જોસેફ મેકવાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જોસેફ મેકવાન ઈગ્નાસ (૯-૧૦-૧૯૩૬) : નવલકથાકાર. જન્મ આણંદ તાલુકાના ત્રણાલીમાં. એમ.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯ને સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર, ‘વ્યથાનાં વીતક' (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિત ચરિત્રોનાં આલેખન છે. ‘વહાલનાં વલખાં' (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે' (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત' (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્રષિ અને સંઘર્ષને દલિત દૃષ્ટિકોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા (૧૯૮૬)નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લમણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભ નિરૂપ્યું છે. ‘મારી પરણેતર' (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના' (૧૯૮૬) એમને વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.