, સંપાદક. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮માં મૅટ્રિક. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. અને ૧૯૫૯માં એમ.એ. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્સનો ડિપ્લોમા. ૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન, સાથે સાથે રાજકોટમાં રેલવે કલેઇમ્સ એજન્ટ. ૧૯૫૯-૬૨માં અમદાવાદની પ્રકાશ આર્ટ્સ કૉલેજમાં અને ૧૯૬રથી અાજ સુધી ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્યકોશ'ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન. એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (૧૯૬૦) ગ્રંથ મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલા બીજા ગ્રંથ ‘પ્લેટોએ ઍરિસ્ટોટલની કાવ્યવિચારણા (૧૯૬૯)માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે. પરંતુ ધ્યાનપાત્ર વિવેચક તરીકે એમની પ્રતિષ્ઠા બંધાય છે ‘ઉપક્રમ’ (૧૯૬૯)થી. વિષય તરફ જોવાની સમતોલ દૃષ્ટિ તથા અભિપ્રાયો પાછળ નિખાલસ અને કડક પરીક્ષણવૃત્તિ એમના આ સંગ્રહમાં ‘પ્રેમાનંદ તત્કાલે અને આજે’, ‘જીવનના વૈભવમાં કળાનો મહેલ’, ‘કાન્તનું ગદ્ય', ‘નાટકમાં રસ અને ક્રિયા’ જેવા લેખોમાં સહજ ઊપસી આવે છે. પછીના ગ્રંથોમાં લેખકની આ શક્તિઓ વિશેષ રૂપે પ્રગટ થતી આવી છે. ‘અનુક્રમ’ (૧૯૭૫)માં પ્રેમાનંદનાં મુખ્ય આઠ આખ્યાન તેમ જ અખાના ભક્તિવિચાર અને ગુરુવિચાર પરના તથા કેટલીક આધુનિક કૃતિઓ વિશેના અભ્યાસલેખો એમની, મધ્યકાલીન અને અર્વાચીન બંને પ્રકારના સાહિત્યના વિવેચન તરફની ગતિ બતાવે છે. ‘વિવેચનનું વિવેચન’ (૧૯૭૬)માં ‘ગુજરાતી સાહિત્યવિવેચનઃ વળાંકો અને સીમાચિહ્નો એ મહત્ત્વના દીર્ઘલેખ ઉપરાંત સાત અદ્યતન વિવેચનગ્રંથોની તપાસ. કરતા લેખો છે. ‘અનુષંગ’ (૧૯૭૮)માં સાહિત્યકાર અને સમાજાભિમુખતા', ‘રૂપ અને સંરચના’ એ સિદ્ધાંતચર્ચાના અભ્યાસલેખો છે, તો ‘કલ્પનનું સ્વરૂપ’ અનુવાદલેખ છે. ‘વ્યાસંગ’ (૧૯૮૪)માં નિબંધ, ટૂંકી વાર્તા અને એકાંકીના સ્વરૂપ વિશેના મહત્ત્વના લેખો છે. ‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (૧૯૭૩) એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિશદ રીતે પરિચય કરાવતું સારું પાઠ્યપુસ્તક છે. ‘સુદામાચરિત્ર’ (૧૯૬૭), ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ (૧૯૭૬), ‘ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા’ (૧૯૭૭), ‘એકાંકી અને ગુજરાતી એકાંકી(૧૯૮૦), ‘કાન્ત વિશે’ (૧૯૮૩), ‘જૈન ગુર્જર કવિઓ’ (૧૯૮૭) ઇત્યાદિ એમના સંપાદન વા સહ-સંપાદનના ગ્રંથો છે.